સંકેતવિસ્તાર/ચુનીલાલ મડિયાની વિવેચન પ્રવૃત્તિ—એક ટૂંકી નોંધ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચુનીલાલ મડિયાની વિવેચન પ્રવૃત્તિ
– એક ટૂંકી નોંધ

સ્વ. મડિયાની સાહિત્યિક પ્રવૃત્તિઓનો સમગ્રતયા વિચાર કરતાં એમાં એક અત્યંત નોંધપાત્ર હકીકત એ જોવા મળે છે કે, તેમની સર્જકશક્તિનો મુખ્ય આવિષ્કાર જો નવલિકા અને નવલકથા જેવા ગદ્યપ્રકારો દ્વારા થયો તો તેમની વિવેચનપ્રવૃત્તિ પણ મુખ્યત્વે તો એ બે ગદ્યપ્રકારોને અનુલક્ષીને જ ચાલી છે. એ ખરું કે તેમણે એકાંકી, નિબંધ, કવિતા કે ચરિત્રસાહિત્ય જેવા અન્ય પ્રકારો પણ ખેડ્યા છે, અને એવા વિભિન્ન પ્રકારના સાહિત્યનો ઓછોવત્તો પરિચય પણ કેળવ્યો છે, પણ તેમના સતત અભ્યાસ અને પરિશીલનનો વિષય તો કથાસાહિત્ય જ રહ્યું જણાય છે. તેમના ‘વાર્તાવિમર્શ’, ‘ગ્રંથગરિમા’, ‘શાહમૃગ–સુવર્ણમૃગ’ કે ‘કથાલોક’ જેવા વિવેચનગ્રંથોનાં લખાણેમાંથી આ વાતની સ્પષ્ટ રૂપમાં આપણને પ્રતીતિ થાય છે. આ અંગે કદાચ રસપ્રદ મુદ્દો તે એ છે કે સર્જક મડિયા કરતાં વિવેચક મડિયા આપણી સમક્ષ એક ભિન્ન રૂપની વ્યક્તિતા ધારણ કરીને પ્રકટ થતા દેખાય છે. સર્જક મડિયાએ શહેરી જીવનની અનેક રોચક વાર્તાઓ રચી હોવા છતાં તેમની સર્જકતાને વિશેષ સોરઠના તળપદા લોકજીવનના નિરૂપણમાં રહ્યો છે, અને એ રીતે તેમની સર્જકશક્તિનો range પ્રમાણમાં સાંકડો છે, જ્યારે વિવેચક મડિયાની સાહિત્યિકરુચિ અને સંસ્કાર વ્યાપક વિશ્વસમાજની અનંતવિધ પ્રશિષ્ટ કૃતિઓથી પરિપોષ પામ્યાં છે, ખાસ કરીને આધુનિક પાશ્ચાત્ય સાહિત્યસ્વામીઓના કથાસાહિત્યના અવબોધ-આસ્વાદથી તેમની રુચિ વધુ સૂક્ષ્મ રૂપની બની જણાય છે. આ રીતે તેમની કથાસાહિત્યને લગતી વિવેચનાને પોતીકું મહત્ત્વ તો છે જ, પણ આપણી વર્તમાન સાહિત્યિક પરિસ્થિતિના સંદર્ભમાં તેનું અન્યથા પણ મહત્ત્વ પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ તેમ, આપણા બહુ ઓછા કથાસર્જકોએ આ પ્રકારે સાહિત્યિક અભિજ્ઞતા કેળવીને આપણા તેમ જ પરભાષાના કથાસાહિત્યની ચર્ચાવિચારણા રજૂ કરેલી છે. અલબત્ત પત્રકારિત્વના વ્યવસાયે મડિયાને વિવેચનો લખવાની તકો આપી