ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ

Revision as of 05:24, 11 October 2021 by MeghaBhavsar (talk | contribs)


‘હનુમાનગરુડ-સંવાદ’ : આરંભની ૧ કડી ટેકની અને પછી ૪ કડીના ૧૦ એકમ એ રીતે કુલ લાવણીની ૪૧ કડીમાં રચાયેલી દયારામની આ કૃતિ(મુ.)માં કૃષ્ણની વાડીમાં પેસી જનાર હનુમાન અને વાડીનું રક્ષણ કરનાર ગરુડ વચ્ચેનો સંવાદ આલેખાયો છે. બન્ને એકબીજાની અને એકબીજાના સ્વામીઓ-રામ અને કૃષ્ણ-ની નિંદા કરે છે, એમાં એમના જીવનની પુરાણપ્રસિદ્ધ હકીકતોનો આધાર લેવાયેલો છે. એથી કાવ્ય કેટલેક અંશે વિનોદાત્મક બન્યું છે. અંતે કૃષ્ણ રામની આણ કહેવડાવે છે ને હનુમાનને રઘુનાથ રૂપે દર્શન દે છે એમાં એ બન્નેના એકત્વનું સૂચન કવિ કરે છે. કવિ સ્પષ્ટતા કરે છે કે “વાણીવિલાસ કર્યો છે આ, નથી નિંદા ઉચ્ચારણ” અને રામકૃષ્ણ પ્રત્યેની પોતાની પ્રીતિ પ્રગટ કરે છે. [જ.કો.] હમીર(દાસ) [ઈ.૧૮૧૯ સુધીમાં] : ‘કૃષ્ણજીની નિશાળલીલા’ (લે.ઈ.૧૮૧૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

હમીર [ ] : જૈન. ‘સ્તવન-સંગ્રહ’ (લે.સં,૧૯મી સદી અનુ.) ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

‘હમ્મીર-પ્રબંધ’ [ર.ઈ.૧૫૧૯/સં.૧૫૭૫, ચૈત્ર વદ ૮, ગુરુવાર] : અમૃતકલશકૃત આ કૃતિ(મુ.) પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબંધ’ અને લાવણ્યસમયકૃત ‘વિમલપ્રબંધ’ જેવાં ઐતિહાસિક કાવ્યોની પરંપરામાં આવે છે. રણથંભોર ઉપર ઈ.૧૨૮૩થી ૧૩૦૧ સુધી રાજ્ય કરનાર શરણાગતવત્સલ અને ટેકીલા ચૌહાણ રાજા હમ્મીરદેવે પોતાને આશરે આવેલા મહિમાશાહ અને તેના નાનાભાઈ ગાભરુમીર નામે મુસ્લિમ અમીરને બચાવવા કરેલા સમર્પણને બિરદાવતા ૬૮૧ કડીના આ રાસનો પદબંધ મુખ્યત્વે ચોપાઈ, દુહા અને વસ્તુ છંદમાં છે. કાવ્યમાં હમ્મીરનાં માતા-પિતાનો, એની રાણીઓનો, એનાં સંતાનોનો અને ભાઈઓનો ઉલ્લેખ કરી કવિ તેનાં સૈન્યનું અને શસ્ત્રાસ્ત્રોનું ટૂંકું વર્ણન પણ આપે છે. રણથંભોર નગરની જાહોજલાલી અને કિલ્લાની શસ્ત્રસજ્જતા અને અખૂટ પુરવઠાનું કવિએ કરેલું વર્ણન ‘કાન્હડદેપ્રબંધ’ માં કરવામાં આવેલા જાલોરગઢના વર્ણન સાથે ઘણીબધી રીતે સામ્ય ધરાવે છે. આ ઉપરાંત, આ કાવ્યમાં બીજાં કેટલાંક સ્થાનો છે જેમાં ‘કાન્હડદે-પ્રબંધ’ જેવા પ્રધાનત: વીરરસના કાવ્યની શાબ્દિક છાયા જોવા મળે છે.[વ.દ.]

હરખ/હર્ષ(મુનિ) : હરખમુનિ કે હર્ષમુનિને નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ તથા ‘પુંડરિક-કુંડરિકની ઢાલ’ (લે.સં. ૧૯મું શતક) કૃતિઓ મળે છે અને હર્ષને નામે ૩૬/૩૭ કડીનું ‘પંચાંગુલી-સ્તોત્ર/પંચાંગુલી-મંગલસ્તોત્ર’ (લે.સં.૧૯મું શતક) મળે છે. તેમના કર્તા કયા હરખમુનિ કે હર્ષ છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧; ૩. લીંહસૂચી. [કા.શા.]

હરખ-૧ [ઈ.૧૭૪૪ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિના શિષ્ય. ૩૨ કડીના ‘નેમિજિન-સ્તવન (પશુપંખીવિજ્ઞપ્તિમય)’ (લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

હરખચંદ(સાધુ) [ઈ.૧૬૮૪માં હયાત] : જૈન સાધુ. મિશ્ર ભાષામાં રચાયેલા ‘શ્રીપાલ-ચરિત્ર’ (ર.ઈ.૧૬૮૪)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨. [કા.શા.]

હરખજી/હરખાજી/હરખાજિત : શ્રાવક હરખજીને નામે ‘પુણ્યપાપ-રાસ’ (લે.ઈ.૧૫૮૩), હરખાજીને નોમ ૧૦ કડીની ‘વંકચૂલ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા હરખાજિતને નામે ૧૧ કડીનું ‘વરકાણાપાર્શ્વજિનછંદ-સ્તવન’ (લે.ઈ.૧૬૫૯) અને ૮૭ કડીની ‘લાવણ્યલહરી/સ્થૂલિભદ્ર-છંદ’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા એક છે કે જુદા તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહસૂચી. [કા.શા.]

હરખવિજ્ય [ઈ.૧૪૮૮માં હયાત] : જૈન સાધુ. ૨૧ કડીની ‘નાલંદાપાડાની સઝાય’ (ર.ઈ.૧૪૮૮; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાચીન સ્તવનાદિસંગ્રહ, સં. તિલકવિજ્યજી, ઈ.૧૯૩૭. [કા.શા.]

હરગોવન/હરગોવિંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : મુખ્યત્વે ગરબાકવિ. અમદાવાદના વતની. માતાના ભક્ત. જ્ઞાતિએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ. પિતા અભેરામ. વલ્લભ ભટ્ટના શિષ્ય. તેઓ ઈ.૧૮૪૧માં અવસાન પામ્યા હોવાનું મનાય છે. આ કવિની કૃતિઓ એમાંની ઐતિહાસિક વીગતોને કારણે ધ્યાનપાત્ર બને છે. સુરતના દેવીમંદિરને લગતો ‘અંબાનો ગરબો’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, ફાગણ વદ ૧૧, રવિવાર), અંબાની કૃપા-અવકૃપા પામનાર શ્રીમાળી શ્રાવક વિમળની કથાને રજૂ કરતો ૪૦ કડીનો ‘વિમળનો ગરબો’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, શ્રાવણ સુદ ૧૧, રવિવાર), ૨૪ કડીનો ‘બહુચરનો ગરબો’, ૩૮ કડીનો ‘ગણપતિનો ગરબો’, ૧૨ કડીનો ‘અંબાનો ગરબો’ તથા જસોદાએ કૃષ્ણની ક્ષેમકુશળતા માટે અંબાજીની બાધા રાખી તેને વ્યક્ત કરતો ૩૭ કડીનો ‘અંબાજીનો ગરબો’ મુદ્રિત રૂપે મળે છે. તેમણે ભિન્ન ભિન્ન વિષયવાળી વિશેષત: હિંદીની અસરવાળી લાવણીઓ પણ રચી છે. પાર્વતીએ શિવજીના બ્રહ્મચર્યની કરેલી પરીક્ષાની કથાને રજૂ કરતી ૫૫ કડીની ‘શિવજીની લાવણી’ (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, શ્રાવણ વદ નાગપાંચમ-), રાજા પતાઈથી થયેલો કાળકામાતાનો અપરાધ અને તેને લીધે રાજાને ભોગવવી પડેલી સજાની કથાને આલેખતી ૫૮ કડીની ‘કાલકાની લાવણી’ (ર.ઈ.૧૮૧૦/સં.૧૮૬૬, ભાદરવા સુદ ૭, બુધવાર), સાધુરૂપ લઈને બાળકૃષ્ણનાં દર્શને આવેલા શિવજીને ભાતભાતની લાલચો આપી પાછા વાળવાનો પ્રયત્ન કરતા જસોદાના માતૃસ્નેહને પ્રગટ કરતી ૩૬ કડીની ‘શિવકૃષ્ણની લાવણી’ (ર.ઈ.૧૮૧૭/સં.૧૮૭૩, પુરુષોત્તમ માસ સુદ ૧૧-), મુસ્લિમ બાદશાહને આશા ખાંટ પોતાની દીકરી ડરથી પ્રેરાઈને પરણાવે છે એ પ્રસંગને રજૂ કરતી ‘પાછીપાની લાવણી’, બહુચમાની સ્તુતિ કરતી ૩૧ કડીની ‘નવાપરાની લાવણી’ (ર.ઈ.૧૭૯૮/સં.૧૮૫૪, શ્રાવણ સુદ ૭, શનિવાર) તથા ૬૭ કડીની અમદાવાદ શહેરની ઉત્પત્તિની કથા રજૂ કરતી ‘શહેરની લાવણી’-એ મુદ્રિત રૂપે મળે છે. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. બૃકાદોહન : ૫; ૩. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૪. શક્તિભક્તિ પદમાળા, પ્ર. અંબાલાલ લ. ભટ્ટ સ્થાપિત ભક્તમંડળ, ઈ.૧૯૧૦. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ; ૪. મસાપ્રકારો;  ૫. ગૂહાયાદી; ૬. ફાહનામાવલિ : ૧. [કી.જો.]

હરગોવનદાસ [ ] : જ્ઞાતિએ ખત્રી. સુરતના વતની. તેમણે તેમના જીવનના પ્રસંગોને કાવ્યમાં આલેખ્યા છે તથા પ્રભુભક્તિનાં અનેક પદોની પણ રચના કરી હોવાનું મનાય છે, જો કે મુદ્રિત કે હાથપ્રત રૂપે અત્યારે એમની કોઈ કૃતિ ઉપલબ્ધ થતી નથી. સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શ. રાણા.

હરચંદ[ ] : ‘બાર મહિના’ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [કી.જો.]

હરજી(મુનિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ઉપકેશગચ્છની બિવંદણિક શાખાના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં લક્ષ્મીરત્નના શિષ્ય. દુહા, ચોપાઈ અને શ્લોકોની કુલ ૧૧૯૦ કડીના, સંસ્કૃત કૃતિને આધારે રચાયેલા હાસ્યરસપૂર્ણ ‘ભરડકબત્રીસી-રાસ’ (ર.ઈ.૧૫૬૯/૧૫૮૮/સં.૧૬૨૫/૧૬૪૪, આસો વદ ૩૦) અને હાસ્યરમૂજનાં ૩૪ કથાનકોવાળી ‘વિનોદ-બત્રીસી/ચોત્રીસી-કથા’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, આસો સુદ ૧૫, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ: હરજીમુનિકૃત ‘વિનોદચોત્રીસી’, સંપા. કાન્તિભાઈ બી. શાહ, ૨૦૦૫ સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા;  ૩. સંબોધિ, એપ્રિલ ૧૯૭૮-જાન્યુ. ૧૯૭૯-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં હાસ્યકથાનકો’, હસુ યાજ્ઞિક;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી. [પા.માં.]

હરજી-૨ [ઈ.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભરૂચી ભક્તકવિ. ‘પસાઉલો’ તથા પદોના કર્તા. સંદર્ભ : ૧. પુગુસાહિત્યકારો;  ૨. ગૂહયાદી; ૩. ફૉહનામાવલિ. [કી.જો.]

હરજી(ભાઠી)-૩ [ ] : ૨૨ કડીની ‘રામદેવપીરના વિવાહ’(મુ.), ‘રામદેવની જન્મોત્રી’(મુ.) તથા ‘રામદેવ પીરની સાવળ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧.દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૩. ભજનચિંતામણિ, પ્ર. સત્સંગ પ્રિન્ટિંગ પ્રેસ, સં. ૧૯૯૨. [કી.જો.]

હરજી(મુનિ)-૪ [ ] : જૈન સાધુ. ગણપતિના શિષ્ય. ‘એકાદશ ગણધર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : સઝાયસંગ્રહ : ૧, સં. મુનિશ્રી સાગરચંદ્રજી, સં. ૧૯૭૮.[પા.માં.]

હરજીવન-૧ [સં. ૧૭મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. અમદાવાદના વતની. અવટંકે કોઠારી. ગુસાંઈજી (વિઠ્ઠલનાથ)ના ભક્ત સંદર્ભ : પુગુસાહિત્યકારો. [કી.જો.]

હરજીવન-૨ [ઈ.૧૮૨૩ સુધીમાં લગભગ] : ‘શિવકથા’ (લે.સં.૧૮૨૩ લગભગ) તથા ૬ કડીના માતાના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]

હરજીવન(માહેશ્વર)-૩ [ઈ.૧૮૭૨ સુધીમાં] : ‘હંસાહરણ’ (લે.ઈ.૧૮૭૨)ના કર્તા. સંદર્ભ: પાંગુહસ્તલેખો. [કી.જો.]

હરદાસ : આ નામે ‘સભાપર્વ’ (લે.સં.૧૯મી સદી અનુ.) નામની કૃતિ મળે છે તેના કર્તા કયા હરદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કુંતલપુરના હરદાસ-૩ની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ એવી કૃતિ મળે છે તે કૃતિ અને ‘સભાપર્વ’ એક હોઈ શકે. અથવા તો એ હરદાસે બીજી કોઈ ‘સભાપર્વ’ નામની જુદી કૃતિ રચી હોય. પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[જ.ગા.]

હરદાસ-૧ [ઈ.૧૫૦૪ સુધીમાં] : વૈષ્ણવ હોવાની સંભાવના. ૧૪ કડીના ‘ગોરી-સામલીનો સંવાદ’ (લે.ઈ.૧૫૦૪; મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.[ર.સો.]

હરદાસ(નડિયાદ)-૨ [ઈ.૧૬૮૪માં હયાત] : રામકબીર સંપ્રદાયની ઉદાધર્મશાખાના ભક્ત. જીવણદાસના શિષ્ય. ‘સમાગમ’ (ર.ઈ.૧૬૮૪)ના કર્તા. સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨. [ર.સો.]

હરદાસ-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૂનાગઢ પાસેના કુંતલપુર (કુતિયાણા)ના ક્ષત્રિય ભક્ત કવિ પિતા ભાણજી. રણછોડજી દીવાનના આશ્રિત. ગુરુ જશબીર. કવિની ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’ (ર.ઈ.૧૮૨૪/સં.૧૮૮૦, શ્રાવણ વદ ૮, બુધવાર) કૃતિ તથા ઉપલેટામાં રહેતા કવિના નાગર મિત્રે કવિને લખેલા પત્ર (ઈ.૧૮૨૯/સં.૧૮૮૫, જેઠ વદ ૧૩)ને આધારે કવિ ઈ.૧૯મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા એમ કહી શકાય. ‘સચિત્ર સાક્ષરમાળા’ ઈ.૧૭૭૪ કવિનું જન્મવર્ષ નોંધે છે. ૧૩ કડવાં ને ૨૩૫ કડીનું ‘શિવવિવાહ’ (ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, શ્રાવણ સુદ ૩, રવિવાર; મુ.), વિવિધ રાગનિર્દેશવાળું ૮૧ કડીનું ‘દ્રુપદીચીરહરણ-વ્યાખ્યાન’, ૧૨ કડીનું ‘નૃસિંહાવતાર વ્યાખ્યાન’(મુ.) કવિની કથામૂલક કૃતિઓ છે. એ સિવાય ધોળ, ગરબી, તિથિ, મહિના, ચાબખા વગેરે પ્રકારનાં આશરે પચાસેક પદ (મુ.) કવિએ રચ્યાં છે. જ્ઞાનવૈરાગ્ય, માતાની ભક્તિ આ પદોના મુખ્ય વિષય છે. કેટલાંક પદો હિંદી અને પંજાબીમાં પણ છે. કૃતિ : ૧. હરદાસકાવ્ય, સં. દામોદર હીરજી જાગડ, (+સં.);  યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસારસ્વતો; ૪. પ્રાકકૃતિઓ; ૫. સસામાળા. [ર.સો.]

હરદેવ(સ્વામી) [ઈ.૧૬૮૪માં હયાત] : આખ્યાનકવિ. માધવપુર/સિદ્ધપુરના સહસ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા મહાદેવ. માતા યશોદા. જન્મ ખંભાતમાં. પાછળથી સુરતમાં નિવાસ. ગુરુનું નામ શ્રીદેહ હોવાની સંભાવના. તેમનો અવસાનદિવસ ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, કરાતક સુદ ૧ ને શનિવાર નોંધાયો છે, પરંતુ તે સંભવિત લાગતો નથી. સ્કંદપુરાણાંતર્ગત બ્રહ્મોતરખંડમાંના ‘ચંદ્રશેખરઆખ્યાન’ને આધારે રચાયેલા ૩૭ કડવાંના ‘શિવપુરાણ’ (ર.ઈ.૧૬૮૪/સં.૧૭૪૦, કારતક સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. આ જ કૃતિમાંથી તારવેલી ‘સીમંતિની કથા (સોમપ્રદેશકથા)’ અલગ રૂપે મળી આવે છે. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ આ કવિને નામે ‘લક્ષ્મીઉમા-સંવાદ’ કૃતિ નોંધે છે, પણ તે માટે કોઈ આધાર નથી. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. ગુજરાત શાળાપત્ર, મે ૧૯૦૮-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે.; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફાહનામાવલિ : ૨.[કી.જો.]

હરપાળ [ ] : ‘હાલરુ’(મુ.) નામક પદના કર્તા. કૃતિ : નકાસંગ્રહ. [કી.જો.]

હરભુજી [ ] : ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : અભમાલા. [કી.જો.]

હરસેવક/હીરસેવક [ ] : જૈન સાધુ. ગુજરાતી-રાજસ્થાનીમિશ્ર ભાષામાં લખાયેલા ૧ ઢાળ અને ૧૮૭ કડીના ‘મયણરેહા-રાસ/ચોપાઈ’(મુ.)ના કર્તા. કૃતિને અંતે આવતી ‘વરસ ચૌદોતરા માંહિ’ પંક્તિ પરથી કૃતિનો ચોક્કસ રચનાસમય જાણી શકાતો નથી. કૃતિ : *મયણરેહા-રાસ, પ્ર. ભીમસી માણેક,-. સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. દેસુરાસમાળા;  ૫. ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૬૬-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [પા.માં.]

હરિ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : દાતા હરિનો પંથ ચલાવતા વડોદરાના ઔદીચ્ય ટોળકિયા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ઈ.૧૮૨૯/૧૮૩૯માં હયાત હોવાનો ઉલ્લેખ મળે છે. તેમની પાસેથી ૧૭૬ કડીની ‘સંક્ષિપ્ત દશમલીલા’(મુ.), ૧૦ કડીનું ‘હાલરડું’(મુ.), કવચિત્ હિન્દીની અસર ઝીલતાં ત્રણથી ૯ કડીનાં કૃષ્ણવિષયક પદો(મુ.), સાત વારનું પદ(મુ.) તથા ‘રુક્મિણીહરણ’ જેવી કૃતિઓ મળે છે. કૃતિ : ૧. ગુકાદોહન (+સં.); ૨. નકાદોહન; ૩. બૃકાદોહન : ૩ (+સં.); ૭; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ;  ૫. ગૂહાયાદી; ૬. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]

હરિ-૨ [ઈ.૧૮૬૪ સુધીમાં] : મેવાડા બ્રાહ્મણ. અવટંકે ભટ્ટ. ‘ઓખાહરણ (લે.ઈ.૧૮૬૪)ના કર્તા. હરિ-૧ અને આ કર્તા એક હોવાનું અનુમાન થયું છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩.  ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

હરિ-૩ [ ] : શિવભક્ત. અવટંકે ભટ્ટ. કલ્યાણબાના શિષ્ય હોવાની સંભાવના. ત્રણથી ૭ કડીનાં શિવ-સ્તુતિનાં પદો(મુ.) તથા ૯ કડીની શિવની આરતી(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. નકાદોહન. [શ્ર.ત્રિ.]

