સોરઠી બહારવટીયા - 2/૮

Revision as of 10:17, 14 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮|}} {{Poem2Open}} ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છે: “મેર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છે: “મેરામ ખુમાણ, હવે શું કરૂં? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.” “સાચુ મા'રાજ! માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કરો. અને ભાણજોગીદાસને તેડાવીને કસુંબા પી લ્યો.” ઠાકોર વજેસંગે કુંડલે જઈને પોતાના શત્રુનું કારજ આદર્યું. ત્રણે પરજમાં મેલા લખ્યા, ભાણ જેગીદાસને તેડી લાવવા માટે મેરામ ખુમાણને મોકલ્યા. નક્કી કરેલે દિવસે બેય બહારવટીયા ભાઈઓ ડુંગરમાંથી ઉતરીને કુંડલે આવે છે. રસ્તે જોગીદાસ શીખામણ દઈ રહ્યો છે કે “ભાણ! બાપ, તું આકળો થતો નહિ. તારી તેજ પ્રકૃતિને જરા વશ રાખજે ભાઈ!” કંડલાના દરબારગઢમાં આવ્યા, ત્યાં દાયરો ઉભો થઈ ગયો. જોગીદાસે પૂછ્યું “ક્યાં છે મહારાજ!” “મા'રાજ તો નદીએ સરાવે છે.” “મા'રાજ પોતે સરાવવા ગયા છે!” “હા આપા!” બન્ને જણાએ ઘોડીઓ નદીનાં આરા તરફ લીધી. કાંઠે આવતાં તો આઘેથી ઠાકોર વજેસંગને દેખ્યા : મૂછો પડાવીને મહારાજ રામધાટ ઉપર સરવણું કરે છે. “જો ભાણ! જોઈ લે બાપ! બાપ તો તારો ને મારો મર્યો, અને મૂછું બોડાવી છે ભાવનગરના ઠાકોરે : આપણા દુશ્મને! આમ જો ખાનદાની! તું કે હું મૂછ્યું પડાવી શકીએ એમ છે?” [કાઠીઓ કદિ પણ મૂછો પડાવતા નથી. રજપૂતો પડાવે છે.] ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા. ઉંચુ જોયું, બન્ને બહારવટીયા સામે નજર કરીને ઠાકોરે મ્હોં મલકાવ્યું. જાણે મોટેરા ભાઈ હોય, એટલું હેત પાથરી દીધું. “ઉઠો ઉઠો મહારાજ! હવે બાકીનું મને સરાવવા દ્યો. આપે તે અવધિ કરી.” “આપા ભાઈ!” મહારાજ બોલ્યા, “હાદો ખુમાણ તમારા બાપુ, તેમ મારા યે બાપુ, હું મોટેરો દીકરો, તમે કોઈ ઘરે નહિ, એટલે હું સરવું એમાં શું? મોટેરાને એટલો હક્ક તો રે'વા દ્યો બાપ!” “ભલે મહારાજ!” જોગીદાસનું ગળું રૂંધાઈ ગયું. સરાવણું પૂરૂં થયે સહુ ગામમાં આવવા ઘોડે ચડ્યા. બરાબર ઝાંપે આવીને જોગીદાસે ઘોડી સામા કાંઠા ઉપર સાવર ગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યું “રામ રામ મહારાજ!” “આપા ભાઈ! આ તરફ દરબારગઢમાં.” “માફ રાખો, બાપા! હું સાવરમાં ઉતારો કરીશ.” “અરે પણ–” મેરામ ખુમાણ બોલી ઉઠ્યા: “કાં મહારાજ! ન સમજાણું? જોગીદાસે કુંડલાનું પાણી હરામ કર્યું છે એટલે એણે ઘોડી તારવી.” “તો આપણાં મુકામ પણ સાવરમાં નાખો." ઠાકોરનો હુકમ થયો. કારજની બધી તૈયારી કુંડલામાંથી સામા પાદરમાં લઈ જવામાં આવી. ભલભલા કાઠીઓનું કારજ તે દિવસોમાં ઘઉંના ભરડકાનું થતું. તેને બદલે હાદા ખુમાણના કારજમાં ઠાકોરે સાટા જલેબી ને મોહનથાળ દીધાં. ત્રણે પરજોના સેંકડો પરોણા મ્હોંમાં આંગળી નાખી ગયા. કેવળ ક્રાંકચનો મેરામ ખુમાણ ઠાકોરની કરામત ઓળખતો હતો. એણે મનમાં ને મનમાં કહ્યું “વાહ ઠાકોર! રૂપાની થાળી ને સોનાની પાળી! કલેજાં ચીરે, તો ય મીઠી લાગે!” “બોલાવો ભાણ જોગીદાસને કસુંબા પીવા. આજ બારવટું પાર પાડીએ.” વજેસંગજીએ વાત ઉચ્ચારી. બન્ને ભાઈઓ હાજર થયા. ઠાકોરે વાત