રણ તો રેશમ રેશમ/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સર્જક-પરિચય:
ભારતી રાણે
Bharti Rane.jpg

ભારતી રાજીવ રાણે(જ.૧૯૫૪) આપણાં એક અગ્રગણ્ય પ્રવાસલેખક ઉપરાંત કવિ અને નવલકથાલેખક પણ છે. વ્યવસાયે એ તેજસ્વી કારકિર્દીવાળાં તબીબ, ગાય્નેકોલૉજિસ્ટ છે અને બારડોલીમાં ડૉ. રાજીવ રાણે સાથે પોતાની હૉસ્પિટલ ‘સ્નેહાંજલિ’ ચલાવે છે.

લલિત નિબંધોથી લેખન-કારકિર્દી શરૂ કરનાર ડૉ. ભારતી રાણે વિશ્વના અનેક દેશો-પ્રદેશોનો પ્રવાસ કરતાં રહ્યાં છે ને નિબંધશૈલીએ પ્રવાસલેખન કરતાં ગયાં છે. ‘ઇપ્સિતાયન’(૨૦૦૯)થી આરંભાયેલી આ લેખનયાત્રાના બીજા પડાવો છે – યુરોપના દેશોના પ્રવાસનું પુસ્તક ‘પગલાંનાં પ્રતિબિંબ’(૨૦૧૦), સિલ્કરૂટના દેશોના પ્રવાસનિબંધો ‘રણ તો રેશમ રેશમ’(૨૦૧૮), ઉત્તર ધ્રુવવૃત્તનો પ્રવાસ ‘ઉજાસનો પ્રવાસ’(૨૦૧૯), આઈસલૅન્ડનાં અદ્ભુત-રોમાંચક સ્થાનોના પ્રવાસનિબંધો ‘હિમાગ્નિનો વિસ્મયલોક’(૨૦૨૨) અને જાપાનનો પ્રવાસ ‘સાકુરા સંગાથે’(૨૦૨૩). પ્રવાસોમાં થયેલા માનવીય અનુભવો આલેખતું ‘સ્નેહાંકિત વિશ્વ’(૨૦૨૩) નામનું એક વિશિષ્ટ પુસ્તક પણ તાજેતરમાં પ્રકાશિત થયું છે.

પ્રવાસનિબંધકાર તરીકેનો એમનો વિશેષ એ છે કે એ સર્જકની વિસ્મયદૃષ્ટિથી ઉલ્લાસપ્રેરી શૈલીએ નિબંધલેખન કરે છે, એની સાથે વિગત-ચોકસાઈની ઝીણવટ, ને એથી આવતું કુતૂહલપ્રેરક દસ્તાવેજીકરણ પણ ચૂકતાં નથી.

એમણે વિવિધ વર્તમાનપત્રોની કોલમો ચલાવી છે, અને એમનાં મોટાભાગનાં પુસ્તકો સાહિત્યસંસ્થાઓએ પુરસ્કૃત કરેલાં છે.

એમનાં બે પુસ્તકોના હિંદી અનુવાદ થયા છે તથા એમની લઘુનવલ ‘પાંખેથી ખર્યું આકાશ’નો અંગ્રેજી અનુવાદ A Little sky of the Wings (Tr. Rajiv Rane) નામે થયો છે.

– રમણ સોની