અમે સાતારામાં હતા. એક દિવસ એક ગાડી બારણે આવીને ઊભી રહી. તેમાંથી એક બાઈ, મજાનું ટપકાંટપકાંવાળું ગવન પહેરેલી, નીચે ઊતરી. એની પાસે સામાન પણ ખૂબ હતો. મેં બૂમ પાડી કહ્યું, ‘આઈ, કોક ઘરમાં આવ્યું છે.’ મારી અપેક્ષા હતી કે, આઈ અંદરથી આવે ત્યાં સુધી આ બાઈ બારણે રાહ જોશે. પણ એ તો સીધી અંદર જ ગઈ, અને ઘરમાં બધે ઘરની જ હોય તેમ ફરવા લાગી! પછી મને ખબર પડી કે એ તો મારી બહેન હતી. ઘણા દહાડા સાસરે રહીને પિયર આવેલી. જમી રહ્યા પછી એણે પોતાનો બધો સામાન ખોલી ખોલીને આઈને બતાવ્યો. એમાંથી પાંચ છ સરસ રંગીન લખોટા નીકળ્યા. એ મને આપી એણે કહ્યું, ‘દત્તુ, હેં ઘે તુલા.’ હું ખુશ તો થયો, પણ ખુશી કરતાં મને અજાયબી વધારે થઈ. બાબા અમને લખોટાને અડવા ન દે. લખોટાને તો જુગારીઓ જ અડે. લખોટાની મેલી રમત સારા ઘરના છોકરાઓ માટે ન હોય. લખોટા લઈને હું રાજી તો થયો, પણ રમાય કેમ એ હું ક્યાંથી જાણું? દોડતો દોડતો ગોંદુ પાસે ગયો અને એને કહ્યું, ‘લે, આ મારા લખોટા.’ એને પણ રમતાં આવડે નહિ. એટલે અમે બે જણા સામસામા બેસી લખોટા ગબડાવી ફેંકવા લાગ્યા. લખોટા ટક્કર ખાય ત્યારે મજા પડે. મનમાં બીક ખરી કે, બાબા આવે તો રમત બંધ થાય એટલું જ નહિ, પણ લખોટા પણ જપત થાય
હું તરત જ જોઈ શક્યો કે આક્કા ઘરમાં બધાંની માનીતી હતી. આઈ તો એના ડાહપણ પર અને હેતાળ સ્વભાવ ઉપર વારી જતી હતી. પિતાશ્રી તો આખો દિવસ ભાગુને શું ગમે છે ને શું જોઈએ છે, એ જાણવાને જ ઇંતેજાર દેખાતા. બાબા અને અણ્ણા એની જાત જાતની મજાક કરી એને પ્રસન્ન રાખવાને મથતા. મારા મનમાં વાત ઠસી ગઈ કે આક્કાનું વર્તન તે આદર્શ વર્તન. પણ એક વાત મનમાં ખૂંચતી હતી. આક્કા હાથમાં ચોપડી પકડે ત્યારે અમને નિશાળમાં બતાવેલું તે રીતે પકડે નહિ. પણ ડાબી બાજુનાં પાનાં ગોળ વાળી બે પૂંઠાં ભેગાં કરે, અને એક હાથે ચોપડી પકડી કડકડાટ વાંચી જાય. એને મોઢે વાર્તા સાંભળવી મને ગમતી, પણ ચોપડી આમ પકડે એ મારાથી કેમે કર્યું સહ્યું જતું નહિ
તે જ દિવસથી એણે મને ભણાવવું શરૂ કર્યું. હું એકડિયામાં હતો. અને વાંચતાં આવડે નહિ તોયે મારા પર ચિડાય નહિ. બહુ જ હેતથી અને કુનેહથી મને ભણાવે. રોજ સાંજે ‘રામવિજય’ લઈને આઈને વાંચી સંભળાવે. હું પણ ત્યાં જઈને બેસતો.
