કાવ્યાસ્વાદ/૩૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૧

મને ઇટાલીના કવિ મોન્તાલેની થોડી પંક્તિઓ યાદ આવી, મારી કવિતાના આ શ્રમસાધ્ય પ્રાસ અને ખોડંગાતી વાણીમાં જો હું તારા ઉન્મત્ત પ્રલાપનો સંસ્પર્શ લાવી શકું તો? મારી તોતડાતી બોલીનો તારા પ્રલમ્બ સ્વરો સાથે સંવાદ સાધી શકું તો? ખારા સ્વાદવાળા તારા એ શબ્દો પર હું છાપો મારું તો? તારી એ વાણીમાં પ્રકૃતિ અને કળા કેવાં અભિન્ન બની ગયાં છે! મારા એ વિષાદનેય એથી હું ગૌરવપૂર્ણ રીતે ઉચ્ચારી શક્યો હોત. હું તો મોટો થયો, પણ બાળક જ રહી ગયો. આ ગામ્ભીર્યનો તો મેં વિચાર જ કર્યો નહીં. મારી પાસે તો બચ્યા છે માત્ર શબ્દકોશમાંના થોડા લીસાલપટા થઈ ગયેલા શબ્દો. પ્રેમના ઉદ્ગમે જે થોડા વિરલ શબ્દો સંપડાવ્યા હતા તેય હવે તો ક્ષીણ થઈ ગયા, એ માત્ર વિષાદનું કણસવું બની રહ્યા, કોઈ વાર એ માત્ર વિષાદનો વાગાડમ્બર બની રહ્યો. આજે તો શબ્દોની શી દશા થઈ છે! શહેરની ગલીઓમાં દેહ વેચનારી વેશ્યાની જેમ શબ્દો બધાંને રીઝવવા નીકળ્યા છે. જાહેરખબરવાળા, પ્રચાર કરનારા, રાજકારણીઓ, મુત્સદ્દીઓ – બધા જ એને વાપરે છે. આપણી પાસે તો બચ્યા છે માત્ર આવા થોડા ઘસાઈ ચૂકેલા પ્રયોગો – એનેય આવતી કાલે મારી પાસેથી કોઈ ઝૂંટવી જાય તો નવાઈ નહીં. વિદ્યાર્થીઓ કાવ્યપંક્તિઓ પરીક્ષા માટે ગોખે, પ્રેમીઓ પ્રેમમાં ઉપયોગી થાય એ રીતે વાપરે, અરે, ગાંડા માણસનેય એમાંનું કશુંક ને કશુંક તો ખપમાં આવે. આ શબ્દોની પડછે હું સમુદ્રના પડછન્દાને સાંભળું છું, એમાંથી ભૂરી ભૂરી ઝાંય રચાય છે. મારા વિચારો ભયના માર્યા મને મૂકીને ભાગવા માંડે છે. પછી અર્થબર્થની પળોજણ રહેતી નથી. એ બધાં બન્ધનમાંથી છૂટીને હું પહેલી વાર મારી સીમાઓને ઓગળતી અનુભવું છું. ત્યારે એમ થાય કે કશું પ્રબળ પ્રચણ્ડ મને એની ભીંસમાં લઈને કચડી નાખે તેય મને ગમે. આ પાણીપોચા વિષાદથી તો હું લાજી મરું છું. આ ભંગુરતા સમુદ્ર ભલે ને ભાંગીને ચૂરેચૂરા કરે, વાદળી જેમ કાળા પાટિયા પરના લખાણને ભૂંસી નાખે તેમ ભલે ને એ મને ભૂંસી નાખે.