છે – અને વ્યવસાયી પ્રવૃત્તિને કારણે તેમાં અમુક મર્યાદાઓય પ્રવેશી જણાશે– આમ છતાં, તેમનાં વિવેચનાત્મક લખાણો, જેવાં છે તેવાં, ધ્યાનપાત્ર તો છે જ. મડિયાનાં આ પ્રકારનાં લખાણોમાં મુખ્ય ધારાઓ આ પ્રમાણે જઈ શકાય. (અ) નવલિકા અને નવલકથાને સાહિત્યસ્વરૂપ લેખે વિચારવિમર્શ તેમજ સર્જક-વિવેચકનું કાર્ય અને તેને લગતા પ્રશ્નોની ચર્ચાવિચારણા (બ) ગુજરાતી – અન્ય ભારતીય – વિદેશી કથાકૃતિઓનાં અવલોકનો અથવા એવી કોઈ કૃતિ નિમિત્તે તેના કર્તાના મનોવિશ્વનો પરિચય (ક) ગુજરાતી નવલિકા-નવલકથા-સાહિત્યના પ્રવાહ પર દૃષ્ટિપાત અથવા તેનાં વિકાસ કે સ્થગિતતાને લગતો ઊહાપોહ (ડ) સાહિત્યકારોની મુલાકાતો, તેમનાં વ્યક્તિચિત્રો કે તેમના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય. આમ, અનેક તરેહનાં તેમનાં લખાણોમાં અનેકવિધ કૃતિઓનો ઓછોવત્તો સંદર્ભ જોડાતો રહ્યો છે, અને પોતાના બહુશ્રુત જ્ઞાનથી સાહિત્યને સમજવાનો ઉદાર દૃષ્ટિકોણ તેઓ કેળવી શક્યા છે. ઈ. સ. ૧૯૫૨માં પ્રગટ થયેલા તેમના વાર્તાસંગ્રહ ‘તેજ અને તિમિર’ના આરંભમાં મુકાયેલો લેખ ‘ટૂંકી વાર્તા : ઘાટ અને ઘડતર’ આ વિશેની અભ્યાસનિષ્ઠ ચર્ચાવિચારણાને કારણે નોંધપાત્ર બની રહે છે. એમાં તેમણે ટૂંકી વાર્તાને નવલકથા, ટુચકો, ઊર્મિકાવ્ય, એકાંકી, સિનેમા, ટેલિવિઝન આદિની જોડે સરખાવી તેનાં સામ્યવૈષમ્યને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ લેખના અંતના ખંડક ‘નિયતિકૃત નિયમરહિતા’માં ટૂંકી વાર્તાની કલા વિશેની તેમની આગવી સમજણ પ્રગટ થાય છે. ટૂંકી વાર્તાનું સ્વરૂપ જ એવું અનુનેય નાજુક અને મુલાયમ છે કે તેને કોઈ ‘જડબેસલાક નિયમાવલિ’માં બાંધી શકાય જ નહિ, એવું પ્રતિપાદન કરી તેઓ એમ કહે છે કે એ સ્વરૂપનાં આગવાં ઘાટ કે ઘડતર તેના સર્જકની અંતઃસ્ફુરણાથી જ સંભવે છે. આયોજન કે ટેક્‌નિકની ઉપકારકતા વિશે સંશય વ્યક્ત કરી તેઓ એમ કહે છે : “મોટામાં મોટી ટેક્‌નિક તો કલાકારનું પોતાનું ઔચિત્યભાન અને હૈયાઉકલત. સર્જકને સાંપડેલી અનુભૂતિ જો સાચી હશે તો એની વાર્તાનો શબ્દદેહ આપમેળે જ સુશ્લિષ્ટ બનવાનો. એના સંવેદનમાં સચ્ચાઈને રણકો