દરિયાપારથી.../આજથી અસંખ્ય વર્ષો પહેલાં

Revision as of 06:16, 26 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આજથી અસંખ્ય વર્ષો પહેલાં

ન્યૂયૉર્ક શહેરની વચ્ચે એક અસાધારણ કળા-કેન્દ્ર છે. એમાંનાં વિભિન્ન સભાગૃહોમાં આખું વર્ષ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, ઑપૅરા, નાટક, સિનેમા (અલબત્ત, કળાત્મક) વગેરેનાં અનુષ્ઠાન ચાલતાં જ રહે છે. આ દરેક કળા-પ્રકારની પાછી ‘સિઝન’ હોય! ત્યારે જાણે તે તે પ્રકારનો ઉત્સવ ઊજવાય. ઉનાળા દરમ્યાન, કેટલાંક અઠવાડિયાં માટે, એક ભવનમાં યોજાતો સંગીતોત્સવ વિશેષ રીતે લોકપ્રિય બનેલો છે. “મહા-મુક્તિદાતા” તરીકે ઓળખાતા, અમેરિકાના સોળમા પ્રમુખ (૧૮૬૧થી ૧૮૬૫) અબ્રાહમ લિન્કનના નામ પરથી આ કળા-કેન્દ્ર “લિન્કન સેન્ટર”નું નામકરણ પામેલું છે. લીલા ઘાસ અને વૃક્શોથી શોભતો બાગ, ખુલ્લો મંચ, ગોળાકાર ફુવારો, મોટો લંબચોરસ હૉજ, અને ઘણી મોકળી જગ્યાની આસપાસ કળા-અનુષ્ટાનો માટે એક ભવન-સંપુટ થયેલો છે. લગભગ એ દરેક ભવનનું નામ ઉદાર દાતાઓનાં નામ પરથી પડ્યું છે. હું ન્યૂયૉર્કમાં શરૂઆતના વર્ષથી જ લિન્કન સેન્ટર પર જવા માંડેલી, ભવનોનાં નામ-લક્શણોની નોંધ લેતી થઈ હતી, અને વિવિધ કાર્યક્રમોમાં જઈ જઈને અનેકવિધ કળા-પ્રકારોથી પરિચિત બનતી ગયેલી. મોટા મોટા ઑર્કેસ્ટ્રા સાથેનું શાસ્ત્રીય પાશ્ચાત્ય સંગીત જ્યાં રજૂ થતું તે “ફિલહાર્મોનિક હૉલ” કહેવાતો. એક દિવસ છાપામાં જોયું કે એક રાત માટે, આ પ્રકારના જે અનુષ્ઠાનની ટિકિટ મારી પાસે હતી તેની રજૂઆત “એવરી ફિશર હૉલ”માં થવાની હતી; ફિલહાર્મોનિક હૉલમાં નહીં. એ વળી કયો હૉલ, ટિકિટ ખરીદવામાં મારી ભૂલ થઈ હતી કે શું? – મને જરા ચિંતા થઈ. પછી તો લિન્કન સેન્ટરના નંબર પર ફોન કર્યો, ને ત્યારે જાણવા મળ્યું કે હૉલ તો સાચો જ હતો, પણ લાખો ડૉલરનું દાન કરનારના નામ પરથી એનું નવું નામ પડ્યું હતું! આ વાતને પણ હવે તો વર્ષો થઈ ગયાં, ને એટલાંમાં એનું નામ વળી, બીજા મહા-દાનવીરના નામે, બદલાઈ ગયું છે! જે સંગીત-વૃંદ ત્યાં નિયમિત કાર્યક્રમ રજૂ કરતું તેના સંચાલક (‘કન્ડક્ટર’) તરીકે ‘આપણા’ ઝુબિન મહેતા લગભગ બાર વર્ષ રહ્યા. એક ભારતીય આવી વિશ્વ-વિખ્યાત પદવી પર હોય, તેમજ પાશ્ચાત્ય સંગીત-પ્રેમીઓમાં સ્નેહ અને પ્રશંસાને પાત્ર બન્યા હોય, તે પણ આપણે માટે ઘણા આનંદ અને ગર્વની બાબત બને. ઝુબિન મહેતા એમની સંચાલન-શૈલી માટે વખણાતા હતા, અને ક્લાસિકલ સંગીત-કૃતિઓની પસંદગી માટે ક્યારેક વખોડાતા પણ હતા. દા.