હરિકલશ-૧ [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ધર્મઘોષગચ્છના જૈન સાધુ. આનન્દસૂરિશિષ્ય અમરપ્રભસૂરિ (ઈ.૧૨૮૪ આસપાસ)ના શિષ્ય. ૨૦ કડીની ‘ગુજરાત સોરઠ-તીર્થમાલા’ (ર.ઈ.૧૩૦૪ આસપાસ; મુ.), ૧૩ કડીની ‘આદીશ્વર-વિનતિ’, ૧૩ કડીની ‘કુરુદેશ તીર્થમાલા-સ્તોત્ર’, ૯ કડીની ‘જીરાવલા-વિનતિ’, ૧૩ કડીની ‘દિલ્લી મેવાતિદેશ-ચૈત્યપરિપાટી’, ૨૨ કડીની ‘પૂર્વદક્ષિણદેશ-તીર્થમાલા’ અને ૧૧ કડીની ‘બાગડદેશ-તીર્થમાલા-સ્તોત્ર’ના કર્તા. કૃતિ : સ્વાધ્યાય, સપ્ટેમ્બર ૧૯૭૭-‘ગુજરાત સોરઠદેશ-તીર્થમાલા’, સં. અગરચંદ નાહટા, અનુ. જયન્ત ઠાકર (+સં.). સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [પા.માં.]

હરિકલશ-૨ [ઈ.૧૫૧૬ સુધીમાં] : ધર્મઘોષગચ્છના જૈન સાધુ. જયચંદ્ર/જયશેખરના શિષ્ય. ‘ભુવનભાનુકેવિલ-ચરિત્ર-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૧૬)ના કર્તા. તેઓ હરિકલશ-૧ છે કે તેમનાથી ભિન્ન તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦-‘ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ મુનિશ્રી પુણ્યવિજ્યજીનું ભાષણ-પરિશિષ્ટ’;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

હરિકીશન [ ] : ‘આત્મબોધનાં પદ’ના કર્તા. ‘પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ’ કર્તાનામ હરિ, પિતાનામ કીસન અને વતન નડિયાદ નોંધે છે. પણ એની પાછળ કોઈ ચોક્કસ આધાર નથી. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]

હરિકુશલ [ઈ.૧૫૮૪માં હયાત] : જૈન. ‘કુમારપાળ-રાસ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

હરિકૃષ્ણ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અખાની પરંપરાના જ્ઞાનમાર્ગી કવિ. લાલદાસ શિષ્ય. અમદાવાદની વતની. જ્ઞાતિએ વિસનગરા નાગર. અવટંકે દવે. તેઓ ઈ.૧૭૨૫માં હયાત હોવાનું નોંધાયું છે. ગુરુમહિમા તથા આત્માનુભૂતિનું ગાન કરતાં ત્રણથી ૪ કડીનાં ૨ પદ(મુ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ કૃષ્ણજી અને પ્રસ્તુત હરિકૃષ્ણને એક માને છે. જુઓ કૃષ્ણજી. કૃતિ : ૧. અસપરંપરા (+સં.); ૨. પ્રાકાવિનોદ : ૧. સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૫.[ચ.શે.]

હરિખીમ [ઈ.૧૭૪૦માં હયાત] : ગુરુ ગેબીનાથ એવો નામોલ્લેખ મળે છે તે કોઈ વ્યક્તિનામ જ હશે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. આ કવિએ ૫૨ કડીની ‘બારમાસી’ (ર.ઈ.૧૭૪૦) તથા ૧૭ કડીની ‘તિથિ’(મુ.) એ કૃતિઓ રચેલી છે. ‘તિથિ’ કેટલેક સ્થાને ખીમસ્વામી કે ખીમસાહેબને નામે મુકાયેલી છે. કૃતિ : ૧. ભસાસિંધુ; ૨. રવિભાણસંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, ઈ.૧૯૮૯. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. કદહસૂચિ; ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨.[ર.સો.]

હરિચન્દ્રહરિચન્દ્ર : આ નામે ૫ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૦૭) મળે છે. તેના કર્તા કયા હરિચન્દ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

હરિચન્દ્ર-૧ [સંભવત: ઈ.૧૬૪૧માં હયાત] : જૈન સાધુ ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય. ૧૪ કડીના ‘મોઢેરાપાર્શ્વનાથ-સ્તવન’ (સંભવત: ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, વૈશાખ સુદ ૮,-; મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [પા.માં.]

હરિદાસ : આ નામે કેટલીક આખ્યાનકલ્પ લાંબી કૃતિઓ અને પદ જેવી ટૂંકી રચનાઓ મળે છે. ‘સુધન્વાખ્યાન’ (ર.ઈ.૧૬૭૮)ને હરિદાસ-૨ની કૃતિ માનવાનું વલણ છે, પરંતુ ‘કવિચરિત’ અને ‘ગુજરાતના સારસ્વતો’ આ કૃતિને અજ્ઞાત હરિદાસની ગણે છે. ૩૦૫ કડીનું ‘તુલસી-માહાત્મ્ય’ (મુ.), ‘ભક્તમહિમા’, ‘એકાદશી-કથા’, (ર.ઈ.૧૫૯૭) એ કૃતિઓ કયા હરિદાસની છે તે નિશ્ચિત રીતે કહેવું મુશ્કેલ છે. એ સિવાય ‘રામજીના બારમાસા’ (લે.સં. ૧૭મી સદી), ‘દાણલીલા’, ‘વનયાત્રાનું ધોળ’(મુ.), ‘કાલિમાતાનો ગરબો’(મુ.), વલ્લભાચાર્ય અને ગોકુલનાથની સ્તુતિ કરતાં ધોળ અને પદ(મુ.), પ્રેમસંબંધી દુહા, ભક્તિવૈરાગ્યનાં પદ, ૧૦ કડવાંની ‘કપિલ-ગીતા’ (લે.ઈ.૧૮૫૧), ૬૯ કડીનું ‘ચોર્યાશી વૈષ્ણવનું ધોળ’ (લે.સં.૧૯મી સદી), ૧૦૦૦ ગ્રંથાગ્રનો ‘સીતાસ્વયંવર’ (ર.ઈ.૧૬૪૭) તથા જૂનાગઢની વૈષ્ણવ હવેલીના કોઈ ગોસ્વામીના લગ્નને વિષય બનાવી રચાયેલો ‘માંડવો’(લે.સં.૧૮૬૭)-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા પણ કયા હરિદાસ છે તે નિશ્ચિત રીતે કહી શકાતું નથી. ‘વંશવેલી’ નામની આ નામે મુદ્રિત રૂપે મળતી કૃતિ કોઈ અર્વાચીન કવિએ આ નામે ચડાવી હોવાની સંભાવના છે. કૃતિ : ૧. નરસિંહ મહેતાના કોયડાનો ઉકેલ, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ.૧૯૩૩; ૨. નકાદોહન; ૩. પ્રાકસુધા : ૨; ૪. બૃકાદોહન : ૭, ૮; ૫. ભક્તકવિ દયારામ વિરચિત શ્રી વ્રજવિલાસામૃત, પ્ર. ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ, ઈ.૧૯૩૩; ૬. ભજનસાર : ૨; ૭. ભસાસિંધુ. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસારસ્વતો; ૩. પાંગુહસ્તલેખો; ૪. પુગુસાહિત્યકારો; ૫. પ્રાકકૃતિઓ; ૬; બધેકાશાઈ બનાવટ,-;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. ગૂહાયાદી; ૯. ડિકૅટલૉગબીજે; ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. ફૉહનામાવલિ; ૧૨. રાહસૂચી : ૧; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]

હરિદાસ-૧ [ઈ.૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સમકાલીન અને વલ્લભાચાર્યના ભક્ત. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]

હરિદાસ-૨ [ઈ.૧૫૮૧માં હયાત] : ખંભાતના વાળંદ. પિતાનું નામ લહુઆ. મૂળ કથાને જ અનુસરવાનું વલણ દાખવતું ૨૨ કડવાંનું ‘ધ્રુવાખ્યાન’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, ચૈત્ર-૧૧, શનિવાર; મુ.) એમણે રચ્યું છે. ‘કવિચરિત’ ‘પ્રેમલારાણીનું આખ્યાન’ તથા ‘મૃગલી-સંવાદ’ એ કૃતિઓને ભાષાના સામ્ય અને કાવ્યના પ્રારંભમાં કવિનામ આપવાની લઢણને લક્ષમાં લઈ આ કવિની કૃતિઓ માને છે, પરંતુ ‘ગુજરાતના સારસ્વતો’ એમને કોઈ અન્ય હરિદાસની હોય એમ સ્વીકારે છે. આ કવિએ ‘પ્રહ્લાદાખ્યાન’ રચ્યું હોવાનું મનાય છે, પરંતુ તેની કોઈ પ્રત ઉપલબ્ધ થતી નથી. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે; ૪. ફાહનામાવલિ : ૨. [ર.સો.]

હરિદાસ-૩ [ઈ.૧૫૮૮ કે ઈ.૧૫૯૧માં હયાત] : અમદાવાદની પાસે આવેલા બારેજાના રાયકવાળ બ્રાહ્મણ. મહાભારતના આદિપર્વની કથાને બહુધા દુહાબંધની દેશીઓનાં બનેલાં, ઊથલો કે વલણ વગરનાં, ૮૮ કડવાં ને ૩૨૨૮ કડીઓમાં ઢાળી કવિએ રચેલું ‘આદિપર્વ’ (ર.ઈ.૧૫૮૮-૧૫૯૧/સં.૧૬૪૪-૧૬૪૭, અસાડ સુદ ૧૨, શુક્રવાર; મુ.) કવિની એકમાત્ર પણ એમની મૌલિકતાનો પરિચ કરાવતી ધ્યાનાર્હ આખ્યાનકૃતિ છે. કૃતિને રસાવહ બનાવવા માટે કવિએ મૂળ કથાપ્રસંગોનું પૌર્વાપર્ય બદલ્યું છે ને કેટલાક પ્રસંગો પણ કાઢી નાખ્યા છે. ઘણી જગ્યાએ પ્રસંગનિરૂપણમાં ફેરફાર કરે છે ત્યાં પાત્રની ચરિત્રગત લાક્ષણિકતાને સ્ફુટ કરવા તરફ એમનું લક્ષ હોય છે. આ કૃતિનાં કેટલાંક કડવાંને સંકર કરી રચાયેલી બીજી ‘આદિપર્વ’ (ર.ઈ.૧૬૦૪) કૃતિ મળે છે. જુઓ મનોહરદાસ : ૧. કૃતિ : શ્રી મહાભારત (ગુજરાતી પદબંધ) : ૧, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૩૩ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૨. ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી. [ર.સો.]

હરિદાસ-૪ [ઈ.૧૬૪૪માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. વલ્લભાચાર્યના પૌત્ર ગોકુલનાથજીના શિષ્ય. ભરૂચના વતની. પિતા નાથાભાઈ, માાતા ગંગાબાઈ. ૫૨ ધોળની ‘અનુભવાનંદ’ (ર.ઈ.૧૬૪૪/સં.૧૭૦૦, ફાગણ સુદ ૩, શનિવાર; મુ.)માં ગોકુલેશપ્રભુ (શ્રીગોકુલનાથજી)ના અવતારી સ્વરૂપનું વર્ણન છે. આદિત્ય, સાગર, મેઘ, સરોવર ને કુલદીપ સાથે ગોકુલેશ પ્રભુને સરખાવી કવિએ એમનું બહુ ભાવમય વર્ણન કર્યું છે. ગ્રંથના પ્રારંભમાં મુકાયેલું ગદ્ય ઈ.૧૭મી સદીના ગદ્યને સમજવામાં ઉપકારક બને છે. ‘વિરહગીતા’ (અંશત: મુ.), ‘જન્મલીલા’, ‘રસમંજરી/ભક્તસુખદમંજરી’ તથા ધોળ, કીર્તન વગેરે કવિની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. ગોકુલેશ ધોળ પદ માધુરી,-; ૨. અનુગ્રહ, એપ્રિલ-મે ૧૯૬૦-‘હરિદાસ વૈષ્ણવ અને અનુભવાનંદ ગ્રંથ’, ચિમનલાલ મ. વૈદ્ય (+સં.). સંદર્ભ : કવિચરિત : ૧-૨; ગોપ્રભકવિઓ; ૩. પુગાસાહિત્યકારો. [ર.સો.]

હરિદાસ-૫ [ઈ.૧૬૬૯માં હયાત] : વડોદરાના વીશાલાડ વાણિયા. પિતા દેવીદાસ. તેઓ પ્રેમાનંદના મુનીમ હતા અને પાછળથી પ્રેમાનંદ પાસે કાવ્યાધ્યયન કરી તેમના શિષ્ય બન્યા હતા એ એમના જીવન વિશે પ્રચલિત કરવામાં આવેલી માહિતીને કોઈ આધાર નથી. એમણે ૧૩ આખ્યાનો રચ્યાં હોવાનું નોંધાયું છે અને એમાંથી ૨૨ કડવાંનું ‘નરસિંહ મહેતાના પુત્રનો વિવાહ’ (ર.ઈ.૧૬૬૯/સં.૧૭૨૫, કારતક સુદ ૧, મંગળવાર; મુ.) આખ્યાનને હસ્તપ્રતોનો ટેકો હોવાથી એ કવિની શ્રદ્ધેય કૃતિ જણાય છે. ‘ભારતસાર’ ‘સીતાવિવાહની ચાતુરીઓ’, ‘નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ’, ‘અગ્નિમંથનકાષ્ટહરણ’, ‘ઈંદુમિંદુ’ એ કૃતિઓ કવિને નામે મુદ્રિત સ્વરૂપે મળે છે, પરંતુ એમને હસ્તપ્રતોનો ટેકો નથી. આ કૃતિઓની ભાષા તથા એમાં આવતા કેટલાક સંદર્ભો એમને અર્વાચીન સમયમાં રચી કવિને નામે ચડાવી દેવાઈ હોવાનું માનવા પ્રેરે છે. કવિને નામે મળતી ‘મોસાળું’ નામની કૃતિની હસ્તપ્રત નડિયાદની ‘ડાહીલક્ષ્મી લાયબ્રેરી’માં છે એમ નોંધાયું છે, પરંતુ એ પણ શંકાસ્પદ લાગે છે. ‘સ્વર્ગારોહણ’, ‘અશ્વમેધ’ અને ‘ભાગવત પ્રથમસ્કંધ’ કવિને નામે નોંધાયેલી કૃતિઓ પણ બનાવટી હોય એમ લાગે છે. કૃતિ : ૧. અગ્નિમંથનકાષ્ઠહરણ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ.૧૯૦૮; ૨. ઈંદુમિંદુ, પ્ર. ધી ગુજરાત ઑરિએન્ટલ બુક ડેપો, ઈ.૧૯૦૮; ૩. પ્રાકામાળા : ૯(+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુમાસ્તંભો; ૩. ગુલિટરેચર; ૪. ગુસાઇતિહાસ : ૨; ૫. ગુસાપઅહેવાલ : ૬-‘પ્રેમાનંદ યુગનાં કેટલાંક કાવ્યોનો કાળનિર્ણય’, મણિલાલ શા. દ્વિવેદી;  ૬. ગૂહાયાદી. [ર.સો.]

હરિદાસ-૬ [સં. ૧૮મી સદી] : રાઘવદાસના પુત્ર. જ્ઞાતિએ લુહાણા. પિતાએ રચેલા ‘અધ્યાત્મરામાયણ’ (ર.સં. ૧૭૭૨)નું વ્યવસ્થિત સંપાદન તેમણે કર્યું છે એમ કૃતિના અંત પરથી જણાય છે. જુઓ રાઘવદાસ-૧. સંદર્ભ : સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૪-‘રાઘવદાસ અને તત્સુત હરિદાસનું અધ્યાત્મરામાયણ’, દેવદત્ત જોશી. [ર.સો.]

હરિદાસ-૭ [સં.૧૮મી સદી ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી સિવાયના વિઠ્ઠલનાથજીના અન્ય પુત્રોના ભક્ત. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [ર.સો.]

હરિદાસ-૮ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. હરિરાયજીના અનુયાયી. વ્રજમાંથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ ઐતિહાસિક પ્રસંગનું આલેખન કરતી કૃતિ તથા પદો એમણે રચ્યાં છે. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [ર.સો.]

હરિદાસ-૯ [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. કરાણિયાના કાયસ્થ. ‘પિંગળચરિત્ર’ અને પદોના કર્તા. તેમણે સંસ્કૃત અને વ્રજ ભાષામાં પણ ઘણા ગ્રંથો રચ્યા છે અને ‘રુચિરાષ્ટક’ પર ટીકા લખી છે. સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો. [ર.સો.]

હરિદાસ-૧૦ [ઈ.૧૮મી સદી] : જિતામુનિ નારાયણ શિષ્ય અને સંતરામ મહારાજના ગુરુભાઈ. આત્મજ્ઞાનનાં કેટલાંક પદ (૭ મુ.)ના કર્તા. કૃતિ : ૧. પદસંગ્રહ, પ્ર. શ્રી સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, ઈ.૧૯૭૭ (ચોથી આ.); ૨. અસપરંપરા (સં.). સંદર્ભ : ૧. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ, ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪; ૨. પ્રાકકૃતિઓ. [ર.સો.]

હરિદાસ-૧૧ : જુઓ શોભામાજી.

હરિદાસ-૧૨: [ઈ.૧૮૨૨ સુધીમાં] : જૂનાગઢના દરજી. તેમની ‘રામાયણના ચંદ્રાવાળા’ કૃતિની ઈ.૧૮૨૨ની પ્રત મલે છે. તેઓ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા કે નહીં તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. જૂનાગઢની વૈષ્ણવ હવેલીના કોઈ ગોસ્વામીના લગ્નનો ‘માંડવો’ નામની કૃતિની ઈ.૧૮૧૧માં લખાયેલી પ્રત ઉપલબ્ધ થાય છે. એ કૃતિ જો આ હરિદાસની હોય તો તેઓ વૈષ્ણવ હોવાનું માની શકાય, પરંતુ એ કૃતિ આ હરિદાસકૃત છે એમ કહેવા માટે કોઈ ચોક્કસ આધાર નથી. ‘પુષ્ટિમાર્ગીય ગુજરાતી સાહિત્યકારો વિશે કંઈક’ સં. ૧૯મી સદીમાં એક પુષ્ટિમાર્ગીય હરિદાસ થઈ ગયાનું નોંધે છે તો એ હરિદાસ અને આ કવિ એક હોઈ શકે. રામના લંકાવિજ્ય સુધીના પ્રસંગોને ૧૨૦૧ કડીમાં આલેખતી ‘રામાયણના ચંદ્રાવળા’(મુ.) કૃતિની ભાષા સૌરાષ્ટ્રની તળપદી વાણીના સંસ્કારવાળી છે. કવિએ રચેલી ‘જૂનાગઢના ચંદ્રાવળા’ અને ‘મહાભારતના ચંદ્રાવળા’ કૃતિઓ પણ તૂટક રૂપે મળે છે. કૃતિ : રામાયણના ચંદ્રાવળા, પ્ર. શાહ પુરુષોત્તમ ગીગાભાઈ, ઈ.૧૯૩૧. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.]

