સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પુનરુક્તિની વ્યંજકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

પુનરુક્તિની વ્યંજકતા

પાઠકના કાવ્યમાં ‘ધમાલ ન કરો’ એ પદસમૂહ દરેક શ્લોકને આરંભે પુનરાવર્તિત થયો છે. આવી પુનરાવૃત્તિ પણ વ્યંજક હોઈ શકે છે એમ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કહે છે. પાઠકના કાવ્યમાં એ પદસમૂહનું પુનરાવર્તન એમ સૂચવે છે કે ધમાલ (આ શબ્દ ‘રોકકળ’ આદિના અર્થમાં હોવાનું સમજાય છે) કરવાનું રોકી શકાતું નથી ને તેથી ફરીફરી એ આજ્ઞા કરવી પડે છે. એમાંથી દુઃખની લાગણીની નિરંકુશતા સૂચવાય છે. કલાપીની નીચેની પંક્તિઓમાં પણ પુનરાવૃત્તિની પ્રયુક્તિનો આશ્રય લેવાયો છે :

ઉર ઠલવવા ખાલી ઢૂંઢ્યાં સખા, લલના અને
ઉર ઠલવવા ખાલી શોધ્યાં ઝરા, તરુઓ વને,
ઉર ઠલવવા પાળ્યાં પંખી બધાં જ વૃથા નકી,
ઉર ઠલવવું એ તો ક્યાંયે મળે જ મળે નહીં!
(ભાવના અને વિશ્વ)

અહીં પુનરાવૃત્તિથી ઉર ઠલવવાના પ્રયત્નોનું સાતત્ય સૂચવાય છે, એની બહુલતા સૂચવાય છે અને તેથી વ્યર્થતાની લાગણી ઘૂંટાય છે. ‘મળે જ મળે નહીં’ એમાં ‘મળે’ની પુનરાવૃત્તિ નિરુપાયતા સૂચવે છે અને વ્યર્થતાની લાગણીને અપરિહાર્ય બનાવે છે.