ત. ઇઝરાયેલના તેલઅવીવ ફિલહાર્મોનિક ઑર્કેસ્ટ્રા દ્વારા એ ગુસ્તાવ માહ્લર (૧૮૬૦-૧૯૧૧) નામના સંગીતકારની એવી કૃતિ વગાડાવવા માગતા હતા, જે ઍડૉલ્ફ હિટલરને ખૂબ પસંદ હતી. જે વ્યક્તિએ લાખો યહૂદીઓની ક્રૂર કતલ કરાવડાવેલી, તેની સાથે સંકળાયેલી કોઈ પણ બાબત યહૂદી પ્રજા, પોતાના જ દેશમાં, સહન કરી જ કઈ રીતે શકે? હું એ વખતે ઇઝરાયેલના પહેલા પ્રવાસે હતી, અને કાર્યક્રમની જાહેરાત તેલઅવીવ શહેરમાં જોઈ હતી. પછીથી જાણ્યું હતું કે સભાગૃહ પર મોટો ઉહાપોહ થયેલો, એ રાતે કાર્યક્રમ રદ કરવો પડેલો, અને બીજી કોઈ રાતે એ કૃતિ સિવાયની અન્ય કૃતિઓ રજૂ કરવામાં આવેલી! ન્યૂયૉર્કમાં ઉનાળા દરમ્યાન બેએક મહિના ‘મોસ્ટલિ મોત્ઝાર્ટ’ નામનો ઉત્સવ રજૂ થાય છે. આરંભે તો ટિકિટ ખૂબ ઓછી કિંમતની રાખવામાં આવતી. ઉદ્દેશ એ હતો કે કાર્યક્રમ સાધારણ લોકોને પોસાય, અને ક્લાસિકલ પાશ્ચાત્ય સંગીત સમાજના લોકગણમાં પ્રિય બને. એ વખતે એવરી ફિશર હૉલમાંથી બધી ખુરશીઓ કાઢી નાખવામાં આવે, જાજમો પથરાય, બધાં નીચે બેસીને સંગીત સાંભળે. આ બધું બહુ વર્ષો ટક્યું નહીં. ટિકિટો-ના ભાવ ઘણા વધ્યા, ખુરશીઓ પાછી મૂકાઈ ગઈ, ઉત્સવ જન-સાધારણને માટે રહ્યો નહીં. ત્યારે તો સમાચાર એવા હતા કે પછીના ઉનાળે આ ઉત્સવ યોજાશે નહીં. પણ આને પણ વર્ષો વીતી ગયાં. આજે લગભગ પચાસ વર્ષથી આ “મોસ્ટલિ મોત્ઝાર્ટ” કહેવાતો ઉત્સવ લિન્કન સેન્ટરમાં યોજાતો રહે છે. આ ઉત્સવમાં વધુ ભાગે મોત્ઝાર્ટ (Mozart)ની જ કૃતિઓ રજૂ થાય છે. એમનું આખું નામ વુલ્ફગાન્ગ આમાદિયસ મોત્ઝાર્ટ (૧૭૫૬-૧૭૯૧). કેટલું ટૂંકું જીવન, પણ એમણે ઘણું સર્જન કર્યું. એમનું સંગીત અત્યંત કર્ણપ્રિય છે, હૃદયસ્પર્શી છે. એમાં ભરપૂર સ્વર-માધુર્ય અને ભાવ-તીવ્રતા છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેમને મોત્ઝાર્ટનું રચેલું સંગીત સાંભળવું ના ગમતું હોય. એમનો જન્મ ઑસ્ટ્રિયા દેશના સાલ્ઝબર્ગ શહેરમાં થયેલો. સંગીત-કૃતિઓ રચવામાં, તેમજ વાયોલિન અને પિયાનો જેવાં વાજિંત્રો વગાડવામાં એમની મેધા પ્રચંડ હતી. એની ખાત્રી એમણે નાની ઉંમરથી જ કરાવી આપેલી. ૨૫-૨૬ વર્ષની ઉંમરે એ મુખ્ય નગર વિએનામાં રહેવા ગયા. ત્યારે વિએના સંગીતનું મોટું ધામ હતું, અને રાજા જોસેફ દ્વિતીય સંગીતપ્રેમી હતા. એ પોતે પણ ગાતા, તારવાદ્ય અને પિયાનો વગાડતા, ને તેથી પણ વધારે, ઉદારભાવે સંગીતકારોને પોષતા, તથા નવી કૃતિઓ રચવા પ્રોત્સાહિત કરતા. મોત્ઝાર્ટ એ દરબારમાં દાખલ થતાંની સાથે એમના અસાધારણ કૌશલ્યને કારણે ઘણા નોંધપાત્ર બન્યા. વિએનાના રાજ્ય-દરબારમાં રોજે રોજ જલસા થતા. “વૉલ્ટ્ઝ” નૃત્યનો તો પ્રજાને એવો ગાંડો શોખ હતો કે રાતે દસથી શરૂ કરીને સવારે સાત વાગ્યા સુધી લોકો આ સુંદર લયબદ્ધ નૃત્ય કર્યા જ કરતા. મોત્ઝાર્ટને થાકનું જાણે ભાન જ નહતું. આખી રાત જાગ્યા પછી પણ, ને ભીડ ને ઘોંઘાટની વચ્ચે પણ એ નવી કૃતિ રચી શકતા. અને હજી વધારે આશ્ચર્ય એ કે ઝીણી ઝીણી બધી વિગતો સાથે આખી કૃતિ એમને યાદ પણ રહી જતી. એમનું જીવન અનન્ય સર્જન-પ્રક્રિયાથી સભર હતું. વ્યક્તિની સ્મૃતિ જ જ્યારે અઢીસોથી પણ વધારે વર્ષો સુધી તાજી રહી છે, ત્યારે એમનું દૈવી સંગીત તો સદાને માટે અવિસ્મરણીય જ રહેવાનું. ને આવા વિશેષોત્સવો યોજીને સહાયરૂપ બનતાં રહે છે લિન્કન સેન્ટર જેવાં અપૂર્વ કળાકેન્દ્રો.