અભિમન્યુ આખ્યાન/કડવું ૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૨
[અભિમન્યુની પૂર્વકથાનો આરંભ. અયદાનવે મહાતપ દ્વારા મહાદેવને પ્રસન્ન કરી વરદાન પ્રાપ્ત કર્યું. દશ દિશાઓ જીતી, અધર્મ પ્રવર્તાવ્યો. ત્રસ્ત દેવો કૃષ્ણ-બલરામને વીનવવા દ્વારકા ગયા.]


સંજયનાં વાયક સુણી બોલ્યો હસ્તિનાપુરનો ધણી :
અતિઘણી સંદેહની મન વારતા રે.          ૧

હરિને હેત અતિ ઘણો સૌભદ્રે જે પાંડવ તણો,
નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે.          ૨

ઢાળ
મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર?
પ્રદ્યુમ્નની પેરે ઉછેયૌ જે પોતાને ઘેર.          ૩

પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય :
વેરભાવ છે પૂર્વ જન્મનો, સાંભળ, ધૃતરાષ્ટ્ર રાય!          ૪

એક અયદાનવ દૈત્યનો રાજા, તેણે મહાતપ કીધું,
થોડે દહાડે શ્રીમહાદેવે આવીને દર્શન દીધું.          ૫

સાદ કરીને શંભુ બોલ્યા : ‘માગ દાનવ! વરદાન;
તારું તપ અતિ નિર્મળ દેખી થયો હું તુષ્ટમાન.’          ૬

અયદાનવ બેહુ કર જોડી લાગ્યો શિવને ચર્ણ :
‘સ્વામી! માગું છું તમ પાસે, કો કાળે ન પામું મર્ણ.          ૭

દેવ, દાનવ ને યક્ષ, વિદ્યાધર યુદ્ધે હુંથી હારે;
બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય, શૂદ્ર કો, સ્વામી! મુને ન મારે.          ૮

અઠ્ઠોતેર સો વ્યાધિ ન આવે શરીરે, પંચવદન!
ચૌદ લોકમાં ગત ગયાની, ભમું ત્રણે ભુવન.          ૯

વ્યાલ ડસે તો વિષ નવ ચડે, પશુપંખી મારો આહાર;
લોહ, કાષ્ઠ, અગ્નિ નહિ અડકે, વશ વરતે સંસાર.’          ૧૦

મહાદેવ કહેઃ ‘તું સર્વને જીતીશ ત્રણ લોકને માંહ્ય,
પણ વૈકુંઠવાસી આદ્ય વિષ્ણુ, તેને નવ જિતાય.’          ૧૧

અંતર્ધાન ઈશ્વર થયા એહવું કહી વચન;
અયદાનવ આવ્યો નિજ ધામે, માંડ્યું રાજ્યાસન.          ૧૨

દશે દિશા જીતી વશ કીધી, ચલાવ્યો અધર્મ;
મુનિ માત્ર મારીને કાઢ્યા, મુકાવ્યાં ખટ કર્મ.          ૧૩

ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર;
અમરાપુરી મુકાવી ઇંદ્રને, લીધો પોતે અધિકાર          ૧૪


દેવ માત્ર ટોળે મળીને ગયા દ્વારિકા ગામ,
અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ.          ૧૫

વલણ
          વીનવ્યા કેશવ-રામ રે, સંજય વાણી ઓચરેઃ
          દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે.          ૧૬