ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેગલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મેગલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. અપરનામ નારાયણદાસ. જ્ઞાતિ કરડુઆ. પિતાનું નામ ગોવિંદ. ‘ઉગ્રસેનકૃત નગર’(?)ના વતની. એમની કૃતિઓ ઈ.૧૫૭૩ અને ઈ.૧૫૮૧ વચ્ચેનાં રચનાવર્ષ દર્શાવે છે. એ ઉપરથી કવિ ઈ.૧૬મી સદીના છેલ્લા ચરણમાં હયાત હોવાનું કહી શકાય. મૂળ કથાવસ્તુનો બહુધા સંક્ષેપમાં સરળ સાર આપતી એમની ચારે કૃતિઓ-૧૮ કડવાંનું ‘જાલંધરાખ્યાન’ (ર.ઈ.૧૫૭૩/સં.૧૬૨૯, ફાગણ સુદ ૧૧, ગુરુવાર; મુ.), ૧૬ કડવાંનું ‘પરીક્ષિતાખ્યાન’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, મહા સુદ ૫, ગુરુવાર; મુ.), ભાલણની તદ્વિષયક કૃતિની અસર દેખાડતું ૧૦ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, આસો સુદ ૫, રવિવાર; મુ.), નચિકેતાના ચરિત્રને ૧૫/૧૮ કડવામાં આલેખતું ‘નાસિકેતાખ્યાન’ (મુ.)-વર્ણનરીતિની દૃષ્ટિએ કંઈક નોંધપાત્ર ગણાય એવી છે; વિશેષ રૂપે ‘નાસિકેતાખ્યાન’. આ કવિનું ૬૬ કડવાંનું ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૫૮૩/સં. ૧૬૩૯, આસો સુદ ૧૦, બુધવાર; અંશત: મુ.) મળ્યું છે. તેમાંના પહેલાં ૫૫ કડવાં નાકરની તદ્વિષયક કૃતિની છાયા જેવાં છે. કૃતિ : ૧. કવિ મેગલકૃત ‘જાલંધરાખ્યાન અને પરીક્ષિતાખ્યાન’, સં. જ. કા. પટેલ, ઈ.૧૯૫૮; ૨. નાસિકેતાખ્યાન અને ધ્રુવાખ્યાન, સં. ભ. ભા. મહેતા, ઈ.૧૯૨૬; ૩.  વિદ્યાપીઠ, મે-જૂન ૧૯૮૨-‘મેગલકૃત વિરાટપર્વના કેટલાંક અપ્રગટ કડવાં’, સં. ઉષા અ. ભટ્ટ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગબીજે. [ર.સો.]