છંદોલય ૧૯૪૯/નયન અંધ
Jump to navigation
Jump to search
હાય રે, નયન અંધ!
પાંપણની પેલી પારથી કોણે દ્વાર કીધાં છે બંધ?
અંતરના અંકાશને જોવી
બ્હારની રંગીન કાય,
નેનતારાના તેજથી લ્હોવી
તિમિરની ઘન છાંય;
ત્યારે કાજળઘેરાં વાદળ પૂંઠે મૂગો તારકછંદ!
કોણે રે મારે પોપચે બાંધ્યો
રંગ-પ્રકાશનો પ્રાણ?
નિજથી નિજનો સંગ લાધ્યો
તે રહી ન બ્હારની જાણ;
જાણે શતદલોની પાંખડીઓના બંધમાં ઝૂરે ગંધ!
હાય રે, નયન અંધ!
૧૯૪૮