ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/નટવરલાલ રણછોડદાસ શાહ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


નટવરલાલ રણછોડદાસ શાહ

બી. એ; એસ. ટી. સી.

એઓ જંબુસર(જી. ભરૂચ)ના વતની, જ્ઞાતે દશા પોરવાડ વૈષ્ણવ વણિક છે. એમનો જન્મ સન ૧૮૯૪માં જંબુસરમાં થયો હતો. એમના પિતાનું નામ રણછોડદાસ દામોદરદાસ શાહ અને માતુશ્રીનું નામ સુવર્ણાબ્હેન હરગોવિંદ નાણાવટી છે. એમનું લગ્ન જંબુસરમાં સન ૧૯૨૩માં શ્રીમતી કુસુમગૌરી સાથે થયું હતું.

પ્રાથમિક કેળવણી એમણે જંબુસરમાં લીધી હતી; અને માધ્યમિક અને ઉંચી વડોદરામાં; તે દરમિયાન એમને સ્કોલરશીપ પણ મળેલી, તેમ કૉલેજ જીવનની પ્રવૃત્તિમાં આગળ પડતો ભાગ લેતા. ગુજરાતી ડીબેટીંગ સોસાઇટીના તેઓ પ્રથમ સેક્રેટરી હતા.

હાલમાં તેઓ G. A. V. High School રંગુનમાં એસિ. હેડમાસ્તર છે. કાવ્ય, નાટક, સાહિત્ય એમના પ્રિય અને અભ્યાસના વિષયો છે. નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ નડિયાદમાં મળેલી તેમાં એમણે મીરાંબાઈનો કાળનિર્ણય એ વિષય પર મનનીય નિબંધ રજુ કર્યો હતો; ગુજરાતી માસિકોમાં પણ તેઓ વખતોવખત લેખો લખી મોકલે છે.

: : એમની કૃતિઓ : :

(૧) કવિશ્રી બાણભટ્ટકૃત હર્ષચરિત્રનો ગુ. અનુવાદ ૧૯૨૦
(૨) કવિશ્રી કાળીદાસકૃત પુષ્પબાણ વિલાસનો “ ૧૯૨૧
(૩) ભક્તશ્રી જયદેવકૃત ગીતગોવિંદનો “ ૧૯૨૫
(૪) કવિરાજ ધોળીકૃત પવનદૂતનો “ ૧૯૩૧