હરિબલ [ ] : જૈન. ૯ કડીના ‘નેમિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી.[પા.માં.]

‘હરિબલમાછીરાસ’ [ર.ઈ.૧૭૫૪/સં.૧૮૦૧, મહા સુદ ૨, મંગળવાર] : તપગચ્છના અમરવિજ્યશિષ્ય લબ્ધિવિજ્યની ૪ ઉલ્લાસ, ૫૯ ઢાળ ને ૭૦૦ કડીની દુહાબદ્ધ કૃતિ(મુ.). મુનિ સુકૃતમલે કરેલો જીવદયાનો ધર્મોપદેશ સાંભળી કનકપુરનો હરિબલ માછી પહેલી વારની જાળમાં પકડાયેલા જીવોને છોડી મૂકવાનો અભિગ્રહ લે છે. એ અભિગ્રહના નિષ્ઠાપૂર્વકના પાલનથી સાગરદેવ તેના ઉપર પ્રસન્ન થાય છે. હરિબલ વણિકથી આકર્ષાયેલ રાજકુંવરી વસંતશ્રી કાલિકાને મંદિરે મળવા માટે એની સાથે સંકેત કરે છે, પરંતુ એ વણિક ન આવતાં હરિબલ માછી સાથે વસંતશ્રીનો મેળાપ થાય છે. સાગરદેવની કૃપાથી દેદીપ્યમાન દેહવાળા બનેલા હરિબલ માછી સાથે વસંતશ્રી ચાલી નીકળે છે. વસંતશ્રી પ્રત્યે લોલુપ બનેલા વિશાલા નગરીના રાજાએ કપટી અમાત્ય કાલસેનની સલાહથી લંકા જઈને લંકાપતિને તથા યમપુરી જઈને યમરાજને નિમંત્રણ આપી આવવાને બહાને હરિબલનું કાસળ કાઢવાની યુક્તિ કરી, પરંતુ સાગરદેવની કૃપાથી હરિબલ આ તરકટોમાંથી હેમખેમ પાર ઊતર્યો, અગ્નિચિતામાંથી પણ ઊગર્યો તથા યમરાજાનો બનાવટી સંદેશો ઊભો કરી કાલસેનને સ્વેચ્છાએ ચિતા પર ચઢાવી દીધો. જીવદયાના ધર્માચરણ બદલ હરિબલ માછી અનેક આફતોમાંથી ઊગરે છે તેમ જ બે રાજ્યનો રાજા બનવા ઉપરાંત બે રાજકુમારીને પરણે છે એવી જૈનધર્મના કર્મસિદ્ધાંતનું પ્રતિપાદન કરતી, ઉપદેશપ્રધાન અને વિસ્તારી છતાં રોચક કથા આ રાસમાં આલેખાઈ છે. રાસને અંતે હરિબલ માછીના પૂર્વભવની કથા આ રાસમાં આલેખાઈ છે. રાસને અંતે હરિબલ માછીના પૂર્વભવની કથા સંક્ષિપ્ત રૂપે આલેખાઈ છે. શૈલીની પ્રવાહિતા, વિવિધ પ્રકારનાં દૃષ્ટાંતોનો કાર્યસાધક વિનિયોગ, રૂઢિપ્રયોગો, વિસ્તૃત ઉક્તિઓ અને સંવાદો દ્વારા પાત્રોના મનોભાવોની અસરકારક અભિવ્યક્તિ તેમ જ રાક્ષસ, સભા, સ્વર્ગ વગેરેનાં વર્ણનોથી આ રાસ રસપ્રદ બન્યો છે. ભાષામાં હિન્દી-મરાઠીની છાંટ તથા ફારસી શબ્દોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે.[ર.ર.દ.]

હરિરામ : આ નામે ૭ કડીનો ‘અંબાજીનો ગરબો’(મુ.) મળે છે. તેના કર્તા કયા હરિરામ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩.[શ્ર.ત્રિ.]

હરિરામ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : સુરતના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતાનું નામ વીરમ. વ્યવસાયે માણભટ્ટ. મુખ્યત્વે વીરરસ અને ગૌણ અદ્ભુત અને કરુણારસવાળા, જૈમિનીય અશ્વમેઘપર્વ પર આધારિત ૨૩ કડવાંના ‘બભ્રુવાહન-આખ્યાન’ (ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬,ભાદરવા સુદ ૫, ગુરુવાર), ભારદ્વાજ-વાલ્મીકિના સંવાદ રૂપે સીતાજન્મથી માંડી રામ સાથેનાં તેનાં લગ્ન અને રામ સાથે સીતાનું અયોધ્યાગમન સુધીના પ્રસંગોને વર્ણવતા, અદ્ભુતરસપ્રધાન, ૨૧ કડવાંના ‘સીતાસ્વયંવર’ (ર.ઈ.૧૬૪૭; મુ.), કૃષ્ણવિરહના ં થોડાં પદ તથા ‘રુક્મિણીહરણ’-એ કૃતિઓના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૩. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પાંગુહસ્તલેખો; ૬. પ્રાકકૃતિઓ;  ૭. સ્વાધ્યાય, નવેમ્બર ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. ગૂહાયાદી; ૧૦. ડિકૅટલૉગબીજે; ૧૧. ડિકૅટલૉગભાવિ; ૧૨. ફાહનામાવલિ : ૨; ૧૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

હરિરામ-૨ [ ] : સંતરામ મહારાજના શિષ્ય. ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. ‘અખો અને મધ્યકાલીન સંતપરંપરા’ આ કર્તાને અને હરિરામ-૧ને એક માને છે, પરંતુ એમ માનવા માટે કોઈ ચોક્કસ આધાર નથી. કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, ઈ.૧૯૭૭(ચોથી આા.) સંદર્ભ : ૧. અસંપરંપરા; ૨. ચરોતર સર્વસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમ છ. શાહ અને ચંદ્રકાન્ત ફ. શાહ, ઈ.૧૯૫૪. [શ્ર.ત્રિ.]

હરિવલ્લભ(ગણિ)-૧ [ઈ.૧૬૬૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. સુધર્મસ્વામીકૃત મૂળ પ્રાકૃત કૃતિ ‘ઉપાસકદશાંગસૂત્રવૃત્તિ’ પરના ૨૫૦૦ ગ્રંથાગ્રના સ્તબક (લે.ઈ.૧૬૬૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]


હરિવલ્લભ-૨[ ] : અવટંકે ભટ્ટ. ‘દ્વાદશમહિના’ના કર્તા. તેઓ હરિ-૧ હોઈ શકે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

‘હરિવિલાસ-ફાગ’ : કૃષ્ણની બાળલીલા અને રાસલીલાના પ્રસંગોને વર્ણવતું ૧૩૨ કડીનું આ અજ્ઞાતકર્તૃક ફાગુકાવ્ય(મુ.) મળ્યું છે તે રૂપમાં અપૂર્ણ લાગે છે. વિષ્ણુપુરાણના પાંચમા અંશના ત્રણથી ૧૬ અધ્યાયમાંના પ્રસંગોને આધારે રચાયેલા આ કાવ્યની ૧૩૨ કડીઓમાં વિષ્ણુપુરાણમાંથી ૨૦ અને અન્ય ગ્રંથોમાંથી ૨ એમ કુલ ૨૨ સંસ્કૃત શ્લોક કવિએ ગૂંથ્યા છે. બાકીની કડીઓ ૧૨ +૧૧ માત્રાના ઉપદોહક (ફાગબંધ) છંદમાં છે. ચતુર્ભુજની ‘ભ્રમરગીત’ (ર.ઈ.૧૫૨૦)ને મળતું આવતું કૃતિનું ભાષાસ્વરૂપ તથા કથાપ્રસંગને પડછે વસંતવર્ણન કરાવાની રીતિ એ બાબતોને લક્ષમાં લેતાં કૃતિ સં. ૧૬મી સદીમા રચાઈ હોવાનું અનુમાન થયું છે. કાવ્યમાં સમગ્ર નિરૂપણ પરથી લાગે છે કે એના રચયિતા કોઈ જૈનેતર કવિ છે. પ્રારંભની ૩૧ કડીઓમાં કૃષ્ણજન્મ, પુતનાવધ, જસોદાને થયેલું વિશ્વદર્શન, કેશિવધ, ગોવર્ધનધારણ, કાલિયદમન, વૃષાસુર વધ વગેરે કૃષ્ણની બાળલીલાના જાણીતા મહત્ત્વના પ્રસંગો સંક્ષેપમાં આટોપી પછી ૧૦૦ જેટલી કડીઓમાં રાસલીલાના પ્રસંગને કવિ વિસ્તારથી આલેખે છે. એટલે બાળલીલાના પ્રસંગોમાં કથન વિશેષ છે, જ્યારે રાસલીલાનો પ્રસંગ વર્ણનાત્મક વિશેષ છે. શરદ, કૃષ્ણરૂપ, વેણુવાદનથી ઉત્કંઠિત ગોપી, કૃષ્ણના અંતર્ધાન થવાથી ગોપીની વિરહાવસ્થા, વસંત, રસલીલા, ગોપીસૌંદર્ય વગેરેનાં વર્ણનોમાં સરતી કૃતિ ભાવસભર બને છે. છંદનો મુક્ત પ્રવાહ, અંતરયમકમાં આયાસનો અભાવ, દાણલીલા ને વિશેષ રાસલીલાનાં જીવંત ગતિશીલ ભાવચિત્રોથી અનુભવાતી કાવ્યમયતા કૃતિને ફાગુકાવ્યોની પરંપરામાં વિશિષ્ટ સ્થાનની અધિકારી બનાવે છે. કૃતિ : સ્વાધ્યાય, મે ૧૯૬૫-‘હરિવિલાસ-એક મધ્યકલીન જૈનેતર ‘ફાગુ-કાવ્ય’, હરિવલ્લભ ચૂ. ભાયાણી (+સં.). સંદર્ભ : ગુસાઇતિહાસ : ૨.[જ.ગા.]

હરિશંકર : આ નામે ‘રણયજ્ઞ’ નામક કૃતિ મળે છે તેના કર્તા કયા હરિશંકર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

હરિશંકર-૧ [ઈ.૧૮૪૫ સુધીમાં] : અવટંકે મહેતા. ‘જહાંદારશાની વાર્તા’ (૧૪ વાર્તાઓ) (લે.ઈ.૧૮૪૫) અને દુહા-ચોપાઈમાં ‘બદિએલ જમાલપરીની વાર્તાનું ગુજરાતીમાં ભાષાંતર (લે.ઈ.૧૮૬૭) કરનાર. સંદર્ભ : ૧. ગૂહાયાદી : ૨. ૨. ડિકૅટલૉગભાવિ; ૩. ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

હરિશ્ચંદ્ર [ ] : ૬૭ કડીના ‘રેંટિયાનું પદ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુધા : ૧. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]

‘હરિશ્ચન્દ્રતારાલોચનીચરિત્ર-રાસ’ [ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, શ્રાવણ સુદ ૫] : ભાવહડગચ્છના કનકસુંદરની ૫ ખંડ, ૩૯ ઢાળ અને ૭૮૧ કડીની દુહા-દેશીબદ્ધ આ કૃતિ(મુ.) હરિશ્ચન્દ્ર-તારામતીના પ્રસિદ્ધ હિંદુ કથાનકને જૈન ધર્મના કર્મસિદ્ધાંતને અનુરૂપ થોડા ફેરફારો સાથે રજૂ કરે છે. પ્રસંગનિરૂપણ કરતાં વિશેષપણે વિવિધ પ્રસંગે પાત્રોના મનોભાવોને વાચા આપવામાં કવિએ લીધેલો રસ તથા ‘રાગ છત્રીસે જુજુઆ’ એવા કવિના ઉલ્લેખને સાર્થક કરતી સુગેય ઢાળોની રચના આ કૃતિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. પ્રસંગોપાત્ત હિંદી-રાજસ્થાનીનો પ્રયોગ કરતી કવિની ભાષાભિવ્યક્તિ પ્રાસાદિક અને મધુર હોવા ઉપરાંત ઉપમાદૃષ્ટાંતાદિ અલંકારોના વિનિયોગથી અસરકારક પણ બને છે. સુભાષિત રૂપ સંસ્કૃત શ્લોકો અને પ્રાકૃત ગાથાઓ ગૂંથીને કવિએ પોતાનો કાવ્યાભ્યાસ પ્રદર્શિત કર્યો છે. [જ.કો.]

હરિસાગર : આ નામે ૬ કડીનું ‘નેમિજિન-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તેના કર્તા કયા હરિસાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

હરિસાાગર-૧ [ઈ.૧૭૫૮માં હયાત] : જૈન સાધુ. ૨૫ કડીના ‘૨૪ જિનવર સવૈયાસંગ્રહ’ (ર.ઈ.૧૭૫૮)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

હરિસિંગ [ ] : પાંચથી ૨૦ કડીનાં ગુરુમહિમા ને વૈરાગ્યબોધનાં ભજનો(મુ.)ના કર્તા. આ નામે હિન્દી ભજનો(મુ.) પણ મળ્યાં છે. કૃતિ : ૧. (શ્રી) પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. ભજનસાગર ૨; ૩. ભસાસિંધુ. [શ્ર.ત્રિ.]

હરિસિંહ [ ] : ભજનો (૧ મુ.)ના કર્તા. ‘ભજનસાગર : ૨’માં હરિસિંહને નામે મુદ્રિત ભજનોમાં નામછાપ ‘હરિ’ મળે છે. એટલે એ પદો હરિસિંહના છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, ઈ.૧૯૦૯; ૨. ભજનસાગર : ૨. સંદર્ભ : ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]

હર્ષ [ઈ.૧૬૭૨માં હયાત] : ૨૭ કડીના ‘નેમરાજિમતીની બારમાસી/નેમિજિનરાજિમતી-બારમાસ’ (ર.ઈ.૧૬૭૨; મુ.)ના કર્તા. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : લીંહસૂચી. [ક.શા.]

હર્ષકીર્તિ : આ નામે ૩૩ કડીનો ‘લોંકામત પ્રતિબોધ-કુલક’ (લે.સં. ૧૭મું શતક અનુ.), ૧૯ કડીનો ‘કર્મહિંડોલ-રાસ’, ‘સુદર્શનશેઠની સઝાય’ અને ૨૪ કડીની ‘મૃગાપુત્રની સઝાય’ મળે છે. તેમના કર્તા કયા હર્ષકીર્તિ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧; ૩.લીંહસૂચી. [ક.શા.]

હર્ષકીર્તિ-૧ [ઈ.૧૭મી સદીનો પૂર્વાર્ધ] : નાગોરી તપગચ્છના જૈન સાધુ. રત્નશેખરની પરંપરામાં ચંદ્રકીર્તિના શિષ્ય. પહેલાં ઉપાધ્યાય હતા, પાછળથી સૂરિપદ પ્રાપ્ત થયું. એમણે રચેલા અનેક સંસ્કૃત ગ્રંથો પરથી તેઓ વ્યાકરણ, કાવ્ય, છંદ અને વૈદકના વિદ્વાન હશે એમ જણાય છે. એમણે ૩ ઢાળ ને ૨૪/૨૮ કડીની ‘વિજ્યકુમાર-કુમારી-સઝાય/વિજ્યશેઠ-વિજ્યાશેઠાણી-રાસ/વિજ્યશેઠ-વિજ્યશેઠાણી સ્વલ્પ-પ્રબંધ કૃષ્ણશુક્લપક્ષ-સઝાય/શીલ વિશે વિજ્યશેઠ અને વિજ્યાશેઠાણીની સઝાય’ (ર.ઈ.૧૬૦૯ આસપાસ; મુ.) એ ગુજરાતી કૃતિની રચના કરી છે. એમનો ‘વૈદકસારસંગ્રહ’ સંસ્કૃતમાં મળે છે તેની સાથે ગુજરાતી બાલાવબોધ છે. પરંતુ એ બાલાવબોધ અજ્ઞાતકર્તૃક જણાય છે. એમની ‘જ્યોતિષ-સારોદ્ધાર’ કૃતિ આમ સંસ્કૃત-પ્રાકૃતમાં છે, પણ એમાં થોડાક અંશો ગુજરાતી છે. ‘અનિષ્ટકારિકાવિવરણ’, ‘બૃહત્ શાંતિવૃત્તિ’, ‘કલ્યાણમંદિરસ્તોત્રવૃત્તિ’, ‘સારસ્વતટીકા’, ‘સિંદુરપ્રકરણવૃત્તિ’, ‘ધાતુપાઠ’, ‘શારદી નામમાળા’, ‘શ્રુતબોધવૃત્તિ’ વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. કૃતિ : ૧. પ્રાસ્તસંગ્રહ; ૨. સજઝાયમાલા : ૧-૨ (જા); ૩. સઝાયમાળા(પં.). સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. સાહિત્ય, ઑગષ્ટ-સપ્ટે. ૧૯૩૫-‘શ્રુતબોધ પર જૈન ટીકા’, મુનિ હિમાંશુવિજ્યજી;  ૩. કૅટલૉગગુરા, ૪. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૫. મુપુગૂહસૂચી; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ક.શા.]

હર્ષકુલ-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં કુલચરણના શિષ્ય. ‘બંધહેતૂદય-ત્રિભંગી-સૂત્ર’ એ સંસ્કૃત કૃતિમાં કવિ પોતાને લક્ષ્મીસાગરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. એમણે ૩૬૦/૪૫૭ કડીની ‘વસુદેવ-ચોપાઈ/વસુદેવ-રાસ/વસુદેવકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૧) એ ગુજરાતી કૃતિની રચના કરી છે. ‘સૂત્રકૃતાંગસૂત્ર પર દીપિકા’, ‘વાક્યપ્રકાશટીકા’, વગેરે એમની સંસ્કૃત કૃતિઓ છે. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ક.શા.]

હર્ષકુલ-૨ [ ] : જૈન સાધુ. પુણ્યસાગરજીના શિષ્ય. ૬ કડીના ‘મહોપાધ્યાયપુણ્યસાગરગુરુ-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. [ક.શા.]

હર્ષકુલશિષ્ય [ઈ.૧૬૨૧ સુધીમાં] : જૈન સાધુ. ૧૩ કડીની ‘મુહપત્તીપડિલેહણ-સઝાય’ (લે.ઈ.૧૬૨૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ક.શા.]

હર્ષકુશલ : આ નામે ૧૦ કડીની ‘સનત્કુમારઋષિ-સઝાય’, ‘વીસી’ (લે.ઈ.૧૬૩૪/સં.૧૬૯૦, શ્રાવણ સુદ ૪) તથા ૩૬ કડીની ‘સુગુરુ-છત્રીસી’ મળે છે. તેમના કર્તા કયા હર્ષકુશલ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ક.શા.]

હર્ષકુશલશિષ્ય [ ] : જૈન. ‘મહાવીર જિનસત્તાવીસભવ-સ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.) ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[કી.જો.]

હર્ષકુંજર [ ] : ૨૧ કડીના ‘રાવણપાર્શ્વનાથ ફાગુ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૯-‘ધમાલ એવં ફાગુ સંજ્ઞક કતિપય ઔર રચનાઓંકી ઉપલબ્ધિ’, અગરચંદ નાહટા. [ક.શા.]