હશે તો વાર્તામાં એ રણકો અવશ્ય સંભળાવાનો. પણ અનુભૂતિની જ કચાશ હશે તો ટેક્‌નિકના ગમે તેટલા વાઘા પહેરાવવા છતાં આંતરિક દારિદ્ર્ય અછતું નહિ રહી શકે.” અને, આમ તેઓ કૃતિની મૂળ સંવેદનભૂત વસ્તુનું ગૌરવ કરે છે. તેમનો આ દૃષ્ટિકોણ તેમની નવલકથા સ્વરૂપની વિચારણાઓમાં પણ જોવા મળે છે. નવલકથામાં નિરૂપ્યમાણ માનવજીવન તેનાં આદિમ્‌ તત્ત્વો સાથે પ્રગટ થવું જોઈએ એવો તેમનો દૃઢ આગ્રહ છે. આ જ મુદ્દાનું બીજી રીતે સમર્થન કરતાં તેમણે એમ કહ્યું છે કે, નવલકથાદિ સાહિત્યનો સાચો ઊગમ કંઈ લેખકના મગજમાંથી નહિ, પણ તેના હૃદયમાંથી જ થાય છે – થવો જોઈએ. એટલે કે માનવઅંતરનાં ગૂઢાતિગૂઢ ભાવસંચલનોના નિરૂપણ દ્વારા જ નવલકથા પ્રાણવાન બને છે. ‘ટેક્‌નિક’ રચનાનિર્માણના ચુસ્ત કે જડ નિયમો માત્ર જ હોય એવા કોઈક ખ્યાલથી જ કદાચ તેઓ ટેક્‌નિકના અતિ પ્રયોગ પરત્વે શંકા દાખવતા રહ્યા છે. તેમણે એક-બે પ્રસંગે ટેક્‌નિકને સ્થાને ‘કથનગતિ’ કે ‘આયોજનરીતિ’નો ખ્યાલ પુરસ્કારવાનું વલણ દાખવ્યું છે પણ ત્યાંયે તેઓ ‘રીતિઓનું ઝાઝું મૂલ્ય કરતા જણાતા નથી. તેઓ કહે છેઃ “વાર્તા-નવલકથાઓમાં કોઈ નિશ્ચિત આકૃતિનો અભાવ જ એનું એક અપરંપાર શક્યતાઓ ધરાવનારું આકર્ષણ બની રહે છે. હરેક સર્જક પોતાની સર્જનાત્મક જરૂરિયાતોને અનુલક્ષીને પોતાની કથનરીતિ અને આયોજનરીતિ યોજતો હોય છે. અથવા, વધારે સાચું કહીએ તો, એ સર્જકની પણ જાણ બહાર, આપોઆપ યોજાઈ જતી હોય છે.” આમ, નવલકથાના સ્વરૂપવિચારમાં પણ તેઓ અંતિમ મહત્ત્વ સર્જકની મૂળ અનુભૂતિનું જ કરે છે. અલબત્ત, તેમની સાહિત્યિક રુચિ અને દૃષ્ટિ વિશાળ કથાસાહિત્યના પરિશીલનથી સંસ્કારાયેલી હોઈ તેઓ નિરૂપ્યમાણ જીવનને વધુ વ્યાપક અને અખિલ રૂપમાં જોવાનો ઉદાર દૃષ્ટિકોણ ધરાવે છે. નવલકથામાં આલેખાતું માનવજીવન તેનાં સદ્‌-અસદ્‌, સુરૂપ-કુરૂપ, ભદ્ર-કુત્સિત એમ સર્વ અંશો સાથે પ્રગટવું જોઈએ એવો તેમનો સતત આગ્રહ રહ્યો છે. સમર્થ સર્જક જીવનનાં અભદ્ર કે કુત્સિત અંશોમાંથીય સુંદર કળાકૃતિનું સર્જન કરી શકતો હોય છે એવી તેમની શ્રદ્ધા છે. મડિયાએ, આમ, નવલકથાની સૃષ્ટિમાં માનવઅસ્તિત્વના ભીષણ કારમા આવેગોના