દરિયાપારથી.../નિઃશબ્દતાનું ગીત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
નિઃશબ્દતાનું ગીત

એકવીસમી સદીનાં વર્ષોમાં આ દુનિયા હવે આધુનિકથી યે વધારે આધુનિક, અને સમકાલીનથી યે વધુ સમકાલીન થઈ ગણાય. હવે દુનિયાના અબજો લોકોની નજર આગળ ને વધુ આગળ જોતી રહે છે, અને ધ્યાન નવીન ને વધુ નવીન પ્રતિ ખેંચાતું રહે છે. વધારે ને વધારે વૈદ્યુત્તિક સાધનો વાપરવાના વિચારે લોકો ઉત્સાહત થતા રહે છે. સાથે જ, કૃત્રિમ રીતે, તથા દબાણપૂર્વક, ઊભી કરાયેલી જરૂરિયાતને લીધે અજંપો અને તનાવ અનુભવતા રહે છે. વધારે ને વધારે વસ્તુઓ જોઈએ છે, વળી એ બધી વધારે ને વધારે ઝડપી હોવી જોઈએ. આનાથી સમય બચે છે તેવું નથી હોતું, બલ્કે સમય વધુ ખર્ચાઈ જતો હોય છે. જોકે સમય બચે તોયે કરવાનું શું? મોટા ભાગના મનુષ્યો ફાજલ સમયથી ગભરાતા હોય છે. જિંદગીનું સૌથી મહામૂલું જે તત્ત્વ છે – સમય – તેને વેડફતાં બહુ જણાં અચકાતાં નથી હોતાં. બલ્કે, નક્કામી ઘણીયે પ્રવૃત્તિઓ માટે “સમયના હનન માટે (’time killing’) માટે સારી છે”, જેવા શબ્દો વપરાતા હોય છે. આજની દુનિયા એક બાજુ નવી નવી તેકનીકી સુવિધાઓને કારણે વધારે રસપ્રદ અને કાર્યકુશળ બની છે, પણ આ જ સુવિધાઓના અતિરેકને કારણે એ અસહ્ય એવા ભારરૂપ પણ બની છે. અનતિદૂરના એક કાળે લોકો એકબીજાને યાદ કરતા ત્યારે બેસીને, કાગળ-પેન લઈને, લાગણીપૂર્વક પત્ર લખતા, માનવીય સંબંધોની કદર કરતા. પછી ફોન સહેલા બન્યા ત્યારે સંપર્ક સામાન્ય તેમજ ટૂંકો પણ બનવા માંડ્યો. ઈ-મેલ જેવી અપૂર્વ યુક્તિ હાથવગી થઈ, પણ હવે જોવા મળે છે કે એનો પણ લોકોને કંટાળો આવવા માંડ્યો છે. હવે તો શૉર્ટ ઍન્ડ ક્વીક ટૅક્સ્ટ જ ચાલે. આપણી પાસે જાણકારી ઘણી વધી ગઈ છે, પણ કોઈની પાસે જાણે ખાસ કશું કહેવાનું નથી રહ્યું. ગાંડી ઝડપ અને કાતિલ હરીફાઈના આ જમાનામાં લોકો ડેડલાઈન પૂરી કરવા જીવે છે, ને લાઈફલાઈનની ઉપેક્શા કરે છે. આજના જીવનને વધારે કાર્યકુશળ અને પ્રસન્નતર બનાવવા માટેનાં જે બધાં સાધનો પ્રાપ્ય છે તેમના યોગ્ય વપરાશને માટે માનસિક તૈયારી અને બૌદ્ધિક સમજણ હોવી જરૂરી છે. હવે જાણે કોઈનામાં, કશાયને માટે, ધૈર્ય નથી, ને ધ્યાન પણ નથી. વિખ્યાત અંગ્રેજ કવિ ટી. એસ. એલિયટના એક કાવ્યની પંક્તિ છે – “મેં મારા જીવને કહ્યું, સ્થિર થા.” મનને અને હૃદયને થંભાવી દેવા માટેની સભાનતાની આ વાત છે. વધારે ને વધારે નહીં, પણ આ જ, આટલું જ – એવી કશી સભાનતા. આવું કશું વિચારવાની જરૂર છે. જે અત્યાધુનિકતા એક ગેરફાયદો પણ થઈ શકે છે તેનાથી બચવા માટેનો એક ઉપાય તે