હરીશ મીનાશ્રુની કવિતા/દીર્ઘકાવ્ય ‘નાચિકેતસૂત્ર’નો એક અંશ

Revision as of 00:27, 27 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દીર્ઘકાવ્ય ‘નાચિકેતસૂત્ર’નો એક અંશ

(હિમની અવળવાણીમાં અગ્નિ)

ઘૈડિયાં વાતો કરે છે,
આવો શિયાળો તો બાપ, નથી દીઠો બાપજન્મારામાં
કે વાંઝણીને કસુવાવડ થઈ જાય
ને દાયણ ઉકરડે ફજેટી આવે
બરફગરભનાં લોચા.
સૂનકારમાં
સિસોટીભેર સુસવાટા મારતો આ પવન
અણિયાળા સોયાથી
જાણે ખચ્ ખચ્ સાંધ્યા કરે છે
માણસનાં ચામડાને
હિમજુગ સાથે.
સહુની માંસમજ્જામાંથી કેમ ઊઠે છે
કહોવાયેલા બરફની ગંધ?
ને કહોવાયેલા હરફની ગંધ હોઠમાંથી?
મનમાં ઊંડે ઊંડે ઠૂંઠવાયા કરે છે
તે કિયા ઝાડનું અવળમૂળિયું ઠૂંઠું?
આ ઠંડીગાર દેગડીમાં શું ભર્યું છે?
ક્ષુધા કે સુધા?
શાનાં આંધણ મૂક્યા છે અન્નપૂર્ણાએ?
આંધીનાં, આધિના કે વ્યાધિનાં?

આ ટાઢીબોળ રાતે
ઊંધી વાળી દીધેલી તાવડી કને
ઠારના લોંદામાંથી
કોણ રોટલાની જેમ ટીપવા મથે છે શિયાળુ ચન્દ્ર?
ઇંધણાં વીણવા ગૈ’તી મોરી જગદંબા –
તે મધરાત લગણ કેમ પાછી વળી નથી?
અમાસની સૂકી રાતનાં
કાળાભમ્મર છોતરાં એકઠાં કરી
હજી ચકમકની માફક કોણ ઘસે છે ક્ષણથી ક્ષણને?
આ ગળી રહ્યાં છે કોનાં સઘળાં અંગ હિમાળે?
પક્ષપાતથી પ્રેમ કર્યાના પાપે પડતું કોણ હિમમાં પરથમપ્હેલું?
અસૂયાના હિમસ્પર્શે કોની ગળી આંગળી?

તને મારી શીતાગાર જઠરના સોગંદ
હે શીતકાળના સાચા સગલા
હે વણસગપણના મરણમરગલા
પરગટ કરી બતાડ તારા ગૂઢારથને ને બોલ
બોલ કે ઠીંગરાયેલું લોક
કેમ રઘવાયું થઈને દોટ મૂકે છે વડવાએ સંતાડેલી આગ શોધતું બધ્ધે
દશે દિશામાં, અહીં તહીં, અડખે પડખે, નીચે ઉપર ને મધ્યે? -
સહુની ભીતર આગ હતી તે ક્યાં ખોવાઈ?
મૂળિયાં લગ અગનિને લાગી આજ ઊધાઈ?
કે લાગ જોઈને આગ જ ટાઢ બની પથરાઈ?