સ્વર્ગની નીચે મનુષ્ય/લેખક અને અનુવાદક પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અનુવાદક અને લેખક પરિચય
અનુવાદક-પરિચય


Bholabhai-Patel-239x300.jpg
ભોળાભાઈ પટેલ (જ. ૭ ઑગસ્ટ ૧૯૩૪ – અવ. ૨૦ મે ૨૦૧૨)
સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર. — રમણ સોની



લેખક-પરિચય


Sunil Gangopadhyay 2010.jpg
સુનીલ ગંગોપાધ્યાય (જ. ૭-૯-૧૯૩૪ – અવ. ૨૩-૧૦–૨૦૧૨)

સુનીલ ગંગોપાધ્યાય (જ. ૭-૯-૧૯૩૪ – અવ. ૨૩-૧–૨૦૧૨) બંગાળી સાહિત્યના યશસ્વી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસ-લેખક, અનુવાદક. કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળી સાહિત્યમાં એમ.એ. થયેલા. પ્રારંભિક કારકિર્દીમાં એમણે ‘કૃત્તિવાસ’ નામનું કવિતાનું સામયિક સંપાદિત કરેલું. બંગાળીના એ આધુનિક ધારાના તેમ જ લોકપ્રિય લેખક રહ્યા. પોતાને મુખ્યત્વે કવિ તરીકે ઓળખાવનાર આ સર્જકે ‘ભોર બેલાર ઉપહાર’ સહિત ૭ કાવ્યપુસ્તકો, ‘ પ્રથમ આલો’ વગેરે ૩૫ જેટલી નવલકથાઓનું સર્જન કર્યું. બાળકો-કિશોરો માટેની નવલશ્રેણી ‘કાકાબાબુ’ અંતર્ગત ૩૫ કૃતિઓ લખી. એ ઉપરાંત વાર્તા,આત્મકથા, પ્રવાસ, ઇતિહાસ, અનુવાદ એમ અનેક સ્વરૂપોમાં એમની લેખિની વિહરતી રહી. ને એમ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં. ‘સેઇ સમય’ નવલકથા માટે એમને ૧૯૮૫ના વર્ષનો સાહિત્ય અકાદેમી-પુરસ્કાર મળેલો. એ ઉપરાંત બંગાળી સાહિત્યનો ‘આનંદ પુરસ્કાર’(૧૯૭૨) તેમજ પ્રતિષ્ઠિત ‘સરસ્વતી સમ્માન’(૨૦૦૪) મળેલાં. એમની ખ્યાત નવલકથાઓ ‘પ્રતિદ્વંદ્વી’ અને ‘અરણ્યેર દિનરાત’ પરથી સત્યજિત રાયે ઉત્તમ ફિલ્મો બનાવેલી, જેમને આંતરરાષ્ટ્રીય ખ્‌યાતિ મળી. એમની ‘કાકાબાબુ’ શ્રેણીની કથાઓ પરથી તેમજ એમની કેટલીક વાર્તાઓ પરથી પણ ફિલ્મો બનેલી. ૨૦૦૮માં (૨૦૧૨ સુધી) એ સાહિત્ય અકાદેમીના પ્રમુખપદે નિયુક્ત થયેલા.
— રમણ સોની