ગાતાં ઝરણાં/પ્રારંભિક

Revision as of 16:34, 11 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with " ગાતાં ઝરણાં કર્તા “ગની” દહીંવાલા પ્રાપ્તિસ્થાન ગોપીપુરા, સુભાષચોક, સુરત કર્તા : ગની સુરત (કૃતિઓના સર્વ હક્ક કર્તાને આધીન છે) જેમનો હું ઋણી છું એવાં મારી કૃતિઓને મમત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)



ગાતાં ઝરણાં





કર્તા “ગની” દહીંવાલા










પ્રાપ્તિસ્થાન ગોપીપુરા, સુભાષચોક, સુરત

કર્તા : ગની સુરત



(કૃતિઓના સર્વ હક્ક કર્તાને આધીન છે)



જેમનો હું ઋણી છું એવાં મારી કૃતિઓને

મમત્વપૂર્વક પ્રકટ કરનાર કેટલાંક પત્રોના નામો 

કુમાર, સંસ્કૃતિ, પ્રજબંધુ, સારથિ, બે ઘડી મોજ, ગુજરાતી, મુંબઈ સમાચાર, સંસ્કાર, પ્રવાસી, વતન, બેગમ, લીલા, વીસમી સદી, ક્રેસન્ટ, ચિરાગ, કિતાબ, પટેલ મિત્ર, બહાર તથા (સ્થાનિક) ગુજરાત મિત્ર, પ્રતાપ, ગુજરાત વિ.




પ્રકાશક : ‘ગની કાવ્ય-સંગ્રહ પ્રકાશન સમિતિ’ વતી ગની દહીંવાલા, ગોપીપુરા, સુભાષચોક, સુરત



મુદ્રક : ધ્રુવકુમાર ન. માલવી ગાંડીવ મુદ્રણાલય, હવાડિયો ચકલો, સુરત














મિત્રો અને મુરબ્બીઓને

હતી એ અલ્પતા ધરતીને ખૂણે, ગગનગામી હતો જેનો વસીલો. “ગની” કોનું હશે સદ્ભાગ્ય એવું! મળે આ દોસ્ત ને આવા વડીલો.








કવિ અને કલાકાર

                            જીવનનો કોઈ પ્રસંગ કે પ્રકૃતિનું કોઈ દૃશ્ય, જીવનના પ્રસંગોનું કે પ્રકૃતિનાં દૃશ્યોનું કોઈ વૈચિત્ર્ય જોઈ હરકોઈ સંસ્કારી માણસને કશુંક સંવેદન થાય છે અને એ સંવેદનમાં એ શાંતિ, સમતા, આમોદ, ઉલ્લાસ, ઉત્સાહ કે ગમગીની અનુભવે છે. વિશિષ્ટ રસવૃત્તિનો કે અતીવ વેદનાશીલ માણસ એવું સંવેદન કે સ્ફુરણ કે સ્પંદન અનુભવીને બેસી નથી રહેતો, તેને પોતામાંથી છૂટું પાડવા મથે છે, એને તટસ્થતાથી નિહાળે છે અને પોતાની રસવૃત્તિના કે સ્વભાવના વલણ અનુસાર કે ઘડતર અનુસાર પોતાની વિદગ્ધતા કે તાલીમ અનુસાર, તે સ્ફુરણને પૂરું સમજવા, પૂરું ઉતારવા, શબ્દ, રવ, આકાર, રંગ, પથ્થર, આદિ વાપરે છે. કવિની વૃત્તિવાળો માણસ પોતાના પેલા આગ્રહી, આકાર લેવા માગતા અનુભવને શબ્દોમાં ઉતારે છે, શબ્દોમાં તે બરાબર ઊતરી રહે ત્યારે જ તેને મૂળ અનુભવમાં શું રહસ્ય છુપાયેલું હતું તે સમજાય છે. કવિ શબ્દમાં પોતાનો ભાવ ઉતારે છે એનો અર્થ એ કે શબ્દની શકિત જેમાં ઉત્તમ રીતે જળવાય વા ઊતરે એવા શબ્દસ્વરૂપમાં–શબ્દોના આકારમાં તે ભાવને એ ઉતારે છે. મતલબ કે કોઈ વિશિષ્ટ લયવાળી શબ્દરચનામાં ઉતારે છે. ભાવ કે ઊર્મિ કે અનુભવનું સ્વરૂપ એવું ડહોળાયેલું, આતુર, આકુલ અને મસ્ત હોય છે કે એને ચોક્કસ લયમાં ઉતારવાનું ના હોય તો ભાષાની ભેખડ તોડીને વીખરાઈ જાય. માટે જ કવિ ચોક્કસ છંદરચના પોતાના કાવ્ય માટે રાખે છે, જેથી પોતાના ભાવને યથેચ્છ સંયમ પણ મળે અને વેગ પણ મળે. આ કર્મનું તાત્પર્ય એ કે કવિતા એ અર્થની અનુભૂતિની, ઊર્મિની કલા છે. અર્થથી જે એ સાર્થક છે. એ અર્થ એક ચોક્કસ અનુભૂતિનો, ભાવોર્મિનો, ભાવવિશેષ(mood )નો છે. એ સાર્થકતા ના હોય તો કોઈ કાવ્ય કાવ્ય જ બનતું નથી. કવિતા એ શબ્દની કળા છે, કારણ કે કવિનું વલણ કે શિક્ષણ અનુભવને વધારે સફળ રીતે શબ્દમાં ઉતારી શકે છે અથવા એમ કહો કે એની અનુભૂતિ એવી છે કે એને માટે શબ્દ અને છંદ પસંદ કરો તો જ તે ઠીક નિરૂપાય, કિંવા બરોબર કવિને પોતાને જ સમજાય.
                    કાવ્ય શબ્દની કળા છે, કારણ કે કવિને આવિષ્કાર માટે શબ્દ અનુકૂળ છે. શબ્દ વિના તેનો અર્થ પ્રકટ થઈ શકે તેમ નથી, પણ તત્ત્વતઃ તો કાવ્ય-કાવ્ય તો શું સર્વ કળા अर्थની કળા છે, ભાવોર્મિની કળા છે. કલ્પના કે વિચારના વૈચિત્ર્યની કળા છે.
                   આટલું સ્પષ્ટ સ્વીકારીએ તો કવિનો ધર્મ પ્રગટ થશે. જે ઊર્મિ સ્વકીય હોય અને આગ્રહી હોય તે જ આવિષ્કારને યોગ્ય કહેવાય. કલાના પરમ પ્રયોજન–આનંદ કે તલ્લીનતા-સિવાયનું પ્રયોજન તેના સર્જનને પ્રસંગે હોય નહિ, કોઈ સિદ્ધાંત સ્થપાયાના ઈરાદાથી, કોઈ લોકને ઈષ્ટ એવી માગણીના પોષણ અર્થે અથવા કામાદિવિષયક લાગણીઓને આડકતરી રીતે સંતોષવા કે ઉત્તેજવા લખેલી કવિતા બીજા વર્ગની કવિતા થઈ જાય. ઊર્મિને કે અનુભૂતિને એકાગ્ર કરી તટસ્થ રીતે નિહાળી, યોગ્ય શબ્દને લય કે છંદમાં ઉતારવી જોઈએ. ભાષાના સ્વરૂપને તથા છંદના સ્વરૂપને (પછી છંદ ગમે તે પસંદ થયા હોય; અલબત્ત, એ છંદ પણ अर्थને અનરૂપ જ હોય) બરાબર જાળવવામાં આવે તો જ મૂળ સ્ફુરણાને ફરી ફરી ચિંતન કરવા યોગ્ય રૂપ મળ્યું કહેવાય. અનુભવનું મૂળ સ્વરૂ૫ માણવું હોય તો તેને અણીશુદ્ધ આકાર મળવો જોઈએ, જેથી તમે તેનો વિવશ, વિહ્વળ કે આકુળ થયા વિના વિમર્શ કરી શકો.
                    જેની અર્થ ઉપર, ઊર્મિના સ્વરૂપ ઉપર નિષ્ઠા નથી તે કવિ નથી. જેને ભાષાવિષયક કે છંદવિષયક આગ્રહ નથી તે સાચો કલાકાર નથી. કલાકારમાં જેટલું ઊર્મિનું–સાચી ઊર્મિનું, કહેવાતા જોસ્સાનું નહિ–બળ જોઈએ તેટલું શબ્દાકારમાં તેને મૂકતાં ધૈર્ય જોઈએ.

