માણસાઈના દીવા/૧. ધર્મી ઠાકોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧. ધર્મી ઠાકોર


ગાજણાના તે વખતના ઠાકોર એક તો સરકારી સંબંધને કારણે હૈડિયા વેરાની ચળવળના વિરોધી હતા તદુપરાંત પોતાના દરબારગઢમાં પ્રભુનું મંદિર રાખનાર ચુસ્ત સ્વાતીપંથી હતા એ કારણે આભડછેટ ન રાખનારા ‘ગાંધીના માણસો'ની એમને સ્વાભાવિક ચીડ હતી. એમાં ‘હૈડિયા વેરો ના દેશો' એ સંદેશો સંભળાવતા ફરતા રવિશંકર મહારાજ એક સાંજે ગાજણામાં દાખલ થયા. પણ ‘ખબરદાર છે — જો કોઈ ગાંધીવાળાને મળ્યા પણ છે તો!' એવી ધાક દરબારે ગામલોકો પર બેસારેલી, એટલે મહારાજ આવ્યા પણ કોઈ પ્રજાજન મળવા હામ ભીડે નહીં. કાંઠાનાં ગામલોકોને પ્રથમ જ પરિચય, એટલે મહારાજને કોઈ ઓળખે પણ નહીં. એટલે પોતે તો સીધા દરબારગઢમાં ગયા.