ચલાવી: “જુઓ આપાભાઈ! બાપુ આલા ખુમાણના વખતના વહીવટના ચોપડા તપાસો : દરેક ભાઈને ત્રીસ ત્રીસ હજાર મળતા. એથી વધુ તો તમે ન માગો ને!” “ના.” “ત્યારે છ ગામ ઉપાડી લ્યો. આપા! તમે જ નામ પાડો.” “પહેલું કુંડલા.” કુડલાનું નામ પડતાં જ મહારાજનું મ્હોં ઉતરી ગયું. મહારાજે માથુ ધુણાવ્યું: “આપા! કુંડલા તો નહિ. કુંડલા લેવામાં દરબારને ભારી દાખડો કરવો પડ્યો છે. ઠેઠ રાજુલાથી તોપખાનું હરડાવ્યું, તેમાં નેસડીના મૂળા પટેલના ચાળીસ ઢાંઢા તૂટી ગયા, તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું. માટે કુંડલાના સિવાય બીજું ઠીક પડે એ ગામ માગી લ્યો." “પહેલા કુંડલા; પછી બીજું ખપે. કુંડલા મળ્યા મોર્ય તો નાવલીનું પાણી ન ખપે મહારાજ.” “આપા! છ નહિ - સાત માગો. આઠ માગો. પણ કુંડલાની વાત પડતી મેલો” “મહારાજ છને બદલે ભલે પાંચ આપો, પણ કુંડલા તો પહેલા.” “એ ન બને આપા!” “તો રામરામ ઠાકોર!” ભાણ જોગીદાસ ચડી નીકળ્યા. ભાણની રોમરાઈ અવળી થઈ ગઈ હતી. મરૂં કે મારૂં! મરૂં કે મારૂં! એમ એને થતું હતું. નાવલીની બજારમાં નીકળતાં જ ભાણ ખુમાણે સીરબંધી સિપાહીઓ ઉપર ઝાટકા ચોડવા માંડ્યા. દોડીને જોગીદાસે ભાઈને ઝાલી લીધો: “હાં! હાં! ભાણ! સામી તેગ ખેંચે તેને જ મરાય. બાપડા નિર્દોષને માથે આ તું શું કરી રહ્યો છે?” ગોખમાં ઉભેલા ઠાકોર ભાણની આ અકોણાઈ જોતા હતા. એણે પોતાના સીરબંધીઓને ત્યાંથી હાકલ કરી: “ખબરદાર! બહારવટીઆને કોઈ આજ સામે ઘા ન કરજો. ભલે આપણાં સો ખૂન થઈ જાય." “જોયું ભાણ! આ ઠાકોર વજેસંગ!” બહારવટીયા ચાલી નીકળ્યા. કારજના પ્રસંગ વિષે બીજી વાત આમ બોલાય છે: જેતપુર શહેરથી દરબાર મુળુવાળાને તેડાવવામાં આવ્યા. ત્રણે પરજની કાઠ્યમાં મૂળુવાળાનો મોભો ઉંચેરો ગણાતો. એનું વેણ ઝટ દઈને કોઈથી લોપાતું નહિ. એજન્સી સરકારની પાસે પણ સહુ કાઠીઓની ઢાલ થઈને ઉભા રહેનાર મૂળુવાળો હતો. એને બોલાવીને કળાબાજ મહારાજે કહ્યું “મુળુભાઈ, હાદા ખુમાણ જેવો કાઠી પડ્યો. એની તો આખા મલકને ખોટ્ય કહેવાય. જીવતો એ મારો દુશ્મન હતો, પણ મુવા પછી તો મારો ભાઈ લેખુ છું. માટે ભાવનગરને ખર્ચે મારે કુંડલા મુકામે એનું કારજ કરવું છે. તમારૂં કામ તો એટલા સારૂં પડ્યું છે કે કારજમાં તમે ભાણ જોગીદાસને બોલાવી લાવો. મારા હાથનો કસુંબો લઈને પછી ભલે તુરત એ ચડી નીકળે. પણ એના બાપને માર્યા પછી હું એને અંજળી ભરી કસુંબો ન લેવરાવું ત્યાં સુધી મારા જીવને ઝપ નથી. વેર તો કોને ખબર છે ક્યાં સુધી હાલશે!” કહેવાય છે કે ઠાકોરના પેટમાં દગો હતો. બહારવટીઆઓને ઝાલી લેવાની પેરવી હતી. પણ કસુંબા લેવાઈ રહ્યા, સહુ સહુને ઉતારે ગયા, રાત પડી, એટલે મૂળુવાળાએ સનસ કરીને બહારવટીયાને ચેતાવ્યા “હં....ભાણ જોગીદાસ! હવે ચડી નીકળો ઝટપટ." “અરે! પણ મહારાજ વાળુમાં વાટ જોશે.” “તો પછી ઝાટકાનાં વાળુ સમજવાં જોગીદાસ!” આંહી બહારવટીયા ચડી ગયા, ને ત્યાં મહારાજને ખબર પડ્યા. રોષે ચડેલા ઠાકોરે રાજકોટ પોલીટીકલ એજન્ટને ખબર દીધા કે “બહારવટીયાને પકડી લેવાની મારી પરવીને જેતપૂર મૂળુવાળાએ અને જસદણના શેલા ખાચરે ધુળ મેળવી દીધી છે. બહારવટીયાને નસાડ્યા છે." આ ઉપરથી એજન્સી સરકારે જેતપૂર અને જસદણ ઉપર સરકારી થાણાં બેસારી દીધાં હતાં.