ભાઈશ્રી ગનીને મારી અંતઃકરણની શુભેચ્છા પાઠવું છું.

તા. ૧૮-૮-૫ર મ. ઠા. બા. કૉલેજ સુરત વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદી







દર્દીલી મધુરપ

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલબુલબુલ, વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઈને આવ્યો છું. ઊડીને જેમ સાગરનીર વર્ષા થઈને વરસે છે; જીવન ખારું, છતાં દૃષ્ટિ કળાની લઈને આવ્યો છું.

                             (‘લઈને આવ્યું છું’)
          ગુજરાતના બાગમાં સદ્ભાગ્યે છેલ્લા એક સૈકાથી ખાસ કરીને છેલ્લી વીશીમાં અનેક ગઝલબુલબુલોનો નાદ ગુંજી રહ્યો છે. ભાઈ ‘ગની’ને તેમાં મધુર કંઠની બક્ષિસ મળેલી છે. એમને જેમણે સાંભળ્યા હશે, તેમને એ મંજુલ હલક દ્વારા રેલાતી હૃદયની સરળ દર્દીલી મધુરતાની ચોટ વાગી જ હશે.
         ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા માટે ઘણું અનુકૂળ વાહન છે. કવિ સૂચવે છે કે પ્રેમની–વિરહની વેદના તો એક માનવી જ ઉપાડી શકે :

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ, ઓ આકાશે ફરનારાઓ, આ ધરતી પર ચાલી તો જુઓ જ્યાં સાંજ-સવારે ચાલું છું.

                                         (‘જીવનપંથે’)

એ પૂરું જાણે છે કે

             હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી.
                                                     (‘વારતા આવી’)

એ વ્યથા કોઈ પોતાના જેવો જ ઉપાડી શકે એવી એની માન્યતા છે : મારી વિપદને કોઈની જીભ ઉપર મૂકી જુઓ.

                            (‘કથાનો સાર છે’)

વિરહમાં આશા¬–નિરાશા વચ્ચે ઝોલાં ખાતું હૃદય આ કૃતિઓમાં ઠીક છતું થયું છે.

ચમકંત સિતારા ડુબી ગયા, નભમંડળ પણ વિખરાઈ ગયું; ઓ આશ, હવે એ ના આવે, પોઢી જા, વ્હાણું વાઈ ગયું

                                 (‘વ્હાણું વાઈ ગયું’)

અને છતાં આશાનો ધબકાર નીચેની પંક્તિઓમાં કેવી ચમત્કૃતિભરી રીતે ચીતરાયો છે!¬¬– પ્રત્યેક શ્વાસ કહી રહ્યો કે કોઈ આવનાર છે, જાવું હો જિન્દગી! તો જા, મુજને લગીર વાર છે.

                          (‘કથાનો સાર છે’)
            પ્રેમીની મહત્ત્વાકાંક્ષાને તે કોઈ પાર છે? હમણાં તો આશાને પ્રિયતમાનું નામ મૂકી દેવાનું કહીને ઢબૂરી દીધી હતી અને પળવાર પછી પાછા કેવા તો ગગનસ્પર્શી ઓરતા જાગે છે! પ્રિયતમા સામે થઈને બોલાવે ને પોતે હું નહિ આવી શકું એમ કહી શકે એવી તક માટે એ ઝંખે છે : 

હે પરવશ પ્રેમ! શું એવો પ્રસંગ એક વાર ના આવે?

