અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/હરિનાં દર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હરિનાં દર્શન

ન્હાનાલાલ દ. કવિ

મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું, ન ઠરિયાં ઝાંખી કરી.

શોક-મોહના અગ્નિ રે તપે, તેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, તેમાં રક્ત રહ્યાં.

પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યાં.

નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે.

જરા ઊઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ અળગા રે, ઘડીયે ન થાય કદા.

પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ તેને ચેતનની?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ તોયે કંઈ દિનની.

સ્વામી સાગર સરીખા રે; નજરમાં ન માય કદી :
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.

પેલાં દિવ્સ લોચનિયાં રે, પ્રભુ! ક્યારે ઊઘડશે?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ! ક્યારે ઊતરશે?

નાથ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.

આંખ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ.

(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨-૧૩)




ન્હાનાલાલ દ. કવિ • હરિનાં દર્શન • સ્વરનિયોજન: પારંપરિક/પં. નારયણ મોરેશ્વર ખરે • સ્વર: મધુરી ખરે