બહુરંગી/રોજની રામાયણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રોજની રામાયણ

પોળનું નામ હતું છેલછબીલાની પોળ. દરેક યુગમાં, દરેક પોળમાં કોઈક છેલછબીલો તો રહેતો જ હોય છે. એટલે કયા જમાનામાં, કયા છેલછબીલા ઉપરથી પોળનું નામ પડ્યું હશે, તે શોધવું કોઈ શોધખોળના શોખીન માટે પણ ઘણું અઘરું પડી જાય. પણ આપણે તે બાબતમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. આપણી આ વાર્તામાં છેલછબીલો તો નહિ, પણ જરા શોખીન કહી શકાય એવું એક જ પાત્ર છે... પણ તેના નામ ઉપરથી તો પોળનું નામ નથી જ પડ્યું. પોળમાં પેસતાં ડાબે હાથે તે ત્રીજું મકાન હતું. ત્રણ માળનું મકાન અને તે મકાનનો નંબર ૩૩૩ હતો. વળી તે મકાનમાં ત્રણ ભાડૂત રહેતા હતા. સૌથી ઉપલે મજલે રહેતા ડૉ. ત્રિભુવનદાસ ત્રિવેદી રંગીલા, શોખીન અને રમૂજી વૃત્તિવાળા હતા. દરેક બાબતમાંથી ટીખળ અને ગમ્મત મેળવી લેવા તે સદા પ્રયત્નશીલ રહેતા અને તેથી તે ચિરયૌવન ભોગવતા હોય તેવા લાલ ગુલાબી લાગતા. ડૉ. ત્રિભુવનદાસને આ ત્રગડાનું ટીખળ બહુ ગમતું. તે કોઈક વાર ઘરનો દાદરો ચઢતાં એકલા-એકલા બોલતા, ‘નંબર ૩૩૩, ત્રીજું મકાન, ત્રીજો માળ અને વળી હું ત્રિભુવનદાસ ત્રિવેદી!’ તેમની પત્નીનું નામ હતું વસુમતી, પણ દાક્તર તેમને પણ ત્રગડાની રમતમાં મેળવી લેવા ત્રિવેણી કહીને બોલાવતા. બાકી તે મકાનનાં બીજાં ભાડૂઆતો તો જિંદગીના ઝીણા-ઝીણા ઝઘડામાં પરોવાઈ ગયેલાં, તેથી તેમની રમૂજવૃત્તિ બિલકુલ બુઠ્ઠી થઈ ગયેલી હતી. વચલે માળે ઘરધણી પોતે રહેતા હતા. તે હતા વાંઢા, વળી ખૂબ કરકસરિયા! તેમણે એક નાનકડો પોરિયો નોકર રાખેલો, તે રસોઈથી માંડીને ઘરનું તમામ કામ એકલે હાથે સપાટાબંધ કરી નાંખતો, તે કદી કોઈ સાથે લડતો નહિ, લડી શકતો નહિ. કારણ કે તે હતો બહેરોમૂંગો! ત્રિભુવનદાસે તેને પણ ત્રગડા મંડળનો સભ્ય બનાવી તેનું નામ ત્રિકમ પાડ્યું હતું. વસુમતી કહેતી, પારકાના નોકરનું નામ આપણાથી કેમ બદલાય? ત્યારે દાક્તર જવાબ દેતા, આમે છોકરો કોઈ પણ નામે જવાબ દઈ શકતો નથી, તો ત્રિકમ નામ શું ખોટું છે? વળી મકાનમાલિક કહે છે એ તો મારું ચામડાનું તાળું છે. તો મીરાંબાઈ પણ નથી ગાઈ ગયાં કે ‘ત્રિકમ નામનું તાળું રે’ ભોંયતળિયે રહેતા હતા ભૂપતિશંકર માસ્તર. બાપડા ખરે જ ‘ઢીલાં પોતિયાંને વીલાં મોં’ની કહેવતનો સાક્ષાત્કાર કરાવે એવા હતા. તેમનાં પત્ની ઇન્દુમતીને ઘેર લગ્નજીવનનાં ઓગણીસ વર્ષ વીત્યા છતાં સારો દહાડો આવ્યો ન હોવાથી તે બળિયલ અને અસંતોષી