એ બોલાવે મને ને હું કહું, ‘આવી નથી શકતો!’
                        (‘આવી નથી શકતો’)
         પણ પરવશ ન હોય તો એ પ્રેમ શેનો? પ્રેમમાં, ઉપર કહી તેવી બેફામ મહત્ત્વાકાંક્ષા સેવનારાઓ શું પામે છે એ જાણવું છે? ‘ગની’ને પૂછી જુઓ :

મારી સામે જોઈ મોઢું ફેરવી લેવું અને પૂછવું પરને ‘ગની’ કાં આજ દેખાતા નથી?

                        (‘દેખાતા નથી?’)
       એ બોલાવવા કહેણ મોકલે ને પોતે એ કહેણ પાછું ઠેલે–એ વાત તો કોરે રહી. પોતે ગયા. પણ એણે તો આંખ ચોરી અને ઉપરથી બીજાને પૂછ્યું : ‘ગની’ કાં આજ દેખાતા નથી? આ આટલો સવાલ પણ પોતાને જ સીધો પૂછ્યો હોત તો જાણે ધન્ય-ધન્ય થઈ જાત! પણ સવાલ એવો છે કે પોતાને પૂછી ન શકાય. ઊલટું બીજા સાથે વાત કરવા માટેની તક તરીકે પોતાનો ઉપયોગ થાય છે અને એમ ઉપેક્ષામાં ઈર્ષ્યા ઉમેરાય છે. 

      એની એકલતા અને એકલતા ન નિવારી શકાય તો કાંઈ નહિ પણ એ સંકોરાય નહિ એવી યાચના, જુઓ :

પ્રત્યક્ષ સુણી છે આ ચર્ચા મેં તારલિયાની ટોળીમાં : રાત્રિએ અવિરત જાગે છે આ એક બિચારો શા માટે? વર્ષોથી ‘ગની’ નિજ અંતરમાં એક દર્દ લઈને બેઠો છે; છો એનું તમે ઔષધ ન બનો પણ દર્દ વધારો શા માટે?

                                          (‘શા માટે?’)
     આ બધાં કારસ્તાન જુવાનીનાં છે એમ સમજાતાં હૃદયને આશ્વાસન કેવું સહૃદય રીતે આપવામાં આવ્યું છે!–

તને થઈ પડી ત્રાસ મારી યુવાની, ન રડ દિલ ! હશે એ જ મરજી ખુદાની.

                     (‘મારી યુવાની’)
    
    યુવાનીની કસૂરોની શિક્ષામાંથી છટકવાની કવિની દલીલ તો જુઓ. (એ કાંઈ ઓછી જ ચાલવાની છે?)–


મદમસ્ત યુવાનીની શિક્ષા ઘડપણને મળે એ ન્યાય નથી, તોફાન થયું છે ભરદરિયે, સપડાય કિનારો શા માટે?

                                      (‘શા માટે?’)
     યુવાની બુદ્ધિને થાપ આપે છે, પણ બુદ્ધિની આ લાચાર સ્થિતિને પ્રેમી ધનભાગ્ય માને છે :

ધનભાગ્ય ! જીવનના ઉંબર પર દીવાનગીએ પગલાં માંડયાં, બુદ્ધિને હવે રહેવું હો તો લાચાર બનીને રહેવું છે.

                          (‘મયખાર બનીને રહેવું છે’)
     ૫ણ આ પ્રેમની દીવાનગીએ એને એક નવી શક્તિ બક્ષી છે. જગતને આત્મ-સ્વરૂ૫ જોવાની કળાની બારાખડી એ પામી ચૂક્યો છે : 

જ્યારથી અંતરની ભાષા વાંચતાં શીખ્યો છું હું, જેનું પુસ્તક જોઉં છું મારું કથાનક હોય છે.

                             (‘આત્મબળ’)
     લક્ષ્યને પામવા વિષેની નિરર્થક તાલાવેલીમાંથી, ઝંખનાના ડંખમાંથી, એ છૂટી ગયો છે :

થાકીને ઢળી જ્યાં દેહ પડે બસ ત્યાં જ હશે મંઝિલ મારી.

                                         (‘જીવનપંથે’)
     આ સ્થિતિ પામીને મૃત્યુને કેટકેટલું પચાવ્યું છે! 

જિંદગી એવા ય શ્વાસો લઈને જીવ્યો છું ‘ગની’, કૈંક વેળા આ જગત મારા વિનાનું થઈ ગયું.

                     (‘બહાનું થઈ ગયું’)
   આમાંની અત્યુકિત પણ કેવી મનોરમ છે!
   પ્રેમ, વિરહ, આશા-નિરાશા, મૃત્યુ-આ બધાંમાંથી ઊડતી સુગંધ, સુંદરતા, એ સ્તો ધરાની સૌથી મોટી અસ્કયામત છે. કવિ બુલંદ સૂરે ગર્વભેર પુકારે છે : 

હૃદયના ભાવ પાંખે કલ્પનાની લઈને આવ્યો છું, સિતારાઓ, સુણો કથની ધરાની લઈને આવ્યો છું.

                         (‘લઈને આવ્યો છું’)
     કવિ પૂજાલાલનું એક મુક્તક છે :

તણાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઊડશે અમીવાદળી.

            (પ્રથમ પંક્તિ ગઝલની રીતે વાંચી ગયા, નહિ ને? અનુષ્ટુપ અરબી છંદરૂપે પણ વાંચી શકાય એ રીતે એ પંક્તિમાં ગોઠવાઈ ગયો છે.) પૂજાલાલ ધ્વનિરૂપે છે, ‘ગની’ એને એને કળાદ્રષ્ટિનું નામ આપે છે :

ઊડીને જેમ સાગર નીર વર્ષા થઈને વરસે છે, જીવન ખારું, છતાં દૃષ્ટિ કળાની લઈને આવ્યો છું.

