ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/પ્રસ્તાવના

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રસ્તાવના

ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં એમ.ફિલ., પીએચ.ડી.ની પદવી માટે સંશોધન વિષય પસંદ કરતી વખતે વિષયોનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેવી અનિવાર્ય છે. યુ.જી.સી.ના નિયમાનુસાર હવે સંશોધકે આર.ડી.સી. સમિતિ સમક્ષ રિસર્ચ ડિઝાઈન રજૂ કરવાની તથા તે મંજૂર કરાવવાની અનિવાર્યતાઓ પણ ઊભી થઈ છે. આ સંજોગોમાં સંશોધન વિષય નક્કી કરતાં પહેલાં પૂર્વે થયેલાં સંશોધનોની માહિતી મેળવીને સંશોધનનાં ક્ષેત્રો કયા છે, કયા વિષયોઉપર અગાઉ સંશોધન થઈ ગયું છે એને વિશે જાણવું જરૂરી બન્યું છે. જો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે તેની હાથવગી માહિતી હોતી નથી. પદવી મળ્યા પછી સંશોધકે જો પોતાનાં સંશોધનને પુસ્તક રૂપે પ્રકાશિત કર્યું હોય તો તે સૌના ધ્યાનમાં આવ્યું હોય, અન્યથા એની માહિતી જે તે યુનિવર્સિટીના દફતર સુધી જ સીમિત રહેતી હોય છે. આ સ્થિતિમાં સમયાંતરે પ્રકાશિત થતી શોધનિબંધ સૂચિઓ ઘણી ઉપયોગી બની રહે છે. આ દિશાનું પ્રથમ પ્રકાશન શ્રી પ્રકાશ વેગડે ‘ગુજરાતી મહાનિબંધ સંદર્ભસૂચિ’ પુસ્તક આપીને કર્યું હતું. એ પછી ડૉ.પ્રસાદ બ્રહ્મભટ્ટ પાસેથી ‘ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ’ પુસ્તક મળે છે. ‘ગૂજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ’ આ પ્રકારનું ત્રીજું પુસ્તક છે. આ પુસ્તકમાં અમે ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગમાં એમ.ફિલ. (અનુપારંગત) તથા પીએચ.ડી. (વિદ્યાવાચસ્પતિ) પદવી માટે તૈયાર થયેલા શોધનિબંધોની સંક્ષિપ્ત પરિચય સાથેની વર્ગીકૃત સૂચિ આપી છે. અમારા ગુજરાતી વિભાગને શ્રી મોહનભાઈ પટેલ, ડૉ.ચંદ્રકાન્ત શેઠ તથા ડૉ.કનુભાઈ જાની જેવા સમર્થ સાહિત્યકારોના માર્ગદર્શનનો લાભ મળ્યો છે. જે શોધનિબંધો પછીથી પુસ્તક રૂપે પ્રકાશિત થયાં છે અને અત્યંત પ્રસિદ્ધિ પામ્યાં છે તે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ - ડૉ. સુમન શાહ, ‘ખંડકાવ્ય: સ્વરૂપ અને વિકાસ’ - ડૉ. ચિનુ મોદી, ‘ઉમાશંકરનો વાગ્વૈભવ’ ખંડ ૧ થી ૩ - ડૉ.ચંદ્રકાન્ત શેઠ વગેરે ગૂજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના સંશોધકો પાસેથી સાંપડ્યા છે. સર્વશ્રી ડૉ.ભગવાનદાસ પટેલ, ડૉ.અમૃત પટેલ, ડૉ.દલપત પઢિયાર, ડૉ.સરૂપ ધ્રુવ, ડૉ.દીવા પાંડે વગેરે સુપ્રસિદ્ધ સંશોધકો-સર્જકોએ પણ આ જ ગુજરાતી વિભાગમાં પોતાના શોધનિબંધો તૈયાર કરીને પદવી પ્રાપ્ત કરી છે. આ સૌના ગુણવત્તાસભર સંશોધનોએ અમારા ગુજરાતી વિભાગની એક સમૃદ્ધ સંશોધન પરંપરા રચી આપી છે તે સગૌરવ યાદ કરીએ છીએ. ‘ગૂજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ’ પુસ્તક બે વિભાગમાં તૈયાર કર્યું છે. પહેલો વિભાગ એમ.ફિલ.ની પદવી માટે તૈયાર થયેલા શોધનિબંધની વિગતોનો છે. આ શોધનિબંધોને વિષયાનુસાર વર્ગીકૃત કરીને સર્જકલક્ષી, કવિતા, નવલિકા, નવલકથા, નાટક, નિબંધ, ચરિત્રસાહિત્ય, લોકસાહિત્ય, ભાષાવિજ્ઞાન/વ્યાકરણ, તુલનાત્મક સાહિત્ય, અનુવાદ તથા પ્રકીર્ણ એમ કુલ બાર પેટાવિભાગોમાં વિગતો અપાઈ છે. બીજા વિભાગમાં પીએચ.ડી. પદવી માટે તૈયાર થયેલા શોધનિબંધોની સંક્ષિપ્ત વિગતો સાથેની સૂચિ અપાઈ છે. આ વર્ગીકરણ વિષયાનુસાર છે, જેમાં સર્જકલક્ષી, કવિતા, નવલિકા, નવલકથા, નાટક, ચરિત્રસાહિત્ય, લોકસાહિત્ય, તુલનાત્મક સાહિત્ય તથા પ્રકીર્ણ એમ કુલ નવ પેટાવિભાગોમાં વિગતો અપાઈ છે. આ પુસ્તકનો ઉપયોગ કરનાર સંશોધકો અને જિજ્ઞાસુઓ પોતાના ઉપયોગ માટેની જરૂરી વિગતો સરળતાથી શોધી શકે તે હેતુથી પુસ્તકને અંતે પરિશિષ્ટ-૧માં એમ.ફિલ.ના શોધનિબંધની તથા પરિશિષ્ટ-૨માં પીએચ.ડી.ના શોધનિબંધની કર્તાસૂચિ, વિષયસૂચિ તથા સ્વરૂપલક્ષી સૂચિ આપી છે. આ શોધનિબંધ સંદર્ભસૂચિ તૈયાર કરવા માટે દાયકાઓનો ઇતિહાસ ઉથલાવવો પડ્યો છે. મોટા ભાગના શોધનિબંધોની વિગતો અમે મેળવી શક્યા છીએ. આમ છતાં, ઘણાં પ્રયત્નોને અંતે પણ કોઈક શોધનિબંધ મેળવી શક્યા નથી. એની વિગતો પ્રાપ્ત થશે તો બીજી આવૃત્તિમાં તે સામેલ કરીશું. આશા રાખીએ છીએ કે ગુજરાતી ભાષા-સાહિત્યના સંશોધકો-જિજ્ઞાસુઓને આ પુસ્તક જરૂર ઉપયોગી બનશે.

ઉષા ઉપાધ્યાય
અશોક પટેલ