નિરૂપણનું મહત્ત્વ કર્યું છે. શ્રી દર્શકના ‘વાગીશ્વરીનાં કર્ણ ફૂલો’ની સમીક્ષા કરતાં તેમણે નોંધેલું : “તેથી જ તો એમની કલાદૃષ્ટિને હજી વધારે નાણવા માટે આ પડકાર કરવાનું મન થાય છે : જેમ્સ જોઇસકૃત ‘યુલિસિસ’ કે આન્દ્ર જિદ કૃત ‘કાઉન્ટર ફિટર્સ’ કે ‘લેડી ચેટર્લીઝ લવર’ નહિ તોયે હેન્રી મિલર કૃત ‘ટ્રોપિક ઑફ કેન્સર’ (પ્રતિબંધ ઉવેખીને વાંચી શકાય તો જ!) જેવી નવલકથાઓની દેખીતી અસુંદરતામાંથી સુંદરતા સારવી આપો તો તમને રંગ ભણીએ!’ તેમના આ ઉદ્‌ગાર એ કોઈ અદ્યતનવાદીનો ઠાલો પડકાર માત્ર નથી, જીવનનાં વિષઅમૃતની એાળખ કરી રહેલ એક પ્રૌઢ ચિંતકનો પડકાર છે. એટલે જ તો તેઓ આભાસી માંગલ્યનાં ગાણાંનો કે એવી કૃતક ભાવનાપરાયણતાનો સખ્ત વિરોધ કરે છે. જો કે, અદ્યતનવાદના અંચળા હેઠળ કુત્સિત કે અભદ્રની ચાહીને ઉપાસના થાય એનોય તેમણે વિરોધ કર્યો છે. ખરી વાત એ છે કે, માનવજીવનને તેની અતલ ગહરાઈઓ અને તેના અજ્ઞાત બળાબળો સાથે એાળખવાની ઉદાર દૃષ્ટિ તેમણે કેળવી છે. કોઈ રૂઢ સાંપ્રદાયિકતા કે બંધિયાર જીવનપ્રણાલીમાં બદ્ધ થવું એ જ મૃત્યુ અને અંતરની સૂક્ષ્મતર ગહનતર વૃત્તિઓને ઓળખવા સચ્ચાઈથી આત્મશોધન કરવું એ જ તો જીવન છે. આવી કોઈક દૃષ્ટિથી જ તેઓ દોસ્તોએવ્સ્કી, કામુ, સાર્ત્ર, લોરેન્સ, ટોલ્સટોય, ચેખોવ આદિ સાહિત્યસર્જકોની સંતવૃત્તિને ખૂબ જ આદરભાવથી નિહાળી શક્યા હશે. મડિયાએ નવલિકા-નવલકથાના સ્વરૂપ વિશે જે જે વિચારણાઓ કરી તેમાં તેમના બહુશ્રુત અને વ્યાપક અભ્યાસને કારણે વિશેષ બળ અને તેજ પ્રગટ્યા છે. જો કે આ પ્રકારની સાહિત્યમીમાંસામાં તેમનો અભિગમ જેટલો પ્રસ્તુત વિષયની તાર્કિક અને શાસ્ત્રીય છણાવટનો નહિ, તેટલો અનુભવકથનનો છે. નવલિકા કે નવલકથા વિશેની પોતાની સમજણ કે શ્રદ્ધાને જ તેઓ પ્રતિપાદિત કરવા પ્રવૃત્ત થયા જણાય છે. કોઈ રૂઢ પંડિતશાઈ વિચારશૈલી માટે તેમને એક રીતનો અણગમો જ રહ્યા કર્યો હોય એ કારણે જ કદાચ તેઓ પોતાની ચર્ચાને શક્ય તેટલી અરૂઢ ભાષામાં રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. જો કે આ કારણે પરિભાષાની શિથિલતા જન્મતાં તર્કસંગતિ પૂરેપૂરી ન જળવાઈ હોય એવુંયે એમાં કેટલેક પ્રસંગે બન્યું જણાય છે. નવલકથાનો સ્વરૂપવિચાર કે વિશિષ્ટ કૃતિઓની ચર્ચાવિચારણા કરતાં મડિયાએ તેના સર્જક કે તેની આસપાસના જગતના પ્રશ્નો પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાની છાપ પડે છે. ‘શાહમૃગ – સુવર્ણમૃગ’ લેખમાં તેઓ વર્તમાન માનવસમાજની વિષમતાઓનું ધ્યાન ખેંચી એ સંજોગોમાં લેખકની જવાબદારી કેવી રીતે વધી છે, અને તેની વિશિષ્ટ કાર્યશક્તિને નાથી લેવા બાહ્ય સત્તાજૂથો કેવી રીતે પ્રવૃત્ત થાય છે તેની વિસ્તૃત વિચારણા કરી છે. સાચો સર્જક, અલબત્ત, પોતાની અખિલાઈ (integrity) જાળવવા બધી બાજુની યાતના સહન કરશે. આવા સર્જકે પોતાનો ક્રોસ પોતે જ ઉપાડીને ચાલવું પડશે, એવી તેમની માન્યતા છે. કામુ (‘મધ્યાહ્‌ને સૂર્યાસ્ત’), સાર્ત્ર (‘માત્ર લિખિત શબ્દ વડે’, ‘પોતાનો જ તાજનો સાક્ષી’ અને ‘અનુમોદનની આલોયણી’), લોરેન્સ (‘સંત કરતાંય, સવાયો’), ટોસ્ટટોય (‘મહાત્મા, મનીષી અને કલાકાર’), ચેખોવ (‘મરુભૂમિનો એકલ યાત્રી’), પાસ્તરનાક (‘નિઃશસ્ત્ર સત્યની અજેય શક્તિ’) કે હેમરશોલ્ડ (‘આત્મશોધકની આંતરયાત્રા’) જેવા સર્જક-ચિંતકોને પોતપોતાના સંજોગોની વચ્ચે જે ભીષણકારમા સંગ્રામો ખેલવાના આવ્યા, અને તેમણે જે રીતે આગવો કર્તવ્યમાર્ગ શોધવાના પ્રયત્નો કર્યા, તેની કથામાં મડિયા હૃદયરસ રેલાવી રહે છે. આવી અસાધારણ માનવપ્રતિભાઓના જીવનને પણ તેઓ કોઈ અનુપમ કળાકૃતિની જેમ જ પ્રગાઢ રસપૂર્વક આસ્વાદી રહે છે. મડિયાએ આપણી ભાષાની, આપણા દેશની અન્ય ભાષાઓની તેમ પાશ્ચાત્ય કથાઓને એકસરખી ઉત્સુકતાથી અવલોકી છે. ‘યામા’ (એલેકઝાન્ડર કુપ્રીન), ‘ધીરે વહે છે દોન’ (શોલોખોવ), ‘ધ મુન ઈઝ ડાઉન’ (સ્ટાઈનબેક), ‘નમતો સૂરજ’ (ઓસામુ દાઝાઈ), ‘ફોન્તા મારા’ (ઇગ્નાઝિયો સિલોની), ‘ભૂંડી ભૂખ’ (નટ હેમ્સન), ‘આરોગ્યનિકેતન’ (તારાશંકર બંદોપાધ્યાય), ‘સાહેબ બીબી અને ગુલામ’ (બિમલ મિત્ર) કે ‘ઊજળા પડછાયા, કાળી ભોંય’ (જરાસંઘ) આદિ નવલકથાઓની વિવેચના તેમણે ઠીક ઠીક વિસ્તારથી કરેલી છે. એમાં તેઓ લેખકનાં વિચારવલણ કે કૃતિને ઘાટ આપતાં સામાજિક આર્થિક બળોનો નિર્દેશ તો કરે જ છે, પણ કૃતિના