          એક જ ભાવ બંનેએ પોતપોતાની રીતે કેવો સુંદરતાથી ગાયો! ખારાશ જીરવીને બીજાને માટે સંજીવનીસમી વર્ષા વરસાવવી એ જ તો જીવન-કળા છે. (જીવનનો અર્થ પાણી અને જિંદગી બંને થાય છે.) આ કળાદૃષ્ટિ કળાકારને કોઈને કોઈ શ્રદ્ધામાંથી સાંપડે છે. આપણા કવિ બુલંદ સ્વરે ખુમારીથી ગાય છે તેમ શ્રદ્ધાનો પ્રત્યુત્તર પણુ કેવો અદ્ભુત સુંદર મળે છે :

શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને; રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.

          ઉપર ભાઈ ‘ગની’ની ભાવસમૃધ્ધિનો આછો આલેખ આપ્યો, તેમાંથી એમની કવિત્વશક્તિનો પણ કાંઈક ખ્યાલ જરૂર આવશે. ગઝલ એ અનોખો કાવ્યપ્રકાર છે, જેમાં હરેક શેર(કડી) પાણીદાર મોતી જેવું હોય એ જરૂરી છે. ઉપર અલબત્ત, ચૂંટેલા શેર રજૂ થયા છે, એટલે એવા જ બધા શેર છે અથવા આખી ને આખી ગઝલો બધી ઉત્તમ છે એવું સૂચવવાનો આશય નથી. પણ ભાઈ ‘ગની’ની શક્તિનો અંદાજ એ ઉપરથી આવી જશે એવી અપેક્ષા છે જ. ‘ચમન માટે’, ‘કિનારા પર’, ‘લઈને આવ્યો છું’, ‘જીનવપંથે’, ‘શા માટે?’–જેવી ગઝલો સળંગ રચના તરીકે આ લખનારની જેમ અન્ય કાવ્યરસિકોને પણ માતબર લાગશે એવી આશા છે. પોતે આજીવિકા માટે જે વ્યવસાય કરે છે તે ઉપરથી રચેલું ‘પ્રિયતમા’ પણ સૌને ગમી જશે જ.
      ગઝલ અને બીજી કૃતિઓના છંદ વિષે મારા કરતાં કોઈ જાણુકાર અધિકારી કહી શકે. પણ એક વસ્તુ તરફ-ઉચ્ચાર તરફ અહીં નોંધ કરું છું. અરબી છંદો લઘુ–ગુરુ એમ માત્રાબળથી સમજી શકાય છે, છતાં એમાં વજન(stress)ને સ્થાન લાગે છે, એટલે એ રીતે પંક્તિમાં શબ્દોનો ઉચ્ચાર થવો જોઈએ. આપણી ભાષામાં આવી ગુંજાયશ છે એટલું જ નહિ, પણ ભવિષ્યમાં છંદોના વિકાસમાં આવી વજન ઉપર વધુ લક્ષ આપતી ઉચ્ચારપદ્ધતિ ઘણો ફળો આપી શકે એવી છે. એક પંક્તિ જુઓ :

છે નામનો આ ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી

         આમાં ‘હ’ થડકારથી ગુરુ થવા દેવાનો નથી અને બે ‘ઓ’ને લઘુ ઉચ્ચાર થાય છે. ‘નામનો’ને, મળતો (આ ઉપર ભાર ન આવે એવો) ઉચ્ચાર થાય તો એમાંના ‘ઓ’નો લઘુ ઉચ્ચાર કરવાની જરૂર ન રહે...... પણ આ ઉચ્ચારો તો ગઝલના લયના વેગમાં આપોઆપ વજન પ્રમાણે થઈ જવાના. એની લાંબી ચર્ચા અહીં જરૂરી લાગતી નથી.
      ગઝલ સિવાયની કૃતિઓમાં બે ગીતો ખાસ નોંધપાત્ર છે. બલકે ભાઈ ‘ગની’ની ઉત્તમ કૃતિઓમાંની એ બે છે : એક તો ‘સરિતાને’ અને બીજું ‘ભિખારણનું ગીત.’ પહેલું ગીત જોઈ ટાગોરની એક ‘નદી’ કરીને રચના છે તે મને યાદ આવી. એમાં એક કવિ નદી તટે બેઠો-બેઠો નદીમાં ઊઠતાં અસંખ્ય મોજાં જોયાં કરતો હોય એમ નાની નાની કાવ્યપંક્તિઓની એક પરંપરા ટાગોરે લહેરાવી છે. ‘સરિતાને’ નદીના વેગને અને ગાનને લક્ષ્ય કરીને ચાલે છે, આ૫ણને નદી સાથે માનસયાત્રા કરાવતાં કરાવતાં એ પંક્તિઓના ગુંજન દ્વારા જ સરિતાનું ગાન જાણે કે કાનોકાન સંભળાવે છે :

વૃક્ષો ઝૂમે, ડાળી ઝૂમે, કાંઠાની હરિયાળી ઝૂમે. નૃત્ય કરે સૌ જંતુ જળનાં, ફરે ફૂદરડી નીર વમળનાં; તાલ સ્વયં તું, ગાન સ્વયં તું, સુણવા કાજે કાન સ્વયં તું; ગીત રહી ના જોય અધૂરું, થાય પ્રલયના પાને પૂરું.

મત્ત પવનની લહેરો સાથે લહેરાતી મદમાતી,

                       તું રહેજે સરિતા ગાતી.
       ‘ભિખારણનું ગીત’ એક ખરે જ સુંદર રચના છે. ગગનવિહારિણી આશા અને હૃદય કંપાવનારી વાસ્તવિકતા-એ બંને ઉપર એક-એક આંખ રાખીને કવિ ગાય છે.

ભિખારણ ગીત મઝાનું ગાય, આંખે ઝળઝળિયાં આવે ને અમૃત કાનોમાં રેડાય,

                   ભિખારણ ગીત મઝાનું ગાય :

“મારા પરભુ મને મંગાવી આપજે સોનારૂપાનાં બેડલાં, સાથે સૈયર હું તો પાણીડાં જાઉં, ઊડે આભે સાળુના છેડલા.”

એના કરમાંહે છે માત્ર, ભાંગ્યું તૂટ્યું ભિક્ષા પાત્ર. એને અંતર બળતી લાય, ઊંડી આંખોમાં દેખાય.