હર્ષચંદ્ર/હરખચંદ : હર્ષચન્દ્રને નામે ‘વર્ધમાનજન્મમંગલ’, ૮ કડીનું ‘પાર્શ્વનાથ ગૂઢારથ-સ્તવન’ તથા હરખચંદને નામે પાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષચન્દ્ર/હરખચંદ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.

હર્ષચંદ્ર-૧ [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. રૂપહર્ષના શિષ્ય. ૯ કડીના ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (લે.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, આસો વદ ૮; મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. [કા.શા.]

હર્ષચંદ્ર-૨ [ઈ.૧૮૦૦માં હયાત] : ૬ કડીના ‘નેમિનાથજીનું સ્તવન’ (ર.ઈ.૧૮૦૦/સં.૧૮૫૬, ભાદરવા સુદ ૧૨; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [કા.શા.]

હર્ષચંદ્ર(ગણિ)-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૮૫૭/સં.૧૯૧૩, ફાગણ વદ ૧૪] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. લબ્ધિચંદ્રસૂરિના શિષ્ય. પિતાનું નામ શગનાશાહ અને માતાનું નામ વખતાદે. દીક્ષા ઈ.૧૮૨૫માં અને આચાર્યપદ ઈ.૧૮૨૭માં. આ કવિએ કેટલાંક સ્તવનો રચ્યાં છે, જેમાં ૯ કડીનું ‘તારંગાજીનું સ્તવન’ (ર.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩, મહા વદ ૧૨; મુ.), ૧૨ કડીનું ‘નવપદજીનું સ્તવન’(મુ.) અને ૯ કડીનું ‘રાણકપુરનું સ્તવન’ (મુ.)નો સમાવેશ થાય છે. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂસારત્નો : ૨; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ : ૨, દર્શનવિજ્ય અને અન્ય, ઈ.૧૯૬૦. [કા.શા.]

હર્ષચંદ્ર(વાચક)-૪ [ ] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૭ કડીની ‘પરિગ્રહપરિહાર-સઝય’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. ૮ કડીની ‘નવકારની સઝાય/નવકાર-ભાસ’(મુ.) આ કવિની રચના હોવાની સંભાવના છે. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

હર્ષદત્તશિષ્ય [ઈ.૧૬૨૨ સુધીમાં] : જૈન. ૯૭ કડીની ‘ગુણસુંદરી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૨૨) તથા ‘કલાવતી-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

હર્ષધર્મ : જૈન સાધુ. ૨૩ કડીના ‘શાંતિનાથ-વિવાહલઉ/શાંતિનાથ-સ્તવન’ (લે.સં.૧૯મું શતક)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮-‘વિવાહલઉ સંજ્ઞક અન્ય જૈન રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. રાહસૂચી : ૧. [કા.શા.]

હર્ષનંદન [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. સમયસુંદરના શિષ્ય. શત્રુંજ્યયાત્રાપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૬૧૫), ‘ગોડી-સ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૪ કડીનું ‘જિનચંદ્રસૂરિસુયશ-ગીત’(મુ.), ૫ કડીનું ‘જિનસિંહસૂરિગચ્છપતિપદ-પ્રાપ્તિ-ગીત’(મુ.), ૧૨ કડીનું ‘જિનસિંહસૂરિનિર્વાણ-ગીત’(મુ.), ૭ કડીનું ‘સમયસુંદરઉપાધ્યાય-ગીત’ (મુ.), પાંચથી ૬ કડીનાં ૩ ‘જિનસાગરસૂરિગીત’(મુ.)-એ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ’ (ર.ઈ.૧૬૧૭), ‘ઋષિમંડળટીકા’ (ર.ઈ.૧૬૪૯), ‘સ્થાનાંગગાથાગતવૃત્તિ’ (ર.ઈ.૧૬૪૯), ‘ઉત્તરાધ્યયનવૃત્તિ’ (ર.ઈ.૧૬૫૫) વગેરે બારેક જેટલા સંસ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ સંદર્ભ : ૧. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘કવિવર સમયસુંદર’; ૨. યુજિનચંદ્રસૂરિ.[કા.શા.]

હર્ષપ્રિય(ઉપાધ્યાય) : આ નામે ૧૪ કડીનું ‘અંતરંગવૈરાગ્ય-ગીત’(લે.સં.૧૭મી સદી) મળે છે. તેઓ ક્ષાન્તિમંદિરના શિષ્ય હર્ષપ્રિય હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કંઈક કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

હર્ષપ્રિય(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫૧૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષાન્તિમંદિરના શિષ્ય. ૩૧ કડીની ‘શિયળએકત્રીસો (નવરસનિબંધ)’ તથા ૫૨ કડીની ‘શાશ્વત સર્વ જિનપંચાશિકા’ (ર.ઈ.૧૫૧૮)-એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

હર્ષમંગલ [ ] : જૈન સાધુ. ૪૦ ગ્રંથાગ્રની ‘ઢંઢણકુમાર-સઝાય’ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કા.શા.]

હર્ષમાણિક્ય(મુનિ) [ ] : જૈન સાધુ. ૩૭ કડીની ‘મહાવીરજિનનિસાણી (બંભણવાડજી)’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

હર્ષમૂર્તિ : આ નામે ૧૭ જેટલી સઝાય મળે છે. તે કયા હર્ષમૂર્તિની છે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા. [કા.શા.]

હર્ષમૂર્તિ-૧ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ભાવહડહરગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહના શિષ્ય. ૯૦ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૬/સં.૧૫૬૨, ભાદરવા સુદ ૫, સોમવાર), ‘ચંદ્રલેખા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૧૦/સં.૧૫૬૬, શ્રાવણ સુદ ૧૩, રવિવાર) અને ૩૧૩ કડીની ‘પદ્માવતી-ચોપાઈ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. મુપુગૂહસૂચી. [કા.શા.]

હર્ષરત્ન [ઈ.૧૬૪૦માં હયાત] : જૈન સાધુ. રાજવિજ્યસૂરિની પરંપરામાં સિદ્ધિરત્નના શિષ્ય. ૫ ખંડના ‘નેમિજિન-રાસ/વસંતવિલાસ’ (ર.ઈ.૧૬૪૦/સં.૧૬૯૬, આસો સુદ ૧૦, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]

હર્ષરંગ [ ] : જૈન સાધુ. ૨૫૦ ગ્રંથાગ્રના ‘કેશીસંધિ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : આલિસ્ટઑઇ : ૨. [કા.શા.]

હર્ષરાજ(સેવક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. વિદ્યાચંદ્રની પરંપરામાં લબ્ધિરાજના શિષ્ય. ૮૮૧ કડીના ‘સુરસેન-રાસ’ (ર.ઈ.૧૫૫૭/સં.૧૬૧૩, જેઠ સુદ ૨, શનિવાર) તથા ‘લોંકા પર ગરબો’ (ર.ઈ.૧૫૬૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. ડિકૅટલૉગભાવિ; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

હર્ષલાભ(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૭ સુધીમાં] : જૈન સાધુ. ગજલાભના શિષ્ય. ‘અંચલમતચર્ચા’ (લે.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, ફાગણ સુદ ૧૧, મંગળવાર) નામની ગદ્યકૃતિના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કા.શા.]

હર્ષવર્ધન(ગણિ) : આ નામે ૧૭૫૦ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાવબોધ/નવત્ત્વવિચાર-બાલાવબોધ/નવતત્ત્વપ્રકરણ સાવચૂરિ પર બાલાવબોધ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૩૩/૩૪ કડીનું ‘સમોસરણવિચાર-સ્તોત્ર/સ્તવન/સમોસરણવિચારગર્ભિત-નેમિજિન-સ્તવન’ (લે.સં.૧૬મી સદી અનુ.)-એ કૃતિએ મળે છે. એમના કર્તા કયા હર્ષવર્ધન છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

હર્ષવલ્લભ(ઉપાધ્યાય) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિના શિષ્ય. મદનરેખાના શીલનો મહિમા કરતી ૪ ખંડ અને ૩૭૭ કડીની ‘મયણરેહા-ચોપઈ’ (ર.ઈ.૧૬૦૬), ૩૦૭૧ ગ્રંથાગ્રનો ‘ઉપાસક દશાંગ-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૩૬) તથા ૯ કડીના ‘જિનરાજસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. ૬ કડીનું ‘નેમિનાથ-ગીત’ (લે.ઈ.૧૭૨૧) મળે છે તે આ કર્તાની કૃતિ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. ડિકૅટલૉગબીજે; ૬. ડિકૅટલૉગભાવિ. [કા.શા.]

હર્ષવિજ્ય : આ નામે ૫૧ કડીનો ‘નલદમયંતી-રાસ’ (લે.સં.૧૭મી સદી અનુ.), ૧૮ કડીની ‘અઢાર નાતરાં-ચોપાઈ’, ૧૫ કડીની ‘ભાંગ-સઝાય’, ૧૧ કડીનું ‘નેમિનાથનું સ્તવન’, ૧૫ કડીની ‘નવકારફલ-સઝાય’, ૫ કડીની ‘શીલની સઝાય’(મુ.), ૫ કડીની ‘તેબલિયો-સઝાય’-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હર્ષવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. જિનવિજ્યપન્યાસના કહેવાથી રચાયેલો ‘પ્રતિક્રમણસૂત્રઅર્થ-દીપિકા-બાલાવબોધ’ આ નામે મળે છે. તેના કર્તા મોહનવિજ્યશિષ્ય હર્ષવિજ્ય છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૬-‘શીલની સઝાય’, સં. રમણિકવિજ્યજી. સંદર્ભ : ૧. જૈન કથારત્નકોશ : ૪;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

હર્ષવિજ્ય-૧ [ઈ.૧૫૯૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં તેજવિજ્યના શિષ્ય. ૫૭ કડીની ‘આદિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૯૯/સં.૧૬૫૫, વૈશાખ સુદ ૧૪, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કા.શા.]

હર્ષવિજ્ય(પંડિત)-૨ [ઈ.૧૬૧૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં સાધુવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલા ૯ ઢાળ અને ૮૮ કડીના ‘પાટણચૈત્યપરિપાટી-સ્તવન’ (ર.ઈ.૧૬૭૩; મુ.)માં પાટણનાં પંચાસરા સમેત જૈન મંદિરોનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં આચાર્ય હીરવિજ્યસૂરિની મૂર્તિ જ્યાં રખાઈ છે તે સ્થાન માટે કરેલો ‘હીરવિહાર’નો ઉલ્લેખ મહત્ત્વનો છે. તે સમયનાં જૈન દહેરાં અને મૂર્તિઓની વીગતો અહીં પ્રચુરતાથી પ્રાપ્ત થાય છે. કૃતિ : પાટણચૈત્યપરિપાટીસ્તવન, સં. મુનિ કલ્યાણવિજ્ય, ઈ.૧૯૨૬. સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬-‘શ્રી પંચાસરા પાર્શ્વનાથ મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો;  ૨. જૈગૂકવિઓ; ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

હર્ષવિજ્ય-૩[ઈ.૧૭૮૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની શાખાના શુભવિજ્યની પરંપરામાં મોહનવિજ્યના શિષ્ય. ‘શાંબપ્રદ્યુમ્નકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૮૬/સં.૧૮૪૨, - વદ ૨, સોમવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી.

હર્ષવિજ્ય-૪ [ ] : જૈન સાધુ. વિવેકવિજ્યના શિષ્ય. ૭ કડીના ‘ઋષભદેવ-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તમાલા. [કા.શા.]

હર્ષવિનય [ ] : જૈન સાધુ. લબ્ધિકમલ ભાણચંદ્ર(?)ના શિષ્ય. ૫ કડીના ‘સીમંધસ્વામીજીનું સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [કા.શા.]

હર્ષવિમલ [ઈ.૧૫૫૪ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં આણંદવિમલના શિષ્ય. ૬૫ કડીની ‘બારવ્રત-સઝાય’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કા.શા.]

હર્ષવિમલ(વાચક)શિષ્ય [ઈ.૧૮૨૧ સુધીમાં] : તપગચ્છની વિજ્યસેનસૂરિની પરંપરાના જૈન સાધુ. ૩૬ કડીની ‘આત્મ-સઝાય’ (લે.ઈ.૧૮૨૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

હર્ષવિશાલ [ ] : જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]

હર્ષવૃદ્ધિ [ ] : જૈન સાધ્વી. ૩૪/૩૫ કડીના ‘ચોવીસજિનપંચકલ્યાણ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

હર્ષ(પંડિત) શિષ્ય [ ] : જૈન સાધુ. ૪ કડીની ‘એકાદશીની સ્તુતિ’(મુ.)ના કર્તા. આ કૃતિ હર્ષવિજ્યશિષ્ય માનવિજ્યની હોવાની શક્યતા છે. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈકાપ્રકાશ : ૧. [કી.જો.]

હર્ષસાગર : આ નામે પ્રાસઅનુપ્રાસવાળો અને વેગવતી બાનીમાં જિનશાસનદેવી પદ્માવતીના અંગલાવણ્ય અને વસ્ત્રાલંકારનું આલંકારિક વર્ણન કરતો ૧૧ કડીનો ‘પદ્માવતીનો છંદ’ (લે.ઈ.૧૭૭૫; મુ.), ‘ચોવીસી’, ૯૭ કડીનો ‘સુદર્શન શ્રેષ્ઠિછંદ’ તથા ‘કુમતિનિર્ઘાટન-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) મળે છે. તેમના કર્તા કયા હર્ષસાગર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. મણિભદ્રાદિકોના છંદોનો પુસ્તક; ૨. રત્નસાર : ૨; પ્ર.શા.હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]

હર્ષસાગર-૧ [ઈ.૧૫૬૬માં લગભગ હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિના શિષ્ય. નવતત્ત્વો વિશેની વિચારણા કરતી ૯ ઢાળ ને ૧૫૩ કડીની ‘નવતત્ત્વઢાલ’ (ર.ઈ.૧૫૬૬ લગભગ)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]

હર્ષસાગર-૨ [ઈ.૧૫૮૨માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. પદ્મશેખરસૂરિની પરંપરામાં રત્નસાગરના શિષ્ય. ૪૭૧ કડીના ‘ધનકુમાર-રાસ’ (ર.ઈ.૧૫૮૨/સં.૧૬૩૮, આસો સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસારસ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]

હર્ષસાગર-૩ [ઈ.૧૬૪૦ પછી] : જૈન સાધુ. ‘રાજસીશાહ-રાસ’ (ઈ.૧૬૪૦ પછી)ના કર્તા. રાસની અંદર ઈ.૧૬૪૦માં નવાનગરમાં થયેલા બીજા પ્રતિષ્ઠામહોત્સવનો ઉલ્લેખ છે, એટલે રાસની રચના તે પછી થઈ હશે એમ કહી શકાય. નવાનગરમાં રહેતા અંચલગચ્છના શ્રાવક તેજસીનું કથાનક કૃતિમાં આલેખાયું છે. રાજસીએ નગરમાં બંધાવેલા વિશાળ મંદિરનું વિસ્તૃત વર્ણન, રાજસીની શત્રુંજ્યયાત્રા ને તેના પુત્ર રામુની ગોડીપાર્શ્વનાથની સંઘયાત્રા તથા તેણે મોઢ જ્ઞાતિનાં લોકોને જૈન બનાવેલા એ વીગતનો ઉલ્લેખ ઇતિહાસદૃષ્ટિએ કૃતિના ધ્યાનપાત્ર અંશો છે. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૫૪-‘રાજસી સાહ રાસકા સાર’, ભંવરલાલ નાહટા.

હર્ષસાગર(ઉપાધ્યાય)શિષ્ય [ ] : જૈન. ૧૦ કડીનું ‘વિજ્યદાનસૂરિથૂભ-ગીત’ (લે.સં.૧૭મી સદી) તથા ૧૮ કડીની ‘ગુરુપટ્ટાવલી-સઝાય’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]

હલરાજ [ઈ.૧૩૫૩માં હયાત] : જૈન. ૩૬ કડીના વર્ષાવર્ણનપ્રધાન ‘સ્થૂલિભદ્ર-ફાગ’ (ર.ઈ.૧૩૫૩/સં.૧૪૦૯, વૈશાખ સુદ ૧૩; મુ.)ના કર્તા. ૩૧ કડીનો ‘માત્રિકા-ફાગ’, ‘મૂર્ખ-ફાગ’, સંસ્કૃત રચનાના ભાષાંતર રૂપે ૮૪ કડીનો ‘વસંતવિલાસ-ફાગુ’ અને ૩૭ કડીનો ‘સુમતિસુંદરસૂરિ-ફાગ’ આ નામ મળે છે તે બધી કૃતિઓ પણ પ્રસ્તુત હલરાજની હોવાની સંભાવના છે. કૃતિ : સ્વાધ્યાય, એપ્રિલ ૧૯૭૧- ‘અદ્યયાવત્ અપ્રસિદ્ધ કવિ હલરાજકૃત ‘સ્થૂલિભદ્રફાગુ’-એક પરિચય’, સં. કનુભાઈ વ. શેઠ. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧; ૨. પ્રાકારૂપરંપરા; ૩. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮;  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. મુપુગૂહસૂચી.[પા.માં.]

હલૂ [ ] : કૃષ્ણગોપીના શૃંગારનું વર્ણન કરતા ૬ કડીના ગીત(મુ.)ના કર્તા. કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯, જાન્યુ. ૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.[શ્ર.ત્રિ.]

