અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો/અંધારું વિરહવેરાન

Revision as of 07:17, 26 October 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અંધારું વિરહવેરાન\હરીન્દ્ર દવે

અંધારું લૂંટાયું ચેન…!
મણિલાલ દેસાઈ

અંધારું પીળું આકાશ નહીં બાલમા,

અંધકારનો મહિમા અનાદિકાળથી થતો આવ્યો છેઃ સૃષ્ટિમાં સૌ પ્રથમ અંધકાર હતોઃ એ પછી તેજ તો અંધકારના પરિણામ રૂપે જ આવ્યું. તેજનું પૂર્ણ રૂપ તો અંધકાર જ. એટલે જ સૂરજની વધુ નિકટ જનારની આંખો અંજાઈ જાય છે. એને અંધકાર જ દેખાય છે.

તેજ એટલે નરી આંખે દેખાય તે; અને આંખની શક્તિ મર્યાદિત છે. અંધકાર એટલે હૃદયથી અનુભવી શકાય તે; અને હૃદયની શક્તિ અપાર છે. તેજ વર્ણનીય છે, અંધકાર અવર્ણનીય છેઃ તેજ આવ્યું એથી અંધકાર વધારે ગહન બની ગયો.

તેજ એ કદાચ માંડૂક્યોપનિષદમાં વર્ણવાયેલ માયાનો હાથી છે જે પ્રતીતિ અને સમાચારથી હાથી એમ કહેવાય છે, વાસ્તવમાં નથી, તેજ વિશે જેટલી નિશ્ચિતતા પ્રવર્તે છે એટલી અંધકાર વિશે નથી હોતી.

એટલે કવિ અંધકાર માટે વિવિધ સંકેતો રચે છેઃ નથી નથીને રસ્તે છે ને પામે છેઃ અંધારું પીળું આકાશ નથી; એ તો મઝાનું રક્તવર્ણું ફૂલ છે. પીળું આકાશ—વળી બાવળનું ફૂલ બની જાય છેઃ અને ‘’લોલલાલ સુંવાળું ફૂલ’ ‘શમણાંની સુંવાળી શૂલ’ બની જાય છેઃ આંખોમાં તેજ ન આંજી શકાય — અંધકાર આંજી શકાયઃ પણ કવિ અભિવ્યક્તિને એથી યે વધારે સચોટ બનાવે છે. એને ઘૂમટામાં સાંતી શકાય, સંગોપી શકાય, કદાચ ઘૂમટામાં સાંતેલા અંધારાનું આ પ્રતિરૂપ ગુજરાતી કવિતાની સમૃદ્ધ અભિવ્યક્તિનું ઉદાહરણ છે.

આગળ જતાં કવિ એવું જ તાઝગીભર્યું પ્રતિરૂપ લઈ આવે છે. અંધારું કાળું ગુલાબ’—અંધકારની મહેકતી વાત પ્રજારામ પાસેથી સાંભળી હતી, પ્રહ્લાદે ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ કહી એ જ મહેકને કંઈક જુદા લહેકામાં ગાઈ હતીઃ અહીં અંધકારની મહેકની સાથે એનો આકાર પણ છેઃ અને આ આકારની સાથે જ એક અમૂર્ત કલ્પન આવે છેઃ ‘અંધારું આપેલો કોલ મારા બાલમા!’—ભવિષ્ય એટલે જ અંધકાર—‘કાલ’ મળશું એવો દિલાસો આપણે આપણી જાતને જ નહિ, કાળને પણ આપતા હોઈએ છીએઃ એટલે જ અપાયેલા કોલનું અનુસંધાન અંધકાર જોડે છે.

પણ અંધકારને તમે વર્ણથી ઓળખશો કે એની આંતરિક સંપત્તિથી? કોયલનાં ટોળાં જેવો ઘેરો ડિબાંગ અંધકાર તો સૌ કોઈ જોઈ શકે છે; સોનાના સુંવાળા સૂર જેવો અંધકાર કવિને જ સંભળાય છે. અંધકાર એટલે રાત્રે ક્ષિતિજ પર લય થતો જતો શ્વાનનો અવાજ નહીં પણ નીરવતાના ઊભરાતા અને ક્યારેક તો આપણા અસ્તિત્વને ભીંસી દેતા પ્રવાહો એ જ અંધકાર હોય છે!

આ અંધકારને તમે ભાંગી શકો છો—ઉમાશંકરે જ ક્યાંક કહ્યું છે ને

દીવો લઈ અંધકાર પ્રાસાદનો
શતખંડ કરતું આ કોણ ગયું?

અંધારું એટલે લીમડામાં થતો સૂસવાટો અથવા સુગરીના ચોખ્ખા માળામાં લટકતું શૂન્ય.

કવિ અંધકારની કેટકેટલી છબીઓ ઉપસાવે છે! પણ આખરે સમાપનમાં કહે છે. અંધકાર એટલે અજંપો; અંધકાર એટલે લૂંટાયેલું ચેન, કવિ ત્યાં સુધી જ કવિ રહે છે ત્યાં સુધી એને ચેન નથી પડતું. અજંપેની માધુરી પીનારાઓ જ કવિતાની કેડી પર સાબિત કદમ રહી શકે છેઃ

અંધારું આપણો આ સંગ નહીં,
અંધારું વિરહ — વેરાન.

(કવિ અને કવિતા)