આચમની/૪૩

Revision as of 02:29, 18 March 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૩

નર્મદાકાંઠાના માલસર ગામના સંત માધવદાસ યોગસિદ્ધ પુરુષ હતા. અધ્યાત્મના ઊંચા શિખર પર વિહરતા હોવા છતાં સામાન્ય જનનાં સુખ-દુઃખ જોઈ તેમનું હૃદય ગંગાની ધારાની જેમ વહેતું હતું. ભારતની પ્રાચીન મહત્તા અને અત્યારની કંગાલ હાલત જોઈ મૂળગામી પરિવર્તન માટે તેમનું મન ઝંખતું. એ સમયે સ્વાતંત્ર્યની લડત જોરશોરથી ચાલતી હતી. અંગ્રેજોની ચૂસણનીતિ જ આપણી દુર્દશાનું કારણ છે અને સ્વરાજ આવતાં આપણે નવું ભારત રચીશું એવાં સ્વપ્ન સેવતા દેશસેવકો તેમને મળતા. ભારતનું શોષણ કરતા અંગ્રેજોને હટાવવાનું મહારાજશ્રી સમર્થન કરતા, પણ સાથે સાથે પોતાનો અભિપ્રાય દર્શાવતાં તે કહેતા : ‘અંગ્રેજો દ્વારા થતા શોષણ વિષે એટલું જ કહી શકાય કે એ જાણે એક મોટા વનરાજ સિંહની પીઠ ઉપર આંતરક્લેશ અને કુસંપરૂપી ચાદું થયું છે, જેથી એ ચાંદા દ્વારા અંગ્રેજોરૂપી મક્ષિકાઓ ભારતવર્ષરૂપી સિંહના લોહીનું પાન કરી રહી છે. એ મક્ષિકાઓ ઘણા કાળથી લોહી પી પીને ધરાઈ રહી છે. એ ધરાયેલી મક્ષિકાઓને બદલે ભૂખી મક્ષિકાઓને આમંત્રણ આપશો અને પેધી પાડશો તો એ ભૂખી મક્ષિકાઓ લોહીનું વધારે ચૂસણ કરશે. માટે એ પ્રમાણે કરવું એ ખરો ઉપાય નથી. ખરો ઉપાય તો કુસંગરૂપી ચાંદાને રૂઝવવાનો છે. એ ચાંદું તો સંગઠિત હિન્દી પ્રજાના ઐક્યની સિદ્ધિરૂપી મલમથી જ રુઝાય. એ ચાંદુ જેવું રૂઝ્યું કે ભારતવર્ષરૂપી સિંહ પુનઃ બળવાન બની આપોઆપ સ્વતંત્રતા પ્રાપ્ત કરશે અને ચાંદું રુઝાતાં તેનું લોહી પીવાની કોઈને તક મળશે નહીં.’ આપણે સ્વતંત્રતા મેળવી પણ અંદરોઅંદરના કુસંપ અને વેરઝેરને લીધે કેટલું સહન કરવું પડ્યું એ સહુ કોઈ જાણે છે. ભારતના ભાગલા પછી પણ એ ચાંદું રુઝાયું નથી બલ્કે વધું વકર્યું છે અને લોહી પીતી માખીઓના ઝૂંડ જામ્યાં છે. ઘણીવાર મનમાં પ્રશ્ન સળગી ઊઠે છે : આ ભારત જેવો મહાબળવાન વનરાજ બહારનાં આક્રમણોથી તો મરે એવો નથી. તે શું ઘરની લોહી પીતી માખીઓથી જ મરશે?

***