સોરઠી સંતવાણી/‘પોકારીને પાલો ભણે

Revision as of 12:13, 27 April 2022 by MeghaBhavsar (talk | contribs)


‘પોકારીને પાલો ભણે

પાંચાળનો એ પાલરવ ગઢવી પરજિયો ચારણ હતો. (પરજિયા એ ચારણની શાખા છે. પશુધારી, સોદાગરી કરનાર, મોટે ભાગે અકવિ, ને રાજદરબારે ન ડોકાનારા, દાન ભીખવા ન ભટકનારા, પરપ્રશંસાના ત્યાગી અજાસી ચારણ.) ’26 કે ’27માં પ્રથમ ભેટ્યો ત્યારે જ એ 60-65 વર્ષનો વૃદ્ધ હતો. દૂબળો-પાતળો, દાઢીના શ્વેત કાતરા, ઝીણી આંખો, સફેદ કપડાં, ઝાડને ગુંદર ઝરે તેમ આંખોમાંથી ઝીણાં જળ ટપકે. કહ્યું કે, “પાલરવ ગઢવી! તમે પોતે જ ‘શામળાના દુહા’ રચનારા પાલરવ?” “અરે બાપા! કહ્યા છે શામળાના દુહા. આ જોવો ને બાપા! ઈ તો એમ ભણ્યું બાપા, કે

ભગવંત ભલા જોગ;
(કે’નાય) ભૂંડામાં ભગવંત નૈ;
(પોતાનાં) સુ-કરતાંનો સંજોગ
પ્રાપ્રેવુ પાલો ભણે.”

[અર્થ : ભગવાન તો ભલું જ કરનાર છે. કોઈના બૂરામાં ભગવાન નથી. અને પોતપોતાનાં સુકુત્યને યોગ્ય જ સૌને પ્રાપ્તિ થાય છે, એમ પાલો (પાલરવ) કહે છે.] એમ પ્રારંભ કરીને આ બુઢ્ઢા પાલરવે, હાથમાં નાનકડી લોઢાની સૂડી હતી તે ઊંચી ને નીચી, આજુ ને બાજુ ઘુમાવતાં ઘુમાવતાં, પાસાબંધી કેડિયાની ચૂડીદાર બાંયોમાં ચપોચપ પાતળિયા હાથે અભિનય કરતે કરતે, ઈશ્વરને સાક્ષાત્ લાડ લડાવતા હોય તેવી ચેષ્ટા કરતે કરતે, અને પોતે જે બોલી રહેલ છે તે તો શંકારહિત ત્રિકાલાબાધિત અને પાકું પ્રમાણી જોયેલું સત્ય હોય એવી ખાતરીના તૉરમાં શામળાના દુહા અર્થાત્ ઈશ્વરને સંબોધેલાં કડીબંધ દુહા-સુભાષિતો ચાલુ કર્યાં—

વાગ્યાની તમને વગત
ઝાંઝર કીડીનાં જે;
દૈવ! ધાઉં દેતે
સુણતા નથી શામળા!