ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનાચાર્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જ્ઞાનાચાર્ય [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : સંસ્કૃતજ્ઞ કવિ. જૈન કે જૈનેતર તે કૃતિમાંથી નિશ્ચિત થતું નથી. પરંતુ એ જૈન હોવાના મતને વધુ વિદ્વાનોનો ટેકો છે. આ કવિની, દુહા, ચોપાઈની ૧૫૨ કડીની ‘બિલ્હણ-પંચાશિકા’  (લે. ઈ.૧૫૭૦; મુ.) કાશ્મીરી કવિ બિલ્હણના શશિકલા સાથેના વિલાસોના સ્મરણોદ્ગારો રૂપે પ્રાપ્ત થતી ને બિલ્હણની જ રચના મનાતી સંસ્કૃત ‘બિલ્હણ-પંચાશિકા’નું અને એમાં કથાભાગ ઉમેરીને થયેલા સંસ્કૃત ‘બિલ્હણકાવ્ય’નું ગુજરાતી રૂપાંતર છે ને શૃંગારના પ્રગલ્ભ ઉન્મત્ત આલેખનથી ધ્યાન ખેંચે છે. ૪૦ દુહા-ચોપાઈની ગુજરાતી કડી અને ૨૦ ભ્રષ્ટ સંસ્કૃતની કડી રૂપે મળતી ‘શશિકલા-પંચાશિકા’  (મુ.) ઉપર્યુક્ત કાવ્યની પૂર્તિ રૂપે કવિ ભૂવેરે રચેલી ‘શશિકલા-પંચાશિકા’ (ર.ઈ.૧૫૪૫)નો મુક્ત અનુવાદ છે ને તેમાં શશિકલાનો ઉદ્ગારો રૂપે નાયક સાથેના શૃંગારવિહારનું સુરુચિપૂર્ણ આલેખન છે. કૃતિ : ૧. પ્રાકાસુધા : ૪;  ૨. સાહિત્ય, જુલાઈ ૧૯૩૨ - ‘બિલ્હણકાવ્ય (ગુજરાતી પદ્યાનુવાદ)’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. મધ્યકાલીન પ્રેમકથાઓ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૪; ૪. મસાપ્રવાહ;  ૫. ગુજરાતી, દીપોત્સવી અંક ઈ.૧૯૧૫ - ‘બિલ્હણ પંચાશિકા’ ચી. ડા. દલાલ; ૬. ગુજરાતી દીપોત્સવી અંક ઈ.૧૯૩૦ - ‘શશિકલાકાવ્ય,’ ‘વનમાળી;  ૭. ગૂહાયાદી; ૮. જૈગૂકવિઓ : ૧, ૩(૧)[ભો.સાં.]