કંસારા બજાર/છળી મરે છે તરસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
છળી મરે છે તરસ

તળાવ પુરાઈ જાય
એટલે શું પુરાઈ જાય?
તરસ?
ગામને પાદરે આવેલો એક વિસ્તાર
તેની ઓળખ ગુમાવી દે તેથી,
વહેલી સવારે હળવેથી
તળાવનાં પગથિયાં ઊતરીને
આત્મહત્યા કરવા જઈ રહેલું કોઈ
શું જીવી જાય છે?
તળાવ આજે હોય,
ને કાલે ન હોય.
પણ અહીં ડૂબી ગયેલી એક લાશ
નીતરતી રહે છે,
તેનું પેટ દબાવો ને પાણી વછૂટે છે,
ઘોડાપૂર જેવા.
ડૂબી જાય છે કંઈ કેટલા
ને છળી મરે છે તરસ.