એને કંઠે રમતું ગાણું, એને હૈયે દમતી હાય.

                              ભિખારણ ગીત મઝાનું ગાય.

એ શું ઝંખે છે?

“મારા પરભુ, મને મંગાવી આપજે અતલસ અંબરનાં ચીર, પે'રી ઓઢીને મારે ના'વા જવું છે ગંગાજમનાને તીર.”

વળી માગે છે :

“શરદ પૂનમનો ચાંદો ૫રભુ, મારે અંબોડે ગૂંથી તું આપ. મારે કપાળે ઓલી લાલ લાલ આડશ ઉષાની થાપી તું આ૫.”

એના શિર પર અવળી આડી જાણે ઊગી જંગલ ઝાડી. વાયુ ફાગણના વિંઝાય, માથું ધૂળ વડે ઢંકાય.

એના વાળે વાળે જુઓ, બબ્બે હાથે ખણતી જાય.

                                  ભિખારણ ગીત મઝાનું ગાય.

કેવી ભીષણ વાસ્તવિકતા! અને છતાં એની આકાંક્ષા શી ગુંજી ઊઠે છે!–

“સોળે શણગાર સજી આવું, પરભુ, મને જોવાનો ધરતી પર આવજે. મુજમાં સમાયેલ તારા સ્વરૂપને નવલખ તારાએ વધાવજે!”

     આ એક ગીતમાં પણ કવિની કવિત્વશક્તિનો પૂરો પરિચય આપોઆપ મળી રહે છે.
       ભાઈ ‘ગની’ની રચનાઓ પ્રસિદ્ધ કરવાની વ્યવસ્થા કરનાર સુરતની 'શ્રી ગની કાવ્યસંગ્રહ પ્રકાશન સમિતિ’ને અભિનંદન ઘટે છે. એ આખા ખ્યાલમાં જ સ્નેહની સુવાસ છે, કવિતા છે. આપણે સામાન્ય રીતે મોડા જાગીએ છીએ અને સ્મારકો રૂપે સાહિત્યને ગ્રંથસ્થ કરીએ છીએ. ઘરઆંગણે પડેલી શક્તિને આ રીતે વેળાસર ઓળખી શકાય તો વધુ સારું, એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. ભાઈ ‘ગની’ ઉત્તરોત્તર વધુ ને વધુ રસભર કૃતિઓ આપતા રહેશે એવી સદ્ભાવના.

તાપીતટે માંડવી મે ૨૦, ૧૯૫૩ ઉમાશંકર જોષી















પક્ષપાત

      ભાઈ ‘ગની’ પ્રત્યે મને પક્ષપાત છે. મુશાયરામાં અનેક વખતે એમને પોતાની કવિતા ગાઈ સંભળાવતા મેં સાંભળ્યા છે અને આનંદ અનુભવ્યો છે. એમની કવિતા છૂટક છૂટક વર્તમાનપત્રોમાં અને સામયિક પત્રોમાં પ્રકટ થયેલી મારા જોવામાં આવી છે અને એમના નામ સાથે જોડાયેલી કોઈ ૫ણ રચના વાંચી જવાની લાલચ હું કદી રોકી શક્યો નથી.
      એઓ શ્રીમાન નથી અને પદવીધારીઓને જ જો વિદ્વાન કહેવાતા હોયે તો એ અર્થમાં વિદ્વાન પણ નથી. એમનો અભ્યાસ ચાર-પાંચ ચોપડીઓનો જ છે. પણ શ્રીમાનને જેનું ભાન નથી હોતું તે શ્રી વિનાનાંઓની વિપત્તિઓ તથા વેદનાઓનું એમને તીવ્ર ભાન હોય છે. લૂખી પંડિતાઈથી જે નથી આવતી તે વાસ્તવિક દર્શનની વિમલ શક્તિ એમને સહજ છે. સંસારની વિષમતાઓ અને વિટંબણાઓ એમના હૃદયમાં કોમળ અને સાત્ત્વિક ભાવો જગાડે છે, એમની કલ્પનાને સતેજ કરે છે, એમના હૃદયને દ્રવતું કરે છે, એમની વાણીને બળ અર્પે છે. પરિણામે વાચકના હૃદયને ૫ણ ભાવભીનું, દ્રવતું અને રસતરબોળ એ કરી શકે છે. ખરેખર, ભાઈ “ગની”ને “શ્રમજીવીઓના કવિ” તરીકે ઓળખાવવામાં આવે છે તે યોગ્ય જ છે.
     પરંતુ આ નાનકડો સંગ્રહ આપણને પ્રતીતિ કરાવે છે કે અમુક વિષય કવિને લાડકો હોય છતાં એ એક જ વિષયમાં કવિની પ્રવૃત્તિ મર્યાદિત રહેતી નથી. જગત, જીવન, પ્રેમ અને પ્રભુ–જગત જેની સનાતન શોધમાં મશગુલ રહ્યું છે તે ‘સનમ’ એ સર્વ એમના હૃદયમાં ઊર્મિઓ જગાડે છે. સાધુ પુરુષની સાધુતા, સેવાપરાયણતા અને સત્યાભિમુખતા એમને નમાવે છે. તકસાધક દુર્જનોની સત્તાપ્રવણતા, સ્વાર્થલોલુપતા અને દંભવૃત્તિ એમને કંપાવે છે. કડવાશ, કલહ અને કંકાસ એમને કંટકસમાન ખૂંચે છે. વિશ્વશાંતિની ઝંખના એમને પ્રફુલ્લ બનાવે છે. એમના આંતર અનુભવો એમને જે સંવેદનો કરાવે છે તે અનુરૂપ વાણીમાં વ્યક્ત થતાં તેમાં આપણે સચ્ચાઈનો મીઠો રણકાર સાંભળીએ છીએ અને મુગ્ધ થઈ એ છીએ. મુશાયરામાં એમને પોતાની કવિતા ગાતાં સાંભળવા એ પણ હું જીવનની લ્હાણ સમજું છું.
    એમને ધંધો દરજીનો છે. કાળજીપૂર્વક, બરાબર માપ લઈને સીવેલાં કપડાં હોય તો જ પહેરનારને તે ફાવે છે, તેની શોભા વધારે છે, તેને સુખ આપે છે. તેનામાં ‘અસ્મિતા’નું ભાન પ્રકટાવે છે. કવિતા પણ એટલી જ કાળજીથી રચાય અને તેની રચનાના નિયમ ચીવ્વટાઈથી પળાય ત્યારે વાંચનારને કે સાંભળનારને તે ગમે છે, સાહિત્યની શોભાને તે વધારે છે, આનંદનો આસ્વાદ તે કરાવે છે અને ગુર્જરીના ગૌરવને તે પોષે છે. કાવ્યકળાનો આ ઊંચો આદર્શ ભાઈ “ગની” સેવી રહ્યા છે, એ આદર્શની સિદ્ધિ માટે એ ચિંતાતુર રહ્યા છે. ઉત્તરોત્તર એમની કાવ્યકળા વિકસશે એવો મને એમની એ ચિંતાતુરતામાં વિશ્વાસ છે.
    આ પ્રકાશનનો સત્કાર એમને ઉત્તેજિત કરે અને એથી પણ ચડિયાતાં કવનો કરવાને એઓ ઉત્સાહ રાખે એમ હું અંતઃકરણપૂર્વક ઈચ્છું છું.

