મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૬૪.પદ્મવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૪.પદ્મવિજય

પદ્મવિજય(૧૮મી સદી)
વિવિધ સ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર આ કવિ વિદ્વાન હતા ને આમવર્ગમાં લોકપ્રિય પણ હતા

સમરાદિત્ય રાસ-માંથી

વસંતવર્ણન
કઠડારા આયા ગુરુજી પ્રાહુણા - એ દેશી
આઈ વસંત ઋતુ અન્યદા, વનસિરી અદિ વિસંત,
મારા સાજન વાલ્હા, ચાલો વસંત જોવા જાઈયે,
આંબે મંજરીઓ ભઈ, અતિમુક્તક ઉલ્લસંત,          મારા૦          ૧‘’

તિલકદિફલ્યાં ઘણું, મલયાચલ વાયા વા, મા.મા૦
ભ્રમર ગુંજારવ કરી રહ્યા, કોકિલ શબ્દ સુણાય.          મા૦          ૨

મદન પીડે બાલ વૃદ્ધને, વિકસિત કમલિણી થાય. મા૦
કાનન સેવે બહુજના, વિરહ ન દંપતી ખમાય.          મા૦          ૩

નગર મહર્દિક આવીઆ, ઈણ સમે ભૂપતિ પાસ, મા૦
વિનવે ઈણી પરે રાયને, પૂરી અમારી આશ.          મા૦          ૪

"નિત્ય ઉચ્છવ છે યદ્યપિ, તો પણઆજ વિશેષ, મા૦
ઓચ્છવ ઉપરે હોયશે, ઓચ્છવ જનને અશેષ.          મા૦          ૫

પાઉધારી તિણે રાજીયા," તવ ચિંતે મહારાય. મા૦
મોકલું સમરદિત્યને, દેખે વિચિત્ર સમવાય.          મા૦          ૬

તો સમીહિત અમ નીપજે, ઉપજે કામવિકાર. મા૦
એમ વિચારી તેહને, ભાખે સુખે પરકાર.          મા૦          ૭

"ઓચ્છવ બહુ દેખાવીઆ, હું લહ્યો પરમાણંદ, મા૦
હવે દેખાવો કુમરને, તુમયો એહ નરીંદ."           મા૦          ૮

કહે મહર્દ્ધિક-રાયને, "કીધો અમ સુપસાય," મા૦
ઈમ કહી તે નિજ ઘર ગયા, તેડાવે કુમરને રાય.          મા૦          ૯

"વત્સ! સ્થિતિ એ આપણી, મધુઓચ્છવ થાયે આજ. મા૦
જોવા જાયે નરપતિ," એમ ભાખે મહારાજ.          મા૦          ૧૦

"એ મારગ તુમે આચરો, મેં જોયું બહુ વાર, મા૦
હર્ષ થશે પ્રજા લોકને, તિમ સ્વજન પરિવાર."          મા૦          ૧૧