વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/G
Jump to navigation
Jump to search
G
Gaps (Blanks) અવકાશો વાચક અને વાચનની પ્રક્રિયામાં રસ ધરાવતા વૂલ્ફગેંગ ઈસરે વાચનના કાર્યને સમજાવતા અને સૌંદર્યનિષ્ઠ પ્રતિભાવના સિદ્ધાંતના સંદર્ભમાં બતાવ્યું છે કે વાચક કૃતિ વાંચતો જાય અને કૃતિ ઉકેલાતી આવે તેમ તેમ કૃતિના પ્રત્યક્ષ સંદર્ભમાં એ ફરી ફરીને અનુકૂલન સાધ્યા કરતો હોય છે, અને સાથે સાથે કૃતિમાં વચ્ચે વચ્ચે આવતા અવકાશોનું મૂર્તકરણ કર્યા કરતો હોય છે.
Gay Criticism સજાતીય વિવેચન અનુઆધુનિકતાવાદી યુગમાં સાહિત્યસિદ્ધાંત જીવનની વધુ નજીક આવ્યો છે. સ્પષ્ટ છે કે જાતિભેદ સામાજિક સંજ્ઞા છે. વર્તમાનના જાતિભેદ આધારિત સાહિત્યઅભ્યાસમાં પુરુષોને સંડોવવામાં આવ્યા છે. અને એમનો બે પ્રકારનો અભિગમ છે : નારીવાદી ધ્યેયને અનુમોદન આપતું લેખન અને સજાતીય પુરુષના મુક્તિ આંદોલનનું લેખન. આમાંથી આજે સજાતીય વિવેચન વિકસી રહ્યુ છે. સ્ત્રીપુરુષના સંબંધોનાં ભાગ રૂપે જ લૈંગિકતાનું નિરૂપણ એ વાસ્તવિકતાથી દૂરનું નિરૂપણ છે. સજાતીય વિવેચન સાહિત્યકૃતિઓમાં રહેલી પુરુષ પુરુષ વચ્ચેના સંબંધની ‘ચૂપ જગ્યાઓ’ને બોલતી કરે છે; એનું મીંઢાપણું તોડે છે.
Geneology વંશવૃત્ત નિત્શે સાથે સંકળાયેલી, આ સંજ્ઞા ઘટનાના મૂળ પર પહોંચવાનો શોધમાર્ગ સૂચવે છે. નિત્શેએ નીતિ અંગેના વંશવૃત્તને પ્રગટ કર્યું, તો નિત્શેને અનુસરીને મિશેલ ફૂકોએ અપરાધ સાથે પશ્ચિમની સમાજે કેવી રીતે કામ પાડ્યું છે એના વંશવૃત્તને પ્રગટ કર્યું છે.
Genetic Structuralism ઉત્પત્તિમૂલક સંરચનાવાદ આ વાદના પ્રવર્તક લૂસ્યિન ગોલ્ડમાને જ્યોર્જ લૂકાચની પૂર્વકાલીન કૃતિઓના મુખ્ય વિચારોને આધારે સમાજશાસ્ત્રીય વિશ્લેષણની એક સુસંગત પદ્ધતિ વિકસાવીને તેને ‘ઉત્પત્તિમૂલક સંરચનાવાદ’ તરીકે ઓળખાવી છે. આ વાદનો આધારભૂત સંપ્રત્યય સમગ્રતાનો છે. ગોલ્ડમાન ચેતનાની સમગ્રતાને એક સામાજિક વર્ગની વિશ્વદૃષ્ટિના રૂપમાં નિરૂપે છે. એનું માનવું છે કે કોઈ પણ સાહિત્યિક કૃતિ એક ચોક્કસ સામાજિક વર્ગની વિશ્વદૃષ્ટિના સંદર્ભમાં જ પૂરી રીતે સમજી શકાય છે. આથી વિરુદ્ધપણે કોઈ કૃતિને તેના સર્જકની જીવનદૃષ્ટિના પ્રકાશમાં જોવાનો પ્રયાસ માત્ર ખંડદર્શન જ બની રહે છે. અલબત્ત ગોલ્ડમાનના ઉત્પત્તિમૂલક સંરચનાવાદમાં સાહિત્યના સૌથી આધારભૂત તત્ત્વ ભાષાના સંરચનાત્મક વિશ્લેેષણની સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે.
Genre Types પ્રકાર સ્વરૂપો જુઓ, Three level theory of literary genres
Geometric Art ભૌમિતિક કલા લંબચોરસ, વર્તુળો અને અન્ય ભૌમિતિકતાને અખત્યાર કરતું ચિત્રકલા અને શિલ્પનું સ્વરૂપ.
Graveyard poetry ઘોરકવિતા સ્મશાનની પૃષ્ઠભૂમિમાં માનવજીવનની ક્ષણભંગુરતા અને સારહીનતા અભિવ્યક્ત થતી હોય એવી કવિતા. આ પ્રકારની કવિતા કરુણા, ભય, વિરક્તિ વગેરે ભાવો ઉત્પન્ન કરે છે. સ્મશાન કાવ્યને યુરોપની રંગદર્શિતાવાદી સાહિત્ય સાથે ગાઢ સંબંધ છે. ટોમસ ગ્રેની ‘એન એલિજી રીટન ઈન એ કન્ટ્રી ચર્ચયાર્ડ’ આ પ્રકારની જાણીતી રચના છે.