સાહિત્ય પલ્લવ – ભાગ ૨/પ્રતિમા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રતિમા

કેશવરામ કાશીરામ શાસ્ત્રી

[તેવે ભરત અને રથ સહિત સારથિ પ્રવેશ કરે છે.]

ભરત – [આતુરતાથી] અરે સારથિ, મામાને ઘેર ઘણું રહ્યો એથી અયોધ્યાના કાંઈ પણ સમાચાર મને મળ્યા નથી. અરે, મેં સાંભળ્યું છે કે મહારાજ (દશરથ)ને શરીરે ઘણી અસ્વસ્થતા છે. તો કહે -

[શિખરિણી]
પિતાને શી પીડા?

સારથિ – પરિતપન મોટું હૃદયમાં. ભરત— કહ્યું શું વૈદ્યોએ? સારથિ – પરિચરણ વૈદ્યો ન સમજે. ભરત – જમે શું? ક્યાં સૂએ? સારથિ – અશન ન કરે, ભોં-પથર છે. ભરત – ન આશા? સારથિ – દૈવાશા. ભરત – હૃદય ધડકે. હાંક રથ તું. ૧ સૂત – જેવી આયુષ્માનની આજ્ઞા. [રથ હાંકે છે.] ભરત – [રથની ગતિ નિહાળી] આ તે રથવેગ! આ પેલાં—

[શિખરિણી]
દ્રુમો દોડે જાણે, ઝટ રથ જતાં ના સ્થળ જડે.
ધસે ભૂ આરામાં, જળવમળવાળી જ્યમ નદી.
ન દીસે આરા, શું અતિ ગતિ થયે, પૈ સ્થિર રહ્યું?
ઉડાડી અશ્વોએ રજ ન વળતી, આગળ ધસે! ૨

સારથિ – કુમાર, વૃક્ષોની આસપાસ ઠંડક હોવાને કારણે અયોધ્યા નિકટમાં જ હોય એમ લાગે છે. ભરત – અહો, સ્વજનોને મળવા ઉત્સુક થયેલું મારું મન કેટલું ઉતાવળું થઈ રહ્યું છે! અત્યારે તો —

[દંડક]
શિર પિતૃચરણે ન જાણે લળ્યું,
ભૂપ ઊભો કરે સ્નેહથી ત્યાં મને;
તરત મુજ કને વળ્યા બંધુઓ,
આંસુ સીંચે ત્રણે માત જાણે મને;
સ્તુતિ મુજ કરતા ન હોયે બધા
કિંકરો : ‘છો ફલાણા સમા ને બલી.’
મુજ પલટ થયેલ ભાષા અને
વેશમાં, લક્ષ્મણ ત્યાં કરે ઠેકડી! ૩

સૂત — [સ્વગત] કેવી દયાજનક વાત છે કે, મહારાજાના મૃત્યુની વાત જાણ્યા વિના જ ધૂળમાં મહેલ બાંધતા ભરતકુમાર અયોધ્યામાં પ્રવેશ કરશે! બધુંય જાણતાં છતાં હું એ કાંઈ કહી શકતો નથી; શાથી જે -

[અનુષ્ટુપ]
પ્રાણત્યાગ પિતાજીનો, માનો ઐશ્વર્યલોભ ને
જ્યેષ્ઠ ભ્રાતા વને ચાલ્યા; એ ત્રણે ફૂડ કોણ કહે? ૪