એક દિવસ આક્કા આઈ ને કહે, ‘ઘરમાં આ પોપટ રાખ્યો છે એને આપણે છોડી મૂકીએ—ઉડાડી દઈએ.’ મેં પૂછ્યું, ‘કેમ? એ તો બધાંનો માનીતો પોપટ છે.’ આક્કાએ તરત જ સુસ્વર કંઠે નળદમયંતી આખ્યાન ગાવાનું શરૂ કર્યું. તેમાં જ્યારે, રાજાના હાથમાં સપડાયેલો હંસ છૂટી જવા માટે તરફડિયાં મારે છે, પોતાને છોડી દેવા માટે રાજાને અનેક રીતે કરગરીને વીનવે છે, અને તોયે રાજા છોડતો નથી એમ જોઈ નિરાશ થઈને પોતાની મા, પોતાની માદા અને બચ્ચાંનું સ્મરણ કરી વિલાપ કરે છે, એ પ્રસંગ આવ્યો ત્યારે આક્કા રડી પડી! આંસુ ખાળીને પછી દરેક કડીનો એણે અર્થ કરી બતાવ્યો. સૌનાં હૈયાં પીગળી ગયાં, અને નક્કી થયું કે પોપટને છોડી દઈએ. વિષ્ણુએ સીતાફળીના ઝાડ ઉપર પાંજરું ટીંગાડી રાખ્યું અને ધીમે રહીને એનું બારણું ખોલ્યું. એક ક્ષણ સુધી તો બહાર ઊડી જવાનું પોપટને સૂઝ્યું પણ નહિ. એ તો હેબતાઈ જ ગયો હશે. બીજી ક્ષણે પાંજરાની સળી પરથી કૂદી પડી બારણામાં બેઠો અને ત્યાંથી ભર્ ર્ ર્ ર્ આકાશમાં ઊડી ગયો. આક્કાની આંખમાં આનંદનાં ઝળઝળિયાં આવ્યાં. થોડા જ વખત પછી પોપટ પાછો આવ્યો, પાંજરા પર બેઠો. વિષ્ણુ કહે, ‘એ તો જવાનો નથી. ચાલ, એને ધીમે રહીને પકડી પાંજરામાં પૂરી દઉં.’ આક્કાએ ચોખ્ખી ના પાડી. પછી રોજ એ પોપટ સીતાફળીના ઝાડ પર આવીને બેસે, કેળું કે મરચાં આપીએ તે ખાય, અને ઊડી જાય. આમ એકાદ મહિનો ચાલ્યું હશે. વખત જતાં એ પોપટ બીજા પોપટ સાથે ભળી ગયો, અને પછી તો અમારી પાસે આવતાં ડરતાં શીખ્યો.
થોડા દિવસ પછી બેલગામથી આક્કાના વર અમારે ત્યાં આવ્યા. અણ્ણા જેટલી જ એમની ઉંમર હશે, છતાં પિતાશ્રી એમને નાઈક કહીને માનથી બોલાવતા. તેમને હાથ ધોવા પાણી પોતે આપતા. પિતાશ્રી આવા જુવાનની આટલી ખુશામત કેમ કરે છે એ હું સમજી શકતો નહિ. મને તો બધું અજુગતું જેવું લાગતું. તેમનું નામ પણ હું ભૂલી ગયો છું. તેઓ બહુ બોલતા નહિ, અમારી સાથે ભળતા નહિ, અને જમતી વખતે બહુ ઓછું ખાતા, એટલું યાદ છે.
ચીમી એ બાબાની દીકરી. ખૂબ રમતિયાળ. ઘરનું સર્વસાધારણ રમકડું. એની ઉંમરના પ્રમાણમાં ખૂબ ડહાપણ બતાવે. આક્કા એને રમાડતાં રમાડતાં કોક કોક વખત ખિન્ન થાય, અને આઈને કહે, ‘આઈ, શહાણં માણસ લાભત નાહીં.’ (ડાહ્યું માણસ બહુ જીવે નહિ.) આપણી ચીમી આટલી હોશિયાર છે, તે કેમ કરીને ઝાઝી જીવશે, એ ચિંતા મારા મનમાં પેઠી છે.’ પણ આક્કાનાં આ વચન આક્કાને જ લાગુ પડવાનાં હતાં એ તે વખતે ન આક્કાના ધ્યાનમાં આવ્યું, ન આઈના.
