સોરઠી બહારવટિયા ભાગ-2/માછીમારણની કૂખે માણેક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માછીમારણની કૂખે માણેક

આંબલી બોરડીની ઠાંસોઠાંસ અટવી : ભુંભલા થોરની ગીચ અંધારી ઝાડી : ધોળે દિવસે પણ ગભરાવી નાખે એવું એક ગાઉનું જંગલ : એવા કારમા પંથ કાપીને જાત્રાળુ ગોમતીજીને કાંઠે પહોંચે. ત્યાં આસમાની દરિયાની છોળો ઊછળીને રણછોડરાયના પગ પખાળે છે. ‘જે રણછોડ! જે રણછોડ!’ લલકારતો જાત્રાળુ ઓખામંડળની ઝાડી વીંધે છે, રૂપાળા દરિયા ને કારમા વગડાની વચ્ચે એને કાબા લૂંટી ખાય છે. જાત્રાળુ પોતાને દેશ જઈને ગીતો ગાય છે :

અસી કોસકી ઝાડી લગત હે!
કાબા કઠિન કઠોર, દ્વારકા મેં રાજ કરે રણછોડ!
ડંડા કુંદા છીન લેત હે!
તુંબા ડારત ફોડ, દ્વારકામેં રાજ કરે રણછોડ!

જળમાં કોઈ વહાણ ન હેમખેમ જાય ને થળમાં ન જાત્રાળુ વણલૂંટ્યો જાય. એનું નામ જ ઓખો! ઓખો એટલે વિકટ : એવા ઓખામંડળમાં એક દિવસ કેવી બીના બની રહી હતી? સોળ વરસની એક કુંવારિકા : તળાવની પાળેથી પાણી ભરીને ચાલી આવે છે : માથા ઉપર છલોછલ ભરેલી હેલ્ય અને બેય હાથમાં ત્રણ-ત્રણ વરસની દૂધમલી બે ખડેલી પાડીઓ : જોરાવર ખડેલીઓ રણકતી રણકતી મોટા ઠેકડા મારતી આવે છે પણ પનિયારીના માથા પરનું બેડું જરીકે ડગમગતું-છલકતું નથી. એને મન તો આ ખડેલીઓ જાણે હાથમાં ઉંદરડીઓ રમતી આવતી હોય એવી લાગે છે. એની મુખમુદ્રામાં કે કાયામાં ક્યાંય થડકાર નથી. નીરખીને અજાણ્યો અસવાર તો આઘેરો ઊભો જ થઈ રહ્યો. આ ભીનલાવરણી પનિયારીનાં કાંડાનું કૌવત નીરખીને એ રજપૂત જુવાનનો શ્વાસ હેઠો બેસી ગયો. પડખે ચાલતા આદમી પાસેથી પોતે જાણી લીધું કે આ ગામનું નામ હમોસર : માછીમારની દીકરી : બાપનું નામ મલણ કાળો : હજી બાળકુંવારડી જ છે.

‘ઓહોહો! આના પેટમાં પાકે એ કેવા થાય! મનધાર્યા મુલક જીતી આપે!’ એવા વિચાર કરતો ઘોડેસવાર ઘોડો ફેરવ્યા વગર, પાછો વળીને પોતાની ફુઈના આરંભડા ગામને ગઢે આવ્યો. આવીને રઢ્ય લીધી, “ફુઈ, પરણું તો એક એને જ.” રાઠોડ રાજાની રાણી તો રજપૂતાણી હતી. કચ્છના ધણી રાવ જીયાજીની દીકરી હતી. એનાથી આ શૅ સંખાય? કુળનું અભિમાન કરતી બોલી : “અરે બાપ! ઈ તો કાબા : ગોપીયુંના વસ્તર લૂંટનારા.” “પણ ફુઈ! અરજણ જેવા અજોડ બાણાવળીનું ગાંડીવ આંચકી ગોપી તળાવની પાળે એની ભુજાયુંનો ગરવ ગાળનારા એ કાબા!” “પણ વીરા! એ તો માછલાં મારવાના ધંધા કરનારા : કાળાં વહરાં એનાં રૂપ; અને તું તો કચ્છ ભુજનો ફટાયો : જદુવંશીનું ખોરડું : આપણને ઈ ખપે?” “ખપે તો ઈ એક જ ખપે, ફુઈ! જગતમાં બાકીની બધી નાની એટલી બોન્યું ને મોટી એટલી માતાજીયું!” આરંભડાના રાઠોડને ઘેર રિસામણે આવેલા ભુજના કુંવર હમીરજીએ હેમોસરની સરોવર-પાળે દીઠેલી કાળુડી માછીમાર કન્યા ઉપર પોતાનો વંશ અને ગરાસ ઓળઘોળ કરી દીધો. ઓખામંડળના કાબાઓની સાથે એણે લોહીનો સંબંધ જોડ્યો. અને ઓખામંડળ ઉપર પોતાની આણ પાથરવા માંડી. બોડખેત્રી ગામનાં તોરણ બાંધ્યાં. વાઘેર એની જાત કહેવાણી. કાબાની એ કુંવરીને ખોળે જે દિવસ જદુવંશીના લોહીનો દૂધમલ દીકરો જન્મીને રમવા લાગ્યો, તે દિવસે ગામ-પરગામનું લોક થોકેથોક વધામણીએ હલક્યું. વાઘેર બેટડાનાં રૂપ નિહાળી નિહાળીને માણસોનાં મોંમાંથી જાડેજી બોલીનું મીઠું વેણ નીકળી પડ્યું કે : “ઓહોહો, ભા! હી તો માણેક મોતી જેડો? લાલમલાલ માણેક!” તે દિવસથી માણેક નામની અટક પડી. વાઘેરની તમામ કળીઓમાં માણેક શાખાની કળી ઊંચી લેખાણી. ઓખામંડળ એટલે તો ઠાંસોઠાંસ કાંટાળા વગડા અને ઊંડા વખંભર ખડા. વળી કાબાકુળનો અવતાર જ લૂંટ કરવા સાટુ હતો. માછલાં મારે, મછવા લઈને દરિયામાં વહાણ લૂંટે, અને હડી કાઢીને ધરતીમાં જાત્રાળુઓને લૂંટે, પણ કાબા ભેળા રજપૂત ભળ્યા તે દિવસથી માણેક રાજાઓએ તીર્થધામનું રક્ષણ આદર્યું અને જાત્રાળુઓનું જતન કરવા માંડ્યું.