સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીધર બાલન/૨૦૦૬માં ફ્રેન્કફર્ટને મેળે

Revision as of 10:10, 29 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં દર વરસે જગતનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળો ભરાય છે. દર વરસે એ પુસ્તકમેળો કોઈ એક દેશને મુખ્ય સ્થાન આપે છે. ૧૯૮૬માં ભારતને એ સ્થાન મળેલું અને હમણાં જાહેરાત થઈ છે કે ૨૦૦૬ના ફ્રેન્કફર્ટ મેળામાં ફરી વાર ભારતને એ સ્થાન અપાશે. વીસ વરસના ગાળામાં આવું સન્માન બે વાર મેળવનાર એક માત્ર દેશ ભારત છે. ભારતમાં આજે ૧૬,૦૦૦ જેટલા પ્રકાશકો છે અને આ દેશમાં વરસે ૭૦,૦૦૦ જુદાં જુદાં પુસ્તકો બહાર પડે છે તેવો અંદાજ છે. તેમાંથી ૪૦ ટકા જેટલાં તો અંગ્રેજી ભાષામાં હોય છે. એ રીતે અંગ્રેજી પુસ્તકોનાં પ્રકાશનમાં ભારતનું સ્થાન બ્રિટન અને યુનાઇટેડ સ્ટેઇટ્સ પછી દુનિયામાં ત્રીજું આવે છે. ભારતમાં પ્રકાશિત અંગ્રેજી પુસ્તકો જગતના ઘણા દેશોમાં નિકાસ થાય છે. ભારતીય પુસ્તકોની નિકાસ ૧૯૯૧માં રૂ. ૩૩ કરોડની હતી, તે ૨૦૦૩માં રૂ. ૩૬૦ કરોડ પર પહોંચેલી. ભારતની અદ્યતન મુદ્રણવ્યવસ્થા અને મજૂરીના નીચા દરને કારણે કેટલાક દેશના પ્રકાશકો પોતાના દેશ કરતાં ભારતનાં છાપખાનાંમાં પુસ્તકો છપાવવાનું પસંદ કરે છે. એ રીતે આજે ભારતને વિદેશોમાંથી રૂ. ૯૪ કરોડનું છાપકામ મળે છે. [‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ દૈનિક: ૨૦૦૫]