નિરીક્ષણમાં તેઓ તેના માર્મિક અંશો તારવવા તરફ પણ એટલા જ જાગરૂક હોય છે. આ પ્રકારની ચર્ચાવિચારણામાં અનેકવાર તેમની રંગરાગી શૈલીને અવકાશ મળ્યો છે, અને એવે પ્રસંગે તેઓ પોતાની કથનશૈલીમાં આગવાં રોચક તત્ત્વો પ્રગટાવી દે છે. આ પ્રકારનાં કૃતિલક્ષી વિવેચનોમાં ઘણી વાર તો ઉચિત અર્થસભર શીર્ષક સ્વયં આકર્ષક અંશ બની રહે છે. ઉ. ત. એલેકઝાન્ડર કુપ્રીનની ‘યામા’નો લેખ તેમણે ‘નર્કાગારની નમણાઈ’ એવા ખૂબ જ સૂચક શીર્ષકથી રજૂ કર્યો છે, તો ઓસામુ દાઝાઈની કૃતિ ‘નમતો સૂરજ’નું અવલોકન તેઓ ‘અસ્તિત્વની અનહદ વ્યથા’ એવા શીર્ષકથી રજૂ કરે છે. તેમની લાઘવયુક્ત, મર્માળી કથનશૈલીનો જ એ આવિષ્કાર છે. નવલકથા અને નવલિકા એમ બંનેય સ્વરૂપની જે જે કૃતિઓની મડિયાએ વિવેચના કરી તેમાં તેમની શિષ્ટ ઉચ્ચગ્રાહી સાહિત્યરુચિની પ્રતીતિ થયા કરે છે. કૃતિનો પ્રભાવ જે સૌંદર્યની અનુભૂતિ કરાવે તેને તાઝગી અને બલ સાથે વ્યક્ત કરવા તેઓ સતત જાગૃત રહ્યા છે. આગળ નોંધ્યું છે તેમ પંડિત અને વિદ્વાનોએ સાહિત્યમીમાંસામાં જે પરિભાષા રૂઢ કરી દીધી છે, તેનાથી શક્ય તેટલા દૂર રહેવાનું તેમનું વલણ જણાય છે, તેઓ પ્રશિષ્ટ કૃતિઓના પક્ષવાદી રહ્યા છે, છતાં નવીન વૃત્તિ-વલણોવાળી રચનાઓને સમજવા એટલી જ ઉદારતા કે સમભાવવૃત્તિ જાળવી શક્યા છે. સુરેશ જોષી કૃત ‘બીજી થોડીક’ કે ‘ચન્દ્રકાન્ત બક્ષીની ‘આકાર’ની વિવેચના એ દૃષ્ટિએ ખૂબ ધ્યાનપાત્ર છે. તેમણે આપણા તરુણ પેઢીના અનેક લેખકોની કૃતિઓને આવકારવાની ઉદારતા દાખવી છે, તો તે સાથે તેમની સામે રહેલાં ભયસ્થાનો દર્શાવવાનુંય ચૂક્યા નથી. અલબત્ત, એક વિવેચક લેખે તેમની વિવેચનદૃષ્ટિને કોઈ જ સીમા નથી એવું તો નથી. એમાં કૃતિના સક્ષ્મ સ્તરના સૌંદર્યગ્રહણનું સ્થાન કેટલીક વાર સ્થૂળ વિગતોનો ઉલ્લેખ લે છે, તો કેટલીક વાર કૃતિનાં અમુક માર્મિક અંશોનું અછડતું જ વર્ણન થયું હોય એમ જોવા મળશે. પણ એકંદરે તેમનો સાહિત્યિક પ્રતિભાવ તેમના અંતરની સચ્ચાઈ અને નિખાલસતા પ્રગટ કરી આપે છે. એ કારણે તેમની કથાસાહિત્યની વિવેચના આપણી સાહિત્યિક વિવેચનામાં આગવી ભાત પાડે છે, અને તેને પોતીકું મૂલ્ય પણ છે.