આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/નિવેદન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી. કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાય મંદિરને આશ્રયે ગુજરાતી ભાષામાં પહેલી વાર ‘આધુનિક સાહિત્ય સંજ્ઞાકોશ’ તૈયાર થયો છે. લગભગ હજાર ઉપરાંતનાં સંજ્ઞાઓનો સમાવેશ કરતો આ કોશ ગુજરાતી સાહિત્યના અનુસ્નાતક અને અનુસ્નાતકોત્તર અધ્યયન-સંશોધનમાં અભ્યાસીઓ અને અધ્યાપકો માટે ડેસ્ક રેફરન્સ તરીકે ઉપયોગી નીવડશે એવી ધારણા છે. દરેક અંગ્રેજી સાહિત્યસંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય એ સંજ્ઞાની સમજૂતી અને એની સમજૂતી માટેનું શકય હોય ત્યાં ગુજરાતી ઉદાહરણ આપેલાં છે. ગ્રીક વાગ્મિતાશાસ્ત્રથી માંડીને વિનિર્મિતિ (Deconstruction), સંવિદ્‌ના વિવેચકો (Critics of Consciousness), નિરૂપણવિજ્ઞાન (Narratology) પાઠભાષાવિજ્ઞાન (Test linguistics) જેવી આધુનિક સંજ્ઞાઓને આ કોશ આવરી લે છે. કોશનું ધ્યેય સંશોધન-વિવેચનમાં પર્યાયની નિશ્ચિતતા સાથે સાથે વર્ણનાત્મક ઓજાર પૂરા પાડવાનું છે. અલબત્ત, પ્રત્યેક સંભવિત વાચકની જરૂરિયાતને કોશ ભાગ્યે જ સંતોષ આપી શકે. એ જેમ સાચું છે તેમ સૅમ્યુઅલ જૉન્સન કહે છે એય સાચું છે કે કોશનું ઘડિયાળ જેવું છે. એક્કે ઘડિયાળ હયાત ન હોય ત્યારે જેમ નકામી ઘડિયાળથી ચાલે તેમ નકામો કોશ પણ ચાલે; અને ઉત્તમમાં ઉત્તમ ઘડિયાળ પણ સાચું જ હોય એવી જેમ અપેક્ષા રખાય નહિ તેમ ઉત્તમ કોશ પણ સાચો જ હોય એવી અપેક્ષા રખાય નહિ. કોશની આ મર્યાદાઓ ધ્યાનમાં છે તેમ છતાં અંગ્રેજી સંજ્ઞાઓના ગુજરાતી પર્યાયો શોધવામાં ક્યાંક શ્રીકૃષ્ણરાયને (નાઇજિરિયાની બેયરો યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક) સૂચવેલો નુસ્ખો અખત્યાર કરી જોવા જેવો છે. ગુજરાતી પર્યાયો બોલે અને અંગ્રેજી સંજ્ઞાઓથી પરિચિત સાહિત્યિક વ્યક્તિના મનમાં અંગ્રેજી સંજ્ઞા ઊપસે છે કે નહિ એ તપાસો. શ્રીકૃષ્ણરાયન સાથેની આ પ્રકારની રમતમાં ઘણી સંજ્ઞાઓ પાર ઊતરી છે. આ કોશ સાથે કોશમાં ઉલ્લેખ પામેલા પરદેશી વિશેષ નામોની ઉચ્ચારસૂચિ પણ સામિલ કરી છે. ગુજરાતી સાહિત્યવિવેચનક્ષેત્રે પર્યાયોની સ્પષ્ટતા અને સ્થિરતા અંગે આ કોશ નાનું સરખું પ્રારંભિક કાર્ય બજાવશે તો આ કોશ અંગે લીધેલો પરિશ્રમ સાર્થક ગણાશે. અહીં મુખ્યત્વે કવિતા અને આધુનિક વિવેચનને લગતી સંજ્ઞાઓ ચંદ્રકાન્ત ટોપીવાળાએ, નાટક અને કથાસાહિત્યને લગતી સંજ્ઞાઓ પરેશ નાયકે અને આધુનિક ભાષાવિજ્ઞાન અને સંકેતવિજ્ઞાનને લગતી સંજ્ઞાઓ હર્ષવદન ત્રિવેદીએ સંભાળી છે. આ સંજ્ઞાઓ તૈયાર કરવામાં અન્ય કોશોની સંજ્ઞાઓના સારરૂપે ક્યારેક કોઈક પુસ્તકની સામગ્રીને આધારે, ક્યારેક સ્વતંત્ર રીતે—એમ વિવિધ સ્તરે લેખન થયું છે. આ કોશ અંગે આંશિક આર્થિક સહાય કરનાર ડિપાર્ટમેન્ટ ઑવ કલ્ચર, ન્યુ દિલ્હીનો અહીં ઋણ સ્વીકાર છે. કૌશિક બ્રહ્મભટ્ટ અને નિરંજનાબેન વોરાએ ગુજરાતી-અંગ્રેજી સંજ્ઞા સૂચિને વર્ણાનુક્રમમાં ગોઠવી આપી એ અંગે એમના આભારી છીએ. લાંબુ શુદ્ધિપત્રક જોડવું પડ્યું છે એ પરિસ્થિતિ માટે ક્ષમાપ્રાર્થી છીએ.


૩૧ ઑક્ટોબર, ’૮૬.

સંપાદકો
ચન્દ્રકાન્ત ટોપીવાળા
પરેશ નાયક
હર્ષવદન ત્રિવેદી