સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ઓડકુટુંબ

Revision as of 02:14, 27 March 2026 by Meghdhanu (talk | contribs)
૫. ઓડકુટુંબ

સંધ્યાની ઘેરી રંગાવટ છાઈ રહી છે તે વખતે એક ઓડ અને તેની સ્ત્રી આખા દિવસની મજૂરી કરી પોતાનાં ગધેડાં લઈ ઝુંપડા તરફ જતાં દેખાય છે. વાતાવરણનું તાન અને જીવનમાં વિશ્વાસ ધરાવતા આ માનવ પાત્રોની સાથે તેમનાં ગધેડાં પણ સંતોષની ચાલ પકડી તેમનો સાથ જાળવી રહ્યાં છે. ઓડણી અને ઓડના પોષાકો અચૂકપણે ચિત્રની જમાવટને યોગ્ય સ્વર પૂરે છે, અને ટૂંકું કર્મ છતાં સ્વાધીન અને સ્વસ્થ માનવી પૃથ્વી પર કેમ જીવી શકે છે તેનું નાનકડું કાવ્ય રચાઈ ગયું છે. શ્રી. સોમાલાલનાં ચિત્રોમાં પાત્રરેખણી બહુ ઝીણવટવાળી હોય છે અને રૂપબંધારણ બહુ શિષ્ટ કોટિનું બને છે. દુનિયાનાં સારાં ચિત્રો સાથે મૂકી શકાય એવાં ઘણાં ચિત્રો ભાઈશ્રી સોમાલાલ શાહે આપ્યાં છે તેમાંનું આ પણ ગણી શકાય એવું છે. જુઓ કે તેણે ચિત્રનાં પાત્રો તરીકે બે માનવી અને બે જાનવરો રજૂ કર્યાં છે, પણ પ્રસંગની હડફડ બતાવવા પૂરતા જ આકારોથી વધારે કશું જ ચિત્રમાં દાખલ કર્યું નથી, છતાં પાત્રોની જીવનપરિસ્થિતિ અને વ્યવહાર સમજવામાં આપણને જરાય મુશ્કેલી પડતી નથી. સોમાલાલનું રંગવિસ્તરણ પણ બહુ ઘટ્ટ અને ઓજસવાળું હોય છે. પાત્રો અને દૃશ્યમાં એક પ્રકારની મધુર રંગ-ચાદરની છાયા ઢળે છે, તેથી સંગીતમાં જેમ તંબૂર કે અન્ય સ્વરોના પડદા ગુંજ્યા કરવાથી રવની મધુરતા લાગે છે તેવી આ ચિત્રમાં માદકતા ઊતરે છે. ગુજરાતના નૂતન યુગના પહેલી હરોલના કળાકારોમાં સોમાલાલે સ્થાન પ્રાપ્ત કર્યું છે. માત્ર મૅટ્રિક્યુલેશન સુધી અભ્યાસ કરી તેમણે કળાના અભ્યાસ પાછળ જ જીવન વહેતું કર્યું, અને મુંબઈ, કલકત્તા અને વડોદરામાં રહી નવી તેમ જ જૂની હિંદી કળાનો પરિચય પામ્યા પછી તેઓ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી-ભવનમાં જોડાયા, અને તે બંધ પડ્યા પછી પણ ભાવનગર-નરેશનો સારો આશ્રય પામ્યા અને તેમના શોખથી પ્રેરાઈ ગુજરાતના પક્ષી-સમુદાયની એક અપૂર્વ ચિત્રમાળા તૈયાર કરી છે. તે કપડવંજના વતની છતાં હાલ તેમણે કાઠિયાવાડને પોતાનું કાયમનું સ્થાન બનાવી દીધું છે. તેથી તેમના હાથે કાઠિયાવાડનું લોકજીવન સવિશેષ પ્રમાણમાં ચિત્રાંકિત થવા લાગ્યું છે. હજુ તો એ જીવનના મધ્યાહ્નકાળમાં છે અને તેમની કળાની વિશેષ પરિપકવતા થતાં ઘણી અમર કલાકૃતિઓ સરજવા ભાગ્યશાળી બનશે.

સ્વાધ્યાય

૧. જે પાંચ ચિત્રો અહીં આપવામાં આવ્યાં છે તેમાંનું એક જ તમારે પસંદ કરવાનું હોય તો તમે કયું ચિત્ર પસંદ કરશો તે તેનાં કારણો આપી લખો.
૨. ચિત્રકળા અને શિલ્પકળા ઉપર એક તુલનાત્મક નોંધ લખો.
૩. તમારાં માનીતાં ચિત્રોની યાદી કરી તે ઉપર ટૂંકી પરિચયનોંધ લખો.
૪. લિયોનાર્દોના જીવનમાં કઈ કઈ વિગતો તમને આકર્ષક લાગી તે જણાવો.
૫. ઉચ્ચ પ્રતિની કલાકૃતિના સર્જન માટે અવિરત તપશ્ચર્યાની જરૂર હોય છે એ લિયોનાર્દોના જીવનમાંથી બતાવો.
૬. ફોટોગ્રાફી અને ચિત્રકળા વચ્ચેના ભેદ સમજાવો.
૭. તમે જોયેલી કોઈ એક મૂર્તિનું વર્ણન કરો.