યોદ્ધો – [પ્રવેશ કરી] જય થાઓ કુમારનો. ભરત – મહાશય, શત્રુઘ્ન આવી પહોંચ્યો કે? યોદ્ધો – જી, શત્રુઘ્નકુમાર આવી પહોંચ્યા છે. પણ ઉપાધ્યાયજી આપને કહે ... ભરત – હં, શું શું? યોદ્ધો – કૃત્તિકા નક્ષત્ર હવે માત્ર એક ઘડી જ રહ્યું છે. એ પછી રોહિણી નક્ષત્ર બેસતાં જ કુમારશ્રીએ અયોધ્યામાં પ્રવેશ કરવાનું મુહૂર્ત છે. ભરત – ઠીક વારુ; મેં પૂર્વે ગુરુની આજ્ઞા ઉથાપી નથી જ. જા ત્યારે. યોદ્ધો – જેવી કુમારની આજ્ઞા. [જાય છે.] ભરત – હં, પણ ક્યાં વિસામો લઉં? ઠીક છે; જાણ્યું. આ વૃક્ષોએ આંતર્યા દેખાતા દેવાલયમાં જ ઘડીભર વિસામો લઉં; એથી દેવપૂજા અને વિસામો એ બેય કાજ સરશે. અને એવો સદાચાર પણ છે કે, નગરોમાં પ્રવેશ કરતાં પૂર્વે નિકટમાં ક્યાંક જરા વિસામો લેવો જોઈએ પણ. માટે રથને રોક. સારથિ – જેવી આયુષ્માનની આજ્ઞા. [જાય છે.] ભરત – [કાંઈક ચાલી, જોઈ] બરોબર મુકાયેલાં પુષ્પ અને અક્ષતથી સ્પષ્ટ થતાં નૈવેદ્યો જણાય છે. ભીંતોમાં ચંદનના થાપા લગાવેલા છે. બારણાંઓ પણ મૂકેલી પુષ્પમાલાઓની શોભાવાળાં છે, અને રેતી પાથરવામાં આવેલી છે. શું આજે કાંઈ વિશેષ પર્વ છે કે નિત્યનું આ કર્મ છે? આ તે કયા દેવનું સ્થાન હશે? નથી દેખાતું અહીં કાંઈ શસ્ત્ર કે ધ્વજ જેવું બાહ્ય ચિહ્ન. ઠીક છે : અંદર જઈ જાણી લઈશ. [પ્રવેશ કરી, જોઈ] વાહ, શિલાઓ ઉપર આ તે કેવું મધુર શિલ્પ! વાહ, આકૃતિઓની શી ભાવવ્યક્તિ! દેવોને ઉદ્દેશી થયેલી છતાં આ પ્રતિમાઓ મનુષ્યની ન હોય તેવી પતીજ પડે છે! આ તે શું કોઈ ચાર દેવતાનો ચોરો છે? હશે, ગમે તે હો, મારા મનમાં તો આનંદ છે :

[અનુષ્ટુપ]
ઠીક છે, દેવ આ કોઈ માટે શિર નમાવવું;
મંત્ર કાંઈ ન બોલીને વંદું, એ શૂદ્ર-વંદવું. ૫

પૂજારી – [પ્રવેશ કરી] નિત્યપૂજા કરી ભોજન કરવા બેઠો હતા ત્યાં વળી આ પ્રતિમાઓની આકૃતિથી નહિ જેવા ફેરવાળો આ કોણ માનવ આ પ્રતિમાગૃહમાં આવી લાગ્યો છે! ઠીક છે. અંદર જઈ જાણી લઉં. [પ્રવેશ કરે છે.] ભરત – [પ્રતિમાઓને] નમસ્કાર. પૂજારી – નહિ નહિ, નમસ્કાર નહિ કરશો. ભરત – કેમ, વારુ, રોકો છો?

[અનુષ્ટુપ]
મારામાં દોષ શું કાંઈ? કે છે વિધિ વિશેષ કો?
કાં રોક્યો? તમને શું છે શ્રેષ્ઠતા ધર્મકાર્યમાં?

પૂજારી — નહિ, એ કારણોએ હું આપને રોકતો નથી. એ તો દેવ માની આપ નમસ્કાર કરો ને આપ બ્રાહ્મણ હો તો? માટે રોકું છું. આ શ્રીમાન ક્ષત્રિયો છે. ભરત– હં. આ ક્ષત્રિયો છે. ઠીક વારુ, એ કોણ છે? પૂજારી – ઇક્ષ્વાકુવંશ્યો. ભરત — [હર્ષ સહિત] ઇક્ષ્વાકુવંશ્યો! એમ કે? આ તે અયોધ્યાના સ્વામીઓ!

[સુવદના]
આ તે જે દેવતાને અસુર-પુર-વધે જાતા મદદમાં.
આ તે જાતા સુકૃત્યે પુર-વિષય લઈ જે ઇંદ્રપુરમાં.
આ તે જેવી હતી આ અખિલ વસુંધરા જીતી ભુજબળે.
આ તે છે, મૃત્યુ જેને બહુ સમય સુધી સ્વાધીન જ હતું. ૭

