રાજા-રાણી/સાતમો પ્રવેશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાતમો પ્રવેશ

પહેલો અંક


         સ્થળ : મંત્રણાગૃહ. વિક્રમદેવ અને મંત્રી બેઠા છે.

વિક્રમદેવ : જેટલા જેટલા વિદેશી ચોરો છે, તે તમામને આ ક્ષણે જ બહાર નિકાલો. આ તો હંમેશની પીડા, દિવસ-રાતનો ભય, અને આખા રાજ્યમાં, બસ, આક્રંદ આક્રંદ આક્રંદ! પીડાતી પ્રજાની બૂમો સાંભળ્યા વિના એક દિવસ પણ ખાલી નથી જતો!
મંત્રી : મહારાજ, ધીરા થાઓ. હમણાં તો થોડા દિવસ સુધી બધેય આપ સતત ધ્યાન આપો. ત્યાર પછી જ આ ભયશોકનાં બંધનો દૂર થશે. આ અંધકાર તો ઘણા કાળનો ભેગો થયો છે. એક દિવસમાં એ નહીં જાય.
વિક્રમદેવ : ના, બસ એક જ દિવસમાં હું એનો નાશ કરવા માગું છું : સેંકડો વરસના વૃક્ષને કઠિયારો જેમ એક જ દિવસમાં જમીનદોસ્ત કરે છે તેમ.
મંત્રી : પણ શસ્ત્રો ક્યાં? માણસો ક્યાં?
વિક્રમદેવ : સેનાપતિ ક્યાં છે? બોલાવો!
મંત્રી : ખુદ સેનાપતિ જ પરદેશી છે.
વિક્રમદેવ : દગો! દગો! તો પછી બોલાવી લાવો બિચારી પ્રજાને! અનાજ આપીને એ સહુનાં મોઢાં બંધ કરો; દ્રવ્ય દઈ દઈને રવાના કરી દો. રાજ્ય છોડીને ભલે બાપડાં ચાલ્યાં જાય — જ્યાં સુખ મળે ત્યાં!

[વિક્રમદેવ જાય છે. દેવદત્ત સહિત સુમિત્રા આવે છે.]

સુમિત્રા : હું આ રાજ્યની રાણી છું. તમે મંત્રી લાગો છો, ખરું?
મંત્રી : પ્રણામ, માતા! હું આપનો દાસ છું. શા માટે, માતુ, આપ અંત :પુર છોડીને આજે મંત્રણાગૃહમાં પધાર્યાં?
સુમિત્રા : પ્રજાનું કલ્પાંત સાંભળ્યા પછી મારાથી અંત :પુરમાં ન રહેવાયું. મંત્રીજી, હું ઇલાજ કરવા આવી છું.
મંત્રી : તો શી આજ્ઞા છે, માડી?
સુમિત્રા : આ રાજ્યમાં જેટલા વિદેશી અધિકારીઓ છે તે બધાને મારા નામથી તરત ભેગા કરો.
મંત્રી : અચાનક બોલાવ્યેથી સંદેહ જાગશે — કોઈ નહીં આવે.
સુમિત્રા : રાણીનો હુકમ પણ નહીં માને?
મંત્રી : રાજા-રાણીને તો બધા ભૂલી જ ગયા છે.
સુમિત્રા : એમ? ઠીક, તો કાળભૈરવના પૂજા-ઉત્સવમાં બોલાવો. તે દિવસે ઇન્સાફ થવાનો. અને એ મદાંધો કદાચ શિક્ષા ન માને તેટલા માટે બાજુમાં લશ્કર પણ તૈયાર જ રાખજો.
દેવદત્ત : સંદેશો લઈને કોને મોકલશું?
મંત્રી : આ ત્રિવેદીને મોકલીએ. એ બાપડો બેવકૂફ, ભોળો અને ધાર્મિક વૃત્તિનો બ્રાહ્મણ છે; એટલે એના ઉપર કોઈને સંદેહ નહીં આવે.
દેવદત્ત : ત્રિવેદી ભોળો? એની બેવકૂફી એ જ એની બુદ્ધિ છે; અને એની સરલતામાં જ કપટ ભર્યું છે.