સ્વભાવનાં બની ગયાં હતાં. પોતે દુઃખી હોવાથી, આસપાસનાં સૌને પણ દુખિયારાં જોવા તે ઇન્તેજાર હતાં. અને તે દિશામાં પૂરાં પ્રયત્નશીલ રહેતાં. ત્રીજા માળવાળાં વસુમતી તેમના ઝપાટામાં વારંવાર સપડાઈ જતાં, વસુમતીને દર બે વર્ષે છોકરું જનમતું! આ હકીકત ઇન્દુમતી માટે અસહ્ય હતી, તેથી સવાર પડતાંની સાથે જ કાંઈ પણ બહાને ઇન્દુમતી ઝઘડો આરંભી દેતાં. કાંઈ ન જડે તો છેવટે નળના પાણી વિશે તકરાર ઉપાડી લેતાં. તે આખા મકાનમાં પાણીનો નળ છેક ભોંયતળિયે ઓટલા નીચે પગથિયાં પાસે હતો. તે ઓટલા પર પણ ભાડૂતનો વાસ હતો. કસ્તૂરી ધોબણ ત્યાં સતત કપડાંને અસ્ત્રી કરતી ઊભેલી જણાતી. તે હતી શ્રીનાથજી તરફની. તેના પતિનું નામ હતું રામભરોસા. આ ઘરનો ઓટલો તેણે ત્રણ વર્ષથી ભાડે લીધેલો હતો. તે બાબત માટે પણ ઇન્દુમતી ને ઘરધણી વચ્ચે રોજનો ઝઘડો ચાલુ હતો. ઇન્દુમતી કહેતાં, ‘અમે ભોંયતળિયું ભાડે લીધું, તેમાં ઓટલો પણ આવી જાય છે. તે તમારાથી બીજાને કેમ ભાડે અપાય?’ ઘરધણી રોજ એની એ જ દલીલ કરતા, ‘ઉપર જવાનો દાદરો ઓટલા ઉપર પડે છે, એટલે ઓટલો તો બધા વાપરી શકે.’ તરત જ ઇન્દુમતી તાડૂકી ઊઠતાં, ‘બધાં વાપરી શકે તો ખરાં, પણ કોઈ ભાડે ન આપી શકે.’ આ સાંભળી ઘરધણી ગુસ્સે થઈ બરાડો પાડતા, ‘અરે, હું તે કાંઈ ‘કોઈ’ છું? સાત પેઢીથી હું આ મકાનનો માલિક છું.’ મકાનમાલિક સાથે લડાઈ કરી, ઓટલેથી ઘરમાં પેસી ઇન્દુમતી માસ્તરને ધમકાવતાં, ‘આ તમે વેદિયા છો. છોકરાં ભણાવી ભણાવીને તમારું મગજ મૂઢ બની ગયું છે. નહિ તો ઘરધણીની શી દેન છે કે આપણો ઓટલો ધોબીને ભાડે આપે? ઓટલાનું ભાડું ખાવું હોય તો આપણે જ કેમ ન ખાઈએ?’ ભૂપતિશંકરે આવું આવું કે આથી વધુ આકરું ભાષણ પણ વારંવાર સાંભળેલું હોવાથી, તેમને તેની નવાઈ ન હતી. મહાદેવનું નામ તેમના નામની પાછળ જોડાયેલું હતું. તેથી ભગવાન, નીલકંઠ મહાદેવની માફક ભૂપતિશંકર પણ ઝેરનો ઘૂંટડો ગળામાં ટકાવી રાખી, રોજ જીવ્યા કરતા. અલબત્ત, તે ઝેરના સ્વાદથી તેમનું મોઢું કાયમ કડવું રહેતું હશે, એવું જોનારને લાગ્યા વગર રહેતું નહિ. નિત્ય નવા ટંટા ઊભા કરનારી પત્નીના પતિને જીવતરમાં સુખ તો શેનું હોય? છતાં તે હંમેશ ગમ ખાઈ જતા અને જે રીતે ઢેકા-ઢૈયાવાળા રસ્તા ઉપર ગાડું ચાલે એવો તેમનો સંસાર ચાલતો. ત્રીજે માળે ચડતાં કે ઊતરતાં જ્યારે ત્રિભુવનદાસની નજર માસ્તર ઉપર પડતી, ત્યારે તે પ્રેમાનંદની પેલી ગીતપંક્તિઓ ગાતાં ગાતાં દાદરનાં પગથિયાં ઉપર પગલાં ભરતા :

‘ભાભી અમારાં વઢકણાં
કે શું લોહીડે શોષે?’