હસનકબીરુદ્દીન/કબીરદીન(પીર) [જ.ઈ.૧૩૪૧-અવ. ઈ.૧૪૭૦] : ઇસ્લામના શિયા ઇમામી ઇસ્માઇલી પંથના ઉપદેશક. સતપંથને નામે ઓળખાતા સંપ્રદાયમાં તેઓ પીરનું સ્થાન ધરાવે છે. જન્મ પંજાબના ઉચ્ચ ગામમાં પીર સદરુદ્દીન/સદરદીનના પાંચમા પુત્ર તેઓ હસન દરિયા, પીર હસનશાહ, પીર હસન ઉચ્છવી, સૈયદ હસન શમ્મી એ નામથી પણ ઓળખાય છે. તેમનાં જન્મ અને અવસાન વિશે વિવિધ મત પ્રવર્તે છે, પરંતુ ઉપર્યુક્ત વર્ષો વિશેષ સ્વીકાર્ય છે. તેમણે ઇરાનની મુસાફરી કરી હજરત ઇમામના આશીર્વાદ મેળવેલાં. આમ તો ભારતના અનેક ભાગોમાં સતપંથના બોધ અર્થે તેઓ ગયેલા, પરંતુ એમનું જીવન વિશેષત: ગુજરાત અને પંજાબમાં પસાર થયેલું. અવસાન ઉચ્છમાં. કવિને નામે ગુજરાતી અને હિંદીમિશ્ર ગુજરાતીમાં ૭૯ ‘ગિનન’ (જ્ઞાનનાં પદ) મુદ્રિત રૂપે મળે છે. મુખ્યત્વે ધર્મબોધ અને ગુરુમહિમાનાં આ ગિનાનોમાં કેટલાક કથાતત્ત્વવાળાં અનેક ઠીકઠીક લાંબા પણ છે. કોઈક ગિનાન તો ૨૦૦ કડી સુધી વિસ્તરે છે. ઘણાં ગિનાનમાં ઇસ્લામ તેમ જ હિંદુ પુરાણોની વ્યક્તિઓ મને તેમના જીવનપ્રસંગો ગૂંથાયેલા નજરે પડે છે. આ કવિને નામે ગિનાનો ઉપરાંત ગ્રંથ રૂપે પણ કેટલીક કૃતિઓ મળી છે. પૃથ્વીના વિલય અને મૃત્યુ પછીની જીવની ગતિને વર્ણવતી ૫૦૦ કડીની ‘અનંતનો અખાડો’ (લે.ઈ.૧૮૦૧), સ્વર્ગનું વર્ણન કરતી ૧૬૫ કડીની ‘હસનાપુરી’, નકલંકના અનંત (પૃથ્વી) સાથેના વિવાહને આલેખતી ૨૮૩ કડીની ‘અનંતના વિવાહ’, ઇમામને કરેલી ૯ પ્રાર્થનાઓ જેમાં સંકલિત છે તે ૯ વિભાગની ‘અનંતના નવ છુગા’, નવસારીના સંત પીર સતગુરુ નૂરના વિવાહને આલેખતી ૨૨૨ કડીની ‘સતગુરુ નૂરના વિવાહ’, પીર હસનની સંત કાનીપા સાથેની ધર્મવિષયક ચર્ચાને નિરૂપતી ગદ્યપદ્યમિશ્રિત ‘હસન કબીરદીન અને કાનીપાનો સંવાદ’, વિશ્વની ઉત્પત્તિની કથાને વર્ણવતી ૩ ભાગમાં વહેંચાયેલી ‘બ્રહ્મગાયંત્રી’ (લે.ઈ.૧૮૦૧) તથા ‘ગાવંત્રી(મોટી)’. કવિની બધી રચનાઓ મૂળ કઈ ભાષામાં રચાઈ હશે એ અત્યારે નિશ્ચિત રીતે કહી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે ઘણાં વર્ષો સુધી આ રચનાઓ મૌખિક રૂપે જળવાઈ રહી હતી. બધી કૃતિઓનું કર્તૃત્વ પણ પ્રસ્તુત કવિનું જ છે કે કેમ એ વિશે પણ વિદ્વાનોને શંકા છે. કૃતિ : મહાન ઇસમાઇલી સંત પર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનોનો સંગ્રહ, પ્ર. ઇસ્માઇલી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ (+સં.). સંદર્ભ : ૧. ઇસમાઇલી લિટરેચર (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૬૩; ૨. કલેક્ટેનિયા : ૧(અં.), સં. ડબલ્યૂ. ઇવાનૉવ,ઈ.૧૯૪૮; ૩. ખોજાવૃત્તાંત, સચેદીના નાનાજીઆણી, ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૪. *(ધ) નિઝારી ઇસ્માઇલી ટ્રેડિશન ઈન ધ ઇન્ડો-પાક સબકૉન્ટિનન્ટ (અં.), અઝીમ નાનજી, ઈ.૧૯૭૮; ૫. (ધ) સેક્ટ ઑવ ઇમામશાહ ઈન ગુજરાત (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.[પ્યા. કે.]

હસ્તરામ [ ] : પદોના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

હસ્તિ/હાથી(ગણિ) : આ નામે ૧૭/૧૮ કડીની ‘કુમતિવદનસપેટા-ભાસ’ (લે.સં.૧૭મી સદી અનુ.) કૃતિ મળે છે. તેના કર્તા હસ્તિરુચિ હોવાની સંભાવના છે, પણ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

હસ્તિરુચિ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીરુચિની પરંપરામાં હિતરુચિના શિષ્ય. ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, આસો સુદ ૧૦), ‘ઝાંઝરિયામુનીની સઝાય’ (ર.ઈ.૧૬૬૧/સં.૧૭૧૭, આસો સુદ ૧૦), ‘ઉત્તરાધ્યયન સઝાય’ (ર.ઈ.૧૬૮૩/સં.૧૭૩૯, આસો સુદ ૫, શનિવાર) તથા મૂળ સંસ્કૃત કૃતિ ‘વૈદ્યવલ્લભ’ પર સ્તબક (ર.ઈ.૧૬૭૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. દેસુરાસમાળા; ૬. મરાસસાહિત્ય;  ૭. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૮. ડિકૅટલૉગબીજે; ૯. મુપુગૂહસૂચી. [પા.માં.]

હંસ : જુઓ જિનરત્નશિષ્ય સાધુહંસ-૧.

હંસધીર [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં પંડિત દાનવર્ધનના શિષ્ય. ગુરુના શીલનો મહિમા વર્ણવતી ફાગ અને આંદોલબદ્ધ ૫૭ કડીના ‘હેમવિમલસૂરિ-ફાગ’ (ર.ઈ.૧૪૯૮/સં.૧૫૫૪, શ્રાવણ-; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગુસાસ્વરૂપો :  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હંસપ્રમોદ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં હર્ષચંદ્રના શિષ્ય. ૯ કડીના પાર્શ્વનાથ લઘુ-સ્તવન(વરકાણા)’ (ર.ઈ.૧૫૯૭/સં.૧૬૫૩, માગશર-) તથા સંસ્કૃત ગ્રંથ ‘સારંગવૃત્તિ’ (ર.ઈ.૧૬૦૬)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; યુજિનચંદ્રસૂરિ;  ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

હંસભુવન(સૂરિ) [ઈ.૧૫૫૪માં હયાત] : જૈન સાધુ. ૪૬ કડીના ‘શંખેશ્વરપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૪), ૮ કડીની ‘નિશ્ચિય-વ્યવહારવેષસ્થાપના-સઝાય’(મુ.) તથા ‘મુખવસ્ત્રીકા-સઝાય’ના કર્તા. કૃતિ : ૧. પ્રાસસંગ્રહ; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હંસરત્ન : આ નામે ૬ કડીનું ‘અજિતનાથ-સ્તવન’(મુ.), ૧૦ કડીનું ‘નેમનાથ-સ્તવન’(મુ.), ‘નેમરાજુલનો ગરબો’, ૫ કડીનું ‘સુવિધિજિન સ્તવન’(મુ.) તથા ‘ચોમાસીદેવવંદનવિધિ (લે.સં.૧૯મી સદી)-એ કૃતિઓ મળે છે તેમના કર્તા કયા હંસરત્ન છે તે નિશ્ચિત થઈ શકે એમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ : ૧ પ્ર. વિજ્યદાનસૂરીશ્વરજી ગ્રંથમાલા, સં. ૨૦૦૪; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. લોંપ્રપ્રકરણ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી : ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હંસરત્ન-૧ [અવ.ઈ.૧૭૪૨/સં.૧૭૯૮, ચૈત્ર સુદ ૧૦] : તપગચ્છની રત્નશાખાના વિજ્યરાજસૂરિની પરંપરાના જૈન સાધુ. જ્ઞાનરત્નના શિષ્ય. ઉદયવાચકના ભાઈ.જ્ઞાતિએ પોરવાડ. પિતાનામ વર્ધમાન, માતા માનબાઈ, મૂળ નામ હેમરાજ. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૯/સં.૧૭૫૫, વૈશાખ વદ ૩, મંગળવાર; મુ.), તત્વાર્થચર્ચા કરતા ૧૧૧ દુહાના ‘શિક્ષાશતકદોધકા’ (ર.ઈ.૧૭૩૦/સં.૧૭૮૬ ફાગણ વદ ૫, ગુરુવાર), ૧૯ કડીની ‘ગહૂંલી’ તથા મુનિસુંદરસૂરિકૃત સંસ્કૃત ગ્રંથ ‘અધ્યાત્મ-કલ્પદ્રુમ’ ઉપરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૯૮ પહેલાં; મુ.) અને ઘનેશ્વરકૃત સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો સરળ સંસ્કૃતમાં સાર આપતા ૧૨ સર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્ય’નો સરળ સંસ્કૃત ગ્રંથ ‘શત્રુંજ્યમહાત્મ્ય’નો સરળ સંસ્કૃતમાં સાર આપતા ૧૨ સર્ગના ‘શત્રુંજ્યમાહાત્મ્યોલ્લેખ’ (ર.ઈ.૧૭૨૫)ના કર્તા. કૃતિ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂસારત્નો : ૧;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. લીંહસૂચી; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હંસરત્ન-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : બિવંદણિકગચ્છના જૈન સાધુ. સિદ્ધસૂરિની પરંપરામાં હંસરાજના શિષ્ય. ૨૦૪ કડીના ‘રત્નશેખર-રાસ/પંચપર્વી-રાસ’ (ર.ઈ.૧૭૨૫ આસપાસ)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]

હંસરાજ-૧ [ઈ.૧૫૯૬ પહેલાં] : શ્રાવક. તપગચ્છના હીરવિજ્યસૂરિના અનુયાયી. ૧૨ ઢાળમાં વિભાજિત ૭૮ કડીના ‘મહાવીરસ્વામીના પંચકલ્યાણકનું સ્તવન/૨૭ ભવનું સ્તવન/વર્ધમાનજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૯૬ પહેલાં; મુ.) તથા હીરવિજ્યસૂરિના સત્સંગ લાભનો રૂપકાશ્રયી મહિમા કરતી ‘હીરવિજ્યસૂરિ ચાતુર્માસ લાભ-પ્રવહણ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧થી ૩ (+સં.); ૨. જિભપ્રકાશ; ૩. જૈકાપ્રકાશ; ૪. સસન્મિત્ર;  ૫. જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘હંસરાજકૃત હીરવિજ્યસૂરિ ચાતુર્માસ લાભપ્રવહણ-સઝાય’, મોહનલાલ દ. દેશાઈ (+સં.). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચિ; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હંસરાજ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૬૫૩ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરપરામાં જિનવર્ધમાનના શિષ્ય. જ્ઞાનાત્મક ઉપદેશ આપતી હિન્દી ભાષાની ‘જ્ઞાનદ્વિપંચાશિકા/હંસ-બાવની’(મુ.), હિન્દીપ્રધાન ગુજરાતી ભાષામાં રૂપકાશ્રયી બોધ આપતી ૮ કડીની સઝાય(મુ.) તથા દિગંબર જૈન સાધુ નેમિચંદ્રસૂરિકૃત પ્રાકૃત ગ્રંથ ‘દ્રવ્યસંગ્રહ’ ઉપરના બાલાવબોધ (લે.ઈ.૧૬૫૩)ના કર્તા. કૃતિ : ૧. જ્ઞાનાવલી : ૨; ૨. રત્નસાર : ૩; પ્ર. શા. લખમશી શિ. નેણશી, સં. ૧૯૨૮. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હંસલઘુસુત [ ] : જૈન. કક્કાના સ્વરૂપમાં રચાયેલી ‘આત્મશિક્ષા-છત્રીસી’(મુ.)ના કર્તા. કૃતિ : રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [કી.જો.]

હંસસોમ-૧ [ઈ.૧૫૦૯માં હયાત] : તપગચ્છના હેમવિમલસૂરિની પરંપરાના જૈન સાધુ. પંડિત કમલધર્મના શિષ્ય. ઈ.૧૫૦૯માં ચંદેરી (ગ્વાલિયર, લલિતપુર)થી પૂર્વદેશની તીર્થયાત્રાએ નીકળેલા સંઘની યાત્રાનું વર્ણન કરતી ૪૯ કડીની ‘પૂર્વદિશિ-તીર્થમાલા/પૂર્વદેશચૈત્યપરિપાટી-રાસ/સ્તવન’ (ર.ઈ.૧૫૦૯-; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાતીસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હંસસોમ-૨[ ] : તપગચ્છના સોમવિમલ (જ.ઈ.૧૫૧૪-અવ.ઈ.૧૫૮૧)ની પરંપરાના જૈન સાધુ. ૧૬ કડીની ‘શિયળની સઝાય/શીલ-વેલિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૩; ૨. જૈસસંગ્રહ(ન); ૩. પ્રાસસંગ્રહ. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]

‘હંસાઉલી’ [ર.ઈ.૧૩૬૧/૧૩૭૧] : ૪ ખંડ અને ૪૩૮/૪૭૦ કડી ધરાવતી, મુખ્યત્વે ચપાઈબંધની અને વચ્ચે વચ્ચે, દુહા, વસ્તુ, ગાથા જેવા છંદોનો વિનિયોગ કરતી અસઈતકૃત પદ્યવાર્તા(મુ.). કાવ્યના પહેલા ખંડમાં પહિઠાણ નગરનો નરવાહ રાજા પોતે સ્વપ્નમાં જોયેલી અને પરણેલી સુંદરી, કણયાપુરની પુરુષદ્વેષિણી કુંવરી હંસાઉલી સાથે પ્રધાન મનકેસરની યુક્તિથી કેવી રીતે પરણે છે તેની કથા છે. બાકીના ૩ ખંડમાં હંસાઉલીના ૨ પુત્રો હંસ અને વચ્છની પરાક્રમકથા છે. હંસમાં લુબ્ધ અપરમાતા લીલાવતીની અઘટિત માગણી નહીં સંતોષાતાં એ હંસ-વચ્છનું કાસળ કાઢવાનું યોજે છે, પરંતુ મનકેસર યુક્તિપૂર્વક કુમારોને બચાવીને ભગાડી દે છે. હંસનું સર્પદંશથી મૃત્યુ થવું અને પુર્નજીવન પામવું, બંને ભાઈઓનું છૂટા પડી જવું, વચ્છ પર ચોરીનું આળ આવવું, સનકાવતીની રજાકુંવરી ચિત્રલેખાનાં વચ્છ સાથે સ્વયંવરથી લગ્ન થવાં, હંસને કાતીનગરના અપુત્ર રાજાનું રાજ્ય મળવું, કપટથી દરિયામાં ફેંકાયેલા વચ્છનું કાતીનગર પહોંચવું અને એ રીતે હંસને મળવું વગેરે ઘટનાઓથી અદ્ભુતરસિક બનતી આ કથામાં કરુણ, વીર, શૃંગારાદિ રસોની ગૂંથણી છે. કાવ્યમાં આવતાં ૩ વિરહગીતો ઊર્મિકવિતાની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે અને હંસ તેમ જ વચ્છનું ધીરોદાત્ત પાત્રો તરીકે નિરૂપણ આકર્ષક છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ, કર્મફળ, જ્યોતિષાદિવિષયક તત્કાલીન માન્યતાઓનું દર્શન કરાવતી આ કૃતિ તત્કાલીન સમાજચિત્ર અને ભાષાની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. [ર.દ.]

‘હંસાવતીવિક્રમકુમારચરિત્ર’ : મધુસૂદન વ્યાસની દુહા, ચોપાઈ ને વિવિધ રાગઢાળના બંધવાળી આ પદ્યવાર્તા(મુ.)ની ૩૪૩થી ૮૦૮ કડી સુધી વિસ્તરતી પ્રતો મળે છે અને એ પ્રતો રચનાવર્ષ પણ જુદાં બતાવે છે. પરંતુ ભાષા અને અન્ય સંદર્ભોને લક્ષમાં લેતાં કૃતિની ર.ઈ.૧૫૬૦/સં.૧૬૧૬, શ્રાવણ વદ ૩, રવિવાર વધારે આધારભૂત લાગે છે. કવિએ પોતે જ કૃતિને વિસ્તારી હોય એવો તર્ક થયો છે, પરંતુ પાછળના સમયમાં કૃતિમાં પ્રક્ષેપો થયાની સંભાવના વિશેષ છે. ત્રંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્રના અનુરાગ, વિયોગ અને પુનર્મિલનની આ કથા અસાઈતની ‘હંસાઉલી’ કે શિવદાસની ‘હંસાવલી’ની કથા કરતાં સાવ જુદી છે. નાયક-નાયિકાના વિલંબાતા મિલનને કારણે જિજ્ઞાસા ટકાવી રાખતી આ કથા પ્રેમ, શૌર્ય, આપત્તિ ને વેદના જેવા ભાવોને આલેખવાની સાથે દૈવયોગ ને ચમત્કાર જેવાં તત્ત્વોને પણ ગૂંથતી હોવાને લીધે રસપ્રદ બની છે. અલંકરણશક્તિ ને કેટલાંક સુગેય વિલાપગીતોમાં અનુભવાતું કવિનું કાવ્યત્વ, તત્કાલીન સામાજિક-ધાર્મિક માન્યતાઓ, લોકાચારો ને ભારતનાં નગરોની કવિની જાણકારી તથા વચ્ચે વચ્ચે આવતા સંસ્કૃત શ્લોકો પરથી દેખાતું કવિનું સંસ્કૃતજ્ઞાન આ કૃતિની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. [ર.સો.]

‘હંસાવળી’ : કવિ શિવદાસની ૪ ખંડમાં વિભક્ત ને ચોપાઈ, દુહા, ગાથા, કવિતની ૧૩૬૨ કડીમાં રચાયેલી આ કથા(મુ.) મતિસુંદરની ‘હંસાઉલી-પૂર્વભવ-કથા’ અને અસાઈતની ‘હંસાઉલી’ ને મળતી આવે છે. પહેલા ૨ ખંડમાં કવિએ હંસાવળીના ૩ જન્મોની કથા આલેખી છે-ઉત્તર અને પ્રધાનપુત્રી જયવંતીના સંબંધની પહેલા ભવની પોપટ-પોપટીની બીજા ૨ ખંડમાં નરવાહન-હંસાવળીના પુત્રો હંસ અને વચ્છની કથા આલેખાઈ છે. એટલે કથા સ્પષ્ટ રીતે ૨ ભાગમાં વહેંચાઈ ગઈ છે. કથાંશોમાં અન્ય કૃતિઓને મળતી આવતી હોવા છતાં અહીં કવિએ કૃતિને ઠીકઠીક વિસ્તારી છે અને પોતાની કવિત્વશક્તિનો પરિચય આપ્યો છે. કવિએ અહીં પાત્રો ને ઘટનાસ્થળોનાં નામ બદલવા જેવા સ્થૂળ ફેરફાર કરવા સિવાય કેટલીક જગ્યાએ પ્રસંગોને કાર્યકારણસંબંધથી સાંકળી કૃતિને વધારે ચુસ્ત બંધવાળી બનાવી છે. સ્ત્રીઓનાં દેહસૌંદર્ય ને વસ્ત્રપરિધાનનાં વર્ણનો કે ઉત્તરની વિરહવ્યાકુળતા જેવાં ભાવનિરૂપણ જે આ કૃતિમાં છે તે અન્ય કૃતિઓમાં નથી. ઘણી જગ્યાએ વેગીલી ભાષાથી કવિએ કથારસ પણ સારી રીત જમાવ્યો છે. ‘સંવત ચાર ચોવીસે વળી, તે દહાડે કહી હંસાવળી’ એવી પંક્તિ કૃતિના અંતભાગમાં મળે છે, પરંતુ તેના પરથી કૃતિનું ચોક્કસ રચનાવર્ષ જાણવું મુશ્કેલ છે.[જ.ગા.]

હાજો [ઈ.૧૬૦૪માં હયાત] : ‘થાળ’ (ર.ઈ.૧૬૦૪)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. ગૂહાયાદી. [કી.જો.]

