મનીષા જોષીની કવિતા/નર્મદા

Revision as of 01:21, 2 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નર્મદા

જોઈ હતી મેં એને
વહેલી સવા૨ના અજવાળામાં
એક નાનકડી નાવમાં બેસીને
પધરાવ્યાં હતાં એમાં
પિતાના અસ્થિ જ્યારે.
પછી રાખ અને ફૂલોને લઈને
દૂર ચાલી ગઈ હતી એ નદી
નર્મદા,
મને પણ સાથે લઈને.
એના નીરમાં અટવાતાં
ઝાડીઝાંખરાં વચ્ચેથી માર્ગ કરતાં
વહી રહેલાં એ ફૂલો
કોહવાઈ ગયાં છે હવે
અને શરીરની રાખ પણ બેસી ગઈ છે
એના તળિયે કશેક
પણ હું હજીયે જીવી રહી છું
એના કિનારે ઊછરતી જળસૃષ્ટિ ભેગી.
હવે તો એનો માર્ગ એ જ મારો માર્ગ.
એના વહેણમાં વહેતી
ગર્ભવતી માછલીઓ ભેગી
હું જીવ્યે જઉં છું
આગળ ને આગળ.