અમે શાહપુરમાં આવ્યાં છીએ. ભીસેનું ઘર એ અમારું મોસાળ. ત્યાં અમે રહેવા આવ્યાં છીએ. આક્કા કંઈક માંદી છે. અમારી મોટી મામી રોજ સવારે ઊઠીને પેજ (ચોખાની ઘેંશ) તૈયાર કરતી, અને અમે બધા હારબંધ મોટી પંગતમાં જમવા બેસતા. શાકને બદલે કોળાની બનાવેલી વડી અમને તળીને આપતાં. સાતારામાં હંમેશાં ચોખાના લોટની વડી ખાવા હું ટેવાયેલો. મને આ પત્કાળાની વડી શાની ભાવે? મેં મારો અણગમો નીચે પ્રમાણે મામીને જણાવ્યો: ‘અમારે ત્યાંની વડીઓ કાવ્ કાવ્ બોલે છે; તમારે ત્યાંની ચીવ્ ચીવ્ બોલે છે. માટે મને તમારી વડી નથી ગમતી.’ આ મારું કાવ્ય બધે ફેલાયું.
થોડા જ દિવસમાં ઘરમાં બધે ગમગીની ફેલાઈ ગઈ. આક્કાને સખત તાવ આવવા લાગ્યો. ડોકટરે કહ્યું કે, ‘નવજ્વર’ (ટાઇફૉઈડ) છે. સુવાવડ પછીનો ટાઇફૉઈડ પછી પૂછવું જ શું? એક દિવસ અમને સવારે ઊઠતાંવેંત સામેના ઘરવાળાને ત્યાં જમવાનું નોતરું મળ્યું. અમે બધા છોકરા ત્યાં જમવા ગયા. કોણ જાણે શા કારણે અમને આખો દિવસ ત્યાં ને ત્યાં જ રોકી રાખવાના પ્રયોગો થવા લાગ્યા. હું ઘેર જવાની વાત કરું, એટલે કોઈ મોટો છોકરો રોકીને મને કહે, ‘ચાલ તને એક વાર્તા કહું.’ વાર્તા પૂરી થાય એટલે કોઈ ગાય. આખરે સાંજ પડવા આવી. હવે મને લાગ્યું કે, આખો દિવસ અમને અહીં ગોંધી રાખવામાં કંઈ ભેદ છે. હું કંટાળીને રોવા લાગ્યો. સમભાવને કારણે ગોંદુ પણ રોવા લાગ્યો. અમારા મેજબાન છોકરાઓ અકળાયા. તેમણે એક નાટક ભજવવાનું નક્કી કર્યું. એક લાંબો ફેંટો માથે બાંધી એનો એક છેડો નાકથી નીચે લટકતો રાખ્યો. આવી રીતે સૂંઢવાળો દુંદાળો દેવ તૈયાર થયો. બેચાર સાવરણીઓ ભેગી બાંધી તેની મોરની કળા બનાવી; મયૂરવાહની સરસ્વતી પણ તૈયાર થઈ. અને પેલા કૂદવા લાગ્યા.
નાટક તો લાંબું લાંબું ચાલ્યું. પણ કેમે કરી રસ જામે જ નહિ. એટલામાં પડોશના બીજા એક છોકરાએ આવીને મને કહ્યું, ‘તારો બાપ પોક મૂકીને રુએ છે.’ મને એ વચન અપમાન જેવું લાગ્યું. મારા પિતાશ્રી વળી રોતા હશે? જનમભરમાં એવું કોઈ કાળે બન્યું નથી. મેં ચિડાઈને એને કહ્યું, ‘તું જૂઠો છે.’ છેવટે નવ વાગ્યે અમને ઘેર લઈ ગયા. ત્યાં બધે ગમગીનીની શાંતિ હતી. કોઈ કોઈની સાથે વાત ન કરે. સ્મશાનમાંથી પાછા આવેલા ડાઘુઓ ગરમ પાણીએ નહાતા હતા. એટલી જ હિલચાલ ઘરમાં દેખાતી હતી. એક ખૂણામાં ચોખાની ભરેલી અડધી ગૂણ ઊભી હતી, તેના પર પિતાશ્રી એક પાતળો ખેસ ઓઢીને બેઠા હતા, છતાં ટાઢે ધ્રૂજતા હોય તેમ જ લાગતું હતું. મને ખોળામાં લઈ દુ:ખી અવાજે કહેવા લાગ્યા, ‘દત્તુ, આપણી ભાગુ (ભાગીરથી) આપણને છોડી દૂર ગઈ.’ હું કંઈ સમજું નહિ કે થયું છે શું. દૂર એટલે ક્યાં સુધી? શા માટે? પિતાશ્રી આટલા દુ:ખી કેમ છે? ઘરમાં કેમ કોઈ કોઈની સાથે બોલતું નથી? પિતાશ્રી ફરી ફરી એક જ વાત કરે, ‘આપણી ભાગુ આપણને છોડી દૂર ગઈ છે.’