અહો, અચાનક જ આ મોટું ફળ મને તો મળી ગયું. [પ્રથમ પ્રતિમાને ચીંધી] ઠીક, વારુ, કહો જોઈએ, આ શ્રીમાન કોણ છે? પૂજારી — જેમણે વિશ્વજિત્ નામનો યજ્ઞ કર્યો હતો, જેણે એ યજ્ઞમાં બધા જ પ્રકારનાં રત્ન લાવી આપ્યાં હતાં, અને જેણે ધર્મનો મહાપ્રદીપ પ્રકાશિત કર્યો હતો તે આ રાજા દિલીપ. ભરત — નમસ્કાર હો તે ધર્મપરાયણ દિલીપને. [બીજી પ્રતિમા તરફ ચીંધી] કહો જોઈએ, આ ત્યારે કોણ છે? પૂજારી — આ તે, જેને સૂવા અને ઊઠવાને સમયે હજારો બ્રાહ્મણો પુણ્યાહવાચન કરતા હતા તે રઘુ. ભરત – અહો બળવાન કાળ આ બ્રાહ્મણરક્ષાને પણ વટાવી ગયો. બ્રાહ્મણને નિવેદેલા રાજ્યકુળવાળા તે રઘુને નમસ્કાર. [ત્રીજી પ્રતિમા તરફ ચીંધી] કહો જોઈએ, આ ત્યારે કોણ? પૂજારી — આ તે, જેણે પ્રિયાના વિયોગને લીધે શોકે કરી રાજકારભારનો ત્યાગ કર્યો હતો અને નિત્ય યજ્ઞાન્ત સ્નાનથી જેનો રજોગુણ નષ્ટ થયેલો તે અજ. ભરત – જેનો પશ્ચાત્તાપ પણ પ્રશંસાપાત્ર છે તે રાજા અજને નમસ્કાર. [દશરથની પ્રતિમાને જોઈ આકુલ થઈ] અરે પૂર્વજો પ્રતિ બહુ આદરને લીધે મન વિક્ષિપ્ત થતાં બરોબર ન સંભળાયું. [પહેલી પ્રતિમા તરફ ચીંધી] કહો જોઈએ આ કોણ? પૂજારી – આ દિલીપ. ભરત – મહારાજના પરદાદા. હં, પછી? પૂજારી – શ્રીમાન રઘુ. ભરત – મહારાજના દાદા. હં, પછી? પૂજારી — શ્રીમાન અજ. ભરત – પિતાજીના પિતા. હં. શું, શું? પૂજારી – આ દિલીપ, આ રઘુ, આ અજ. ભરત — તમને કાંઈક પૂછવા માગું છું. જીવતાની પણ પ્રતિમાઓ ખોડવામાં આવે ખરી? પૂજારી – જી, નહિ. એ તો ગત થયેલાઓની જ. ભરત – ત્યારે તો હું જવા અનુજ્ઞા લઉં છું. પૂજારી — જરા ઊભા રહો.

[અનુષ્ટુપ]
આપ્યાં દશરથે સ્ત્રીને પ્રાણ ને રાજ્ય દેચમાં,
તેની આ પ્રતિમા, શાને તે વિષે પૂછતા નથી? ૮

ભરત – અરે પિતાજી! (મૂર્છા ખાઈ પડી જાય છે. ફરી શુદ્ધિમાં આવી )

[માલિની]
હૃદય. બન સકામી; જે વિષે વ્હેમ તેં તે
જનક-મરણ સુણ્યું. ધાર તું ધૈર્ય આવે.
કુવચન મુજને આ ‘દેચ’ સંબંધી સ્પર્શે
ત્યમ ખબર ખરી આ, દેહ તો શુદ્ધિ માગે. ૯

આર્ય! પૂજારી – ‘આર્ય’ એ તો. ઇક્ષ્વાકુકુલમાં પ્રચલિત ઉદ્બોધન છે. કૈકેયીપુત્ર ભરત તો આપ નહિ? ભરત — હા. હા. પણ કૈકેયીનો નહિ. રાજા દશરથનો પુત્ર હું ભરત છું. પૂજારી – તો હું આપની જવા અનુજ્ઞા લઉં છું. ભરત – ઊભા રહો. બાકીનું કહેતા જાઓ. પૂજારી — હવે શો ઉપાય? સાંભળો : મહારાજ દશરથ ગત થયા. સીતા અને લક્ષ્મણ સાથે રામચંદ્રજી વનમાં કેમ સિધાવ્યા તે હું નથી જાણતો. ભરત – હેં, હેં, મોટા ભાઈ પણ વનમાં ગયા? [બેવડી મૂર્છા આવે છે.] પૂજારી – કુમાર, શાંત થાઓ, શાંત થાઓ. ભરત – [શાંતિ મેળવી]

[અનુષ્ટુપ]
પિતા ને બંધુએ છોડી આયોધ્યા અટવી બની.
તરસ્યો તે ભણી દોડું, જેમ સૂકી નદી ભણી. ૧૦

ભાઈ, વિસ્તારથી સંભળાવો તો મારા મનને સ્થિરતા મળે. તો બધું પૂરેપૂરું કહી દો. પૂજારી — સાંભળો : મહારાજા દશરથ શ્રીમાન રામચંદ્રનો રાજ્યાભિષેક કરતા હતા ત્યારે તમારી માતા કૈકેયીએ કહ્યું કહેવાય છે. ભરત – જરા ઊભા રહો.

