અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરિચય
સર્જક નારાયણ દેસાઈ

નારાયણ મહાદેવભાઈ દેસાઈ(જ. ૨૪ ડિસેમ્બર ૧૯૨૪) જેટલા ચરિત્ર-લેખક તરીકે જાણીતા છે એટલા જ, અનેક સ્થળે પ્રેરક અને રસપ્રદ ગાંધીકથા કહેનાર તરીકે જાણીતા છે. વેડછી(દ. ગુજ.)ના સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય-ને પોતાનું કર્મસ્થાન બનાવીને એક શિક્ષક અને કાર્યકર-સંચાલક તરીકે મહત્ત્વની કામગીરી બજાવતા નારાયણભાઈએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પણ ગાંધીવિચાર-સંચારક તરીકે કામ કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ માટે સાહિત્ય અકાદેમી(દિલ્લી)ના ઍવોર્ડ સહિત ઘણા પારિતોષિકોથી સન્માન પામ્યા.

કેટલાક અનુવાદો તથા ‘મારું જીવન એ જ મારી વાણી’ (ગાંધીજી વિશે, ૪ ભાગમાં) અને ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'(મહાદેવ દેસાઈ વિશે) જેવા બૃહદ અને મોટી બાથ ભીડતા ચરિત્ર-ગ્રંથો એમનું મહત્ત્વનું સાહિત્ય-કાર્ય તેમ જ જીવન-કાર્ય છે.

*
‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ (૧૯૯૨)

૧૫૦૦ પાનાંમાં વિસ્તરેલું આ ચરિત્ર જેટલું પ્રસાદિક છે તેટલું જ તટસ્થ રીતે લખાયેલું છે. પિતાના ચરિત્ર લેખે એ જેવું અધિકૃત(ઑથેન્ટિક) છે એવું જ મહાદેવ-ચરિત્ર લેખે એ સર્વગ્રાહી છે. મહાદેવભાઈના સાક્ષાત્ પરિચય ઉપરાંત બીજા ઘણા ચરિત્ર-સંદર્ભગ્રંથોમાંથી નારાયણભાઈ પસાર થયા છે. (એમણે લખ્યું છે : ‘મહાદેવભાઈની ડાયરી કહેવાય મહાદેવભાઈની, પણ એમાં રજમાત્ર જીવનવિગત મહાદેવભાઈની ન જડે! એટલે મારે મહાદેવભાઈ બીજે જ ખોળવા પડયા!’) લાંબા પટમાં લખાયેલું હોવા છતાં ન થકવનારું આ પુસ્તક હાથમાંથી મૂકવાનું મન નહીં થાય…

આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.