ગુજરાતી ગઝલસંપદા/ ‘અંજુમ’ વાલોડી

From Ekatra Foundation
Jump to navigation Jump to search


‘અંજુમ’ વાલોડી

જોઈ લઉં છું સ્વપ્નને સાકાર ભીંત પર;
હો એટલો તો મારો અખત્યાર ભીંત પર.

ખાલી કરી ગયા છે વસાહત કરોળિયા,
જાળાની રહી ગઈ છે ફક્ત હાર ભીંત પર.

હળવે રહીને મૂકજો ચિત્રો ભવિષ્યનાં.
વીતી ગયેલ કાળનો છે ભાર ભીંત પર.

માન્યું હતું. પ્રલયમાં સહારો તો જોઈશે,
દોરી’તી એટલે તો મેં પતવાર ભીંત પર.

વસવાટ આપણો છે અહીં એક છત નીચે,
છે તોય કેમ દ્વેષની તલવાર ભીંત પર?

જેને મળી શક્યું નહીં કોઈ સ્થાન પત્રમાં,
જોવા મળે છે એવા સમાચાર ભીંત પર.