[સુવદના]
સંભારી દેચ, માગ્યું : ‘મુજ સુત નૃપ હો,’ ને ધૈર્ય ધરતાં
ભ્રાતાને જોઈ બોલી : ‘સુત વન ગમ જા.’ ત્યારે સ્વસુત જે,
દેખી પ્હેરેલ ચીરો અસદૃશ મરવું ત્યાં તો જનકનું.
આપે ધિક્કાર ભારે સકલ જન મને. બૂરું બહુ થયું. ૧૧

[મૂર્છા પામે છે.] [નેપથ્યમાં] માર્ગ કરો. ભાઈઓ, માર્ગ કરો. પૂજારી – [જોઈને] અરે!

[અનુષ્ટુપ]
મૂર્છાયો પુત્ર ત્યાં આવી રાણીઓ આ ખરે સમે.
માતાનો હાથ સૂકોય સ્પર્શતાં આર્દ્ર એ બને. ૧૨

[તેવે રાણીઓ અને સુમંત્ર પ્રશ કરે વેછે.] સુમંત્ર – આ ગમ, આ ગમ બા.

[વંશસ્થ]
નિવાસ તે આ પ્રતિમા-ભૂપાળનો, મહેલ ઊભે નહિ જેહ – સામ્યમાં.
ન રોકવાનું, નહિ યંત્રણા જરી, વિના પ્રણામે પથિકો વસે અહીં. ૧૩

[પ્રવેશ કરી, જોઈ] માતાઓ, પ્રવેશ ન કરશો, ન કરશો.

[અનુષ્ટુપ]
હોય ને આપણા રાજા યૌવને, તે સમો પડ્યો.
પૂજારી – ત્યજો અન્ય તણી શંકા. અહીં ભરત એ જ છે. ૧૪

[બહાર જાય છે.] રાણીઓ – [ઉતાવળે આવી] અરે બેટા ભરત! ભરત – [કાંઈક શાંત બની] અરે આર્ય! સુમંત્ર – જય થાઓ મહા . . . [એમ અર્ધું કહી ખિન્ન થયો થકો] અરે આ તો સ્વરનું સામ્ય છે : ‘જાણે કે પ્રતિમામાં રહેલા મહારાજ દશરથ બોલે છે!’ ભરત – માતાઓની શી દશા? રાણીઓ – બેટા, આ અમારી દશા. [આઘું ઓઢેલું દૂર કરે છે.] સુમંત્ર – માતાઓ, ઉત્કંઠાને જરા હાથમાં રાખો. ભરત – [સુમંત્રને જોઈ] આવે સમયે પણ તમારી ઉપસ્થિતિ એમ સૂચવે છે : બાપુ, તમે સુમંત્ર તો નહિ ને? સુમંત્ર – કુમાર, બીજું શું? હું સુમંત્ર જ.

[ઉપજાતિ]
સ્વર્ગે ગયા ભૂપ, રહ્યો બિચારો, વાંસે હું ઠાલો રથ હાંકનારો.
અરે વડું આયુષ તો મને છે. ‘કૃતઘ્ન હું’ એમ જનો હસે છે. ૧૫

ભરત – અરે વડીલ! [ઊઠીને] વડીલ! કયા ક્રમે મારે મારી માતાઓને વંદન કરવું તે પૂછવા માગું છું. સુમંત્ર — બરોબર. આ ત્યારે રામચંદ્રની માતા રાણી કૌશલ્યા. ભરત – નિરપરાધી હું, માતા, વંદન કરું છું. કૌશલ્યા – બેટા, સંતાપ છોડી દે. ભરત – [સ્વગત] આ શબ્દોએ જાણે મને ઠપકો ન આપ્યો હોય! [પ્રકટ] બા, મારા ઉપર કૃપા થઈ. હં, પછી? સુમંત્ર – આ, ત્યારે, લક્ષ્મણની માતા સુમિત્રા. ભરત – લક્ષ્મણના વિરહવાળો હું વંદન કરું છું, માતા. સુમિત્રા – બેટા, યશોભાગી થા. ભરત – માતા, એ માટે પ્રયત્ન કરીશ. મારા ઉપર કૃપા થઈ હં, પછી? સુમંત્ર – આ તારી જનેતા. ભરત – [ક્રોધ સહિત ઊઠી] હત પાપિણી!