૨૦-૭-૫૩ ખપાટિયો ચકલો, સૂરત મોહનલાલ પાર્વતીશંકર દવે












બે સુયોગો

      એ હકીકત છે કે ગુજરાતી ગઝલ-પ્રવૃતિ કિંવા ગુજરાતને ગઝલમય કરવાની મુશાઈરહ-ચળવળ હમણાં તેની પચ્ચીસીમાંથી પસાર થઈ રહી છે, તેના કોઈ પણ કાર્યકર કે સંબંધિતનું લક્ષ દોર્યા વિના સરકી જઈ રહી છે. તેથી જ કદાચ, એક આવશ્યક અને કાર્ય-સાધક, ઉપયોગી અને અમલી જુબીલી-ઉજવણી એળે વહી જઈ રહી છે.

      પ્રવૃત્તિની પા સદીની કાર્યવાહી અને સેવા, તેણે જગાડેલ રસ અને લક્ષ, કરેલ કામની ખૂબીઓ અને ખામીઓ, કરવા જોઈતા છતાં નહિ કરેલ કામની રૂપ-રેખા, સર્જેલ નવા કાવ્ય-વાતાવરણના ઉપયોગો પ્રયોગોની વિગતો, ગુર્જર કાવ્ય-સૃષ્ટિમાં વહેવડાવેલ નહેરો અને લહેરો તથા પ્રવાહો અને વહનોનાં ફળદાઇ સિંચનોનું નિર્માણ, એ વગયરહની વિચારણા અને તુલનાની, તેના હિસાબ તથા કિતાબની આ ધન-ઘડી છે. જુબિલીની એવી નક્કર ઉજવણી, સંબંધિત શાઈરો અને ગઝલકારોની એક જવાબદારી છે, કે જેથી તેમનાં કાવ્ય–સર્જનમાં ખાહ-મ-ખાહ પ્રવર્તી રહેલી વિચાર અને વાણીની ઉલટફેર તથા અંધાધુધ, સુવ્યવસ્થા અને સુમેળ અને સ્થિરતામાં ફેરવાઈ જાય; કે જેથી તેમની ગઈકાલની મૂડીનું આવતી કાલે ઉત્પાદન ફળે અને મઝદૂરીનું વેતન મળે; કે જેથી જનતા તેમને જેટલી દિલચશ્પી અને દિલ્લગીથી સાંભળે વાંચે છે, તેટલી સમજ અને બુદ્ધિથી તેમની કૃતિઓ અપનાવે પચાવે પણ; કે જેથી જે મૌલિકતા અને નવીનતા તેઓ ગુર્જર સાહિત્યને ઉત્સાહથી આપી રહ્યા છે તે ભાનપૂર્વક પણ અપાય અને તેની એક સંગીન કળા, એક સુંદર મતા પણ બની જાય. કારણ કે એ નક્કી છે કે ગઝલ, ગુર્જર હૃદયોમાં કાયમી કબ્જો પણ જમાવી ચૂકી છે અને ગઝલ-સાહિત્ય, ગુર્જરીનું એક સ્થાયી અંગ પણ બની ગયું છે.
      એવી કોઈ આલોચના કે તુલના આ જુબીલી પ્રસંગમાંથી પ્રેરાઈ રહી નથી. તેથી કહો કે ત્યાં સુધી ગની સાહિબના ગઝલ-ગુલિસ્તાનમાંથી વીણી અને વણીને ગૂંથવામાં આવેલી આ કાવ્ય-કુસુમમાળા જ તેનું સ્થાન લઈ લે છે. આપણી ગઝલ-રસિક જનતા માટે તે ઘણે અંશે પ્રસંગસર પણ સાબિત થશે-એ અર્થમાં, કે તે, તેને માટે જે કંઈક નવી અને અનોખી છે એવી આ વસ્તુનું વાતાવરણ આપશે, તેનું કલેવર દેખાડશે; તેની ભાષા, પરિભાષા અને શૈલી-સરણીનો પરિચય કરાવશે. ખરેખર એવા રંજનીય વાંચન દ્વારા મળેલ-આપ મેળે જ મેળવેલ-થોડોક વધુ, થોડો નવો, થોડોક તાઝો આભાસ પણ તેની એ વિષેની સમજદારી તીવ્રતર બનાવી શકે છે.
                                           *
    “ગાતાં ઝરણું” એક પકવતર “ગની”ની આગાહી આપે છે. આજનો ગની આવતી કાલના “ગની”ને ઝટઝટ આકાર આપી રહેલો એમાં સાફ સાફ દેખાય છે-એક અસરકારક, આગ્રહી, લાક્ષણિક “ગની”નો આકાર. એમ થઈ રહ્યાનાં સ્પષ્ટ, સુખદ ચિહ્નો હું એ કૌતુકમાં હયરતપૂર્વક નિહાળી રહ્યો છું, કે એ ગુજરાતી સુરતી, પોતાના મહાન ફારસી કાશ્મીરી સમનામીને પથે સ્વયં વિચરી રહ્યો છે. “ગની” કાશ્મીરીનાં અહંભાન અને સ્વમાન “ગની” ગુજરાતીમાં વિચાર અને વાણી, શૈલી અને સરણી, ભાન અને ભાવના, બધાં અંગે ઓછે-વત્તે તરવરી રહ્યાં છે.
    ગઝલ ક્ષેત્રનાં સંભવિત ભયો અને દુષણોથી પર અને રક્ષિત રાખનારી આ રહબરી મને ઘણી જ ગમી છે. આપણા ગઝલકારો માટે એવાં અનુસરણ અત્યંત આવશ્યક છે. આપણા “ગની”ને એ તવંગરી રાસ આવી જાય અને તેનાથી તેમની વિચાર-સૃષ્ટિ રવશન થઈ રહે, એવી મ્હારી આશા અને આશિષ છે.

