આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/W

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંજ્ઞાકોશ
W

Weltanschanung જગતદર્શન

કોઈ એક લેખક દ્વારા અભિવ્યક્ત જગત અંગેનો તત્ત્વવિચાર.

Willing Suspension of Disbelief અપતીજ-ત્યાગ

સાહિત્યકૃતિમાં રજૂ થતી અપ્રતીતિકર વિગતનો ભાવક દ્વારા જાણીબૂઝીને થતો સ્વીકાર. આ પ્રકારની વિગત કૃતિના મુખ્ય રસને અનુકૂળ હોવાથી તેમાં રહેલા અપ્રતીતિકર અંશોની અવગણના કરી વાચક સર્જકને અભિપ્રેત અર્થમાં તે વિગતનો સ્વીકાર કરે છે. અંગ્રેજ કવિ-વિવેચક કોલરિજ દ્વારા આ ખ્યાલ પ્રસ્થાપિત કરવામાં આવ્યો.

Wit નર્મ, પરિહાસ

બુદ્ધિપૂર્ણ, ચમત્કૃતિયુક્ત હાસ્ય. કોલરિજના મત અનુસાર આ પ્રકારના હાસ્યનો ઉદ્‌ભવ બે અસમાન પદાર્થોનાં લક્ષણોની તપાસ દ્વારા તેમને જુદા તારવી આપવાની પ્રક્રિયાથી થાય છે.
સત્તરમી સદીમાં આ સંજ્ઞા બુદ્ધિમત્તા અને કલ્પનાશીલતા સાથે સંકળાયેલી હતી. તેથી અધિભૌતિક કવિતાની શૈલીને ઓળખાવવા માટે આ સંજ્ઞાનો ઉપયોગ થતો. આ સંજ્ઞામાં રહેલા ચમત્કૃતિપૂર્ણ અભિવ્યક્તિના અર્થને પોપે ‘True wit’ની તેની વ્યાખ્યામાં ઉઘાડી આપ્યો : “What oft was thought, but ne’er so well expressed.”
અત્યારે આ સંજ્ઞા ટૂંકી, બુદ્ધિયુક્ત શાબ્દિક અભિવ્યક્તિ માટે પ્રયોજાય છે. આ પ્રકારની રજૂઆત દ્વારા આશ્ચર્ય, આઘાત અને હાસ્યના મિશ્ર ભાવો જગવવાનો હેતુ સમાયેલો હોય છે.
નર્મયુક્ત વિધાનો દ્વારા યોજેલા સંવાદને નર્મસંવાદ (Repartee) તરીકે ઓળખવામાં આવે છે.
જુઓ : Humour.

Word શબ્દ

ભાષાનું એક ઘટક તત્ત્વ. ભાષાવિજ્ઞાન મુજબ શબ્દ એટલે નાનામાં નાનું મુક્તરૂપ, શબ્દનું મહત્ત્વ અને શબ્દપ્રવાહ પરાપૂર્વથી સર્વત્ર જાણીતાં છે. ધર્મ, વિદ્યા, લોકવ્યવહાર, જાદુ તેમ જ સાહિત્યક્ષેત્રે શબ્દનું મહત્ત્વ કરવામાં આવે છે. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનું બીજું નામ જ ‘શબ્દાનુશાસન’ છે.

Writer’s Block અપૂર્ણ લેખન

નક્કી કરેલા સમયગાળામાં કૃતિ પૂરી ન કરનાર લેખકના અસામર્થ્ય માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. પ્રકાશક કે મુદ્રક દ્વારા લેખક અને તેની કાર્યક્ષમતા માટે આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે.

Writer’s Cramp લેખકનો હસ્તકંપ

અતિશય લેખનના કારણે લેખકની આંગળી અને અંગૂઠાના સ્નાયુઓમાં અવારનવાર આવતો કંપ.