જરા અટકી જવું. સ્પષ્ટ છે કે આ ક્રિયાઓ શારીરિક રીતે કરવાની નથી, પણ મન ને મગજ દ્વારા કરવાની છે. દુનિયામાં ઘણા લોકો છે કે જે તકનીકી સંપર્ક અને સુવિધાનાં સાધનોના લાવ-લશ્કરથી બચવા ભાગી છૂટે છે – દૂર પર્વતોમાં કે નિર્જન સાગર-કિનારા પાસેની મોંઘી હોટેલોમાં જતા રહે છે જ્યાં આવાં કોઈ સાધન ના હોય, અરે, જ્યાં ટેલિફોન પણ ના હોય.તો શું, પોતાના ઘરમાં આવાં સાધનો વાપર્યા વગર રહેવાનું મનોબળ નહીં હોય એમનાંમાં? પણ કહે છે કે આ ‘ફેશનેબલ પ્રવાસ’નો પ્રકાર છે, ને સમાજનો એક વર્ગ આધુનિક, તકનીકી સાધનોના અભાવની લાલસાથી જ વિયુક્ત સ્થાનોએ જવા ઈચ્છવાનો, અને બહુ-સહસ્ર ડૉલર ખર્ચવા પણ તૈયાર હોવાનો. જો શાંતતા, સ્તબ્ધતા, રિક્તતાની આટલી બધી ખોટ હોય, તો તે પૂરવા માટે સહેલા, અને અ-મૂલ્ય એવા ઉપાયો શક્ય અવશ્ય છે. તકનીકી યંત્રોનો વપરાશ ઓછો કરવો, કે કોઈ કોઈ દિવસે સાવ નાબૂદ કરવો – તે તો સહેલા ઉપાય છે. પણ મારે મહિમા કરવો છે પ્રત્યેક એવી ક્શણોનો જેમની આંતરિક નિઃશબ્દતા જીવનને આવરી લેવા, આનંદિત કરવા તત્પર હોય છે. કારણ એ કે ક્શણોનું પોતાનું વૈશિષ્ટ્ય હોય છે. અવાજ-ઘોંઘાટની વચમાં એ ચુપકીદીનો અનુભવ કરાવી શકે છે. અને એકાંતમાં એ ચુપકીદીનું ગાન સાંભળી શકાય છે. બસ, આને માટે આપણે મનથી તૈયાર રહેવાનું, તે જ. રવીન્દ્રનાથ એક મધુર ગીતમાં કહે છે, જો મનુષ્યના મનમાં પ્રેમ-ભાવ નહતો મૂકવો તો પછી પ્રભાતના આકાશને આમ ગાને ગાને ભરી દીધું કેમ? અને પછી મહાકવિ ઈશ્વરને વહાલભરી ફરિયાદ કરે છે, કે તો પછી આટલું સૌંદર્ય સર્જ્યું શા માટે? પણ જેણે નભમાં તેમજ ધરા પર સૌંદર્ય સર્જ્યું છે તેણે એ માણવાની આવડત પણ દરેકના મનમાં મૂકી જ છે. વાંક માણસનો જ છે, કે જે મહત્ત્વનું અને અર્થપૂર્ણ છે તેને જ માણસ ત્યજતો હોય છે. જો ચિત્તને ચિંતામુક્ત અને ગતિસ્તબ્ધ કરીએ તો ક્શણે ક્શણ લયાન્વિત થઈને પ્રકટી ઊઠશે. એમ જ લાગશે કે મારે માટે જ ખીલ્યું છે દરેક ફૂલ , ને રચાયું છે મેઘધનુષ, ને ફરફરે છે પવન, ને વહી જાય છે ઝરણ. દિવસે તો સૂર્યસિક્ત હર્ષ છે જ, પણ રાતે જાગી જવું મને બહુ ગમે. ત્યારે અસાધારણ એકાંત તો હોય જ, પણ ત્યારે રાત્રિ ગાતી સંભળાય. ગાંધીજી-એ ‘આત્માનું સંગીત’ જેવો શબ્દ-પ્રયોગ કરેલો છે. ઉમાશંકર જોષીએ લખ્યું છે તે પ્રમાણે, “છેલ્લો શબ્દ મૌનને કહેવાનો હોય છે.” એકવીસમી સદીની સર્વે ત્રૂટિઓ તેમજ સર્વે ઉપહારોને અતિક્રમીને શાશ્વત ભાવે જે મેળવવું શક્ય છે તે છે મનના ઊંડાણ સુધી પહોંચતું સુખ. એક એવા પ્રકારનો આનંદ કે જે કશા ઉપકરણ પર આધાર રાખતો નથી.