ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાર્થનાસમાજ

Revision as of 08:51, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રાર્થનાસમાજ : કેશવચન્દ્ર સેન દ્વારા બ્રહ્મોસમાજે મહારાષ્ટ્રમાં પ્રાર્થનાસમાજનું રૂપ લીધું અને ૧૮૭૧માં ભોળાનાથ સારાભાઈ દિવેટિયા તેમજ મહીપતરામ નીલકંઠે અમદાવાદમાં એની સ્થાપના કરી. એના પ્રચાર માટે ‘જ્ઞાનસુધા’ નામક પહેલાં પાક્ષિક અને પછી માસિક થયેલું સામયિક ૧૯૧૦ સુધી સતત ચાલ્યું. પ્રાર્થનાસમાજ એકેશ્વરવાદમાં અને ખાસ તો ઉપનિષદ ચીંધ્યા બ્રહ્મમાં શ્રદ્ધા ધરાવે છે; અને એને પામવા સગુણ ઉપાસનાનો માર્ગ બતાવે છે. છતાં મૂર્તિપૂજાનો વિરોધી છે. ઈશ્વરની ભક્તિ એ જ ધર્મ છે; ભક્તિથી જ આત્માનું ઐહિક અને આમુષ્મિક કલ્યાણ થાય છે; ભક્તિ એટલે સપ્રેમ શ્રદ્ધા, ઉપાસના, સ્તુતિ – પ્રાર્થના – વગેરે સમાજની મુખ્ય વિચારસરણી છે. ચં.ટો.