ભાગાતાલાબ, ૧-૮-૫૩ –મુનાદી








નિવેદન

       સૂરતના આશાસ્પદ અને શ્રમજીવી કવિ ભાઈ ગનીભાઈનો કાવ્યવ્યાપાર ખીલતો જતો હતો અને એમને મધુર કંઠે ગવાયેલ ગઝલો અને ગીતોની હારમાળા રચાતી જતી હતી; પણ એ ચો૫ડીને પાને ચઢે એવી કોઈ શક્યતા ન હતી. આપણાં અનેક કવિ-લેખકોની જે અવદશા આ બાબતમાં છે તેવું જ ભાઈ ગનીભાઈ માટે હતું અને એમની સ્થિતિ તે વળી વધારે મુશ્કેલ. પરસેવો પાડીને રોટલો મેળવનાર આ ભાઈ એ નાણાં ક્યાંથી લાવે? સદ્ભાગ્યે એમના ઘણા સ્નેહી મિત્રો છે અને તેઓ એમની ઉન્નતિમાં રસ લેનારા છે. તેમણે આ કાવ્યો ગ્રંથસ્થ થાય તે માટે એક સમિતિ રચવાનો ને જોઈતાં નાણું ઊભાં કરવાનો સંકલ્પ કર્યો અને એ સમિતિનું પ્રમુખપદ મારે માથે નાખ્યું. આ સમિતિએ જોઈતાં નાણાં એકત્ર કરી દીધાં ને ભાઈ ગનીભાઈને જાહેર સમારંભમાં તેની ભેટ આપી. આ નાણાંમાંથી આજે આ પ્રકાશન થાય છે એ ભારે આનંદની વાત છે. સૂરતની આ સમિતિએ જે રાહ લીધો છે તેનું અનુકરણ અન્યત્ર થાય તો અંધારે પડેલાં ઘણાં રત્નો ચમકી ઊઠે અને આપણા સાહિત્યજગતની સમૃદ્ધિમાં ૫ણ વધારો થાય. આ પ્રસંગે જહેમત ઉઠાવી નાણાં ભેગાં કરનાર સમિતિના તમામ સભ્યો અને ઉદાર દિલે નાણાં આપનારા સભાસદોનો હું હાર્દિક આભાર માનું છું અને ભાઈ ગનીભાઈની કાવ્યકલા સોળે પાંખડીએ ખીલે અને ગૂજરાતના સાહિત્યગગનમાં તેઓ ચમકતા રહે એવી શુભેચ્છા પ્રકટ કરું છું. 

૨૮-૭-૫૩ ઈશ્વરલાલ ઈ. દેસાઈ

“શ્રી ગની કાવ્ય સંગ્રહ પ્રકાશન સમિતિ” પ્રમુખ : શ્રી ઈશ્વરલાલ ઈ. દેસાઈ

                  જ. મુનાદી                             શ્રી કુસુમચંદ ઝવેરી
                 શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવે        શ્રી અશ્વિન મહેતા
                 શ્રીમતિ મનહરબહેન કાજી              શ્રી ચંદ્રકાન્ત પારેખ
                 શ્રીમતિ વનલીલાબહેન ભટ્ટ            શ્રી જયંત જાદવ
મંત્રીઓ :

શ્રી દોલત દેસાઈ શ્રી બળદેવ મોલિયા


ઋણ સ્વીકાર

     જીવનમાં અણધાર્યું ઘણું બને છે.
     મારા કાવ્ય-સંગ્રહની બાબતમાં એવું જ બન્યું છે.
     મને જેની કલ્પના પણ ન હતી એ થેલી આપવાની વાત જ્યારે કેટલાક મિત્રોએ સૌ પ્રથમ મને જણાવી ત્યારે આ કાર્યની ગંભીરતા મને જણાઈ ન હતી, પણ થેલી આપવાનું કાર્ય માત્ર ગણતરીના દિવસોમાં જ પતી ગયું અને ત્યારે મારી જવાબદારીના ભાને મને ચિંતિત કરી દીધો.
     કાવ્યો બધાં વેરવિખેર પડ્યાં હતાં. એને એકત્રિત કરી એના ગુણદોષ જોઈ-તપાસી મઠારીને ગ્રંથસ્થ કરવાનાં હતાં. આ કાર્ય મારે માટે નવું હતું. વળી કવિને પોતાની કઈ કૃતિ ખરાબ લાગે? પણ મારી મૂંઝવણુનો ઉકેલ આવી ગયો.
     કેટલાક સમભાવી અને માયાળુ મુરબ્બીઓએ એ કામને પોતાનું ગણી મને ઋણી કર્યો છે.
     સૌથી પ્રથમ શ્રી ઈશ્વરલાલ ઈ. દેસાઈ બધાં કાવ્યો તપાસી ગયા. એમણે કેટલાંક કીમતી સૂચનો કર્યાં. ત્યાર બાદ શ્રી પ્રીતમલાલ મઝમુદારનો મેં સૌથી વિશેષ સમય લીધે. કલાકો સુધી કવિતાના ગુણદોષની ચર્ચા કરી એમણે મને પુષ્કળ માર્ગદર્શન આપ્યું, કાવ્ય રચનાના ભયસ્થાન વિષે સાચી સમજ આપી અને કેટલીક પંક્તિઓને સુંદર રીતે મઠારી પણ આપી. ત્યાર બાદ બધી કૃતિઓ શ્રી ઉમાશંકરભાઈ પર મોકલી આપી. ઘણાં ઘણાં - રોકાણો છતાં ઉમાશંકરભાઈ અત્યંત કાળજીથી બધી કવિતાઓ એક એક પંક્તિ વિરામ ચિહ્નો સહિત તપાસી ગયા, કંઈ કેટલાય સુધારા સૂચવ્યા અને કેટલીક પંક્તિઓને પાસાદાર દર્પણ જેવી ચમક આપી અને સાથોસાથ પ્રસ્તાવના પણ લખી આપી. એ વાંચી મારા આનંદનો પાર ન રહ્યો.