[અનુષ્ટુપ]
મારી આ બેઉ માતાની વચ્ચે તું શોભતી નથી.
ગંગા ને યમુના વચ્ચે કુ-નદી શી પ્રવેશતી. ૧૬

કૈકેયી – શું કર્યું છે, બેટા, મેં? ભરત – શું કર્યું છે, એમ તું પૂછે છે કે? કૌશલ્યા – સમગ્ર સદાચાર જાણતો હોવા છતાં, તારી માતાને કેમ વંદન નથી કરતો, બેટા? ભરત – ‘માતાને!’ મા, તમે જ મારાં માતા છો. માતા, વંદન કરું છું. કૌશલ્યા – નહિ નહિ. તારી જનેતા આ છે. ભરત — હતી પહેલાં. અત્યારે નહિ. જુઓ તમે —

[માલિની]
છાંડી માયા, શીલમાં દોષ જોઈ લોકો પુત્રોને અપુત્રો કરે છે.
સ્થાપું સંસારે અપૂર્વ પ્રથા હું : સ્વામીદ્રોહે મા અમાતા ગણું હું. ૧૭

કૈકેયી – બેટા, મહારાજના વચનને સાચું કરવા મેં તેમ કહ્યું હતું. ભરત – તે શું, તે શું? કૈકેયી — મારો પુત્ર રાજા થાય તે. ભરત –હં, તો મોટાભાઈ પણ તને શું થાય?

[અનુષ્ટુપ]
ન પિતાનો સગો પુત્ર? ક્રમે ના અભિષેક શું?
બંધુઓ નહિ વહાલા શું? પ્રજાપ્રિય ન રામ શું? ૧૮

કૈકેયી — દેચના લોભમાં પડેલીને આ પ્રશ્નો પૂછવાના હોય કે, બેટા? ભરત -

[અનુષ્ટુપ]
‘રાજશ્રી-હીન ચીરોથી, પાળા ને સ્ત્રીસહાયને
આજ્ઞા આપી વને જાવા,’ માગ્યું’તું એહ દેચમાં? ૧૯

કૈકેયી — આ બધું સમય આવ્યે જણાવીશ, બેટા. ભરત -

[માલિની]
યદિ અપયશ-લોભી તો કહીને મને શું?
નૃપતિ-સુખ-તૃષા જો બાપ આપે ન તે શું?
યદિ વચન તને જો ‘રાજમાતા’ ગમે તો
ભણ, ભણ, સુત તારે રામ ના થાય એ શું? ૨૦

તેં તો ઘાણ વાળ્યો છે!

[શિખરિણી]
થતાં રાજ્યે ઇચ્છા નવ નૃપતિ પ્રાણો પણ ગણ્યા.
વડા ભ્રાતાને જા વન, સુત, કહી દૂર જ કર્યો.
સ્ત્રજ્યું શું ધાતાએ હૃદય વસમું વજ્ર કરતાં?
ન ભેદાયું દેખી જનક-તનયા વલ્કલવતાં? ૨૧

સુમંત્ર — કુમાર. અભિષેકની સામગ્રી લઈ પ્રજા સાથે આ વસિષ્ઠ અને વામદેવ આપની પાસે આવી વિજ્ઞપ્તિ કરે છે કે,

[અનુષ્ટુપ]
જેમ ગોપ વિના ગાયો ન પાળ્યે નષ્ટ થાય છે,
તેમ રાજા વિનાની આ પ્રજાયે નષ્ટ થાય છે. ૨૨

ભરત – ચાલો પ્રજા મારી પાછળ. સુમંત્ર—અભિષેકનો ત્યાગ કરી આપ ક્યાં ચાલ્યા? ભરત – હં, અભિષેક! કરો એ કૈકેયીનો. સુમંત્ર – ક્યાં ચાલ્યા આપ? ભરત -

[અનુષ્ટુપ]
લક્ષ્મણપ્રિય જ્યાં વસે રામ, ચાલ્યા અમો તહીં.
તે વિના ન અયોધ્યા આ. અયોધ્યા – રામ જ્યાં વસે. ૨૩

[બધાં જાય છે.]

સ્વાધ્યાય

૧. ભરતને પિતાના મૃત્યુની કેવી રીતે ખબર પડી?
૨. ભરતના કૈકેયી વિષેના વિચારો દર્શાવો.
૩. નાટકમાં કરુણરસની જમાવટ કેમ થતી આવે છે તે તપાસો.
૪. ‘પ્રતિમા’ઓને મધ્યકાલીન ‘પાળિયા’ની પ્રથા સાથે સરખાવો.
૫. ૧, ૨, ૧૪, ૧૭ અને ૨૩ — એ શ્લોકો સમજાવો.