હાપરાજ/હાપો [ ] : નાગપુરીય તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિના શિષ્ય. ૧૯ કડીના ‘પાર્શ્વનાથ-જિન-સ્તવન/પાસચંદ્ર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ષટદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]


હામો [ઈ.૧૬૫૯માં હયાત] : ખજૂરડીના વતની. ‘કલજુગનો મહિમા’ (ર.ઈ.૧૬૫૯)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

‘હારમાળા/હારસમેનાં પદ’ : નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મકકૃતિ(મુ.) તરીકે ઓળખાતી આ પદમાળાની હસ્તપ્રતો ૫૦ પદથી ૨૩૧ પદ સુધી વિસ્તરેલી છે. એટલે એનો અધિકૃત પાઠ કેટલાં પદનો એ વિશે વિદ્વાનોમાં સર્વસંમતિ નથી. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં એને ૧૪૯ પદની સ્વીકારી છે. કે. કા. શાસ્ત્રીએ ‘હાર સમેનાં પદ અને હારમાળા’માં એના ૮૧ પદ અધિકૃત માન્યાં છે, પરંતુ એમણે પછી ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’માં ૫૧ પદ અધિકૃત માન્યાં છે. સંવાદ અને સ્તુતિના રૂપમાં સંકલિત થયેલી આ કૃતિમાં જૂનાગઢનો રા’માંડલિક પોતાના દરબારમાં નરસિંહની કૃષ્ણભક્તિની કેવી રીતે કસોટી કરે છે એ પ્રસંગનું નિરૂપણ છે. કૃતિના પ્રારંભમાં નરસિંહ અને કેટલાક સંન્યાસીઓ વચ્ચે સંવાદ થાય છે. પછી સંન્યાસીઓના આગ્રહથી, પોતાની માતાની અનિચ્છા છતાં, રા’માંડલિક નરસિંહની ભક્તિની કસોટી કરવા માટે નરસિંહને કહે છે કે જો તે સાચોભક્ત હોય તો કૃષ્ણની મૂર્તિ પોતાના ગળાનો હાર નરસિંહના ગળામાં પહેરાવે. નરસિંહની સ્તુતિથી મૂર્તિનો હાર નરસિંહના ગળામાં આવી જાય છે અને સર્વત્ર નરસિંહની ભક્તિની પ્રશંસા થાય છે. કે. કા. શાસ્ત્રીએ તૈયાર કરેલી ૫૧ પદોની વાચનામાં નરસિંહની સ્તુતિનાં પદોનું પ્રાધાન્ય છે અને સંવાદ તથા અન્ય કથાંશો ગૌણ છે. આ કૃતિના નરસિંહકર્તૃત્વ વિશે એ પહેલી વખત મુદ્રિત થઈ ત્યારથી શંકાઓ ઊઠી છે. ‘પ્રાચીન કાવ્ય-ત્રૈમાસિક’માં એને પ્રેમાનંદની કૃતિ તરીકે મુદ્રિત કરવામાં આવેલી, પરંતુ તેનું પ્રેમાનંદકર્તૃત્વ તો હવે સ્વીકારતું નથી. એના નરસિંહકર્તૃત્વ વિશે પણ સર્વસંમતિ નથી. કૃતિની વિશૃંખલ લાગતી સંકલના, ઉપલબ્ધ હસ્તપ્રતોની પદસંખ્યામાં જોવા મળતા મોટા તફાવત, કેટલાંય પદોમાં નરસિંહના મોઢામાં મુકાયેલી ગ્રામ્ય ઉક્તિઓ અને વિચારો, કાવ્યચમત્કૃતિની ઊણપ, અને સ્વજીવનના પ્રસંગોને વિષય બનાવી આ પ્રકારની આત્મચરિત્રાત્મક આખ્યાનકલ્પ કૃતિઓ રચવાની પરંપરાનો મધ્યકાલીન સાહિત્યમાં અભાવ એ સૌ બાબતોને લક્ષમાં લઈએ તો આ કૃતિ નરસિંહકૃત હશે કે કેમ એની શંકા રહે છે. આ કૃતિના એક પદમાં સં. ૧૫૧૨, વૈશાખ સુદ ૭ ને સોમવારને દિવસે ભગવાને નરસિંહને હાર આપ્યો એવો ઉલ્લેખ છે. નરસિંહ ઈ.૧૫મી સદીમાં થઈ ગયા એ નક્કી કરવા માટે આ એકમાત્ર આધાર છે. પરંતુ આ પદ ‘હારમાળા’ની બધી પ્રતોમાં નથી. એના ક્ષેપક હોવાની સંભાવના નકારી શકાય નહીં. એટલે એ સમયને કૃતિનો રચનાસમય ગણવામાં પણ જોખમ છે. [જ.ગા.]

હાસમશાહ(પીર) [અવ.ઈ.૧૬૩૬] : ઇમામી ઇસ્માઇલી પંથના ઉપદેશક અને સત્પંથ સંપ્રદાયના પીર. મહમદ શાહિલ/શાલિહુદ્દીનના પુત્ર. તેમના નામે ૪ ‘ગિનાન’(મુ.) મળે છે. કૃતિ : મહાન ઇસમાઇલી સંત પીર હસન કબીરદીન અને બીજા સત્તાધારી પીરો રચિત ગિનાનો સંગ્રહ, પ્ર. ઇસમાઇલી પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ-. સંદર્ભ : (ધ) સેક્ટ ઑવ ઇમામશાહ ઇન ગુજરાત (અં.), ડબ્લ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૩૬.[કી.જો.]

હિતવિજ્ય/હેતવિજ્ય : આ નામે ૧૧ કડીની રાજિમતી-સંઝાય’(મુ.) મળે છે. તેના કર્તા કયા હિતવિજ્ય/હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. રત્નસાર : ૨; પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

હિતવિજ્ય/હેતવિજ્ય [ ] : જૈન સાધુ. લલિત વિજ્યના શિષ્ય. ૧૫ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસમાલા(શા) : ૩; ૩. જૈસસંગ્રહ(ન). [પા.માં.]

‘હિતાશિક્ષા-રાસ’ [ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, મહા સુદ ૫, ગુરુવાર] : સોરઠા, દુહા, છપ્પા અને દેશી ઢાળોની આશરે ૨૦૦૦ કડીનો, શ્રાવક કવિ ઋષભદાસનો આ રાસ(મુ.) એમની એક વિશિષ્ટ કૃતિ છે. સાધુ તેમ જ શ્રાવકોના આચારધર્મ વિશેની ઉપદેશાત્મક કૃતિઓની જૈન પરંપરાનો કવિએ લાભ લીધેલો જણાય છે, પરંતુ આ કૃતિનો વિષયવિસ્તાર વિલક્ષણ છે. નીતિશાસ્ત્ર, ચરિત્ર, સાધુધર્મ, શ્રાવકધર્મ ઉપરાંત તેમાં વૈદકશાસ્ત્ર, જ્યોતિષ, સ્વપ્નવિચાર, ભોજનવિધિ, સ્નાનવિધિ વગેરે અનેક વિષયો રજૂ થયા છે. એમાં વેપારી વગેરે જુદાજુદા વર્ગોને શિખામણ છે. પતિ, પત્ની, પુત્ર વગેરે સાથેના સંબંધો વિશે માર્ગદર્શન છે અને નિત્યના જીવનવ્યવહારની અનેક બાબતો વિશે ઝીણવટભરી સલાહસૂચના છે. જેમ કે, પાન ખાવાની, હજામતની અને વસ્ત્રાદિ પહેરવાની યોગ્ય રીત પણ કવિએ બતાવી છે. ભોજનવિધિમાં શું ખાવું, કયા ક્રમે ખાવું, ક્યાં પાત્રોમાં ખાવું, કેવી રીતે બેસીને ખાવું અને ખાતી વખત કેવી મનોવૃત્તિ રાખવી વગેરે અનેક બાબતો કવિએ વર્ણવી છે. ટૂંકમાં, આ ગ્રંથનો બોધ માત્ર ધર્મબોધ નથી રહેતો, વ્યાપક પ્રકારનો જીવનબોધ બની જાય છે. તેમાં પરંપરાગત રીતરિવાજ, માન્યતાઓ વગેરેનું પ્રતિબિંબ અવશ્ય છે, પણ કેટલુંક જીવનનું ડહાપણ પણ વ્યક્ત થયેલું છે. આ જીવનબોધ સુંદર સુભાષિતો રૂપે આવે છે, દૃષ્ટાંત રૂપે અનેક કથાઓમાં એમાં ગૂંથાતી જાય છે, અંબવૃક્ષ અને પંડિતનો, ચોખા અને ફોતરાંનો, પંચાંગુલિનો-એવાં સંવાદ યોજાય છે ને ક્વચિત વ્યાજસ્તુતિથી કુરૂપ નારીનું કર્યું છે તેવું વિનોદી નિરૂપણ કરવાની તક લેવામાં આવી છે. હિતશિક્ષાને રોચક બનાવવાનો કવિનો આ પ્રયત્ન પ્રશસ્ય છે. [જ.કો.]

હિમરાજ/હેમરાજ(ઋષિ)-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : જીવરાજ ઋષિશિષ્ય. ૩૪૪ કડીના ‘ધન્ના-રાસ’ (ર.ઈ.૧૫૫૩) તથા ૫૫ કડીના ‘બુદ્ધિ-રાસ’ (ર.ઈ.૧૫૭૪)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧).[ર.ર.દ.]

હિંમત(મુનિ) [ઈ.૧૬૯૪માં હયાત] : જૈન. ૩૫ કડીની ‘અક્ષરબત્રીસી’ (ર.ઈ.૧૬૯૪; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન સુબોધ પ્રકાશ : ૧, પ્ર. શા. કચરાભાઈ ગોપાળદાસ, ઈ.૧૮૯૫ (બીજી આ.); ૨. સસન્મિત્ર. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [કી.જો.]

હીમગર [ ] : ૧૧ કડીના ‘ભીમનાથનો ગરબો’(મુ.)ના કર્તા. કૃતિ : નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬. [શ્ર.ત્રિ.]

હીમદાસ/હીમો/હેમો : હીમદાસને નામે વૈરાગ્યબોધનું ૧ પદ(મુ.), હીમાને નામે ૮ કડીનો ‘રાજિયો’(મુ.) તથા ૧૪ કડીની ‘દાણલીલા’ને કૃષ્ણભક્તિનાં પદ (૫ મુ.) અને હેમાને નામે કૃષ્ણભક્તિનાં પદ (૨ મુ.) તથા ગોપીના કૃષ્ણ પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરતી ૯ કડીની ‘મહિના’(મુ.)-એ કૃતિઓ મળે છે. કૃષ્ણભક્તિનાં પદોના રચયિતા હીમો/હેમદાસ હોવાની સંભાવના છે. જો કે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મ. દૂધવાળા, ઈ.૧૯૧૧; ૨. નકાદોહન; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ફાહનામાવલિ : ૨. [શ્ર.ત્રિ.]

હીમદાસ-૧/હીમો [અવ. ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, કારતક સુદ ૧, શનિવાર] : તોરણાના બ્રાહ્મણ. કર્મ પ્રમાણે મળતા અવતારની વાત કરતી ‘કર્મકથા’ (અંશત: મુ.), ૬ કડીનું ‘પોતાની મરણતિથિનું પદ’ (મુ.) તથા પદોના કર્તા. કૃતિ : ૧. કવિતાસારસંગ્રહ, પ્ર. નાથાભાઈ લલ્લુભાઈ, ઈ.૧૮૮૨; ૨. કાદોહન : ૧, ૨. સંદર્ભ : કવિચરિત્ર. [શ્ર.ત્રિ.]

હીમો-૧/હેમદાસ [ઈ.૧૭૨૪માં હયાત] : દહેગામ પરગણાના મગોડીના નિવાસી. બીહાલા સોલંકી રજપૂત. રામના ભક્ત. ગુરુનું નામ ગોકુળદાસ. ‘પાંડવોનું જુગટું’ તેમણે ઈ.૧૭૨૪ સં./૧૭૮૦, કારતક સુદ ૧૨ના દિવસે પૂરું કર્યું હતું તેવો ઉલ્લેખ છે. હેમદાસને નામે ‘પાંડવોની ભાંજગડ’(મુ.) કૃતિ મળે છે તે અને ‘પાંડવોનું જુગટું’ એક હોવાની સંભાવના છે. એ સિવાય ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ કૃતિ પણ એમણે રચી છે. ‘ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’ ‘પાંડવોનું જુગટું’ અને દ્રૌપદીવસ્ત્રાહરણ’ને જુદી કૃતિ ગણે છે. કૃતિ : ૧. પાંડવોની ભાંજગડ, પ્ર. બાપુભાઈ અમીચંદ; ૨. બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૮૭૧-‘હીમા ભગત વિશે’,-(+સં.). સંદર્ભ : ૧. કાશીસુત શેધજી : એકઅધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪; ૨. પ્રાકકૃતિઓ; ૩.  ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]

હીમો-૨ : જુઓ હીમદાસ-૧.

હીર(મુનિ)-૧ : જુઓ હીરાણંદ-૩.

હીર(મુનિ)-૨ [ ] : જૈન સાધુ. ૧૦ કડીની ‘શીલ-સઝાય’(મુ.) ના કર્તા. કૃતિ રત્નસાર : ર, પ્ર. હીરજી હંસરાજ, ઈ.૧૮૬૭. [ર.ર.દ.]

હીર-ઉદયપ્રમોદ [ઈ.૧૬૬૩માં હયાત] : જૈન સાધુ. સૂરચંદ વાચકના શિષ્ય. ‘ચિત્રસંભૂતિ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા. કર્તાનામ શંકાસ્પદ જણાય છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

હીરકલશ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. દેવતિલક ઉપાધ્યાયની પરંપરામાં હર્ષપ્રભના શિષ્ય. તેની કૃતિઓના ભાષા પર રાજસ્થાનીની અસર વરતાય છે. કવિએ ચોપાઈબદ્ધ ઘણી રાસકૃતિઓ રચી છે. ‘કુમતિ-વિધ્વંસન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૧ કે ૧૫૬૧/સં.૧૬૦૭ કે ૧૬૧૭, જેઠ સુદ ૧૫, બુધવાર), ૭૩૩ કડીની ‘મુનિપતિચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, મહા વદ ૭, રવિવાર), ૮૩ કડીની ‘આરાધના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૭/સં.૧૬૨૩, જેઠ સુદ ૧૫, બુધવાર), ૬૯૩ કડીનો ‘સમ્યકત્વકૌમુદી-રાસ’ (ર.ઈ.૧૫૬૮/સં.૧૬૨૪, મહા સુદ ૧૫, બુધવાર), ‘જંબૂ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૬), ‘રત્નચૂડ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, જેઠ સુદ ૧-), ૩૩૭૦ કડીની ‘સિંહાસનબત્રીસી’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૩૬, આસો વદ ૨-), ‘ગણવિચાર-ચોપાઈ’, ‘નવનિંદાનકુલક-ચોપાઈ’, ‘મુખવસ્ત્રીકાવિચાર-ચોપાઈ’ તથા ‘વૈતાલપચીસી’ આ પ્રકારની કૃતિઓ છે. ૪૧ કડીનો ‘જીભદાંત-સંવાદ’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, માગશર-), ‘મોતીકપાસિયા-સંવાદ’, ‘દિનમાન-કુલક’ (ર.ઈ.૧૫૫૯), ‘સામયિકબત્રીશદોષવિવરણ-કુલક’, ‘પંચાખ્યાન-દુહા’ (ર.ઈ.૧૫૮૦), ‘શુદ્ધસમકીત-ગીત’, ‘સાતવીસન-ગીત’, ‘ભાવના-ગીત’, ‘દશાર્ણ-ભદ્ર-ગીત’, ‘આજ્ઞાવિચાર-ગીત’, ૫૨ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’ (ર.ઈ.૧૫૬૦/સં.૧૬૨૨, શ્રાવણ સુદ), ‘૧૬ સ્વપ્ન-સઝાય’ (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, ભાદરવા સુદ ૫-), ‘ખરતરગુરુનામ-સ્તવન’, ‘હરિયાલી’, ‘પંચપરમેષ્ઠી-નમસ્કાર’ વગેરે એમની નાનીમોટી અન્ય રચનાઓ છે. ‘જ્યોતિષસાર’ એમની હિંદી કૃતિ છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસામધ્ય; ગુસારસ્વતો; ૪. જૈસાઇતિહાસ; ૫. મરાસસાહિત્ય; ૬. મસાપ્રવાહ;  ૭. આલિસ્ટઑઇ : ૨; ૮. કૅટલૉગગુરા; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); જૈહાપ્રોસ્ટા; ૧૧. ડિકૅટલૉગબીજે; ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. રાપુહસૂચી : ૪૨; ૧૪. રાહસૂચી : ૧; ૧૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.ર.દ.]

હીરકુશલ : આ નામે ૮ કડીની ‘ભયાષ્ટક-છંદ’ (લે.સં.૧૭મી સદી અનુ.) કૃતિ મળે છે તે હીરકુશલ-૧ની છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હીરકુશલ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિમલકુશલના શિષ્ય. ૪૨૨ કડીના ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૫૮૩) તથા ‘કુમારપાલ-રાસ’ (ર.ઈ.૧૫૮૪)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧; ૫. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

હીરલશા/હીરો(સાંઈ) [ ] : તેઓ જૂનાગઢમાં થઈ ગયા હોવાનું કહેવાય છે. મુકરબાની બાજુમાં તેમની જગ્યા ‘હીરણીશા સાંઈની જગ્યા’ તરીકે જાણીતી છે. તેઓ નવાબ મહોબતખાનના ગુરુ હતા. અધ્યાત્મપ્રેમનાં ભજનો (૨ મુ.)ના રચયિતા. કૃતિ : ૧. અભમાલા; ૨. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૮૯૫૭ (+સં.).[કી.જો.]

હીરવિજ્ય : આ નામે ૩૬ કડીની ‘નરનારીશિક્ષા-છત્રીસી’ (લે.સં.૧૯મી સદી) કૃતિ મળે છે તે કયા હીરવિજ્યની છે તે કહેવું મુશ્કેલ છે. આ નામે મળતી ૨૧ કડીની ‘પાંચ પાંડવી સઝાય’ હીરવિજ્યશિષ્યની હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હીરવિજ્ય(સૂરિ)-૧ [જ.ઈ.૧૫૨૭/સં.૧૫૮૩, માગશર સુદ ૯-અવ.ઈ.૧૫૯૬/સં.૧૬૫૨, ભાદરવા સુદ ૧૧] : તપગચ્છના જૈન આચાર્ય. વિજ્યદાનસૂરિના શિષ્ય. જન્મ પાલનપુરમાં. પિતા ઓસવાલ શાહ કુંવરજી. માતા નાથીબાઈ.જન્મનામ હીરજી. ઈ.૧૫૪૦માં વિજ્યદાનસૂરિ પાસે દીક્ષા આપી, જિનમંદિરો બંધાવી, તેમાં બિંબ-પ્રતિષ્ઠા કરાવી તથા રાજવીઓને ધર્મબોધ આપી તેમણે જૈનધર્મની ઘણી સેવા કરી. અકબરના નિમંત્રણથી દિલ્હી જઈ ઈ.૧૫૮૩થી ૧૫૮૬ સુધી અહિંસા, કર્મનો સિદ્ધાંત વગેરે પર તેમણે ઉપદેશ આપ્યો. તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા. જૈન સાધુઓને ધર્મવિચાર સંબંધી આપેલ આજ્ઞારૂપ ‘પાંત્રીસબોલનો મર્યાદા-પટ્ટક’ તથા તપગચ્છ અને ખરતરગચ્છ વચ્ચેના વિવાદને શમાવવા કરેલ ઉપદેશરૂપ ‘દ્વાદશજલ્પવિચાર/હીરવિજ્યસૂરિના ૧૨ બોલ’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, પોષ સુદ ૧૩, શુક્રવાર)-એ કૃતિ એમણે રચી છે. સંદર્ભ : ૧. ઐસમાલા : ૧; ૨. કવિ ઋષભદાસ : એક અધ્યયન વાડીલાલ ચોક્સી, ઈ.૧૯૭૯; ૩. જૈસાઇતિહાસ  ૪. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ ‘જગદ્ગુરુ હીરવિજ્યસૂરિશ્વરજી સંબંધી ત્રણ સઝાયો’, સં.ન્યાયવિજ્યજી; ૭. ફાત્રૈસમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૪૧-‘પાલનપુરનો સંક્ષિપ્ત જૈન ઇતિહાસ’, મુનિ કાંતિસાગર; ૮. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૫-‘હીરવિજ્યસૂરિ અને અકબર’, વિદ્યાવિજ્ય;  ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહસૂચી; ૧૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હીરવિજ્ય-૨ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૪૩ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

‘હીરવિજ્યસૂરિ-રાસ’ [ર.ઈ.૧૬૨૯/સં.૧૬૮૫, આસો ૧૦, ગુરુવાર] : મુખ્યત્વે ચોપાઈ, દુહા અને દેશીબદ્ધ પણ કવચિત કવિત, ગીત આદિનો ઉપયોગ કરતો આશરે ૩૫૦૦ કડીનો શ્રાવક કવિ ઋષભદાસકૃત આ રાસ, કવિ પોતે જણાવે છે તેમ, દેવવિમલ પન્યાસના ૧૬ સર્ગના રાસ પરથી રચાયેલો છે. પરંતુ તેમાં કવિએ બીજા ગ્રંથોનો આધાર લીધો છે તેમ જ પોતાના ગુરુઓ પાસેથી સાંભળેલી હકીકતોને પણ સમાવી છે. અકબર બાદશાહ પ્રતિબોધક વિખ્યાત જૈનાચાર્ય હીરવિજ્યસૂરિનું જીવનવૃત્તાંત અને ત્યાગપ્રધાન ચરિત્ર આલેખતા આ રાસમાં હીરવિજ્યસૂરિના શિષ્ય પ્રશિષ્યો અને શ્રાવકો, તેમણે ઉપદેશેલા મુસલમાન સુલતાનો, તેમના સમયમાં થયેલ દીક્ષાપ્રસંગો, પ્રતિષ્ઠામહોત્સવો તથા તેમણે અને તેમના શિષ્યોએ હાથ ધરેલાં જીવદયાનાં કાર્યોની માહિતી ગૂંથી લીધી છે, તેમ મહાવીર સ્વામીથી માંડી હીરવિજ્ય સુધીના તપગચ્છ ગુર્વાવલી પણ આપી છે. સાંપ્રદાયિક રંગ છતાં આ બધી સામગ્રી ઐતિહાસિક દૃષ્ટિએ મૂલ્યવાન છે. હીરવિજ્યસૂરિનો સ્વર્ગવાસ થતાં વિજ્યસેનસૂરિના કરુણવિલાપ જેવાં કેટલાંક પ્રસંગનિરૂપણોમાં કવિની કવિત્વશક્તિ પ્રગટ થતી જોવા મળે છે. આયુષ્યરૂપી લાકડું, રવિશશી રૂપી કરવત, કાળ રૂપી સુથાર જેવી નવી રૂપકમાલા અને અકબરનું બુદ્ધિકૌશલ દર્શાવતાં યોજેલી કાવ્યચાતુરી આકર્ષક બની રહે છે. આ કૃતિમાં પણ કવિએ ભાઈ-ભગિની, બીરબલ-હીરસૂરિ વગેરેના છએક સંવાદો યોજ્યા છે તેમ જ અવારનવાર સુભાષિતો દ્વારા જીવનબોધ રજૂ કર્યો છે. [જ.કો.]

