માણસાઈના દીવા/૧. કાળજું બળે છે

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૧. કાળજું બળે છે


આગલાં પાનાંમાં જે લખ્યું છે તે તો મહારાજના શ્રીમુખેથી સાંભળ્યું તે પરથી આલેખ્યું. માનવપાત્રો અમુક પ્રકારના કલ્પી લીધાં. એ ભોમકા, એ ગામડાં, એ ખેતરાં, નહેરાં ને કોતરો, પણ કલ્પનાસૃષ્ટિમાંથી ઉતાર્યા. ‘અવાસ્તવિક તો નહિ હોય?’: શંકા પડી. એ ધરતી અને ધરતીના સંતાન નજરે નિહાળવાં જ જોઈએ. એ મહીકાંઠો કદી ભાળ્યો નહોતો. મહારાજને વીનવ્યા કે, એ પ્રદેશ દેખાડો. એમણે નોતરું દીધું. હું અને ‘ભારતી સાહિત્ય સંઘ’ના સંચાલક શ્રી ઈશ્વરલાલ દવે મહારાજની સાથે ચાલ્યા. પહેલો મુકામ બોચાસણ પડ્યો.