ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહદેવ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સહદેવ-૧ [ ] : ખોજાઓના પીરાણા કે મતિયાપંથના ગણાતા સહદેવ જોશી કે સતગોર સહદેવને નામે કેટલીક કૃતિઓ મળે છે. કવિનું નામ આજ હોય કે પછી એમણે આ નામે રચના કરી હોય એ બંને સંભવિતતા છે. ખોજાઓના સત્પંથમાં એક મોટા પીર સદ્દદ્દીન થઈ ગયા. એમના અપરનામ ‘સહદેવ’ અને ‘હરિશ્ચંદ્ર’ હતા. ‘ખટદર્શન’ નામે કૃતિ એમણે રચી હોવાનું નોધાયું છે. એટલે સંપ્રદાયની કોઈ વ્યક્તિએ આ નામથી રચનાઓ કરી હોય અથવા સદૃદ્દીનની કૃતિઓને ગુજરાતીમાં ઉતારી હોય. ‘મતિયાપંથ’ કૃતિ તથા મતિયાપંથ પરનાં કાવ્યો, ‘નકલંકી-ગીતા’, અરબીફારસી શબ્દોના પ્રભાવવાળી ૩૪૨ કડીની ‘ખટદર્શનની પડવી’, ૫૦૦ ગ્રંથાગ્રનું ‘આગમશાસ્ત્ર’, ‘સદ્ગુરુવાચા’, નિજિયા ધર્મનો મહિમા કરતું ૮ કડીનું ૧ ભજન(મુ.) તથા કળિયુગના આગમન અને તેના સ્વરૂપને વર્ણવતું ૭ કડીનું ‘આગમ’(મુ.) એ કૃતિઓ આ નામછાપવાળી મળે છે. કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦; ૩. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદભાઈ પુ; ઈ.૧૯૭૬. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પાંગુહસ્તલેખો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છ. વિ. રાવળ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. ગૂહયાદી; ૭. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]