હીરવિશાલ [ઈ.૧૬૧૪ સુધીમાં] : જૈન સાધુ. ‘ચંદનરાય-રાસ’ (લે.ઈ.૧૬૧૪)ના કર્તા. સંદર્ભ : ફાત્રૈમાસિક, જાન્યુ-માર્ચ - ‘મતિસારકૃત કર્પૂરમંજરી, સં. ભોગીલાલ જ. સાંડેસરા.[ર.ર.દ.]

હીરવિશાલશિષ્ય [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : જૈન. ૧૩૩ કડીની ‘શીલવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૩) તથા ૨૨૨ કડીની ‘ચંદનરાજા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૨)ના કર્તા. સંદર્ભ : ૧. ડિકૅટલૉગભાવિ; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]

હીરસાગર [ ] : જૈન. ‘ચોવીસી’ના કર્તા. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]

હીરા/હીરાનંદ : હીરાને નામે ૧૪ કડીની ‘વાસુપૂજ્ય-પૂજનગાથા’, હીરાનંદને નામે ‘સિંહાસનબત્રીસી’ (લે.સં.૧૭મી સદી અનુ.-અપૂર્ણ) ‘પદ્મચંદ્રસૂરિ-ગીત’ (લે.સં. ૨૦મી સદી), ‘નવવાડી-સઝાય’, ‘શીલસ્વાધ્યાય’ તથા રાજસ્થાની-ગુજરાતીમાં ‘ખરતરાદિ ગચ્છોત્પત્તિ-છપ્પય’ (લે.સં.૧૭મી સદી) અને ‘અનથીધનરિષિદસાણ’ (લે.સં.૧૮મી સદી)-એ જૈનકૃતિઓ તથા ‘કૃષ્ણગોપી-સંવાદ’ એ જૈનેતર કૃતિ મળે છે. તેમના કર્તા કયા હીરા/હીરાનંદ છે તે સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે. ‘પદ્મચંદ્રસૂરિ-ગીત’ના કર્તા અર્વાચીન હોઈ શકે. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. કૅટલૉગગુરા;  ૩. ગૂહાયાદી; ૪. મુપુગૂહસૂચી; ૫. રાપુહસૂચી : ૪૨; ૬. રાહસૂચી : ૧, ૨, ૭. લીંહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]

હીરાણંદ-૧/હીરાનંદ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. શાન્તિસૂરિની પરંપરામાં વીરદેવસૂરિ-વીરપ્રભસૂરિશિષ્ય. ઉજ્જયિનીના શ્રેષ્ઠી ધનસારનો પુત્ર ધનસાગર મુર્ખચટ્ટમાંથી વિદ્યાવિલાસ બની સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી સાથે પરણી કેવી રીતે રાજ્ય ને સુખસમૃદ્ધિ મેળવે છે તેની કથાને આલેખતો લોકકથા પર આધારિત દુહા, ચોપાઈ વગેરે છંદોમાં રચાયેલો ૧૮૯ કડીનો ‘વિદ્યાવિલાસ-પવાડું/રાસ’  (ર.ઈ.૧૪૨૯; મુ.) એમાંથી ઊપસતા તત્કાલીન સમાજજીવનના રંગો, એમાંના કાવ્યત્વ અને ભાષાની દૃષ્ટિએ કવિની મહત્ત્વની કૃતિ છે. એ સિવાય વિવિધ માત્રામેળ ને અક્ષરમેળ છંદોની ૯૮ કડીમાં વસ્તુપાલનાં સત્કૃત્યોને આલેખતો ‘વસ્તુપાલ-રાસ/વસ્તુપાલ તેજપાલનો રાસ/વસ્તુપાલપ્રબન્ધ-રાસ’ (ર.ઈ.૧૪૨૮/૨૯; મુ.), કળિયુગની વિષમ સ્થિતિને વર્ણવતો ૬૪ કડીનો ‘કલિકાલ-રાસ/કલિકાલસ્વરૂપ-રાસ’ (ર.ઈ.૧૪૩૦; મુ), ૬૭ કડીનો ‘સમ્યકત્વમૂલબારવ્રત-રાસ’ (ર.ઈ.૧૪૩૮), ‘જંબૂસ્વામીનો વિવાહલો’ (ર.ઈ.૧૪૩૯/સં.૧૪૯૫, વૈશાખ સુદ ૮), ૩૧ કડીનો ‘દશાર્ણભદ્ર-રાસ/દશાર્ણભદ્ર-વિવાહલો/દશાર્ણભદ્ર રાજર્ષિગીતાછન્દ/દશાર્ણભદ્ર-ગીત’, શ્રાવક-શ્રાવિકાઓમાં વરતાતી ભાવહીનતા જોઈ ગુરુ પોતાના શિષ્યો પાસે અસંતોષ વ્યક્ત કરે છે એનું આલેખન કરતી ‘કલિયુગ-બત્રીસી’(મુ.), માગશરથી કરાતક સુધીના મહિનામાં કોશાની વિરહવેદનાને દુહા ને હરિગીતની ૧૫ કડીમાં આલેખતા ‘સ્થૂલિભદ્ર-બારમાસા/સ્થૂલિભદ્રકોશા-બારમાસા’(મુ.), ૪૪ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’, ૧૬ કડીનું ‘કર્મવિચાર-ગીત’, ૯ કડીનું ‘દિવાળી-ગીત’(મુ.), ૧૦ કડીનું ‘નલરાજ-ગીત’, ૩ કડીનું ‘પ્રાસ્તાવિક-કવિત’, ૧૧ કડીનો ‘શત્રુંજ્ય-ભાસ’, ‘સરસ્વતી-લક્ષ્મીવિવાદ-ગીત’ એમની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. ગુરાસાવલી; ૨. પ્રામબાસાસંગ્રહ : ૧ (+સં.);  ૩. સ્વાધ્યાય, ઑક્ટો ૧૯૬૩-‘હીરાણંદકૃત વસ્તુપાલરાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા; ૪. એજન, ઑક્ટો. ૧૯૭૩-‘હીરાણંદકૃત કાલિકારાસ અને કલિયુગબત્રીસી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા; ૫. એજન, નવે. ૧૯૭૪-‘હીરણંદકૃત દિવાલીગીત’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧, ૨; ૪. ગુસમધ્ય; ૫. પ્રાકરૂપરંપરા ૬. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮-પરિશિષ્ટ; ૭. મરાસસાહિત્ય;  ૮. ફાત્રૈમાસિક, ઑક્ટો-ડિસે. ૧૯૬૦-‘વિદ્યાવિલાસપવાડો’, ચન્દ્રકાન્ત ટોપીવાળા;  ૯. આલિસ્ટઑઇ : ૨; ૧૦. કૅટલૉગગુરા; ૧૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૨. મુપુગૂહસૂચી; ૧૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ભો.સાં.]

હીરાણંદ-૨/હીર(મુનિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. વીરસિંહની પરંપરામાં તેજસીના શિષ્ય. ૩૨ ઢાળ અને ૭૦૦ કડીની ‘ઉપદેશરત્નકોશ/કથાનકે અમૃતપદી-ચતુષ્પદી’ (ર.ઈ.૧૬૭૧/સં.૧૭૨૭, આસો સુદ ૨) તથા ૪૫ ઢાળ અને ૭૦૪ કડીના ‘સાગરદત્ત-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં.૧૭૪૪, આસો સુદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]

હીરાણંદ-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. સુખાનંદશિષ્ય, સુખાનંદ-હીરાણંદશિષ્ય રામકૃષ્ણની ઈ.૧૮૧૨માં રચાયેલી કૃતિ મળે છે. એટલે આ કવિ પણ એ સમયમાં વિદ્યમાન હોવાનું માની શકાય. કૃતિમાં કર્તાનામ હીરચંદ છપાયું છે, પણ એ છાપભૂલ લાગે છે. હિંદીગુજરાતીમિશ્ર ૧૮ કડીની ‘મહાવીરસ્વામીની લાવણી’(મુ.) એમણે રચી છે. કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨.[કી.જો.]

હીરાનંદ-૧ [ઈ.૧૫મી સદી પૂર્વાર્ધ] : જઓ હીરાણંદ-૧.

રાનંદ-૨હી [ઈ.૧૬૧૨ સુધીમાં] : સંઘપતિ શ્રાવક. ૫૭ કડીની હિન્દીની છાંટવાળી ‘અધ્યાત્મબાવની’ (લે.ઈ.૧૬૧૨/સં.૧૬૬૮, અસાડ સુદ ૫) તથા ‘વિક્રમ-રાસ’ (લે.ઈ.૧૬૪૪)ના કર્તા. ‘અધ્યાત્મબાવની’માં ‘મુનિરાજ કહઈં’ એ શબ્દો પરથી કૃતિના કર્તા હીરાનંદ હોવાની વિશે શંકા ઊભી થાય. કૃતિ કોઈ અજ્ઞાતનામા મુનિ દ્વારા સંઘપતિ હીરાનંદને માટે તેમને ઉદ્દેશીને રચાઈ હોય. એટલે એમના પિતાનું નામ કાન્હ ગણવું એ પણ શંકાસ્પદ છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [ભો.સાં.]

હીરાનંદ-૩ [ઈ.૧૭૧૪ સુધીમાં હયાત] : પલ્લિવાલ ચંદ્રગચ્છના જૈન સાધુ. અજિતદેવસૂરિના શિષ્ય. ‘ચોબોલી-ચોપાઈ’ (લે.ઈ.૧૭૧૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ભો.સાં.]

‘હીરાવેધબત્રીસી’ [લે.ઈ.૧૭૪૩] : સંભવત: કાંતિવિજ્ય-૨ની કૃતિ(મુ.). કાવ્યમાં કવિનો કોઈ પરિચય નથી. પરંતુ કાંતિવિજ્ય-૨ની અન્ય રચનાઓમાં મળતી ‘કહે કાંતિ’ એવી કવિછાપ અહીં પણ મળે છે અને આ કૃતિનો લેખનસમય પણ એ કવિની અન્ય કૃતિઓના રચનાસમય સાથે મેળમાં છે. છપ્પાબંધની અને બાલાવબોધ સહિતની આ કૃતિનો વિષય તો મંદોદરીએ રાવણને સીતા પાછી સોંપી દેવા આપેલી શિખામણ છે, પરંતુ એની રચનાશૈલી વિલક્ષણ છે. એકએક છપ્પામાં કવિએ નામ, માસ, રાશિ, ફળ, કોટ, ધાન્ય, દેશ, વાજિંત્ર વગેરેનાં નામોની યાદી કરી છે અને એ દ્વારા શ્લેષથી મંદોદરીનું વક્તવ્ય પ્રગટ કર્યું છે. જેમ કે “રાજબાર સમ એહ નારી કાં આદરી આણો” એ પંક્તિમાં એક બાજુથી રાજનગર, નારિ(=નાર), આદરિયાણું એ ગામનામો વંચાય છે તો બીજી બાજુથી “હે રાજન, ગર એટલે કે વિષ સમાન સીતા નારી, તેને તું આદરીને કેમ આણે છે?” એવો કવિએ જ સમજાવેલો અર્થ પ્રગટ થાય છે. કવિને આ જાતની શ્લેષરચનામાં કૃત્રિમતા સ્વાભાવિક રીતે જ વહોરવી પડી છે, પરંતુ તેમ છતાં કવિની વ્યત્પન્નતા આમાં અછતી રહેતી નથી અને સમગ્રપણે રચના કૌતુકમય અવશ્ય બની રહે છે. માર્મિક વક્રોક્તિઓને કારણે કૃતિને ‘હીરાવેધ’ એવું નામ મળ્યું જણાય છે. [જ.કો.]

હીરો-૧ [ઈ.૧૬૦૮માં હયાત] : શ્રાવક. તપગચ્છના વિજ્યસેનસૂરિના શિષ્ય. ૧૭૩ કડીના ‘ઉપદેશ-રાસ/ધર્મબદ્ધિ-રાસ’ (ર.ઈ.૧૬૦૮/સં.૧૬૬૪, મહા પર્વ; મુ.)ના કર્તા. કૃતિ : જિનદાસકૃત વ્યાપારી રાસ, પ્ર.ભીમસિંહ માણેક, સં. ૧૯૬૯. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ભો.સાં.]

હીરો(સાંઈ)-૨ [ ] : જુઓ હીરલશા(સાંઈ).

હુકમ(મુનિ) હુકમચંદ : હુકમ(મુનિ)ના નામે ૧૭ કડીની ‘શીલ-સઝાય અને ૪ ‘ગહૂંલી’ (લે.ઈ.૧૮૫૦) તથા હુકમચંદના નામને ‘ચૈત્યવંદન-ચોવીસી’, ૩૦ પદની ‘ચિદાનંદ-બત્રીસી’, ૧૩ અને ૧૭ કડીના મહિના અને તિથિ (લે.ઈ.૧૮૭૭) અને ભાષ્યસહિત ‘ચાર અભાવપ્રકરણ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા હુકમ(મુનિ)/હુકમચંદ છે તે નિશ્ચિત થતું નથી.

સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી. [પા.માં.]

‘હૂંડી’ [ર.ઈ.૧૬૭૭] : નરસિંહજીવનમાં બનેલા પ્રસંગ પર આધારિત પ્રેમાનંદકૃત ૭ કડવાંનું આખ્યાન (મુ.). દ્વારકાની યાત્રાએ નીકળેલા ૪ તીરથવાસીઓને નરસિંહ મહેતાએ દ્વારકાના શામળા શેઠ પર લખી આપેલી ૭૦૦ રૂપિયાની હૂંડીને ભગવાન શામળશા શેઠનું રૂપ લઈ છોડાવે છે એ ચમત્કારિક પ્રસંગ એમાં આલેખાયો છે, જો કે ચમત્કારના તત્ત્વને પ્રેમનંદે સાવ ઘટાડી નાખી એને ભક્ત અને ભગવાન વચ્ચે રહેલા અતૂટ સ્નેહની કૃતિ બનાવી છે. પ્રેમાનંદનાં અન્ય આખ્યાનોને મુકાબલે પ્રમાણમાં ઘણી નાની છતાં એ સુગ્રથતિ અને ભાવસભર કૃતિ છે. નરસિંહની ભગવાન પરની અતૂટ શ્રદ્ધા અને એમાંથી જન્મેલી જીવન પ્રત્યેની સંતકોટિની નફિકરાઈ, નરસિંહને હાંસીપાત્ર બનાવવાનું નાગરોનું ટીખળખોર માનસ, દ્વારકામાં શામળા નામનો કોઈ શેઠ નથી એમ જાણી “નિસાસા મૂક્યા તાણીતાણી” ને “ધોળાં મૂખ ને ધૂણે શીશ” એવા બેચેન તીરથવાસીઓ પ્રેમાનંદની પરિસ્થિતિને ભાવસભર બનાવવાની શક્તિનાં દૃષ્ટાંત છે. ભગવાન બનેલા શામળશા શેઠનું વર્ણન કે નરસિંહના ઘરનું વર્ણન વસ્તુને ચિત્રાત્મક રૂપ આપવાની પ્રેમાનંદની શક્તિને પ્રગટ કરે છે. “કો ભલા નાગરે ભાળ દીધી”માં રહેલો હાસ્યમય વ્યંગ કે “આપણે રૂપૈયા દીઠા, પણ નવ દીઠા જગદીશ રે’ એ તીરથવાસીઓની ઉક્તિમાં રહેલી વક્રતા પ્રેમાનંદ ભાષાના કેવા સવ્યસાચી છે એનો પરિચય આપે છે. [જ.ગા.]

હેતવિજ્ય : આ નામે ૩૯ કડીની ‘સંસારસ્વરૂપ-સઝાય’ તથા ૪ કડીની ‘પંચમીની સ્તુતિ’(મુ.) મળે છે. તેમના કર્તા કયા હેતવિજ્ય છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [પા.માં.]

હેતવિજ્ય-૧ [ ] : તપગચ્છના જૈન સાધુ. દાનવિજ્યના શિષ્ય. ૩ ઢાળ અને ૩૬ કડીની ‘અઢાર નાતરાંની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા(પં.); ૩. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]

હેતવિજ્ય-૨ : જુઓ હિતવિજ્ય-૧.

