કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/વાણીનો વહેવાર

Revision as of 17:19, 30 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૫. વાણીનો વહેવાર


અણમૂલાંને વણમૂલ આપે,
જીયો ખરીદણહાર,
રે એવો વાણીનો વહેવાર જી.
જુગ જુગથી પેલો જોગી હિમાલય
વહે ગંગની ધાર,
કોઈ પીએ, કોઈ પીએ ન વારિ,
એને તમા ન લગાર.
રે એવો વાણીનો વહેવાર જી.
આંબો ઊગે કે મ્હોર ધરે ને
કેરી દિયે રસદાર,
કોઈ ચૂસે, કે કોઈ ન ચૂસે,
એને ન એ દરકાર.
રે એવો વાણીનો વહેવાર જી.
સૂરજ એનાં દે અજવાળે
ચેતનનો અંબાર,
એને ન પરવા, બાર રહો કે
બેસો બીડીને દ્વાર.
રે એવો વાણીનો વહેવાર જી.
અંતરમાંથી આવે આફૂડા
અલખના ઉદ્ગાર,
ઝીલો, ન ઝીલો ભાઈ, ભેરુ સહુયને
ઝાઝા કરીને જુહાર.
રે એવો વાણીનો વહેવાર જી.

(રામરસ, પૃ. ૧૬)