મેઘાણીની સમગ્ર નવલિકા/સ્વામી મળ્યા!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્વામી મળ્યા!

ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા. એમનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું. પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના પતિના શબના પગ પાસે એક સતી નારી બેઠેલી છે. પતિની ચિતામાં બળી મરવાનો એ બાઈએ મનસૂબો કરેલો. કપાળમાં ચંદનની પીળ કરેલ, સેંથામાં સિંદૂર ભરેલો અને અંગ ઉપર લગ્ન-દિવસનાં વસ્ત્રાભૂષણો ધરેલાં. ભેળા મળેલાં સગાંવહાલાં આનંદથી ચીસો પાડે છે, સતીના નામનો જયજયકાર બોલાવે છે, અને પુરોહિતો ધન્યવાદ દેતાં દેતાં ચિતાની તૈયારી કરી રહ્યા છે. ત્યાં એ સતી સ્ત્રીએ અચાનક તુલસીદાસજીને આતુર બનીને પૂછ્યું: “હે ગોસ્વામી! તમારા પવિત્ર મુખથી મને પરવાનગી આપો. મને આશીર્વાદ દો એટલે હું સુખેથી ચાલી જઈશ.” ગોસ્વામીએ પૂછ્યું: “માતા! ક્યાં જવાની આ તૈયારી કરી છે?” બાઈ બોલી: “મારા સ્વામીની સાથે બળી મરીને સ્વર્ગે જઈશ, મહારાજ!” હસીને ગોસ્વામી કહે છે: “હે નારી! આ ધરતીને છોડી સ્વર્ગમાં જવાનું કાં મન થાય છે? સ્વર્ગનો જે સરજનહાર છે તેની જ સરજેલી આ પૃથ્વી પણ નથી, બહેન?” અજ્ઞાન સ્ત્રી આ વાતનું રહસ્ય સમજી ન શકી. એ તો વિસ્મય પામીને સાધુ સામે જોઈ રહી. એના મનમાં થયું કે ‘તુલાસીદાસ સરખો ધર્માવતાર આજે કાં આવી વાણી કાઢી રહ્યો છે?’ સ્વામીજીની સામે જોઈને બાઈ બોલી: “મારા સ્વામી મને આંહીં મળી જાય તો મારે સ્વર્ગનું શું કામ?” તુલસીદાસ ફરી વાર હસીને બોલ્યા: “ચાલો પાછાં ઘેરે, મૈયા! સાધુનો કોલ છે કે એક મહિનાની મુદતમાં તમને તમારો સ્વામી પાછો મળશે.” તુલસીદાસનો કોલ? ભક્તહૃદયને શ્રદ્ધા બેઠી. આશાતુર હૃદયે એ બાઈ પાછી વળીને ગોસ્વામીની પાછળ પાછળ ચાલી ગઈ. પછવાડે પુરોહિતોએ શાપ વરસાવ્યા, સગાંવહાલાંઓએ નિંદા શરૂ કરી, ગાળો કાઢી, કોઈએ પથ્થરો પણ ફેંક્યા. પલવાર પહેલાંની સતી બીજી જ પળે કુલટા બની ગઈ. ભયભીત હૃદયે એ નારી ગોસ્વામીના પડખામાં લપાતી ધ્રૂજતી જાય છે. પાછળ નજર નાખતી જાય છે. ગોસ્વામી તો પ્રભુના કીર્તનમાં મસ્ત બની નિર્ભય પગલે ચાલે છે; એ ભક્તની અને એ નારીની પાસે આવવાની કોઈની મગદૂર નહોતી. એક નિર્જન પર્ણકુટિમાં એ બાઈને સુવાડીને ગોસ્વામી ગંગાને કિનારે પાછા આવ્યા. આખી રાત જાગી એણે પ્રભુનાં કીર્તન ગાયાં. પ્રભાતે એ રમણીને પાસે જઈને ભક્તવર થોડી વાર બેઠા. પ્રભુની ને પ્રભુ-કરુણાની મીઠી વાતો કરી. એક મહિના સુધી આમ ચાલ્યું. એ આશાતુર વિધવાના વદન ઉપર કોઈ અમર ઉલ્લાસ પ્રકાશી નીકળ્યો. શ્વેત-વસ્ત્રોની અંદરથી પણ પરમ સૌભાગ્ય પ્રગટ થયું એની આંખોનાં આંસુ સુકાયાં, પ્રકાશનાં કિરણો છૂટ્યાં. સગાંવહાલાંએ આવીને મર્મવચનો કહ્યાં: “કાં, તારો સ્વામી જીવતો થયો કે?” વિધવાએ હસીને કહ્યું: “હા! સ્વામી તો પાછા આવી ગયા.” ચમકીને બધાં પૂછે છે: “હેં! ક્યાં છે? કયા ઓરડામાં બેઠા છે? બતાવને!” રમણીએ ઉત્તર દીધો: “આ હૃદયના ઓરડામાં સ્વામી સજીવન બનીને બેઠા છે. તમે ત્યાં શી રીતે જોઈ શકો?”