કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/તરસ્યો જાય તોખાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨૬. તરસ્યો જાય તોખાર

કોઈ અનહદના ઓવારે રે
કોઈ પ્રેમળ પારાવારે રે મારો તરસ્યો જાય તોખાર.

કંઈક સમંદર ખારા વટિયો;
અગનથકી પાછો નવ લટિયો;
રટિયો રે નિજ જોમતણું એ માતમ વારંવારઃ
રે મારો તરસ્યો જાય તોખાર.

જ્યોતતણી ઝલકુંમાં નાયો;
શૂન્યતણે સંચાર સમાયો;
કદમ ન ડગિયા, નેણાં લગિયાં તૃપ્તિતણે તવારઃ
રે મારો તરસ્યો જાય તોખાર.

તરસ ન છીપી અવ લગ, હરિવર!
અશ્વ થયો છે તરવર તરવર;
સરોદ, ક્યાં લગ રહી શકીશ હું અશ્વતણો અસવાર?—
રે મારો તરસ્યો જાય તોખાર.

(સુરતા, પૃ. ૨૧)