સાહિત્ય પલ્લવ – ભાગ ૨/અભય

Revision as of 02:10, 5 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨. અભય

મોહનદાસ કરમચંદ ગાંધી

આની ગણના સોળમા અધ્યાયમાં દૈવી સંપદનું વર્ણન કરતાં ભગવાને પહેલી કરી છે. એ શ્લોક બેસાડવાની ખાતર હો કે અભયને પ્રથમ સ્થાન હોવું જોઈએ તેથી, એ વિવાદમાં હું ન ઊતરું. એવો નિર્ણય કરવાની મારામાં યોગ્યતા પણ નથી. મારી મતિ પ્રમાણે અભયને અનાયાસે પ્રથમ સ્થાન મળ્યું હોય તોયે તેને તે યોગ્ય છે. અભય વિના બીજી સંપત્તિઓ ન સાંપડે. અભય વિના સત્યની શોધ કેમ થાય? અભય વિના અહિંસાનું પાલન કેમ થાય? ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને.’ સત્ય એ જ હરિ, એ જ રામ, એ જ નારાયણ, એ જ વાસુદેવ. કાયર એટલે ભયભીત બીકણો; શૂરો એટલે ભયમુક્ત, તલવારાદિ કસેલો નહિ. તલવાર શૂરની સંજ્ઞા નથી, બીકની નિશાની છે. અભય એટલે બાહ્ય ભયમાત્રથી મુક્તિ. મોતનો ભય, ધનમાલ લૂંટાવાનો ભય, કુટુંબપરિવાર વિષેનો ભય, રોગનો ભય, શસ્ત્રપ્રહારનો ભય. આબરૂનો ભય, કોઈને ખોટું લગાડવાનો ભય, એમ ભયની વંશાવળી જેટલી લંબાવીએ તેટલી લંબાવી શકાય. એક માત્ર મોતનો ભય જીત્યો એટલે બધા ભયો જીત્યા એમ સામાન્ય રીતે કહેવાય છે; પણ એ બરોબર નથી લાગતું. ઘણા મોતનો ભય છોડે છે, છતાં નાના પ્રકારનાં દુ:ખોથી નાસે છે. કોઈ પોતે મરવા તૈયાર હોય છે, પણ સગાંવહાલાંનો વિયોગ સહન નથી કરતા. કોઈ કૃપણ આ બધું જતું કરશે, દેહ જતો કરશે, પણ એકઠું કરેલું ધન છોડતાં હેબતાઈ જશે. કોઈ પોતે માનેલી આબરૂ, પ્રતિષ્ઠા સાચવવા અનેક કાળાંધોળાં કરવા તૈયાર થશે ને કરશે. જગતની નિંદાના ભયથી કોઈ સીધો માર્ગ જાણતા છતાં લેતાં અચકાશે. સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલિ દીધે જ છૂટકો. હરિશ્ચન્દ્રની જેમ પાયમાલ થવાની તેનામાં તૈયારી હોવી જોઈએ. હરિશ્ચન્દ્રની કથા ભલે કાલ્પનિક હોય, પણ આત્માર્થી માત્રનો એ અનુભવ છે; એટલે એ કથાની કિંમત કોઈ ઐતિહાસિક કથા કરતાં અનંત ગણી વધારે છે, ને આપણે સૌને સંઘરવા, મનન કરવા યોગ્ય છે. અભયવ્રતનું સર્વથા પાલન લગભગ અશક્ય છે. ભયમાત્રથી મુક્તિ તો જેને આત્મસાક્ષાત્કાર થયો હોય તે જ પામી શકે. અભય અમૂર્છ સ્થિતિની પરાકાષ્ઠા છે. નિશ્ચય કરવાથી, સતત પ્રયત્ન કરવાથી અને આત્મા ઉપરની શ્રદ્ધા વધવાથી અભયની માત્રા વધી શકે છે. મેં આરંભમાં જ કહ્યું કે આપણે બાહ્ય ભયોથી મુક્તિ મેળવવી છે. અંતરમાં જે શત્રુ રહ્યા છે તેમનાથી તો ડરીને જ ચાલવાનું છે. કામક્રોધાદિનો ભય ખરો ભય છે. જીતી લઈએ તો બાહ્ય ભયોનો ઉપદ્રવ એની મેળે મટે. ભય માત્ર દેહને લઈને છે. દેહ ઉપરનો રાગ ટળે તો સહેજે અભય પ્રાપ્ત થાય. આમ વિચાર કરતાં આપણે જોઈ શકીએ છીએ કે ભય માત્ર આપણી કલ્પનાની સૃષ્ટિ છે. પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી ‘મારા’ પણું કાઢી નાંખીએ એટલે ભય ક્યાં છે? तेन त्यक्तेन मुजीथाः એ રામબાણ વચન છે. કુટુંબ, પૈસો, દેહ જેવાં ને તેવાં ટકે, તેમને વિષેની આપણી કલ્પના બદલવી રહી. એ ‘આપણાં’ નથી, એ ‘મારાં ’ નથી; એ ઈશ્વરનાં છે; ‘હું’ પણ તેનો છું; ‘મારું’ એવું આ જગતમાં કંઈ જ નથી. પછી મને ભય શાને વિષે હોઈ શકે? તેથી ઉપનિષદકારે કહ્યું ‘તેનો ત્યાગ કરીને તે ભોગવ’ એટલે આપણે તેના રખેવાળ રહીએ. તે તેની રક્ષા કરવા પૂરતી શક્તિ અને સામગ્રી આપી દેશે. આમ સ્વામી મટીને સેવક થઈએ, શૂન્યવત થઈ રહીએ. તો સહેજે ભયમાત્ર જીતીએ, સહેજે શાન્તિ મેળવીએ. સત્યનારાયણનાં દર્શન કરીએ.

મંગળપ્રભાત’માંથી

સ્વાધ્યાય

૧. બે સમુદ્રના મિલનનું ગાંધીજી કેવી રીતે વર્ણન કરે છે તે જણાવો.
૨. કન્યાકુમારી આગળ રસનાં તો કૂંડાં જ છે, છતાં ત્યાં ગાંધીજીને એ રસ લૂંટવાની અભિલાષા શાથી ન રહી? એમણે એ રસની જગ્યાએ શાનું પાન કર્યું? એ ઘટના ઉપરથી ગાંધીજીની જીવનદૃષ્ટિ ઉપર નોંધ લખવી હોય તો તમે શું કહેશો?
૩. માણસના ધાર્મિક અધિકાર ઉપરના કયા અંકુશ ગાંધીજીને સહ્ય અને ક્યા અસહ્ય લાગ્યા? એ ઉપરથી ગાંધીજીની સહિષ્ણુતા માટે શું કહેશો?
૪. કન્યાકુમારીના દર્શનને અંતે કયો મહાવિષાદ ગાંધીજીના મનને રૂંધી રહ્યો? એ માટે એમણે શું કર્યું છે તે કહી શકશો?
૫. ‘અભય’ એટલે શું? જેમ તરવાર ભયનું ચિહ્ન છે તેમ તાળું શાનું ચિહ્ન લેખાય?