સવારે દાક્તર જાય દવાખાને, માસ્તર જાય ટ્યૂશનો આપવા અને ઘરધણી તો સાવ નવરા, પણ ઘરમાં એકલા શું કરે? એટલે સવારે ચાનો એક કપ પી લઈને હાથમાં મોટો ડંગોરો લઈને તે નીકળી પડતા. ચૌટામાં કોઈ ઓળખીતાની દુકાને કદીક અડ્ડો જમાવતા તો કદીક કોઈ માખી મારતા દાક્તરના ખાલી દવાખાનામાં દરદીની ભરતી દેખાડવા દાક્તરના ખાસ આગ્રહથી બેસતા. પછી અગિયાર વાગે તે કોર્ટમાં જતા. કોઈ ઓળખીતા-પાળખીતાનો કેસ તો ચાલતો જ હોય. તેમાં તે ખરા મનથી રસ લેતા છેક દોઢ વાગે ત્યારે તે ઘેર જમવા જતા. તેમનો નોકર તો બહેરોમૂંગો હોવાથી સ્વાભાવિક રીતે જ કોઈ પણ ઝઘડા વખતે તટસ્થ રહી શકતો. ગાંધીજીએ પ્રખ્યાત બનાવેલાં પેલાં ત્રણ વાંદરાં માફક આ છોકરો પણ કોઈનું બૂરું બોલતો નહિ, સાંભળતો નહિ અને તેથી કરીને બૂરું જોવામાં પણ તેને રસ રહેતો નહિ. દાક્તરનાં પત્ની વસુમતી સ્વભાવે તો હસમુખાં હતાં. લડાઈ-ઝઘડા તેમને પસંદ ન હતાં. ઇન્દુમતી કજિયો શરૂ કરે ત્યારે થોડી વાર તો વસુમતી શાંતિ જાળવતાં પણ પછી ઇન્દુમતીની વાગ્ધારા વધુ ને વધુ ઉગ્ર બનતી, ત્યારે વસુમતી પણ વાણીયુદ્ધમાં ઝંપલાવતાં અને પછી બરાબર રંગ જામતાં ભોંયતળિયાથી ત્રીજા માળ સુધી પરસ્પર તહોમતનામા છૂટતાં. આ લડાઈમાં સૌથી વધારે રસ કોઈ લેતું હોય તો તે હતી કસ્તૂરી ધોબણ. બંને પક્ષકારોને તે અત્યંત સારી રીતે પિછાનતી, એટલું જ નહીં પણ તેમની સારી-ખોટી રજેરજ વાતની તે જાણકાર હતી. વળી તે ઓટલે ઊભી ઊભી અસ્ત્રી કરતી હોવાથી દરેક ઝઘડાની તે સાક્ષી રહેતી. બંને પક્ષકારો વારંવાર બોલતાં સંભળાતાં, ‘હું ખોટું બોલતી હોઉં તો પૂછો આ કસ્તૂરીને’ અથવા ‘કસ્તૂરી તું સાક્ષી છે હોં!’ ઘરાકનાં કપડાં અને અસ્ત્રી એ બે ચીજો કસ્તૂરી ધોબણનાં નિત્ય જીવનનાં નિરંતરનાં સાથી હતાં. તેવી શુષ્ક વસ્તુઓમાંથી રસીલી અને ઉમંગભર્યા સ્વભાવવાળી કસ્તૂરી ધોબણને શી નવીનતા પ્રાપ્ત થાય? તેમાં તેને શી મજા પડે? કસ્તૂરી જુવાનીને પહેલે પગથિયે હતી, જ્યારે તેનો પતિ રામભરોસા આધેડ વયનો થવા આવેલો અને ધાર્મિક વૃત્તિ તરફ વધુ વલણ હોવાથી ઠંડી પ્રકૃતિનો આદમી હતો. તેથી કોડભરી કસ્તૂરી ધોબણના ઘણા કોડ અધૂરા રહી જતા! જો કસ્તૂરી ભણેલી હોત તો રોમાંચક નવલકથાઓ અગર ઊર્મિકાવ્યો વાંચી પોતાના જીવતરમાં ખુશબો આણી શકત, જો તે પૈસાદાર હોત તો ઘોડાની શરતો, સિનેમા-નાટક કે નાચ-પત્તાં પૂરાં પાડતી કોઈ ફેશનેબલ ક્લબમાં જોડાઈ, જીવનમાં ખૂટતી રસિકતા મેળવી લેવા મથત. પણ તે તો હતી બિચારી એક ગરીબ ધોબણ. તેનું જીવન સાવ શુષ્ક અને એક ચીલે ચાલી જતું; પરંતુ આ ઇન્દુમતી વડે ઊભા થતા નિત્યના ઝઘડામાંથી તે ગમ્મત મેળવી પોતાના જીવન-છોડને એ ભીંજવેલો રાખતી. જેમ લડાઈનું સ્વરૂપ ઉગ્ર બનતું તેમ કસ્તૂરી વધુ રંગમાં આવી જતી. તેની અસ્ત્રી પણ તેથી વધારે સરસ અને સફાઈબંધ થતી! એક સવારે ઇન્દુમતીનું ચંડિકા સ્વરૂપ વધુ ક્રોધાયમાન જણાતું હતું. બાપડી વસુમતી તો તે જોઈને જ ડરી ગઈ, પણ કસ્તૂરી તે જોઈ ગેલમાં આવી ગઈ હતી. મૂળ સ્વભાવ ટંટાખોર, તેમાં ઇન્દુમતીને જરા અજીર્ણ થયેલું, તેથી દાક્તરે ભૂખ્યાં રાખેલાં. રાત્રે ભૂખ મટાડવા તેમણે ચા બનાવીને કપ ભરીને પીધી, તેથી તેમને ઊંઘ ન આવી. વળી અત્યાર સુધી નિઃસંતાન એવી કસ્તૂરીને પણ બે મહિનાથી ગર્ભાવસ્થાનાં ચિહ્ન જણાતાં હતાં. વસુમતીને ચોથું બાળક અવતરવાને થોડા જ દિવસ બાકી રહેલા હતા. આ હકીકત ઇન્દુમતીનું દિલ કોરી ખાતી હતી. પરંતુ તે વિશે સીધો અણસારો ન થઈ શકે, તેથી બીજાં-ત્રીજાં ગમે તે બહાનાં ખોળી કાઢી તે ટંટો શરૂ કરતી. માસ્તર ભૂપતિશંકર ચોકમાં નાહવા બેઠા એ જ વખતે દાક્તર ત્રિભુવનદાસ દવાખાને જવા નીચે ઊતર્યાં. ક્યાં ઇયળ જેવા પાતળા અને વાંકાચૂંકા પગવાળા, નિર્માલ્ય મહેતાજી, અને ક્યાં પડછંદ કદાવર શીરવાળા, તંદુરસ્તીથી ઓપતા, મરદાનગીની મૂર્તિરૂપ ત્રિભુવનદાસ! બંનેની મનમાં સરખામણી કરી સદા અકળાયેલાં રહેતાં ઇન્દુમતી વધુ અકળાયાં. વસુમતીની તેમને ખૂબ ઈર્ષા થઈ. હાથમાં થેલી લઈ ભૂપતિશંકર ટ્યૂશને ગયા કે તરત આઈનો ખાર બાઈ ઉપર ઢોળાવા લાગ્યો. ઇન્દુમતીએ નળ ઉપર ભરાતી વસુમતીની ડોલ ખસેડી દીધી અને પોતાના રાખોડીવાળા હાથ તેમાં ઝબકોળી દીધા! પિત્તળની ડોલ, તાજી માંજેલી હોવાથી બાળસૂર્યના તેજમાં સોના જેવી ઝગારા મારતી હતી. તેમાં ભરેલું સ્વચ્છ પાણી રાખોડીથી ડહોળાઈ ગયું તે જ ઘડીએ વસુમતી ત્યાં આવી પહોંચી. તેણે ઇન્દુમતીને બદલે કસ્તૂરીને ઉદ્દેશીને કહ્યું, ‘અલી ધોબણ, મારું પાણી કેમ ખરાબ કરી નાખ્યું?’ તરત જ ઇન્દુમતી તાડૂક્યાં, ‘મને ધોબણ કહેનાર તું કોણ?’ વસુમતી બોલી, ‘હું કસ્તૂરીને પૂછું છું, ત્યાં તમે ક્યાં આળ માથે વહોરી લો છો?’ ‘હા, ભાઈ હા, હું જૂઠી છું. હું જ લડકણી છું. ગમે તેવી છું પણ કૂતરીની માફક દર વરસે પાંચ-સાત ગલૂડિયાંને જનમ તો નથી આપતી. એટલો પ્રભુનો પાડ છે ને?’ કસ્તૂરીને ખૂબ ગમ્મત પડી, તે હસીને બોલી, ‘સાંભળજો વસુબહેન, આ તો આપણા બંને ઉપર જ કહેવાયું છે.’ વસુમતી દીનતાપૂર્વક બોલી, ‘ઇન્દુમતીબહેન, મને જે કહેવું હોય તે કહેજો. પણ કેળના ગરભ જેવાં મારાં છોકરાંને કશું ન કહેશો.’ ઇન્દુમતી બોલ્યાં, ‘એવાં તો કંઈક છોકરાં રખડે છે. હું ક્યાં નવરી છું?’ વસુમતી ઉશ્કેરાઈને બોલી, ‘ખબરદાર છે જો વધુ બોલ્યાં છો તો!’ આટલું કહી તે દાદરો ચઢવા લાગી. જો વસુમતી ઉપર જતી રહે, તો લડવાની મઝા અધૂરી રહી જાય, તેથી ઇન્દુમતી તેની પાછળ દાદર ચડ્યાં. લડતાં લડતાં તે છેક ત્રીજા માળ સુધી લગભગ જઈ પહોંચ્યાં. ભોગજોગે ત્રીજા માળના દાદર ઉપર વસુમતીની છોકરી ઉષાએ નાખેલી કેળાની છાલ ઉપર ઇન્દુમતીનો પગ પડ્યો અને તે લપસી પડ્યાં, દડબડ દડબડ ગબડતાં તે છેક નીચે ઓટલા ઉપર આવ્યાં. ખૂબ જ કૂટાઈ ને ટીચાઈ ગયાં, પણ હાડકું એકે ભાંગ્યું નહિ! ‘ઓરે મારી નાંખી મને, દાદર ઉપરથી લાત મારી ગબડાવી પાડી. હાય, હાય! કોઈ આવો રે!’ ઇન્દુમતીએ તો આખી છેલછબીલાની પોળ ગજવી મૂકી. બધાં ભેગાં થઈ ગયાં. વસુમતીને ઘેર ટેલિફોન હતો. તેણે તરત દાક્તર ત્રિભુવનદાસને બધી ખબર કરી દીધી. ઘડીક વારમાં દાક્તર આવી પહોંચ્યા. મોટરમાં સુવાડી ઇન્દુમતીને પોતાને દવાખાને લઈ ગયા ને પાટાપિંડી કર્યાં. પછી ઇન્દુમતીએ કહ્યું : ‘ડૉક્ટર મને પાડી નાંખનાર ઉપર મારે ફરિયાદ નોંધાવવી છે. મને સર્ટિફિકેટ લખી આપો.’ દાક્તર, હસી પડ્યા ને બોલ્યા, ‘કેળાની છાલ ઉપર તે ફરિયાદ નોંધાવાતી હશે? વળી સર્ટિફિકેટ તો સિવિલ સર્જનસાહેબ લખે તો જ કામ લાગે. મારા જેવા મામૂલી દાક્તરનું તેવું ગજું નહિ.’ દાક્તરની પ્રચંડ કાયા તરફ ભૂખી નજરે જોતાં ઇન્દુમતી બોલ્યાં, ‘એ વસુડી ઉપર હું ફરિયાદ નોંધાવીશ. મને લાત મારીને તેણે ઠેઠ ત્રીજે માળથી પાડી નાંખી છે. મારાં સો-બસો હાડકાંના ચૂરા થઈ ગયા છે! તમે દાક્તર થઈને મારી વાજબી ફરિયાદ ગણકારતા નથી, તો તમારું નામ પણ દાક્તરોના રજિસ્ટર ઉપરથી છેકાવી નાખીશ!’ બીજો કોઈ દાક્તર હોત તો તપી જાત, પણ તેમની હાસ્યરસવૃત્તિ ત્રિભુવનદાસને આવે સમયે હંમેશાં વહારે ધાતી. તેમના મગજમાં એક સરસ વિચાર સ્ફુર્યો. તેમણે કહ્યું, ‘તમારે સર્ટિફિકેટ જોઈતું હોય તો સિવિલ સર્જન પાસે કેમ જતાં નથી? જોઈએ તો મારી મોટર લઈને જાવ.’ ઇન્દુમતી કહે, ‘તમે સિવિલ સર્જન સાહેબ ઉપર ચિઠ્ઠી લખી આપો.’ ‘તેની મારી ક્યાં ‘ના’ છે?’ કહી દાક્તરે અંગ્રેજીમાં ચિઠ્ઠી લખી આપી. દાક્તરની જ મોટરમાં રુઆબબંધ બેસી ઇન્દુમતી સિવિલ ઇસ્પિતાલે પહોંચ્યાં. સિવિલ સર્જનની ઑફિસમાં ગયાં અને ચિઠ્ઠી આપી. સાહેબે ચિઠ્ઠી વાંચી દયાભાવથી તેમની તરફ જોઈને પૂછ્યું, ‘તમને રાત્રે ઊંઘ આવે છે ખરી?’ ઇન્દુમતી બોલી ઊઠ્યાં, ‘હજી અત્યારે જ દાદરા ઉપરથી ધક્કેલી મૂકી, આટલી વેદના સાથે રાત્રે ઊંઘ તો નહિ જ આવે.’ દાક્તરના મનમાં કાંઈ ખાતરી થતી હોય, તેમ ડોકું ધુણાવી વળી તેમણે સવાલ પૂછ્યો, ‘માથામાં કાંઈ દુઃખાવો કે સણકા ઘણા દિવસથી હેરાન કરે છે?’ દાક્તરનો પ્રશ્ન સાંભળ્યો ન સાંભળ્યો કરી ઇન્દુમતી બોલ્યાં, ‘કેળાની છાલની વાત તદ્દન બનાવટી છે. વસુડીએ મને ધક્કો મારીને ફેંકી દીધી છે. આપ સર્ટિફિકેટ લખી આપવાની મહેરબાની કરો, સાહેબ.’ દાક્તરે તેમનું બ્લડપ્રેશર માપ્યું અને પછી પૂછ્યું, ‘તમારા પિયરમાં મોસાળપક્ષમાં કોઈનું મગજ અસ્થિર હોય, કોઈ ગાંડું થઈ ગયું હોય એવું તમને સાંભરે છે?’ ઇન્દુમતી વઢકણાં હતાં, પણ મૂરખાં ન હતાં. તેમના મગજમાં કંઈક અજવાળું પડતાં તેમણે પૂછ્યું, ‘તમે શાનું સર્ટિફિકેટ લખી આપવા માંગો છો, સાહેબ?’ બહુ મમતાપૂર્વક, ધીરે રહીને બાળકને સમજાવતા હોય તેવી રીતે મોટા દાક્તર સાહેબ બોલ્યા, ‘મારા મિત્ર ડૉ. ત્રિભુવનદાસ ત્રિવેદી લખે છે કે, ઇન્દુમતી ભૂપતિશંકર દવેના મગજની સ્થિતિ તપાસી યોગ્ય લાગે તો સર્ટિફિકેટ લખી આપશો. તમારી સાથે તમારા પતિ કે બીજું કોઈ આવ્યું નથી તે જોઈ મને નવાઈ લાગે છે.’ ઇન્દુમતીની આંખમાંથી ગુસ્સાનાં અને શરમનાં આંસુ નીકળી પડ્યાં તે જ ઘડીએ સિવિલ સર્જન સાહેબના ટેબલ ઉપરની ટેલિફોનની ઘંટડી રણકી. ટેલિફોન ઉપાડી સાહેબે વાત શરૂ કરી. ‘હલ્લો! કોણ ડૉક્ટર ત્રિવેદી! હં, હા. હા.’ અને પછી સામા બોલનારની વાત સાંભળી તે ખૂબ હસવા માંડ્યા. ટેલિફોનની વાત પૂરી થતાં પહેલાં ઇન્દુમતી જરાયે અવાજ કર્યા વિના ઊઠીને ચાલતાં થયાં. ત્યાર પછી છેલછબીલાની પોળના ૩૩૩ નંબરના મકાનમાં ગૃહશાંતિ સ્થપાઈ ગઈ, તેથી સર્વત્ર આનંદ ફેલાયો. માત્ર વગર ટિકિટે નાટક જોવાનું ગુમાવ્યાનું દુઃખ કસ્તૂરી ધોબણને હૈયે ખટકતું રહ્યા કર્યું. અને દાક્તર ત્રિવેદીએ સિવિલ સર્જનને ત્રગડામંડળમાં સમાવી તેમનું નામ પાડ્યું : ત્રિભુવનત્રાતા.

સ્વ. વિનોદિની નીલકંઠ
‘દિલદરિયાવનાં મોતી’માંથી