ભરત વિંઝુડાની ગઝલસંપદા/હરકત નથી

Revision as of 02:49, 26 December 2025 by Meghdhanu (talk | contribs) (જોડણી)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૨
હરકત નથી

હણે એને હણવામાં હરકત નથી,
બીજી આવી હિંસક કહેવત નથી!

જનમ સત્ય છે ને મરણ સત્ય છે,
ને વચ્ચે જ કોઈ હકીકત નથી!

મને એક જણ સામે ફરિયાદ છે,
જગત સાથે કોઈ શિકાયત નથી!

પૂછો નહીં મને, કોઈ, શું થાય છે,
હવે તન નથી ને તબિયત નથી!

તમે કેમ પથ્થર થતા જાવ છો,
મહોબત છે, આ કંઈ ઇબાદત નથી!

હું હેરાન ને કાં પરેશાન છું,
ખરેખર કોઈની કનડગત નથી!

તરીને કિનારે પહોંચ્યા પછી,
કહે છે કે જળથી મહોબત નથી!

(લાલ લીલી જાંબલી.)