હું અંદર ગયો. મેં જોયું કે આઈ સોડ તાણીને સૂઈ ગઈ છે. મને શી ખબર કે, સૂતી નથી, પણ વજ્રાઘાતથી બેભાન થઈ પડી છે! મારી માસી એની પાસે બેઠી હતી. મને જોઈને એ રોવા લાગી. મામા એના પર ચિડાયા. કહે, ‘તું રોવા લાગે તો છોકરાઓ શું કરે? ‘
રાત જેમ તેમ વીતી. બીજે દિવસે આઈ કંઈ ખાય નહિ. કોઈનું કહ્યું માને નહિ. છેલ્લા ઇલાજ તરીકે રામમામા મને આઈ પાસે લઈ ગયા. એમણે મને કહ્યું, ‘તારી આઈને કહેજે કે, મારા ગળાના સમ તું ન જમે તો.’ હું કહેવા જતો હતો, પણ આઈએ દૃઢતાપૂર્વક કહ્યું, ‘દત્તુ, એવું કંઈ બોલીશ મા.’ માતૃભક્ત દત્તુની જીભ પછી ઊપડે જ શાની? સૌ મારી પર ચિડાયાં. રામમામાનો મારા પ્રત્યેનો તિરસ્કાર સ્પષ્ટ દેખાતો હતો. પણ હું ન બોલ્યો તે ન જ બોલ્યો.
‘શહાણં માણસ લાભત નાહીં’ એ આક્કાનું વચન આખરે આક્કા વિષે જ સાચું પડ્યું. આઈ રોજ એ વચન સંભારે ને રુએ. આક્કા વિષે મારાં પ્રત્યક્ષ સ્મરણો તો આટલાં જ ગણાય. છતાં નાનપણથી એ સ્મરણોનું જ ધ્યાન કરી કરીને તેને હું પોષતો આવ્યો છું. સાધારણ રીતે હિંદુ કુટુંબમાં દીકરીઓ તરફ બેદરકારી જ હોય છે. દીકરા તેટલા વહાલા અને દીકરી તેટલી અળખામણી, એ માન્યતા અનેક પ્રાંતમાં છે. અમારા ઘરમાં આક્કાની સ્થિતિ સ્પૃહણીય હતી. માણસની લગભગ બધી શુભ વૃત્તિઓ કૌટુંબિક વાતાવરણમાં જ ખીલે છે. તેમાં પણ મા પછી જો ભારેમાં ભારે કાઈની અસર થતી હોય તો તે બહેનની જ છે. માણસનો મા સાથેનો સંબંધ તેમ જ સ્ત્રી સાથેનો સંબંધ એકાંતિક અથવા અસાધારણ હોય છે. દીકરીનો સંબંધ પણ એવો જ હોય છે. પણ જે સંબંધ સહેલાઈથી વ્યાપક થઈ શકે, આખી સ્ત્રીજાતિને અંતર્ભાવ કરી શકે, એવો સંબંધ તો ભાઈબહેનનો જ. હું સમજણો થયો એના પહેલાં જ મારી બહેન ગુજરી ગઈ, તેથી જિંદગીનો મારો એ વિભાગ શૂન્યવત થઈ ગયો છે. સ્ત્રીઓને હું દૂરથી પૂજું છું, પણ તેમની સાથે સ્વાભાવિક રીતે સંબંધમાં આવતાં મને આવડતું જ નથી. ભગિની પ્રેમની ભૂખ રહી જ ગઈ છે. જેમ જેમ જીવનની વ્યાપકતા અને સર્વાંગ સુંદરતાનો આદર્શ બંધાતો ગયો છે, તેમ તેમ મારે એક બહેન હોય તો કેવું સારું, એવો વિચાર મનમાં આવી મન ઝૂરે છે. એમાં પોતાને બહેન ન હોવાને કારણે નવી બહેન મેળવતાં ન આવડે એ મુશ્કેલી છે જ.
મારા આદર્શ પ્રમાણે પૂજનીય એવી કેટલીયે બહેનો હું જોઉં છું. તેમના પરિચયથી હું જરૂર પાવન અને ઉન્નત થઈશ એવી મનને ખાતરી થાય છે. પણ હૃદયની ભૂખ તો આક્કાના પવિત્ર સ્મરણથી જ શમાવવી રહી.
‘સ્મરણયાત્રા’માંથી
સ્વાધ્યાય