“નિગાહે લુત્ફોઈનાયતસે ફયઝયાબ કીયા, મુઝે હઝૂરને ઝરરે સે આફતાબ કીયા.”

     મને રજકણને સૂર્ય બનાવી મૂકનારું એ સૌજન્ય હતું. એમની મારા પ્રતિ હંમેશ મીઠી નજર રહી છે અને તે માટે હું તેમનો સદાનો ઋણી છું.
    આ બધી પ્રક્રિયામાં સારો એવો સમય નીકળી ગયો, એટલે સંગ્રહ મોડો પ્રગટ થઈ શક્યો છે.
     શ્રી ઉમાશંકર જેવા રસજ્ઞ, સમભાવી મર્મજ્ઞે યોગ્ય છણાવટ કર્યા પછી મારે મારાં કાવ્યો વિષે વિશેષ શું કહેવાનું હોય? સંભવ છે કે એમણે ઉદારતાથી જતી કરી હોય એવી ક્ષતિઓ પણ મારી કૃતિઓમાં હોય.
     થેલી અર્પણ સમારંભ પ્રસંગે કવિ અને કવિતાના ઉચ્ચ આદર્શની છણાવટ કરતો મૂલ્યવાન સંદેશ(કવિ અને કલાકાર) પાઠવવા માટે મારા પ્રત્યે હંમેશ મીઠી નજર રાખનારા મુરબ્બી શ્રી વિષ્ણુભાઈનો આભાર માનું છું.
     મારા પ્રત્યે માયા રાખનારા પંડિત ઓમકારનાથનો આભાર ક્યા શબ્દોમાં માનું? એમના “બે બોલ” આ સંગ્રહ માટે સ્વાગત ગીત સમા છે.
     મુરબ્બી શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવેનો મારા પ્રત્યેનો પરમ સદ્ભાવ અને મમતા પણ ન જ ભૂલું! એમના જેવી સૌજન્યમૂર્તિનો સ્નેહ સંપાદન કરનારે પોતાની જાતને ધન્ય માનવી રહી. આ સંગ્રહ માટે એમણે લખી આપેલા બે શબ્દો માટે એમનો ઋણી છું.
     મારી ગઝલ-પ્રવૃત્તિમાં સદાય રસ ધરાવતા અને ક્યારેક ક્યારેક ઠપકા સહિત યોગ્ય દિશાસૂચન કરતા જ. “મુનાદી” સાહેબ, જેમના બે બોલનો સુયોગ મને પ્રાપ્ત થયો છે, એ વડીલનો દિલથી આભાર માનું છું.
      થેલી અર્પણ સમારંભમાં હાજર ન રહી શક્યા છતાં તે પ્રસંગે આશીર્વાદ રૂપે સંદેશા મોકલી આપવા માટે શ્રી જ્યોતીન્દ્ર હ. દવે, શ્રી કરસન માણેક, શ્રી ચંદ્રવદન મહેતા અને સુરત સુધરાઈના પ્રમુખ શ્રી ધીયા સાહેબનો આભાર માનું છું.
     “ગની-કાવ્ય-પ્રકાશન સમિતિ”નો આભાર ક્યા શબ્દોમાં માનું? આ સંગ્રહ પ્રકટ થઈ શક્યો છે તેનો યશ અને શ્રેય એને જ ઘટે છે. પ્રમુખશ્રી તથા મંત્રીઓ અને સભ્યોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
       આ સંગ્રહ માટે સૌ પ્રથમ પ્રેરણા આપનાર મારા મિત્ર શ્રી મનુભાઈ બક્ષીને કેમ વીસરું? તથા સંગ્રહનું નામ સૂચવનાર શ્રી રતિલાલ–અનિલને પણ હું કદી નહીં ભૂલી શકું. સંગ્રહને શણગારવાનો પહેલેથી છેલ્લે સુધીનો યશ એમને જ ઘટે છે. બહુ જ નિકટના એ સહમાર્ગી મિત્રનું સ્થાન મારા હૃદયમાં છે.
      મારી કાવ્ય-પ્રવૃત્તિમાં રસ લઈ મને પ્રોત્સાહન આપનાર દરેક સ્નેહીનો અલગ અલગ ઉલ્લેખ કરવો અશક્ય છે માટે તેમનો સમૂહગત આભાર માની લઉં છું.
      કાવ્ય–સંગ્રહને પૂરતી કાળજીથી ટૂંક સમયમાં સારી રીતે છાપી આપવા માટે ગાંડીવ મુદ્રણાલયના સંચાલકોનો આભાર માનું છું.
     અંતમાં જેવો છે તેવો આ કાવ્ય–સંગ્રહ ગુણત ગુજરાતને ચરણે ધરી કૃતાર્થ થાઉં છું.
     ૬-૮-૫૩

ગોપીપુરા, સુભાષચોક “ગની” દહીંવાલા

     સુરત