અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/અમરોની અતિથિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અમરોની અતિથિ

હરીન્દ્ર દવે

હરિનો હંસલો
બાલમુકુન્દ દવે

કોણે રે દૂભ્યો ને કોણે વીંધિયો?

આ અઠવાડિયે દેશ ગાંધીજીની જન્મશતાબ્દી ઊજવશે. આ પ્રસંગે આપણે તેમના મૃત્યુ વેળા લખાયેલા એક ગીતને યાદ કરી રહ્યા છીએ. મહાપુરુષોના જીવનમાં આ બધા ભેદો લોપાઈ જતા હોઈ એમના માટે તો પેલી એલિયટની પંક્તિઓ હમેશાં સાચી હોય છે — ‘In my end there is my beginning. In My beginning there is my end.’

‘મારા અંતમાં જ મારો આરંભ છેઃ મારા આરંભમાં જ મારો અંત છે.’ મહાપુરુષોનાં જીવન એ મૃત્યુથી અટકે એવાં નથી હોતાં. એમના ક્ષર દેહના વિલય પછી પણ એમનું જીવન વિસ્તરતું જ હોય છે. કૃષ્ણ, બુદ્ધ અને ઈસુ આજે જીવે જ છે ને?

એટલે જ કવિ અહીં ‘હંસલો’ રૂધિરે રંગાયો એટલું જ કહે છેઃ એને શસ્ત્રો છેદી શકે એમ નથી કે પાવક પ્રજાળી શકે એમ નથી; હંસને પ્રતીક તરીકે આપણે વેદકાળથી પ્રયોજાતાં જોયો છેઃ મીરાંએ પણ ‘મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું’ એમ ગાયું છે એટલે આ હંસલા શબ્દનો અર્થ સમજવામાં આપણને પરંપરા કામ લાગે છે, પણ હરિનો હંસલો એ શબ્દસમૂહ આ કોઈ સાધારણ આત્માની નહીં, પણ પરમ આત્માની વાત છે એ સ્પષ્ટ કરે છે.

આ હંસનો જીવ કોણે દુભાવ્યો?

આ ‘દુભ્યો’ શબ્દ વાંચીએ અને ગાંધીજીની દિલ્હી ડાયરીમાંના દુભાયેલા હૃદયના ઉદ્ગારો યાદ આવ્યા વિના રહેતા નથી. આ હંસને કોણે વીંધ્યો? કયા કલંકીએ એને ઘા માર્યો, એ પૂછે છે, ત્યારે કવિનો પુણ્યપ્રકોપ કેટલો પ્રજ્વળી ઊઠ્યો છે તેનો ખ્યાલ આવે છેઃ આવા માનવીને વીંધનાર દુભવનાર એ એક માણસનો અપરાધ નથી કરતો; માનવજાતનો અપરાધ કરે છે. જો ગાંધીજીએ ન્યાય તોળવાનો હોત તો તેમણે કદાચ હત્યારાને ક્ષમા જ આપી હોત. એમને મન એ અપરાધી ઠર્યો જ ન હોત. પણ એણે, અને સાથોસાથ ગાંધીજીને દૂભવનાર એવા સૌ કોઈએ માનવજાતનો અપરાધ કર્યો છે.

બીજી કડીમાં મહાત્માજીને ગોળી લાગી, અને એ ધરણી પર ઢળ્યા, એ ક્ષણનું ચિત્રણ છે.

આવો માણસ તો યુગમાં એકાદવાર આવે, સ્વર્ગના સરોવરનો વાસી હંસ આ જગતરૂપી મલીન ખાબડામાં આવ્યો તો ખરો, પણ આપણે એને જાળવી ન શક્યા.

આ અમરોના ઇતિથિને હજી આપણે આપણી વચ્ચે પ્રતિષ્ઠિત કરી શકીએ પણ એ માટે અંતરનાં મલીન ખાબડાંને સ્વચ્છ અને વિશાળ કરવાં જોઈએઃ તો એ હંસ આપણી વચ્ચેથી ક્યાંય ગયો નથી, આપણી વચ્ચે જ વસી શકે એમ છે.

ગાંધીજીની હત્યા પછી આટઆટલો સમય વીતી ગયો. છતાં આપણે ગાંધીજીને આપણી વચ્ચે વસવાનું મન થાય એવું વાતાવરણ રચી શક્યા નથી.

(કવિ અને કવિતા)