આચમની/૨૨

Revision as of 01:39, 18 March 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨૨

જ્ઞાન અને કર્મની જુગલબંદી જામે ત્યારે જીવનમાં કેવું ઓજસવંતુ અને મધુર સંગીત જાગે છે તેની વાત જ્ઞાનેશ્વરે કરી છે : ભીતરી જ્ઞાને ઉજાળિલા, બાહિર કર્મે ક્ષાળિલા. ભીતર જ્ઞાનથી ઉજ્જવળ અને બહાર કર્મથી નિર્મળ જીવનની ભાત જ જુદી છે. જ્ઞાન એ જાણે સૂર્ય-પ્રકાશિત માર્ગ છે અને કર્મ એ માર્ગ પર વધુ ને વધુ પ્રકાશ પામતાં પગલાં છે. પણ આવા પ્રકાશ માટે માણસે પોતાની ભીતરનાં પડ ભેદવાં જોઈએ. એ જાણે કૂવો ખોદવાનું, વાવ ગાળવાનું કે ‘બોરિંગ’ કરવા જેવું કાર્ય છે. ઘણીવાર જ્ઞાન માટે આ પુસ્તક કે તે પુસ્તક, અથવા આ મહાપુરુષ કે તે મહાપુરુષની શોધમાં માણસ ભટકે છે અને ખરું કામ કરવાનું રહી જાય છે. સ્વામી પૂર્ણાનંદ સરસ્વતીને બહાર ભટકવાથી એક અભણ માણસે ઉગારી લીધા હતા. એ પ્રસંગ અનુભવમાં ઉતારવા જેવો છે. સ્વામી પૂર્ણાનંદનું પૂર્વાશ્રમનું નામ પદ્મનાભ હતું. તે રેલ્વેમાં અમલદાર હતા. અત્યંત પ્રામાણિક, ‘કર્મે ક્ષાળિલા’ પુરુષ. તેમની જ્ઞાન-પિપાસા અતૂટ. ઘણાં શાસ્ત્રો વાંચ્યાં અને ઘણાં સંતજનો સેવ્યાં પણ ક્યાંય આત્માને સંતોષ ન થયો. તેમને એક વાડીમાં કામ કરતા અભણ આદમીએ ભીતરની વાટ ચીંધી. જેને શુદ્ધ ઉચ્ચાર કરતાં પણ ન આવડે તેણે પદ્મનાભનું જીવન સુધારી દીધું. તેણે કહ્યું : ‘હેં પદમનાભ, તારે કોઈને મળવું હોય તો ઈ રહેતો હોય ન્યાંકણે તારે જાવું જોયેં. તું જા ને ઈ તને મળે કે નોયે મળે. વળી ક્યાંક ગ્યો હોય તો તારે ધક્કો ખાવો પડે. પણ આ તો પદમનાભે પોતે પદમનાભને જ મળવાનું છે. તયેં પછી હડિયું શેનો કાઢે છે? બેહી જાને પલાંઠી વાળીને!’ પદ્મનાભને આ વેણ સોંસરવાં હૃદયમાં ઊતરી ગયાં. એ પેલા અભણ ભગત પાસે જ વાડીમાં રોકાઈ ગયા અને તે કહેતા કે તેમને પોતાના અંતઃકરણ અને આસપાસનાં ઝાડ, પાન ને હવાની લેરખીઓમાંથીયે ૐકારનો ધ્વનિ સંભળાય. આ ક્ષણભંગુર માટીના પિંડમાંથી તેમનો અક્ષર આત્મા બ્રહ્માંડમાં રમતો થઈ જતો. એ આનંદની તુલના કરી શકાય એમ નથી. આમ એક અભણ જ્ઞાનીએ પદ્મનાભને પૂર્ણાનંદ બનવામાં સહાય કરી.

***