મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૯.શ્રીધર વણિક-ગૌરીચરિત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯.શ્રીધર વણિક-ગૌરીચરિત્ર

શ્રીધર (વણિક) (૧૬મી સદી) આ કવિએ લખેલી રાવણ-મંદોદરી-સંવાદ તથા ગૌરીચરિત્ર સુંદર કૃતિઓ છે. ગૌરીચરિત્ર -માંથી

શિવ–ભીલડીનો સંવાદ

પેખતાં હરજી હરખ પામ્યા, ભાવ લાગ્યો ભામિની;
દિલે અતિશય અનંગ વ્યાપ્યો, મુખકમલ દીઠું કામિની.
મન કામિની – અભિલાષ લાગ્યો, સાદે તેડી સુંદરી;
‘કવણ કારણ કહે મુજને, એકલી વન કિંનરી?
કિંનરી! મંદિર ક્યહાં તારું, ક્યહાં વસો વનગહ્વરે?
સાસરે પિયરે સાખ શી, તારો કંથ કામ કશું કરે?
શું કરે અંતરિયાળ ઊભી, નારી નવયૌવનભરી;’
મહાદેવને મન મોહ લાગ્યો, રૂપ દીઠે ભીલડી.
પૂછંતી એ પુલંદરી, મદ ને મત્સરે ભરી;
ઉત્તર આપ્યો હરને મરકલે એ.
મરકલે હરશું હસી, ‘સ્વામી તમો કહીએ તપશી;
પરાઈ કથની એવડી તે કાં કરો એ?
કથની પરાઈ કાં કરો, તમો બ્રહ્મચારી વન વસો’

શિવ: ‘પરનાર દેખી શાણપ હરું, જોઉં કાંક ભાવ કરી હસો.’

હર હસે, હરશું હસી બોલે, ચક્ષુપાલ કરે ઘણી;
શીધરા સ્વામી દેવ સાંભળ, કહું કથાવત અમતણી.

ભીલડી:‘અમતણી જાત કુજાત કોળી, ભીલ ભરથારે વરી;

છ માસ થયા છાંડી ગયા, તે નાથ જોવા નીસરી.
નીસરી પણ માર્ગ ભૂલી, આ લવું આ રતિ કરી;
માર્ગ મારો કહો જોગી,’ પૂછે નારી પુલંદરી.

શિવ: બોલીઆ લીલવિલાસ, છાંડી ગયા છ માસ;

તેની રે આશા તે ભીલી કાં કરો એ?
આશા તેહની પરહરી, તું આવની રે અમારે ઘરી;
પાઠવું પીયેર ભલી પેર કરીએ.
પાઠવું પીયેર પેર કરી, તું હા ભણે જો હેલડી.
માય બાપ બાંધવ બેહેન માંહે, ભલી ભવાડું ભીલડી.
ભીલડી, રે ભરથાર પાખે, નારી સદા નિરુપરી;
અનેક જન અપવાદ બોલે, એકલી કાં નીસરી?
પરવરો તો સહુ પાય લાગે, નમે સહુ સોહામણી;
પતિ જમલી પૂજાયે, તું સદા સાસરવાસણી.
વાણી વિશ્વાધાર બોલે, નારી, જો તું કહ્યું કરે;
સંન્યાસ છાંડું, ગેહ માંડું,’ લીલ-વિલાસી ઊચરે.

પાર્વતી: ‘મદ્યમાંસાહારો હું છું નારી, બ્રહ્મચારી ક્યમ વરે?

લોભે વાહ્યો મ બોલ જોગી, ગઈ તારી સૂધ રે.
પરવરું તુજશું ભસ્મ ચોળું, જોગવું જોગણ થઈ.
માબાપ બાંધવ બેન મારી, હસાવી સઘળી સહી.
સહિયર સઘળી હસે મુજને, પચારે પ્રમદા વળી,
ખાખી સંગે કેમ રહીએ? જન્મારો જાયે બળી.’

શંકર:‘સાંભળ રે અમારું નામ, ગામ કૈલાસ કેરો ધણી;

ધણીઆણી રે તું ઘરનાર, ઘરુણી થા તું શંકરતણી.’

પાર્વતી: ‘શંકરની ઘરુણી ક્યમ થાઉં, અબળા આગે બેય છે;

દિન પાંચ પૂઠે તું પરવરે, તવ ભીલમન ભાજે પછે.
ભાજે મન ભરથાર કેરું, પડે પિયરની દશા;
શિવતણે ઘેર સાંભળી જે, કલત્ર છે બે કર્કશા.
કર્કશા કોપે, લાજ લોપે, તવ ન માને તુજને;
ચડવડી આવે શૌક્ય બે, તવ મળી મારે મુજને.
મુજને અહર્નિશ દીસે દોહેલું, શૌક્ય સંતાપે વડી;
બે નારી હેઠળ દાસ ક્યમ હોઉં, કહે ભવાની ભીલડી.

શંકર:‘ગંગાની સંગત નવ કરૂં, મેં ભાવે છાંડી ભગવતી;

(ત્રિપુરારિ કહે) તુજને ન મૂકું, પરહરી વળી પાર્વતી.
પારવતીને પિયર મૂકું, કાં તો કરાવું સેવના;
જાહ્નવી જમલાં ચર્ણુ વંદે, નમે બહુ દેવાંગના.
પારવતીને પિયર મૂકું, કાં તો કરાવું સેવના;
જાહ્નવી જમલાં ચર્ણુ વંદે, નમે બહુ દેવાંગના.
શંૃગાર તણો વિહાર કીધો, અચલતનયા ઓળખી.
ઓળખી તવ અમર હસીયા, કલત્ર કરે પચારણું;
આકાશમાર્ગે ઈશ હસીયા, શિવ લાજ્યા અતિઘણું.
અતિઘણો કોપે કંદર્પ શાપ્યો, અનંગ વિના હશે કશું;
જો ચૂકવ્યો કૈલાસવાસી તો, અવર પુરુષ કહીએ કશું?
અવર પુરુષ કહીએ કશું, માયે જોગી હર ઘર આણીયો;
તે દેવીનાં હું ચરણ પૂજાું, જેણે મુનિવર માણીયો.