હેમ : આ નામે ૧૬ કડીનો ચારણી શૈલીનો ‘સરસ્વતીનો છંદ’(મુ.), ૧૧ કડીનો ‘શનિશ્ચર-છંદ’ (લે.ઈ.૧૮૦૪), ૨૦ કડીનો ‘ગણપતિ-છંદ’ (લે.ઈ.૧૮૨૨) અને ૩૨ કડીનું ‘નમસ્કાર-ફલ’(મુ.) તથા હેમઋષિને નામે ૯ કડીની ‘પટ્ટાવલી-સઝાય’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે. આ કયા હેમ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. નસ્વાધ્યાય;  ૨. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૨૫-‘સરસ્વતીપૂજા અને જૈનો’, સારાભાઈ નવાબ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. મુપુગૂહસૂચી; ૩. રાપુહસૂચી : ૪૨; ૪. રાહસૂચી : ૧; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.] હેમ-૧ [ઈ.૧૮૧૦માં હયાત] : જૈન સાધુ. નેમના શિષ્ય. ભાવનગર વિશેની વીગતો નિરૂપતી ૨૫ કડીની ‘ભાવનગર વિશેની વર્ણનાત્મક કૃતિ’ (ર.ઈ.૧૮૧૦/સં.૧૮૬૬, કારતક સુદ ૧૫)ના કર્તા. સંદર્ભ : સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૯-‘માનવિજ્યકૃત ભાવનગરની ગઝલ’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]

હેમકાંતિ [ઈ.૧૫૩૩માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. સુમતિસાગરસૂરિના શિષ્ય. ૮૪ કડીની ‘શ્રાવકવિધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૩/સં.૧૫૮૯, ભાદરવા-૮, રવિવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]

હેમખણ(કાપડી) [ ] : ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : નકાસંગ્રહ. [કી.જો.]

હેમચંદ્ર [ઈ.૧૭મી સદી] : રામસેનાગચ્છના જૈન દિગંબર સાધુ. નરસિંહની પરંપરામાં ભૂષણના શિષ્ય. ૨૪૬ કડીના ‘નેમિનાથ ગુણરત્નાકર-છંદ’ (ઈ.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ: ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

હેમચંદ્રવિજ્ય[ ] : ‘પંચપરમેષ્ઠી-સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : જૈન ધર્મપ્રકાશ, માગશર ૨૦૨૧. [કી.જો.] હેમજી(ઋષિ) [ઈ.૧૬૪૦ સુધીમાં] : લોંકાગચ્છના જૈન સાધુ. પક્કજી/પક્કરાજ-કૃષ્ણદાસ-કલ્યાણ(મુનિ) (ઈ.૧૬૧૭)ના શિષ્ય. ‘મહાવીરજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૪૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

હેમતિલક(સૂરિ)શિષ્ય [ ] : જૈન. ૪૦ કડીની ‘હેમતિલકસૂરિ-સંધિ’(*મુ.)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]

હેમદાસ : જુઓ હીમો-૧.

હેમધ્વજ [ઈ.૧૪૯૪માં હયાત] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. ૧૬ કડીની ‘જૈસલમેર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, માગશર)ના કર્તા. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન ભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]

હેમનંદન [ઈ.૧૫૮૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ક્ષેમકીર્તિશાખાના રત્નસારના શિષ્ય. ‘સુભદ્રા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૯)ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]

હેમનંદનશિષ્ય [ઈ.૧૬૧૪માં હયાત] : જૈન સાધુ. ૭૧૨ કડીની ‘સાગરશ્રેષ્ઠી-કથા/રાસ’ (ર.ઈ.૧૬૧૪)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

હેમભૂષણ(ગણિ) [ ] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધુ. દુહાબદ્ધ, ૨૫ કડીની, ગુરુપ્રશસ્તિ કરતી ‘જિનચંદ્રસૂરિ-ચર્ચરી’ના કર્તા. કવિએ કયા જિનચંદ્રસૂરિનો મહિમા કર્યો છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ સં.૧૪૩૭ પૂર્વે રચાઈ છે એવું અનુમાન થયું છે. એ સાચું હોય તો આ જિનચંદ્રસૂરિ યુગપ્રધાન જિનચંદ્રસૂરિથી જુદા હોય. કૃતિમાં યુગપ્રધાન જિનચંદ્રસૂરિનો મહિમા થયો છે એવો બીજો તર્ક છે. તો કૃતિની રચના વહેલામાં વહેલી ઈ.૧૬મી સદી કે ત્યાર પછી થઈ ગણાય. સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૩. સંબોધિ, એપ્રિલ ૧૯૭૨-‘ઑન સમ સ્પેસિનમેન્સ ઑફ ચર્ચરી’, એચ. સી. ભાયાણી. [ર.ર.દ.]

હેમમંદિર [ ] : ખરતરગચ્છા જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. ૯ કડીના ‘જિનકુશલસૂરિસ્થાન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]

હેમરતન : આ નામે ૨૦ કડીની ‘ગણેશ-છંદ’ કૃતિ મળે છે. તેના કર્તા કયા હેમરતન છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [ર.ર.દ.]

હેમરત્ન(સૂરિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. દેવતિલક-જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય. ‘લીલાવતી ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૭), ‘શીલવતી-કથા’ (ર.ઈ.૧૫૪૭), ૬૯૬ કડીની ‘મહિપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/૮૦), ૯૧૭/૯૨૨ કડીની ‘ગોરાબાદલ-કથા/પદમણી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૧) તથા જૈન પરંપરા અનુસાર રામ-સીતાની કથાનું દુહા, ચોપાઈ અને વિવિધ દેશીઓની ઢાળમાં નિરૂપણ કરતી ૭ સર્ગની ‘સીતા-ચરિત્ર’-એ કૃતિઓના કર્તા. ‘લીલાવતી ચોપાઈ’ અને ‘શીલવતી-કથા’ એક જ કૃતિ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪. ફાત્રૈમાસિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧-‘ચિતોડની ગઝલ અને સંક્ષિપ્ત ઇતિહાસ’, કાંતિસાગરજી;  ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦ હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હેમરત્ન(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદીનો આરંભ] : આગમગચ્છના જૈન સાધુ. ૨૧ કડીની, અંતરયમકવાળા દુહામાં રચાયેલી તથા ઝડઝમક્યુક્ત વર્ણનોવાળી ‘હેમરત્નસૂરિ-ફાગુ’(મુ.) તથા ૭૦ કડીની ‘ચતુ:પર્વી-સઝાય’ના કર્તા. હેમરત્નસૂરિના ધાતુપ્રતિમાલેખો ઈ.૧૬મી સદીના આરંભના મળ્યા છે તે ઉપરથી તેમના શિષ્યનો સમય ઈ.૧૬ સદીના આરંભનો ગણી શકાય. જુઓ અમરરત્નસૂરિશિષ્ય. કૃતિ : ૧. પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ઈ.૧૯૫૫; ૨. પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]

હેમરાજ : આ નામે ‘કર્મછોંતેરી’ (ર.ઈ.૧૬૫૯), ૭ કડીની ‘વિનયપ્રભસૂરિ-ગહૂંલી’ (લે.ઈ.૧૬૯૨), ૧૯ કડીની ‘વિહારની ગહૂંલી’ (લે.સં. ૨૦મી સદી અનુ.) તથા અન્ય છૂટક ૯ ગહૂંલીઓ મળે છે. એમના કર્તા કયા હેમરાજ છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

હેમરાજ-૧ : જુઓ સોમહર્ષશિષ્ય લક્ષ્મીવલ્લભ. હેમરાજ(ઉપાધ્યાય)-૨ [ઈ.૧૫૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહંસસૂરિની પરંપરામાં પુણ્યસાગરના શિષ્ય. ૪૫ કડીના ‘ક્ષુલ્લકકુમાર-પ્રબંધ’ (ર.ઈ.૧૫૬૧)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

હેમવિજ્ય : આ નામે ૨૫ કડીની ‘દ્વાદશવ્રત-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ‘નેમિજિન-સ્તુતિ’ મળે છે. એ કયા હેમવિજ્યની છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હેમવિજ્ય (ગણિ)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છની લક્ષ્મી ભદ્રશાખાના જૈન સાધુ. મુનિસુંદરની પરંપરામાં આનંદવિમલના પ્રશિષ્ય કમલવિજ્યના શિષ્ય. સંસ્કૃતના વિદ્વાન. ૧૧૦ કડીનો ‘પંડિત કમલવિજ્ય-રાસ’ (ર.ઈ.૧૬૦૫; મુ.), ૪૪ કડીના ‘નેમિજિનચંદ્રાવલા’ (ર.ઈ.૧૬૦૫ અનુ.), ‘નેમિનાથ-ફાગ-પ્રબંધ/રંગતરંગ’, ૧૪ કડીની ‘પરનિંદાનિવારણ-સઝાય’, ૯ કડીની ‘પંચેન્દ્રિય-સઝાય’, ૫-૫ કડીના ‘સાચલમાતાના બે છંદ’ એ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘પાર્શ્વનાથ-ચરિત્ર’(ર.ઈ.૧૫૭૬), ‘ઋષભશતક’ (ર.ઈ.૧૬૦૦), ‘કથારત્નાકર’ (ર.ઈ.૧૬૦૧), ‘કસ્તૂરી-પ્રકરણ’(મુ.), ‘કીર્તિકલ્લોલિની’ તથા અપૂર્ણ ‘વિજ્યપ્રશસ્તિ’ મહાકાવ્ય એમના સંસ્કૃત ગ્રંથો છે. નેમનાથ, વિજ્યસેનસૂરિ અને હીરવિજ્યસૂરિ ઉપરની સ્તુતિઓ કવિએ હિન્દીમાં રચી છે. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩ (+સં.); કસ્તૂરીપ્રકરણ, ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૮. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૩૯-‘મહાકવિ હેમવિજ્યગણિ’, અંબલાલ કે. શાહ;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. મુપુગૂહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હેમવિજ્ય-૨ [ ] : તપગચ્છના જૈન સાધુ. ‘ચંપક-રાસ’ના કર્તા. તેઓ કમલવિજ્યશિષ્ય હેમવિજ્ય હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન ગ્રંથભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. [ર.ર.દ.]

હેમવિમલ(સૂરિ) : આ નામે ૩૦ કડીની ‘રાત્રિભોજનપરિહાર-સઝાય’ (લે.સં.૨૦મી સદી અનુ.) મળે છે. તે કયા હેમવિમલની છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હેમવિમલ(સૂરિ)-૧ : [જ.ઈ.૧૪૬૬/સં.૧૫૨૨, કારતક સુદ ૧૫-અવ. ઈ.૧૫૨૭/સં.૧૫૮૩, આસો સુદ ૧૩] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિના શિષ્ય. જન્મ વડગામમાં. પિતા ગંગાધર. માતા ગંગારાણી. મૂળ નામ હાદકુમાર. ઈ.૧૪૮૨માં લક્ષ્મીસાગરસૂરિ પાસે દીક્ષા. દીક્ષાનામ હેમધર્મ. ઈ.૧૪૯૨માં આચાર્યપદ મળ્યું ત્યારપછી હેમવિમલસૂરિ નામ. તેઓ સંસ્કૃતના વિદ્વાન હતા, અને વિશાળ શિષ્યસમુદાય ધરાવતા હતા. ૧૦૪ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’, ૧૫ કડીની ‘તેરકાઠીયાની સઝાય’(મુ.) તથા ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘વરકાણાપાર્શ્વનાથ-સ્તવન’(મુ.) એ એમની સંસ્કૃત કૃતિ છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ડિસે. ૧૯૪૬-‘હેમવિમલસૂરિકૃત ૧૩ ‘કાઠિયાની સઝાય’ શ્રીમતી શાર્લોટે ક્રાઉઝે (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈઐકાસંચય;  ૩. જૈગૂકવિઓ : ૧, ૨, ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

હેમવિમલ(સૂરિ)શિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૩ કડીની ‘પ્રભુઆજ્ઞા-વિનતિ’(મુ.), ૧૫ કડીની ‘તેર કાઠિયાની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ‘બારવ્રત-સઝાય’ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૮-‘શ્રીહેમવિમલસૂરિ વિરચિત પ્રભુઆજ્ઞા-વિનતિ’, સં. રમણિકવિજ્યજી. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી [કી.જો.]

હેમવિલાસ [ઈ.૧૮૨૩માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જ્ઞાનકીર્તિના શિષ્ય. ૨૭ કડીના ‘ઢુંઢક-રાસો’ (ર.ઈ.૧૮૨૩/સં.૧૮૭૯, મહા વદ ૮)ના કર્તા. ‘મધ્યકાલીન રાસસાહિત્ય’માં આ કૃતિના કર્તાનું નામ ભૂલથી હેમવિમલ નોંધાયું છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૩(૧, ૨). [ર.ર.દ.]

હેમશ્રી [ઈ.૧૫૮૮માં હયાત] : વડતપગચ્છના જૈન સાધ્વી. નયસુંદરનાં શિષ્યા. રાજપુત્રી કનકાવતી પર બાલવયે પડતાં સંકટો અને તેનાં અજિતસેન સાથેનાં લગ્નની કથાને આલેખતું અદ્ભુતરસિક ૩૬૭ કડીનું ‘કનકાવતી-આખ્યાન’ (ર.ઈ.૧૫૮૮/સં.૧૬૪૪, વૈશાખ સુદ ૭, મંગળવાર), ‘મૌન-એકાદશી-સ્તુતિ’ તથા અન્ય કેટલીક સ્તુતિઓ એમણે રચી છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

હેમસાર : આ નામે ૪ કડીની ‘નેમનાથ-છાહલી’ (લે.સં.૧૭મી સદી અનુ.), ૯ કડીની ‘પંચપરમેષ્ઠીનવકારસારવેલી’ તથા ૯ કડીની ‘સપ્તવ્યસન-વેલી’ (સં.૧૭મી સદી) મળે છે. તેમના કર્તા કયા હેમરસાર છે તે સ્પષ્ટ પણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

હેમસિદ્ધિ [ઈ.૧૭મી સદી] : સંભવત: ખરતરગચ્છના જૈન સાધ્વી. ૧૮ કડીના ‘લાવણ્યસિદ્ધિપહુતણી-ગીત’(મુ.) તથા ૧૮ કડીના ‘સોમસિદ્ધિનિર્વાણ-ગીત’(મુ.)ના કર્તા. ‘લાવણ્યસિદ્ધિપહુતણી-ગીત’માં લાવણ્યસિદ્ધિના અવસાનસમય (ઈ.૧૬૦૬)ની નોંધ મળે છે તે પરથી આ કવયિત્રી ઈ.૧૭મી સદીમાં થયાં હોવાનું અનુમાન કરી શકાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [ર.ર.દ.]

હેમસૌભાગ્ય [ઈ.૧૬૬૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સાગરશાખાના ઇન્દ્રસૌભાગ્યના શિષ્ય. રાજસાગરસૂરિનિર્વાણ-રાસ’ (લે.ઈ.૧૬૬૫)ના કર્તા. રાજસાગરસૂરિનું અવસાન ઈ.૧૬૬૫માં થયું, એટલે કૃતિ એ જ વર્ષમાં રચાઈ હોવાનું માની શકાય. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]

હેમહરખ [ઈ.૧૬૭૭ સુધીમાં] : જૈન સાધુ. ૬ કડીના ‘નેમિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૭૭)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]

હેમહંસ-૧ [ઈ.૧૪૫૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રત્નશેખરસૂરિના શિષ્ય. ૫૦ કડીના ‘ગિરનાર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૪૫૯; મુ.)ના કર્તા. કૃતિ : પુરાતત્ત્વ, એપ્રિલ ૧૯૨૩-‘ગિરનાર-ચૈત્યપરિપાટી’, બહેચરદાસ જી. દોશી. [ર.ર.દ.]

હેમહંસ(ગણિ)-૨ [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરની પરંપરામાં મુનિસુંદરના શિષ્ય. જયચંદ્ર અને ચારિત્ર્યરત્નગણિ એમના વિદ્યાગુરુ હતા. નમસ્કારની વિસ્તૃત વ્યાખ્યા ઉપરાંત નમસ્કારનો પ્રભાવ વર્ણવતી ૬ કથાઓ સહિત તેનું માહાત્મ્ય બતાવતા ‘નમસ્કાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૪; મુ.) તથા ‘ષડાવશ્યક બાલાવબોધ’ (ર.ઈ.૧૪૪૫) એમની ગુજરાતી કૃતિઓ છે. ઉપરાંત ઉદયપ્રભસૂરિકૃત ‘આરંભસિદ્ધિ’ પર વૃત્તિ (ર.ઈ.૧૪૫૮) તથા હેમવ્યાકરણમાં આપેલ ૫૭ ન્યાયોમાં બીજા ૮૪ ઉમેરી કુલ ૧૪૧ ન્યાયની પરિભાષાનો સંગ્રહ કરી તેના પર ‘ન્યાયાર્થમંજુષા’ નામની વૃત્તિ તેમજ એ વૃત્તિ પર ન્યાસ (ર.ઈ.૧૪૬૦) જેવા સંસ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે. કૃતિ : નસ્વાધ્યાય (+સં.). સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૫-‘નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય’; ૨. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮; ૩. જૈસાઇતિહાસ;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]

હેમાણંદ ચઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધૃ : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષપ્રભની પરંપરામાં હીરકલશના શિષ્ય. ૨૨/૨૩ કડીની ‘અંગસ્ફુરણાવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૮૩/સં.૧૬૩૯, આસો સુદ ૧૦), ‘વેતાલ-પચીસી’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬,-ઇન્દ્રોત્સવદિન), ‘ભોજપ્રબંધ’ પર આધારિત ‘ભોજચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૯૭/સં.૧૬૫૪, કારતક(પહેલો) વદ અમાસ (દિવાળીદિન), ‘દશાર્ણભદ્ર-ભાસ’ (ર.ઈ.૧૬૦૨/સં.૧૬૫૮, કારતક સુદ ૧૫) તથા રાજસ્થાની ભાષાની છાંટ ધરાવતી ‘હરિયાલી’ના કર્તા. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૨૫-‘આપણું લોકવાર્તા વિષયક પ્રાચીન સાહિત્ય; ૨. ગુસામધ્ય; ૩. જૈસાઇતિહાસ; ૪. મસાપ્રવાહ; ફ્ર ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. મુપુગૂહસૂચી; ૭. રાપુહસૂચી : ૪૨; ૮. રાહસૂચી : ૧. ચર.ર.દ. હોથી ચ : રવિભાણસંપ્રદાયના કવિ. નેકનામ ગામના સંધી મુસલમાન સુમરા જીવા/સિકંદરના પુત્ર. મોરારસાહેબ પાસે દીક્ષા લેવાથી ને હિંદુમંદિરોમાં ભજન ગાવાને કારણે એમને કુટુંબ ને પોતાના સમાજ તરફથી સારી એવી કનડગત થઈ હતી એમ કહેવાય છે. ઈ.૧૮૪૯માં અફીણ પીવાથી તેમનું અવસાન થયું એમ મનાય છે. ‘દાસ હોથી’ની છાપથી અંકિત અનેક ભજનો-પદો(મુ.) તેમણે રચ્યાં છે. આ ભજનો ને પદોમાં નિરાડંબરી અને વેધક વાણીમાં આત્માનુભવની મસ્તી પ્રગટ થાય છે. આ પદોમાં ઈશ્વરના કશા નામવિશેષ, પંથસંપ્રદાયના ઇશારા કે પૌરાણિક ઘટના, દેવદેવી કે વ્યક્તિના ઉલ્લેખ વગર એકોપાસનાનો બોધ કરવામાં આવ્યો છે. તથા સમાજનાં દંભ અને પાખંડ પર પ્રહારો થયાં છે. કૃતિ : ૧. ભાસાસિંધુ; ૨. યોગવેદાન્ત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૩. રવિભાણસંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં. ૧૯૮૯; ૪. સતવાણી (+સં.); ૫. સોસંવાણી (+સં.). સંદર્ભ : ૧. આગુસંતો; ૨. રામકબીરસંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, ઈ.૧૯૮૨; ૩. સૌરાષ્ટ્રના સંતો, દેવેન્દ્રકુમાર કા. પંડિત, ઈ.૧૯૬૧. ચદે.જો.

હોસજી ચ : પદોના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. ચકી.જો.