માટીનો મહેકતો સાદ/ધરતીનો નાતો
{{Heading|ધરતીનો નાતો
કૃષ્ણનું સ્મરણ તો વહેતું હતું, પણ તેની સાથે બળરામે ક્યારે મનનો કબજો લઈ લીધો તેની ખબર ન પડી. કૃષ્ણની બંસી નિગૂઢ આનંદના સૂર સંભળાવી જતી હતી. તેનું સુદર્શન ચક્ર આંખમાં કિરણો આંજી જતું હતું. અને છતાં કાંઈક ખૂટતું હોય એમ લાગ્યા કરતું હતું. બળરામ હળ-મુશળ ધારણ કરી સામે આવી ઊભા રહ્યા ત્યારે પુરુષોત્તમનું કાર્ય પણ પૂર્ણ થતું દેખાયું. બંસી અવકાશની સખી. ચક્ર આપદવેળાનું સાથી. હળ તો રોજબરોજના જીવનનો આધાર. બળરામ પૃથ્વીને શેષ રૂપે ધારણ કરી રહ્યા છે, તે બહુ જાણીતા નાગ રૂપે જ નહીં પણ સર્વને વહેંચી આપવામાં આવતા યજ્ઞશેષ અન્ન પ્રસાદ રૂપે પણ ખરા. ગીતાનું જે યજ્ઞશિષ્ટ-અમૃત (૪-૩૧) છે, પોતાના કર્તવ્ય-કર્મ પછીના આનંદનો આસ્વાદ છે, તેમાં જ અનંત-અમૃત ભર્યું છે. એ શેષ છે, સાથે યજ્ઞ-નારાયણની શિખાને શિરે ધરી સદા પ્રજ્વલિત રાખે છે. વિષ્ણુ એના વિના અધૂરા રહી જાય. બળરામનું આવું ચિત્ર મનમાં વસતું ગયું. કથા રચાતી ગઈ. અને હલધર બળરામના આ ચિત્રને ટેકો આપતી સામગ્રી પણ પાછળથી મળી. પુરાણોમાં તો બળરામ હળ-મુશળને માત્ર આયુધો તરીકે ધારણ કરે છે. ધરતીના ખેડાણ સાથેનો વીસરાઈ ગયેલો સંબંધ થાઇલૅન્ડના કૃષિ-ઉત્સવે જોડી આપ્યો. ‘ધર્મયુગ’(૧૦ જુલાઈ, ૧૯૭૭)માં શ્રી. જગદીશચન્દ્ર માથુરે લખેલો લેખ : ‘થાઇલૈંડ મેં વર્ષા મંગલ’ મારા વાંચવામાં આવ્યો. તેમાં થાઈલૅન્ડમાં રાજ્ય તરફથી ઊજવાતા કૃષિ-મહોત્સવનું નજરે નિહાળેલું વર્ણન છે. આજે પણ આ ઉત્સવમાં મુખ્ય હળચાલકને ‘બલદેવ’ કહેવામાં આવે છે. રાજ્યના કૃષિ સચિવ બલદેવનો ભાગ ભજવે છે. ભારતમાં આ પ્રથા ક્યારે લુપ્ત થઈ તેની માહિતી મળતી નથી, પણ આ અહેવાલથી જાણવા મળે છે કે થાઇ લોકો અચ્છી રીતે ધરતી સાથે બળદેવનો નાતો જીવંત રાખી રહ્યા છે. તો આ નવલકથામાં કૃષિ-મહોત્સવનું જે વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં શ્રી માથુરનું કથન વણી લીધું છે. બળરામના સ્વભાવ અને ચરિત્ર વિષે પુરાણોમાંથી જે ઇશારા મળે છે તેમાં તે પૂરા તળ ધરતીના આદમી વરતાય છે. મહાપરાક્રમી હોવા છતાં તેમનામાં કૃષ્ણ જેવી રાજદ્વારી કુનેહ કે અલૌકિકતાની આભા જોવા મળતી નથી. વિશેષ તો એક મદ્યપ અને મસ્તરામ તરીકેની તેમની છબી છે. રેવતીના વિરહથી સ્થૂળ મદ્યમાં સરી પડતા અને રેવતીના સૂક્ષ્મ સહવાસથી તેમને ઊંચે ચડતા ‘અમર વારુણી’ પીતા મેં આલેખ્યા છે. પૃથ્વી અને પારલૌકિકતાના આ તંતુ પાછળ લેખકની કલ્પના કરતાં એક સૂક્ષ્મ જગતની અનુભૂતિનો સહારો છે એટલું કહી દેવાની અહીં છૂટ લઉં છું. ભૌતિક અને દૈવિક તાણાવાણાના મિલન વિના જીવનનું દર્શન કાયમને ખાતે અધૂરું, છિન્નવિચ્છિન્ન અને અર્થહીન રહી જવાનું એમ લાગ્યા કરે છે. આ વાત નિબંધો દ્વારા કહેવાનું મન થઈ જાય પણ મેં તો નવલકથા દ્વારા એ કહી નાખી, વાર્તારસિયા મિત્રોને કાને નાખવા. નવલકથાનું ક્ષેત્ર મારે માટે અહલ્યાભૂમિ. તેમાં હલધરને લાવવા ભારે કપરું કામ પણ કુન્દનિકાએ હિંમત બંધાવી એટલે આટલું ખેડાણ થઈ શક્યું. ફસલ કેવી ઊતરી છે તેનો હિસાબ ગણવાનું મારા હાથમાં નથી. આ કથા ‘જનશક્તિ’માં ધારાવાહી રૂપે પ્રગટ થઈ હતી. વાર્તાના વહેણને આમ ગતિશીલ રાખવા માટે બંધુ હરીન્દ્રને અહીં સ્મરી લઉં છું.
૧૫-ઑગસ્ટ’૮૧,
શ્રાવણી પૂર્ણિમા
મકરન્દ દવે