ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/ચરિત્રસાહિત્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૭. ચરિત્રસાહિત્ય
૧. શીર્ષક : ગુજરાતીમાં ગાંધીજી વિષયક ચરિત્રગ્રંથો
સંશોધક : અશોકકુમાર એસ. પટેલ
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૬

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. ગાંધીજીનાં જીવન-કાર્યને આલેખતા ગુજરાતી ચરિત્રગ્રંથોનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં જીવનચરિત્રનું સ્વરૂપ, તેનાં લક્ષણોનો પરિચય રજૂ કર્યો છે. ત્યાર બાદ ગાંધીજીનાં જીવન-કાર્યને નિરૂપતાં જે ચરિત્રગ્રંથો લખાયા છે તેમાં પ્રગટ થતા ગાંધીજીનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનો પરિચય રજૂ કર્યો છે. બધાં જ ચરિત્રપુસ્તકોનો સંક્ષેપમાં પરિચય આપ્યો છે. જેમાં ‘યુગાવતાર ગાંધી’ (રામનારાયણ ના. પાઠક-૧૯૩૬)થી માંડી ‘ગાંધીજી’ (ચી.ના. પટેલ-૧૯૭૯) સુધીમાં કુલ ૫૫ જેટલાં ગાંધીચરિત્ર પુસ્તકોનો પરિચય રજૂ કર્યો છે. અંતે પરિશિષ્ટ તથા સંદર્ભસૂચિ આપી છે.

૨. શીર્ષક : ઈ.સ. ૧૯૯૧ થી ૧૯૯૮ સુધીનાં પ્રતિનિધિ જીવનચરિત્રો
સંશોધક : અશોકકુમાર એમ. પટેલ
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૧૯૯૯

ટૂંકસાર :

આ શોધનિબંધ કુલ ત્રણ પ્રકરણોમાં તૈયાર થયો છે. પહેલાં પ્રકરણમાં જીવનચરિત્ર વિશેની વિવિધ વ્યાખ્યાઓ અને લાક્ષણિકતાઓ દર્શાવાઈ છે. આ ઉપરાંત અહીં જીવનચરિત્ર વિશેના પાશ્ચાત્ય અને ગુજરાતી વિદ્વાનોનાં મંતવ્યો રજૂ કરીને તેને વિશે વિચારણા કરવામાં આવી છે. બીજાં પ્રકરણમાં ગુજરાતી જીવનચરિત્ર લેખનના આરંભથી નવમા દાયકા સુધીની વિકાસરેખાનું વિહંગાવલોકન રજૂ થયું છે. આ વિહંગાવલોકનને સમયખંડમાં વર્ગીકૃત કરીને રજૂ કરાયું છે. ઉપરાંત મહત્ત્વનાં, મધ્યમકક્ષાનાં અને ગૌણકક્ષાનાં એ પ્રકારે પણ જીવનચરિત્રોને વર્ગીકૃત કરાયાં છે. ત્રીજાં પ્રકરણમાં છ મહત્ત્વનાં જીવનચરિત્રો - ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’, ‘બક્ષી : એક જીવની’, ‘સ્વામી વિવેકાનંદ’, ‘જે. કૃષ્ણમૂર્તિ’, ‘જીવનસાધકની વિમલયાત્રા’ તથા ‘બરફમાં જવાળામુખી’ વિશે સઘન અને વિસ્તૃત અભ્યાસ રજૂ થયો છે. અંતે સંદર્ભસૂચિ અપાઈ છે.

૩. શીર્ષક : ચરિત્રલેખક મનસુખ સલ્લા : એક અધ્યયન
સંશોધક : નીતિન જે. ગામીત
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ૨૦૦૯

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ મનસુખ સલ્લાનાં ચરિત્રસાહિત્યને ધ્યાનમાં રાખીને અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૧માં મનસુખ સલ્લાનાં જીવન, ઘડતર, અભ્યાસ અને સાહિત્યસર્જનની વાત કરીને સાહિત્યકાર અને વ્યક્તિ તરીકેની એમની સ્પષ્ટ તાસીરને ઉપસાવી આપી છે. પ્રકરણ-૨માં નિબંધના સંજ્ઞા, સ્વરૂપ અને પ્રકાર વિશે વિચારણા થઈ છે. નિબંધની વ્યાખ્યા, નિબંધની શરૂઆત ક્યારે થઈ, ગુજરાતી સાહિત્યમાં ‘નિબંધ’ સંજ્ઞા કેવી રીતે પ્રચલિત થઈ, નિબંધ સ્વરૂપ અને તેનાં વ્યાવર્તક લક્ષણો તેમજ ગુજરાતી અને હિન્દીમાં નિબંધનાં પ્રકારોનો ખ્યાલ અહીં અપાયો છે. પ્રકરણ-૩માં ગુજરાતી નિબંધની શરૂઆતથી લઈને ઈ.સ. ૨૦૦૭ સુધીના ગુજરાતી ચરિત્રાત્મક નિબંધની વિકાસરેખા રજૂ થઈ છે. પ્રકરણ-૪માં ચરિત્રલેખક તરીકે મનસુખ સલ્લાનાં ત્રણ પુસ્તકોની વિસ્તૃત ચર્ચા કરી છે. સૌ પ્રથમ ‘જીવતર નામે અજવાળું’ (રેખાચિત્રો)માં શિક્ષણવિદ્, સમાજસેવક, સામાન્ય માનવી અને આત્મીયજનો - એવા વિભાગ પાડીને ચર્ચા કરી છે. બીજાં પુસ્તક ‘અનુભવની એરણ પર’ (અનુભવકથા)માં મનસુખ સલ્લાનાં શિક્ષકજીવનના અનુભવો છે. ત્રીજું પુસ્તક ‘ધરતીપુત્ર’ (શ્રી લલ્લુભાઈ પટેલનું જીવનચરિત્ર) છે. આ પુસ્તકમાં પ્રકરણની ગૂંથણી, ભાષાશૈલી, ઉદ્દેશ, વિશિષ્ટતા અને મર્યાદા જેવા મુદ્દાઓની ચર્ચા કરી છે. પ્રકરણ-પમાં મનસુખ સલ્લાની સિદ્ધિ અને મર્યાદાઓ તારવી છે. જેમાં મુખ્યત્વે જીવનચરિત્ર, રેખાચિત્રો, અનુભવકથાને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરી છે. સાથે લેખક તરીકે મનસુખ સલ્લાનો જીવન તરફનો અભિગમ અને મૂલ્યનિષ્ઠા કેવાં છે, તેની પણ ચર્ચા કરી છે. તેમનાં સાહિત્યની ભાષાશૈલીની વિશિષ્ટતા અંગેની ચર્ચા પણ થઈ છે. અંતે ત્રણ પરિશિષ્ટમાં ‘સંદર્ભગ્રંથ સૂચિ’, ‘સંદર્ભલેખ સૂચિ’ તેમજ સર્જક સાથે પત્ર દ્વારા થયેલી પ્રશ્નોત્તરી અપાઈ છે.